Categories
વાચન સમૃદ્ધિ

બાલકૃષ્ણ શર્મા ‘નવીન

જ. ૮ ડિસેમ્બર, ૧૮૯૭ અ. ૨૯ એપ્રિલ, ૧૯૬૦

‘નવીન’ ઉપનામથી જાણીતા, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, પત્રકાર અને હિન્દી સાહિત્યના કવિ બાલકૃષ્ણ શર્માનો જન્મ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના એક નાનકડા ગામ ભ્યાના ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ શર્મા અને માતાનું નામ રાધાબાઈ હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ૧૧ વર્ષની ઉંમરે શાજાપુરની એક શાળામાં તેમનું પ્રાથમિક શિક્ષણ શરૂ કરી શક્યા હતા. ઉજ્જૈનમાં જઈને ૧૯૧૭માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. જ્યાં તેમને પ્રખ્યાત કવિ માખનલાલ ચતુર્વેદીને મળવાની તક પ્રાપ્ત થઈ હતી. ત્યાંથી ઉચ્ચ અભ્યાસ કરવા ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજ, કાનપુર ગયા અને ૧૯૨૧માં કૉલેજનો અભ્યાસ છોડીને રાજકારણમાં અને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. બાલકૃષ્ણ શર્માએ ૧૯૨૧થી ૧૯૪૪ વચ્ચે છ વખત જેલવાસ ભોગવ્યો હતો. બ્રિટિશ સરકારે તેમને ખતરનાક કેદી તરીકે જાહેર કર્યા હતા. ૧૯૩૧માં તેઓ હિન્દી દૈનિક ‘પ્રતાપ’ સાથે જોડાયા અને પત્રકાર તરીકે પણ તેમની સેવા પ્રશંસાપાત્ર બની હતી. ૧૯૫૧-૫૨માં તેઓ પ્રથમ લોકસભામાં તથા ૧૯૫૭માં તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ખૂબ જ સક્રિય હતા અને તેમની વક્તૃત્વ છટાને લીધે તેઓ કાનપુરના સિંહ તરીકે ઓળખાતા હતા. બાલકૃષ્ણ શર્માએ કૉલેજના દિવસોથી જ ‘નવીન’ ઉપનામ સાથે ઘણી કવિતાઓ લખેલી જેમાં દેશપ્રેમ ભરપૂર રીતે  જોવા મળતો હતો. તેમણે ‘કુમકુમ’, ‘રશ્મિરેખા’, ‘અપલક’, ‘ઊર્મિલા’ અને ‘વિનોબા સ્તવન’ જેવા કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા હતા. તેમની કવિતાઓએ અટલબિહારી વાજપેયી સહિત ઘણાને પ્રભાવિત કર્યા હતા. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાને બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ નામનો ઍવૉર્ડ પણ શરૂ કર્યો હતો. શાજાપુરની એક કૉલેજનું નામ ‘‘સરકારી બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ પોસ્ટ ગ્રૅજ્યુએટ કૉલેજ’’ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૨૦૧૩માં વિષ્ણુ ત્રિપાઠીએ ‘‘બાલકૃષ્ણ શર્મા ‘નવીન’’’ નામે જીવનચરિત્ર લખ્યું છે. ૧૯૮૯માં ઇન્ડિયા પોસ્ટે તેમને સ્મારક સ્ટૅમ્પથી સન્માનિત કર્યા હતા અને ભારત સરકારે ૧૯૬૦માં ત્રીજું સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યા હતા.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

દલસુખ પંચોલી

જ. ૭ ડિસેમ્બર, ૧૯૦૬ અ. ૨૦ ઑક્ટોબર, ૧૯૫૯

ભારતીય ફિલ્મનિર્માતા, વિતરક અને પ્રદર્શક દલસુખ પંચોલીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ગુજરાતનું હળવદ. તેમના પિતા લાહોરમાં ફિલ્મવિતરક હતા. પંચોલીને નાનપણથી જ ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ હતું. યુવાન વયે તેઓ પણ પિતાના આ વ્યવસાયમાં સક્રિય બન્યા હતા. તે સમયે લાહોરના ફિલ્મનિર્માતાઓમાંથી દલસુખ પંચોલી જ એવા નિર્માતા હતા જેમણે સૌપ્રથમ નૂરજહાંને ‘ગુલ બકાવલી’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે રજૂ કરી. લાહોરમાં અનેક ફિલ્મો કરીને તેમણે લોકોની પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં. ભારતના ૧૯૪૭ના વિભાજન દરમિયાન તેમને પોતાનો વિશાળ સ્ટુડિયો છોડીને મુંબઈ આવી જવું પડ્યું. મુંબઈ આવીને કેટલોક સમય સંઘર્ષ કર્યા બાદ પણ તેમણે કેટલીક યાદગાર ફિલ્મો કરી. તેમના મોટા ભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયા હતા. ફિલ્મોનાં નિર્માણ અને વિતરણમાં અગ્રેસર મનાતા દલસુખ પંચોલીએ લાહોરમાં વિશાળ ‘ઍમ્પાયર ટૉકી ડિસ્ટ્રિબ્યૂટર્સ’ની સ્થાપના કરી હતી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં અમેરિકી ફિલ્મોના તેઓ સૌથી મોટા આયાતકાર હતા. ભારતના વિભાજન સમયે પંચોલીનો ‘પંચોલી આર્ટ પિક્સ’ નામે લાહોરનો સૌથી મોટો સ્ટુડિયો હતો. અહીં તેમણે અનેક યુવકો અને યુવતીઓને અભિનેતા તથા અભિનેત્રી બનવાની તક આપી. ૧૯૫૪-૫૫માં તેઓ મુંબઈમાં ‘ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન(IMPPA)ના અધ્યક્ષ હતા. તેમને સૌપ્રથમ પંજાબી ફિલ્મ બનાવવા બદલ પણ ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણે કરેલી કેટલીક જાણીતી ફિલ્મોમાં ‘સોહની મહિવાલ’ (૧૯૩૯), ‘યમલા જટ્ટ’ (૧૯૪૦), ‘ચૌધરી’, ‘ખજાંચી’ (૧૯૪૧), ‘જમીનદાર’ (૧૯૪૨), ‘મીનાબાઝાર’ (૧૯૫૦), ‘નગીના’ (૧૯૫૧), ‘આસમાન’ (૧૯૫૫), ‘લુટેરા’(૧૯૫૮) વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ વામન ટિળક

જ. ૬ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૯ મે, ૧૯૧૯

બ્રિટિશ રાજના સમયમાં તેઓએ ચિતવન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. તેઓ પ્રસિદ્ધ મરાઠી કવિ હતા.

તેઓ લોકમાન્ય ટિકળના નજીકના સગા હતા. નારાયણ ટિળકે ભારતમાં જ અભ્યાસ કરેલો. માતાનો ધર્મ અને કવિતાનો પ્રેમ તેઓને વારસામાં મળેલા. ૧૧ વર્ષની વયે તેઓએ માતા ગુમાવી હતી, ત્યારથી તેમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. તેમના પિતાનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેઓએ વાંચન કરી, ઊંડું વિચારીને ભારતની પ્રજા વિશે બ્રિટિશ રાજમાં થતી મુશ્કેલીઓ માટે વિમર્શ કર્યો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું.

તેઓના મનમાં દેશસેવા અને ખાસ કરીને સ્ત્રીઓનો શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિકાસ થાય તેવી ભાવના હતી. તે માટે તેઓ પદયાત્રા કરવા માટે નીકળી પડ્યા. તે સમયે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી, ભારતીય સમાજમાં બાળલગ્ન, બાળવિધવા અને નાતજાતનાં બંધનનો ભોગ સ્ત્રીઓ બનતી. આ સમસ્યાનો ઉકેલ શોધવા તેઓ ધર્મ તરફ વળ્યા. બૌદ્ધ, જૈન તથા ઇસ્લામ ધર્મમાં તેનું સમાધાન ન મળતાં છેવટે ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા. ૧૮૯૫માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. લાંબા ગાળે તેમની પત્નીએ પણ એ ધર્મ સ્વીકાર્યો. ટિળકે ઘણી કવિતા  અને પ્રાર્થનાની રચના કરી. ધીમે ધીમે ટિળક ખ્રિસ્તી ધર્મમાં ઊંડા ઊતરતા ગયા. પાછલાં વર્ષોમાં તેઓએ ઈસુ ખ્રિસ્તનું જીવન મરાઠી ભાષામાં લખવાનો આરંભ કર્યો પણ તે પૂરું કરે તે પહેલાં એમનું અવસાન થયું.

અંજના ભગવતી