Categories
વાચન સમૃદ્ધિ

અલી સરદાર જાફરી

જ. ૨૯ નવેમ્બર, ૧૯૧૩ અ. ૧ ઑગસ્ટ, ૨૦૦૦

ઉર્દૂ ભાષાના જાણીતા લેખક, વિવેચક અલી સૈયદ જાફરીનો જન્મ ઉત્તરપ્રદેશના બલરામપુર શહેરમાં થયો હતો. કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે ઓળખાતા થયા. ૧૯૩૩માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દાખલ થયા. દરમિયાન માર્ક્સની વિચારસરણી તરફ આકર્ષાયા. ૧૯૩૬માં અંગ્રેજી શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ યુનિવર્સિટી છોડવી પડી. ત્યારબાદ ૧૯૩૮માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અનુસ્નાતક અભ્યાસ લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરો કર્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે યુદ્ધવિરોધી કવિતા કર્યા બદલ અટકાયત થવાથી પરીક્ષા આપી શક્યા નહિ અને નજરકેદ થયા. લેખક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ૧૯૩૮માં ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘મંઝીલ’થી થયો. ૧૯૪૪માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરવાઝ’ પ્રગટ થયો. ૧૯૩૬માં પ્રગતિશીલ લેખક સંઘ સ્થપાયો. ૧૯૩૮માં તેની કૉલકાતા પરિષદ વખતે સરદાર જાફરી તેમાં જોડાયા. ૧૯૩૯માં તેઓ સંઘની પત્રિકા ‘નયા અદબ’ના સહસંપાદક બન્યા.

લાલ કિલ્લા, સાબરમતી હરિજન આશ્રમ, તીનમૂર્તિભવન આદિના ધ્વનિપ્રકાશ કાર્યક્રમોનું આલેખન કર્યું. ‘સંત કબીર’, ‘મહંમદ ઇકબાલ’ અને ‘હિન્દુસ્તાન હમારા’ એ દસ્તાવેજી ચિત્રો તથા ‘કહકશાં’ નામે ટીવી શ્રેણી તૈયાર કર્યાં. સૈયદ જાફરી તેમનાં લખાણો તથા તેમાં વ્યક્ત થતા ક્રાંતિપ્રેરક વિચારો માટે  અમુક વર્ગમાં ભારે ચાહના પામ્યા હતા. તેમણે ‘ગુફતગુ નામના સામયિકનું પણ સંપાદન કર્યું હતું. તેમણે લખેલો છેલ્લો સાહિત્ય સંગ્રહ ‘સરહદ’, તે વખતના ભારતના પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ ૧૯૯૯માં લાહોર બસયાત્રામાં તેમની સાથે લઈ ગયા હતા અને પાકિસ્તાનના તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફને ભેટ આપ્યો હતો. તેમનાં જાણીતાં કાવ્યસંગ્રહોમાં ‘પરવાઝ’, ‘કિસકા ખૂન હૈ’, ‘નઈ દુનિયા કો સલામ’, ‘ખૂન કી લકીર’, ‘પથ્થર કી દીવાર’ વગેરેનો સમાવેશ થાય છે. ‘મંઝીલ’, ‘લખનઉ કી પાંચ રાતે’, ‘ઇકબાલ શનાસી’ તેમનાં ગદ્યનાં પુસ્તકો છે. ‘દીવાને ગાલિબ’, ‘દીવાને મીર’, ‘કબીરબાની’, ‘પ્રેમબાની’ તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમનાં કાવ્યોનું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર થયેલ છે.

તેમને અર્પણ થયેલા નોંધપાત્ર પુરસ્કારોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૯૭), પદ્મશ્રી (૧૯૬૭), જવાહરલાલ નહેરુ ફેલોશિપ (૧૯૭૧), ડી. લિટ્. માનાર્હ ઉપાધિ – અલીગઢ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

યશ પાલ

જ. ૨૬ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ જુલાઈ, ૨૦૧૭

ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની અને કેળવણીકાર. તેમનો જન્મ ઝંગ(હાલ પાકિસ્તાન)માં થયો હતો.

પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૮માં બી.એસસી. અને ૧૯૪૯માં એમ.એસસી. થયા બાદ યશ પાલે ૧૯૫૦માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. ૧૯૫૮માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩ સુધી તેઓ તાતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક હતા તે દરમિયાન ઘણી સંસ્થાઓના તેઓ મુલાકાતી અધ્યાપક હતા. મૂળભૂત કણોના ક્ષેત્રે તેમણે પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. ઉચ્ચ-ઊર્જા આંતરક્રિયાનું પાયોનાઇઝેશન-વિખંડન પરિરૂપ તેમણે તૈયાર કર્યું હતું. ૧૯૭૩માં તેઓ ટૅકનૉલૉજી, સંદેશાવ્યવહાર, શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલાં ક્ષેત્રો તરફ વળ્યા અને અમદાવાદ ખાતે આવેલ સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના પ્રથમ નિયામક તરીકે ૧૯૭૩થી ૧૯૮૧ સુધી સંચાલન કરેલું. અહીં તેમની જવાબદારી ભારતના સૌથી પછાત એવાં કેટલાંક હજાર ગામોમાં શિક્ષણ અને વિકાસ માટે ઉપગ્રહ આધારિત સીધા ટેલિવિઝન પ્રસારણનો ઉપયોગ થઈ શકે કે કેમ તે ચકાસવા માટેનો એક સામાજિક ટૅકનિકલ પ્રયોગ કરવાની હતી. ૧૯૮૬થી ૧૯૯૧ દરમિયાન તેમને અનેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શાળાનાં બાળકો માટે ‘ભાર વિનાના ભણતર’નો વ્યાવહારિક ખ્યાલ આપ્યો હતો. ૧૯૯૫માં ભારત સરકારે તેમને નૅશનલ રિસર્ચ પ્રોફેસર તરીકે નીમ્યા હતા.

તેમણે ભારતની ઘણી વિજ્ઞાનસંસ્થાઓના અધ્યક્ષ કે પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૭૭માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો તરીકે ચૂંટાયેલા. આ ઉપરાંત પણ તેઓ અનેક સંસ્થાઓના માનાર્હ ફેલો હતા. તેમણે અનેક યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે પણ સેવાઓ આપેલી. તેમને તેમના પ્રદાનના સંદર્ભમાં અનેક ઍવૉર્ડ્સ મળ્યા હતા; જેમ કે, ૧૯૮૦માં માર્કોની ઇન્ટરનેશનલ ફેલોશિપ ઍવૉર્ડ, ૧૯૯૨માં લૉર્ડ પેરી ઍવૉર્ડ ફોર એક્સેલન્સ ઇન ડિસ્ટંટ એજ્યુકેશન, ૧૯૯૮માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનનો સર આશુતોષ મુકરજી સુવર્ણચંદ્રક વગેરે. ભારત સરકાર તરફથી તેમને ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’, ૨૦૧૩માં ‘પદ્મવિભૂષણ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. ૨૦૦૬માં મેઘનાદ સહા ઍવૉર્ડ પણ મળેલો. તેમનું મૃત્યુ નોઇડા(ઉત્તરપ્રદેશ)માં આંતરડાની માંદગીને કારણે થયું હતું.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

બરકત વિરાણી ‘બેફામ’

જ. ૨૫ નવેમ્બર, ૧૯૨૩ અ. ૨ જાન્યુઆરી, ૧૯૯૪

‘બેફામ’ ઉપનામથી જાણીતા બરકત વિરાણીનું પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી છે. તેઓ તેમની ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામે થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્યમાં ઊંડો રસ હોવાથી ૧૪ વર્ષની વયે તેમણે ગઝલ લખી હતી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર મુકામે થયું હતું. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાવા માટે તેમણે મૅટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. બરકત વિરાણીને કવિતા અંગેની સમજ કિસ્મત કુરેશીએ આપી હતી. ‘શયદા’ના સૂચનથી તેઓ ૧૯૪૫માં મુંબઈ ગયા હતા. ત્યાં તેઓ ‘મરીઝ’ને મળ્યા અને પછીથી આકાશવાણી કેન્દ્ર, મુંબઈમાં જોડાયા હતા. ૧૯૫૨માં તેમનાં લગ્ન ‘શયદા’ની જ્યેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયાં હતાં.

આકાશવાણીની સાથોસાથ ‘બેફામ’ ગુજરાતી સિનેમા સાથે પણ જોડાયેલા હતા. તેમણે ગુજરાતી ચલચિત્ર ‘મંગળફેરા’(૧૯૪૯)માં અભિનય કર્યો હતો. તેમણે ‘અખંડ સૌભાગ્યવતી’ (૧૯૬૩), ‘કુળવધૂ’ (૧૯૯૭), ‘જાલમ સંગ જાડેજા’ અને ‘સ્નેહબંધન’ જેવાં ગુજરાતી ચલચિત્રોનાં ગીતો પણ લખ્યાં હતાં. બરકત વિરાણીએ ‘માનસર’ (૧૯૬૦), ‘ઘટા’ (૧૯૭૦), ‘પ્યાસ’ અને ‘પરબ’ નામે ગઝલસંગ્રહો તેમજ ‘આગ અને અજવાળાં’ (૧૯૫૬) અને ‘જીવતા સૂર’ નામે વાર્તાસંગ્રહો લખ્યા હતા. ‘રસસુગંધ’ ભાગ ૧-૨ (૧૯૬૬) નામની એક નવલકથા પણ તેમણે લખી હતી. આ સિવાય તેમણે નાટકો અને રેડિયોનાટકો પણ લખ્યાં હતાં.

‘નયનને બંધ રાખીને’ જેવી તેમની ગઝલ ખૂબ જ લોકપ્રિય બની છે. ‘બેફામ’ની ગઝલોમાં મૃત્યુનું સંવેદન પણ વિશેષપણે ધબકતું જોવા મળે છે :

‘બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,

નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’

આવા સમર્થ ગઝલકાર ‘બેફામ’નું ૭૦ વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી