Categories
વાચન સમૃદ્ધિ

ઉત્તમચંદ ખીમચંદ શેઠ

જ. ૨૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૦

ભારતમાં ક્લિનિકલ ફાર્માકૉલૉજીના સ્થાપક અને વિશ્વવિખ્યાત ફાર્માકૉલૉજિસ્ટ ઉત્તમચંદ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ‘યુકેએસ’ તરીકે જાણીતા હતા. તેમણે માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. કર્યું પછી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અને મેડિસિનમાં એમ.ડી.ની પદવી મેળવી. મેડિકલ રેસિડેન્સી પૂર્ણ કર્યા પછી મુંબઈની ટી. એન. મેડિકલ કૉલેજમાં પૅથૉલૉજી વિભાગમાં જોડાયા. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી સહાયક પ્રોફેસર હતા. પછી ફાર્માકૉલૉજી વિભાગના વડા બન્યા. ૧૯૫૬થી ૧૯૭૩ સુધી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર અને વિભાગના વડા અને ૧૯૭૩થી ૧૯૭૮ સુધી ડિરેક્ટર પ્રોફેસર બન્યા. નિવૃત્તિ પછી નેપાળમાં WHOના નેપાળના ફાર્માકૉલૉજીના સલાહકાર બન્યા. એ પછી આઠ વર્ષ સુધી મલેરિયા અને ફાઇલેરિયાસિસ માટે WHOમાં સલાહકાર બન્યા. તેઓ મુંબઈમાં પ્રોફેસર એમેરિટ્સ અને શેઠ જી. એસ. મેડિકલ કૉલેજ અને ભારતીય વિદ્યાભવનના સ્વામી પ્રકાશાનંદ આયુર્વેદ સંશોધન કેન્દ્રના વરિષ્ઠ સલાહકાર બન્યા. રોકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ મળતાં યુ.એસ.એ. ગયા. ત્યાંથી આવીને પ્રાયોગિક અને ક્લિનિકલ ફાર્માકૉલૉજીનો પાયો નાંખ્યો. મલેરિયા માટે મેફલોક્વિનના ક્લિનિકલ વિકાસમાં એમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેમણે ૩૫૦થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનો કર્યાં જેમાંનાં અડધાં પ્રાયોગિક સંશોધન પર આધારિત હતાં. તેમણે ભારતમાં અનેક જર્નલોનું સંપાદન કર્યું હતું. તેમણે ફાર્માકૉલૉજી વિષયમાં બે પુસ્તકો લખ્યાં, ‘સિલેક્ટેડ ટોપિક્સ ઇન એક્સપરિમેન્ટલ ફાર્માકૉલૉજી’ એમનું પ્રસિદ્ધ પુસ્તક છે. તેઓ શ્રેષ્ઠ પ્રાધ્યાપક હતા. તેમણે ફાર્માકૉલૉજી જેવા નીરસ વિષયને રસપ્રદ બનાવ્યો હતો. તેમના હાથ નીચે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એમ.એસસી., એમ.ડી. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેઓ અમેરિકન કૉલેજ ઑવ્ ક્લિનિકલ ફાર્માકૉલૉજી ઍન્ડ કીમોથૅરપી અને અમેરિકન થેરાપ્યુરિક સોસાયટીના ફેલો હતા. તેમણે આપેલા યોગદાન બદલ તેમને ૧૯૬૮માં શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર, ૧૯૭૧માં અમૃત મોદી ઍવૉર્ડ અને ૧૯૭૮માં ડૉ. બી. સી. રૉય ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મણિલાલ ગાંધી

જ. ૨૮ ઑક્ટોબર,૧૮૯૨ અ. ૫ એપ્રિલ, ૧૯૫૬

ગાંધીજીના પુત્ર, સ્વાતંત્ર્યસેનાની અને પત્રકાર-સંપાદક મણિલાલ ગાંધીનો જન્મ રાજકોટમાં થયો હતો. જન્મભૂમિ ભારત, પરંતુ કર્મભૂમિ દક્ષિણ આફ્રિકા રહ્યું. તેઓ શરૂઆતનાં વર્ષો રાજકોટમાં રહ્યા. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર સાથે તેઓ પણ ગયા. ગાંધીજી ઔપચારિક શિક્ષણમાં માનતા ન હતા, આથી મણિલાલનું શિક્ષણ ઘરે જ થયું. તેઓ ફોનિક્સ સેટલમેન્ટ અને ટૉલ્સ્ટૉય ફાર્મમાં રહ્યા.  તેઓ નાનપણથી ફોનિક્સમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવાનું શીખ્યા. તેઓ ૧૯૧૦માં સત્યાગ્રહમાં જોડાયા અને ૧૯૧૩ સુધીમાં ચાર વખત જેલવાસ ભોગવ્યો. તેમણે ફોનિક્સમાં ખેતીકામ, વૃક્ષો અને બીમાર લોકોની સંભાળ લેવાનું કામ કર્યું. જેલવાસ દરમિયાન જેલની સ્થિતિ સુધારવા માટે ભૂખહડતાળ કરી હતી. ભારતમાં આવીને અમદાવાદમાં ગાંધીજી માટે આશ્રમ શોધવામાં મદદ કરી અને ખાદીના ઉત્પાદનનું કાર્ય શીખ્યા. ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળવા માટે ૧૯૧૭માં દક્ષિણ આફ્રિકા ગયા. એક પણ રૂપિયાનું મહેનતાણું લીધા વગર તેમણે સંપાદક તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્ય કર્યું. તેમણે ૧૯૨૭માં કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન કર્યાં. તેઓ ૧૯૨૯માં ભારત આવ્યા અને સ્વતંત્રતાઆંદોલનમાં જોડાયા. ૧૯૩૦ની દાંડીકૂચમાં ગાંધીજી સાથે જનારા ૭૮ સત્યાગ્રહીઓમાંના એક તેઓ હતા. તેમણે ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો આથી દસ મહિનાની જેલની સજા ભોગવી હતી. તેઓ ફરી દક્ષિણ આફ્રિકા ગયા. તેઓ નિષ્ક્રિય પ્રતિકાર સંઘર્ષમાં જોડાયા અને ૨૩ દિવસ જેલમાં રહ્યા. તેમણે એશિયાટિક લૅન્ડ ટેન્યર (Ghetto) ઍક્ટ વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ૧૯૪૮માં ટ્રાન્સવાલ સરહદપાર કૂચ કરનારાઓનું નેતૃત્વ કર્યું. ૧૯૫૧માં તેમણે રંગભેદ કાયદાઓ સામે વિરોધ કરવા વ્યક્તિગત ઝુંબેશ શરૂ કરી. તેમણે આજીવન અહિંસા અને સત્યાગ્રહના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

બંદાસિંહ બહાદુર

જ. ૨૭ ઑક્ટોબર, ૧૬૭૦ અ. ૯ જૂન, ૧૭૧૬

ખાલસા સેનાના અગ્રિમ શીખ લશ્કરી કમાન્ડર બંદાસિંહનો જન્મ રાજૌરીમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લચ્છમન દેવ હતું. તેમણે નાની ઉંમરે ઘોડેસવારી, કુસ્તી, તીરંદાજી અને તલવારબાજી જેવી કળાઓ સિદ્ધહસ્ત કરી હતી. જાનકીપ્રસાદ નામના તપસ્વીને મળ્યા પછી તેમણે ૧૫ વર્ષની ઉંમરે તપસ્વી બનવા ઘર છોડ્યું. તેમનું નામ માધોદાસ બૈરાગી રાખવામાં આવ્યું. તેમણે ગોદાવરી નદીના કિનારે નાંદેડમાં ડેરા સ્થાપ્યો. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ માધોદાસને મળ્યા. માધોદાસ તેમના શિષ્ય બન્યા અને તેમનું નામ ગુરબક્ષસિંહ રાખવામાં આવ્યું. જે આગળ જતાં બંદાસિંહ બની ગયું. ગોવિંદસિંહે તેમને ‘બહાદુર’નું બિરુદ આપ્યું. લડાઈ માટે તેમણે બંદાસિંહને પાંચ તીર આપ્યાં અને રાજકીય તથા લશ્કરી અધિકાર આપ્યો. બંદાસિંહે સોનીપત પર હુમલો કર્યો અને જીત મેળવી. તેમણે શાહી ખજાનો અને ધનિકોને લૂંટ્યા અને સઘળી સંપત્તિ વહેંચી દીધી. તેમણે મુઘલોની પ્રાંતીય રાજધાની સામના જીતી અને પંજાબમાં સત્તા સ્થાપી. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જમીન ખેડનારાઓને મિલકતના અધિકારો આપ્યા. તેમણે સરસિંહનો સમગ્ર વિસ્તાર અને તેના ૨૮ પરગણા પર વિજય પ્રાપ્ત કર્યો. તેનું સામ્રાજ્ય સતલજથી યમુના સુધી અને શિવાલિક પર્વતથી કુંજપરા, કરનાલ અને કૈથલ સુધી વિસ્તરેલું હતું. તેમણે મુખ્લીસગઢને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ લોહગઢ રાખ્યું. ત્યાં તેમણે પોતાની ટંકશાળમાં સિક્કા બહાર પાડ્યા. ૧૭૧૫માં મુઘલસેનાએ ગુરદાસ નાંગલમાં ઘેરો કર્યો અને બંદાસિંહ અને તેમના સાથીઓને પકડી લીધા. બંદાસિંહને લોખંડના પાંજરામાં પૂરી દિલ્હી લાવવામાં આવ્યા. બંદાસિંહને તેમના ચાર વર્ષના પુત્ર અજયસિંહને મારી નાખવાનું કહેવામાં આવ્યું. બંદાસિંહે ના પાડી તેથી પુત્રને ફાંસી આપવામાં આવી અને તેનું હૃદય કાપીને બંદાસિંહના મોંમાં નાખવામાં આવ્યું. ત્રણ માસની કેદ પછી બંદાસિંહની આંખો કાઢી નાખવામાં આવી. તેમનાં અંગો કાપી નાખવામાં આવ્યાં. તેમની ચામડી ઉતારવામાં આવી. અતિશય ત્રાસ આપીને તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.