Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડી

જ. ૩૦ જુલાઈ, ૧૮૮૬ અ. ૨૨ જુલાઈ, ૧૯૬૮

એક સુવિખ્યાત ડૉક્ટર, સમાજસેવિકા તથા ભારતની મદ્રાસ વિધાનસભામાં પ્રથમ મહિલાઉપાધ્યક્ષ હોવાનું ગૌરવ ધરાવતાં ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડીનો જન્મ તમિળનાડુના પુદુકોટ્ટાઈ રજવાડામાં થયો હતો. પિતા એસ. નારાયણસ્વામી મહારાજ કૉલેજના પ્રિન્સિપાલ હતા. માતાનું નામ ચંદ્રામાલા હતું. તે જમાનામાં છોકરીઓને શાળામાં ભણવા માટે મોકલતા નહિ, પણ પિતા નારાયણસ્વામીએ આ માન્યતાનો ભંગ કરીને મુત્તુલક્ષ્મીને શાળામાં દાખલ કરી. ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર છોકરી હતી. પુદુકોટ્ટાઈના મહારાજની દરમિયાનગીરીને કારણે તેમને વિરોધની વચ્ચે કૉલેજમાં પ્રવેશ મળ્યો. રાજાએ સ્કૉલરશિપ પણ આપી. આમ મહારાજા કૉલેજમાં પ્રવેશ મેળવનારાં તેઓ સર્વપ્રથમ મહિલા બન્યાં. પ્રથમ વર્ગમાં કૉલેજ પાસ કરીને તેમણે મદ્રાસ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સર્જરીમાં ૧૦૦ માર્ક્સ મેળવી ડૉક્ટર બન્યાં. મહિલા અને બાળકોની સરકારી હૉસ્પિટલમાં હાઉસ સર્જન તરીકે નિમણૂક પામ્યાં. તેઓ ગાંધીજી અને ડૉ. એની બેસન્ટથી ખૂબ પ્રભાવિત હતાં. સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં પછી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયાં. ગરીબ સ્ત્રીઓ અને બાળકો માટે તેમણે સેવા કરી હતી. ૧૯૩૦માં તેમના દ્વારા સ્થાપના કરાયેલ ‘અવ્વાઈહોમ’માં આજે પણ તરછોડાયેલી સ્ત્રીઓ અને બાળકોને શરણ પૂરું પાડવામાં આવે છે. કન્યાકેળવણી તથા બાળકેળવણીક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ૧૯૨૭માં તેમણે બાળકો માટે ભારતની પહેલી હૉસ્પિટલ ખોલી. શાળાનાં બાળકોમાં ફરજિયાત સ્વાસ્થ્ય ચકાસણી, બાળકલ્યાણ કેન્દ્રની સ્થાપના અને આરોગ્યખાતામાં અલગ મહિલાડાયરેક્ટરની નિમણૂક, ગરીબ છોકરીઓ માટે ફીમાં રાહત તથા રહેવા માટે છાત્રાલયની સગવડ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો તેમણે હાથ ધર્યાં. દેવદાસીની પ્રથા પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કરાવ્યો. સ્ત્રીઓની વિવિધ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ૧૯૩૧થી ૧૯૪૦ સુધી તેઓ ‘સ્ત્રી ધર્મ’ સામયિકના તંત્રીપદે રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા ‘અડિયાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના તેમણે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૬માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

બલવંત મોરેશ્વર પુરંદરે

જ. ૨૯ જુલાઈ,૧૯૨૨ અ. ૧૫ નવેમ્બર,૨૦૨૧

ઇતિહાસકાર અને લેખક બલવંત પુરંદરે બાબાસાહેબ પુરંદરેના નામથી જાણીતા છે. તેમણે શિવાજી મહારાજને કેન્દ્રમાં રાખીને સર્જન કર્યું છે આથી તેમને ‘શિવ-શાહિર’ પણ કહેવામાં આવે છે. તેઓ સાત વર્ષના હતા ત્યારે પ્લેગને લીધે તેમનો પરિવાર પુણેથી સિંહગઢ કિલ્લાની તળેટીમાં ડોંજેમાં સંબંધીને ત્યાં સ્થળાંતરિત થયો. આ દરમિયાન કિલ્લાની મુલાકાત લીધી. પિતા તેમને કિલ્લાની અને મરાઠા સામ્રાજ્યની વાર્તાઓ કહેતા, આથી એ બધું એમના સર્જનનો વિષય બની રહ્યું. તેમણે આચાર્ય અત્રેના વર્તમાનપત્રમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. દાદરા અને નગર હવેલીના મુક્તિસંગ્રામમાં ભાગ લીધો હતો. નાની ઉંમરે શિવાજીના શાસનને લગતી વાર્તાઓ લખી હતી. આ વાર્તાઓનો ‘થિનાગ્ય’ નામના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે ૩૬ પુસ્તકો લખ્યાં છે જેમાં ‘રાજા શિવ-છત્રપતિ’ અને ‘કેસરી’ પ્રસિદ્ધ છે. તેમના ‘રાજા શિવ-છત્રપતિ’ પુસ્તક પરથી ૨૦૦૮માં ટીવી. પર ‘રાજા શિવ-છત્રપતિ’ સિરિયલ રજૂ થઈ હતી. તેમણે શિવાજી મહારાજ પર ૧૨,૦૦૦થી વધુ પ્રવચનો આપ્યાં હતાં. તેમની સૌથી જાણીતી રચના ‘જાણતા રાજા’ છે. આ નાટકનું ૧૯૮૫માં પ્રથમ વખત મંચન કરવામાં આવ્યું હતું. મૂળ મરાઠીમાં લખેલ આ નાટક હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જેના ભારત અને વિશ્વમાં બારસો ઉપરાંત પ્રયોગો થયા છે. આ નાટકમાં ૨૦૦થી વધુ કલાકારો છે તેમજ હાથી, ઘોડા વગેરેને મંચ પર રજૂ કરવામાં આવે છે. તેમણે અંબેગાંવ પાસે ‘શિવસૃષ્ટિ’ની સ્થાપના કરી છે. મહારાષ્ટ્રભૂષણ ઍવૉર્ડ માટેના દસ લાખ રૂપિયાના પુરસ્કારમાંથી માત્ર ૧૦ પૈસા તેમણે સ્વીકારી પોતાના તરફથી તેમાં ૧૫ લાખ રૂપિયા ઉમેરી એ રકમ કૅન્સરના સંશોધન માટે દાન આપી હતી. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં હતાં. ૨૦૦૭-૦૮માં કાલિદાસ સન્માન, ૨૦૧૨માં પ્રાચાર્ય શિવાજીરાવ ભોસલે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૧૩માં ડી.લિટ્., ૨૦૧૫માં મહારાષ્ટ્રભૂષણ, ૨૦૧૬માં જીવનગૌરવ પુરસ્કાર અને ૨૦૧૯માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અનિલ જોશી

જ. ૨૮ જુલાઈ, ૧૯૪૦ અ. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫

જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે કામગીરી કરી હતી. ૧૯૭૧થી ૧૯૭૬ સુધી તેમણે ‘કૉમર્સ’ સામયિકના તંત્રી તરીકે તથા ૧૯૭૭થી ઘણાં વર્ષો સુધી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં લૅન્ગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. અનિલ જોશી પાસેથી આપણને  ૧૯૭૦માં ‘કદાચ’ અને ૧૯૮૧માં ‘બરફનાં પંખી’ બે કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયેલ છે. ‘પવનની વ્યાસપીઠે’ એ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો એમનો લલિતનિબંધસંગ્રહ છે. આ સિવાય ‘સ્ટેચ્યૂ’, ‘બૉલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’ જેવા નિબંધસંગ્રહ એમણે લખ્યા છે. ‘ગાંસડી ઉપાડી શેઠની’ (૨૦૨૩) એમની નિખાલસ આત્મકથા છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૬૦ પછીની કવિતાની વાત કરીએ તો ગુજરાતી ગીતમાં આધુનિકતાનો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં વિશેષ ઝળકે છે. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક અને મર્યાદિત ભાવ-અર્થબોધના રૂઢ સંદર્ભોમાંથી મુક્ત કરી એક નૂતન મુકામ પર પહોંચાડ્યું છે. ગુજરાતી ગીતકવિતાક્ષેત્રે રમેશ પારેખ અને અનિલ જોશીની જોડી આજે પણ મશહૂર છે. ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે…’ અને ‘અમે બરફનાં પંખી રે ભાઈ ! ટહુકે ટહુકે પીગળ્યાં’ એમનાં જાણીતાં ગીતો છે. અનિલ જોશીના ‘બરફનાં પંખી’ કાવ્યસંગ્રહને જયંત પાઠક પારિતોષિક, ‘સ્ટેચ્યૂ’ સંગ્રહને ૧૯૯૦નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ૨૦૧૦માં તેઓ નરિંસહ ઍવૉર્ડથી સન્માનિત થયા છે.