Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે

(મામાસાહેબ)

જ. ૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૯ જુલાઈ, ૧૯૭૪

‘મામાસાહેબ’ તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે અસ્પૃશ્યતાનિવારણ જેવાં રચનાત્મક કાર્ય કરનાર સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી સેવક હતા. ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ એવી જેમણે પોતાની ઓળખ આપી છે એવા મામાસાહેબ ફડકે દલિતોદ્ધારના ભેખધારી હતા. અનેક દલિત વિદ્યાર્થીના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર ખરા અર્થમાં ‘અવધૂત’ પણ હતા. મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મામાસાહેબ ફડકે આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજ સત્તાના વિરોધી હતા. લોકમાન્ય ટિળક તેમના આદર્શ હોવાથી ૧૯૦૬માં ઓગણીસ વરસના વિઠ્ઠલ ફડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જન્મજયંતીએ જે ભાષણ આપેલું ત્યારથી તેઓ લોકોની અને પોલીસની નજરે ચડી ગયા હતા. ભણવામાંથી મન ઊઠી જવાથી દેશસેવા માટે પિતાની આજ્ઞા સાથે તેમણે ઘર છોડ્યું હતું અને ફરતા ફરતા વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમણે ત્રણેક વરસ ગિરનારમાં અજ્ઞાતવાસમાં ગાળ્યાં હતાં.

૧૯૧૫માં ગાંધીજીની મુલાકાત પછી અમદાવાદમાં આવી સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં જોડાયા હતા અને ગાંધીમય બની ગયા હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે એક રાજકીય અને સામાજિક પરિષદ મળી હતી. એ નિમિત્તે ગોધરાના સફાઈ કામદારોની વસ્તીમાં ગાંધીજીની સભા થઈ અને તેમના માટે એક શાળા શરૂ કરવામાં આવી હતી. વીસમી સદીના પહેલા બીજા દસકામાં દલિતોના શિક્ષણનું કામ કેટલું મુશ્કેલ હતું તે મામાસાહેબની આત્મકથા ‘મારી જીવનકથા’માં સ્પષ્ટ જોવા મળે છે. ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ હતી. અને આમ ભારતનો સૌપ્રથમ આશ્રમ ગોધરામાં શરૂ થયો હતો. ૧૯૨૪માં તેમના અધ્યક્ષપદે બોરસદમાં એક અંત્યજ પરિષદ યોજાઈ હતી. સ્વરાજની લડતમાં જોડાઈને મામાએ હાલોલ, સાબરમતી અને વિસાપુરની જેલોમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૪માં સત્તાવન વરસે પણ પોતાના રોટલાનો લોટ જાતે જ દળતા મામાને ઘંટીનો અંદરનો ખીલો વાગી જવાથી તેમણે એક આંખ પણ ગુમાવી હતી.

ગોધરાના ગાંધી આશ્રમ સાથે હવે મામાસાહેબ ફડકેનું નામ જોડાવાથી તે દલિતોદ્ધારનાં કાર્યોનું જીવંત સ્મારક બન્યો છે. મહાદેવભાઈ દેસાઈએ તેમને ‘અંત્યજ ઉદ્ધાર માટે જીવનવ્રત લેનાર’ ગણાવ્યા હતા.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

બાળ સીતારામ મર્ઢેકર

જ. ૧ ડિસેમ્બર, ૧૯૦૯ અ. ૨૦ માર્ચ, ૧૯૫૬

‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. એમનો જન્મ ખાનદેસપ્રદેશના ફૈઝપુર(મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઈ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા, પણ તેમાં નિષ્ફળતા મળી. જોકે એ નિમિત્તે તેમનો બૌદ્ધિક વિકાસ ખૂબ થયો. ઇંગ્લૅન્ડના સાહિત્યિક પ્રવાહોના અભ્યાસને કારણે તેમની સાહિત્યિક રુચિનું ઘડતર સરસ થયું. ૧૯૩૨માં ભારત પાછા આવ્યા અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં મદદનીશ સંપાદક તરીકે જોડાયા. ત્યારબાદ ધારવાડ, મુંબઈ અને અમદાવાદની સરકારી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૩૮માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ત્યાં છેક સુધી કાર્યરત રહ્યા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શિશિરાગમ’ ૧૯૩૯માં પ્રગટ થયો. ‘કાહી કવિતા’ (૧૯૪૭), ‘આણખી કાહી કવિતા’ (૧૯૫૧), ‘આલા આષાઢ શ્રાવણ’ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. તેમની પાસેથી ‘રાત્રિચા દિવસ (૧૯૪૨), ‘તામ્બડી માતી’ (૧૯૪૩), ‘પાની’ (૧૯૪૮) વગેરે નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તેમણે નાટક, સંગીત અને વિવેચનક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. ‘કર્ણ’, ‘નટશ્રેષ્ઠ’, ‘સંગમ’, ‘ઔકશાન’ વગેરે નાટકો તેમની પાસેથી મળ્યાં છે. અન્ય સર્જકો સાથે તેમના પ્રદાનનો તુલનાત્મક અભ્યાસ પણ સંશોધન માટે થયો છે.

કોઈ પણ સાહિત્યિક પરંપરાનું તેમણે આંધળું અનુકરણ કર્યું નથી. સંસ્કૃત અને અંગ્રેજી અભિવ્યક્તિના દેખીતા અનુકરણને બદલે કાવ્યક્ષેત્રે તેમણે હિંમતભર્યા અને નવા પ્રયોગો કર્યા છે અને નવો પ્રતીકવાદ વિકસાવ્યો હતો. તેમનાં બિનપરંપરાગત કલ્પનાચિત્રો અને ભાષાવિષયક નવા અર્થઘટનને કારણે તેઓ ‘ક્રાંતિકારી કવિ’ તરીકે જાણીતા થયા છે. સાહિત્યિક મુલવણીના સંદર્ભમાં સૌંદર્યમૂલક અભિગમ અને સાહિત્ય તથા વિવેચનના સિદ્ધાંત જેમાં સ્થાપિત કર્યા છે તેવી કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (૧૯૫૫) માટે તેમને ૧૯૫૬ના વર્ષનો સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશી

જ. ૩૦ નવેમ્બર, ૧૮૭૩ અ. ૧૨ ઑગસ્ટ, ૧૯૨૨

પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક કાર્યકર્તા સર વિઠ્ઠલદાસનો જન્મ મુંબઈમાં ભાટિયા જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. ૧૮૯૧માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તે પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. પિતાના ધંધામાં જોડાવા માટે અભ્યાસ અધૂરો છોડ્યો, પરંતુ જ્ઞાન મેળવવાની લગની તીવ્ર હોવાથી અંગ્રેજી, સંસ્કૃત, હિંદુ ધર્મ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વગેરેનો અભ્યાસ ઘરે રહીને કર્યો. ૧૮૯૪માં મુંબઈના કાપડઉદ્યોગની સુધારણાની જરૂરિયાતો વિશે ગુજરાતીમાં મૌલિક લેખ લખ્યો. ટૂંકા ગાળાના ધિરાણની મદદથી પ્રજાકલ્યાણ માટે જાહેર બાંધકામો કરવાનો આગ્રહ કરતી નોંધ તેમણે તૈયાર કરી હતી. અતિશય વાંચન, અધ્યયન અને કઠિન પરિશ્રમને પરિણામે તેઓ કાબેલ વેપારી અને સાહસિક ઉદ્યોગપતિ બન્યા. તેમને વિપુલ ધનરાશિ પ્રાપ્ત થઈ. ૧૯૦૦ સુધીમાં તો મુંબઈના અગ્રગણ્ય શ્રીમંતોમાં તેમની ગણના થવા માંડી. દેશના ઔદ્યોગિક વિકાસમાં તથા ખાસ કરીને કાપડઉદ્યોગક્ષેત્રે તેમનું યોગદાન અત્યંત મૂલ્યવાન ગણાય છે.

સર વિઠ્ઠલદાસ જાહેરજીવન અને રાજકારણમાં પણ સક્રિય હતા. ૧૯૦૦ના દશકમાં તેઓ ઇમ્પીરિયલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાના સભ્ય હતા. ૧૯૦૩માં કૉલકાતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઔદ્યોગિક સંમેલનની અધ્યક્ષતા કરી. તેઓ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મુંબઈ ધારાસભા અને કેન્દ્રીય ધારાસભાના સભ્ય હતા. તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસના સમર્થક હતા. તેમણે અનેક સખાવતો કરી છે. કાશી, દ્વારકા અને અન્ય યાત્રાધામોની પાઠશાળાઓને તેમણે દાન કર્યાં છે. ધોંડો કેશવ કર્વેની મહિલા તાલીમશાળા અને હિંગણે આશ્રમ(પુણે)ને તેમણે આર્થિક મદદ કરી છે. માતા નાથીબાઈની સ્મૃતિમાં ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી’ (SNDT) મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. મુંબઈના કામદાર વિસ્તાર પરેલમાં પિતાની યાદગીરીમાં ૧૯૧૯માં દામોદર ઠાકરશી હૉલ બંધાવ્યો. ૧૯૫૯માં તેમનાં પત્ની પ્રેમલીલા ઠાકરશીએ સર વિઠ્ઠલદાસ ઠાકરશી કૉલેજ ઑવ્ હોમસાયન્સની સ્થાપના કરી.

૧૯૦૮માં બ્રિટિશ સરકાર દ્વારા ‘નાઇટ’ની ઉપાધિથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ