Categories
વાચન સમૃદ્ધિ

અરુણા અસફઅલી

જ. ૧૬ જુલાઈ, ૧૯૦૯ અ. ૨૯ ઑગસ્ટ, ૧૯૯૬

અરુણાનો જન્મ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં ઉપેન્દ્રનાથ ગાંગુલીને ત્યાં થયો હતો. પિતા પત્રકાર અને બ્રહ્મોસમાજના અગ્રણી હોવાથી અરુણાને ઉચિત સંસ્કાર મળ્યા. તેમણે નૈનીતાલમાં અભ્યાસ પૂરો કરી ગોખલે કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું તે ઉપરાંત રાજકીય ચળવળમાં પણ ભાગ લેતાં હતાં. આ દરમિયાન તેઓ કૉંગ્રેસના અગ્રણી એવા અસફઅલીના પરિચયમાં આવ્યાં અને ૧૯૨૮માં તેમની સાથે લગ્ન કર્યાં. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહમાં જોડાતાં તેમની ધરપકડ થઈ અને જેલવાસ થયો. જેલના કેદીઓ પર થતા જુલમો સામે ભૂખહડતાળ કરી. અંતે અંગ્રેજોને તેમની માંગણીઓ સ્વીકારવી પડી, પરંતુ અંગ્રેજોએ કપટ કરી અરુણાજીને કાળકોટડીની સજા કરી. છેવટે બીજી મહિલા કેદીઓએ તેમને સાથ આપ્યો, તેથી નછૂટકે અંગ્રેજાએ અરુણાજીને છોડવાં પડ્યાં. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલન વખતે ૯મી ઑગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોવાલિયા ટૅન્ક(મુંબઈ)ના ચોગાનમાં હતો. તે સમયે સરકારે ગાંધીજી, અસફઅલી સહિત દેશના અગ્રણી નેતાઓની ધરપકડ થઈ હોવાથી તે કામ અરુણાજીએ કરવાનું નક્કી કર્યું. તેમણે વીરતાપૂર્વક ત્રિરંગો ફરકાવી, સલામી આપી અંગ્રેજોને ભારત છોડી દેવાનો પડકાર આપ્યો. તેમના માટે વૉરંટ નીકળ્યું, આથી સમયસૂચકતાથી અરુણાજી ભૂગર્ભમાં ચાલ્યાં ગયાં અને સાડા ત્રણ વર્ષ સુધી ત્યાંથી ચળવળ ચલાવી. ક્રાંતિકારી હોવાથી સરકારી કામકાજમાં અસહકાર કરતાં. અંગ્રેજો સામે ખૂબ લડત આપી અને મચક ન આપી. દેશ આઝાદ થયા પછી દિલ્હીમાં પ્રથમ મેયર થયાં. ‘ઇન્કિલાબ’ પત્રિકાનાં સંપાદક થયાં. તેઓને ૧૯૬૪માં લેનિન શાંતિ પારિતોષિક, ઇંદિરા ગાંધી પુરસ્કાર, નહેરુ પુરસ્કાર, ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ અને બીજાં અનેક સન્માન પ્રાપ્ત થયાં. તેઓને ૧૯૯૭માં મરણોત્તર ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યાં હતાં. તેમની સ્મૃતિમાં ૧૯૯૮માં ટપાલટિકિટ, દિલ્હીમાં તેમના નામે માર્ગ અને ‘અરુણા અસફઅલી સદભાવના ઍવૉર્ડ’ દર વર્ષે આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાબાઈ દેશમુખ

જ. ૧૫ જુલાઈ, ૧૯૦૯ અ. ૯ મે, ૧૯૮૧

ભારતીય યોજના આયોગનાં પ્રથમ મહિલાસભ્ય, બાહોશ સંસદ અને કુશળ વહીવટકર્તા દુર્ગાબાઈનો જન્મ આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર થયો, માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. તેમની માતા કૃષ્ણાવેનમ્મા જિલ્લા કૉંગ્રેસ કમિટીમાં મંત્રી હતાં. આઠ વર્ષની વયે દુર્ગાબાઈનાં લગ્ન જમીનદાર પરિવારના દત્તક પુત્ર સાથે થયાં. થોડા જ સમયમાં લગ્નવિચ્છેદ થયો, કારણ કે બંનેની વિચારસરણીમાં જમીન-આસમાનનો તફાવત હતો. ત્યારબાદ દુર્ગાબાઈએ ફરી ભણવાનું શરૂ કર્યું. હવે દુર્ગાબાઈ હિંદી ભાષા શીખવા લાગ્યાં અને તેમના કરતાં ઓછું ભણેલાંઓને તેઓ હિંદી ભાષાનું શિક્ષણ આપતાં. ૧૯૨૩માં પોતાના પિયરના મકાનમાં બાલિકા હિંદી પાઠશાળાની સ્થાપના કરી. જ્યાં ૪૦૦ જેટલી છોકરીઓ હિંદી ભાષા શીખી, આ કામમાં તેમનાં માતા પણ જોડાયાં. ગાંધીજીએ દુર્ગાબાઈની આ સિદ્ધિથી પ્રભાવિત થઈને સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. યુવા અવસ્થાથી તેઓએ દારૂનું સેવન, દેવદાસીની પ્રથા, બાળવિવાહ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા જેવી સામાજિક બદીઓ સામે ઝુંબેશ શરૂ કરી. ખાદીના પ્રચાર-પ્રસાર, મીઠાના સત્યાગ્રહમાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ થઈ. ૧૯૪૬માં દુર્ગાબાઈ દેશની બંધારણ સમિતિનાં સદસ્ય બન્યાં. ‘આંધ્ર મહિલાસભા’ની સંસ્થા સ્થાપી. તેની નિશ્રામાં સમયાંતરે દવાખાનાંઓ, સારવાર કેન્દ્રો, સાક્ષરતા કેન્દ્રો તથા હસ્તકૌશલના એકમોની સ્થાપના કરી. હૉસ્પિટલ અને શ્રી વેંકટેશ્વર કૉલેજ સ્થાપી. ભારતના આયોજન પંચના સભ્ય તથા રાજ્યપાલ તરીકે પણ દેશને તેમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. ૧૯૫૩માં ભારતના અગ્રણી પ્રકાશક (સર) સી. ડી. દેશમુખ સાથે લગ્ન થયાં. તેઓ પોલજી હોફમાન ઍવૉર્ડ, નહેરુ લિટરસી ઍવૉર્ડ, યુનેસ્કો ઍવૉર્ડ અને પદ્મવિભૂષણથી સન્માનિત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી મધુસૂદનન પારેખ ‘પ્રિયદર્શી

જ. ૧૪ જુલાઈ, ૧૯૨૩ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩

ગુજરાતી સાહિત્યના અગ્રણી હાસ્યલેખક, બાળસાહિત્યકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક મધુસૂદન પારેખનો જન્મ સાહિત્યોપાસક હીરાલાલ ત્રિ. પારેખને ત્યાં અમદાવાદમાં થયો હતો. માતાનું નામ જડાવબહેન. વતન સૂરત પણ કાર્યક્ષેત્ર અમદાવાદ. ઈ. સ. ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૫માં બી.એ., ૧૯૫૨માં એમ.એ., ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા-સાહિત્યમાં પારસીઓનો ફાળો’ વિષય પર પીએચ.ડી. થયા. ૧૯૪૫થી ૧૯૫૫ સુધી શિક્ષકની કામગીરી, ૧૯૫૫થી ૧૯૮૩ સુધી અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક પછી આચાર્યપદે રહેલા. ૧૯૬૧થી ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદનકાર્યમાં સંલગ્ન. ૧૯૭૪થી ગુજરાત સાહિત્યસભા, અમદાવાદના મંત્રી, ૨૦૦૬ બાદ થોડો સમય તેના પ્રમુખ પણ થયેલા. તેમનું મૂલ્યવાન પ્રદાન હાસ્યનિબંધના ક્ષેત્રે છે. ‘પ્રિયદર્શી’ના ઉપનામે ૧૯૬૦થી ‘ગુજરાત સમાચાર’માં ‘હું, શાણી અને શકરાભાઈ’ કૉલમની શરૂઆત  થયેલી, તે તેમના અવસાન પર્યંત ૨૦૨૩ સુધી સુંદર રીતે ચાલેલી. તેમના માર્મિક વિનોદમાં શિષ્ટતા અને  મિષ્ટતા રહેલી છે. તેમના સમગ્ર લેખનનું મુખ્ય લક્ષ્ય વાચકોનું નરવી રીતે મનોરંજન કરવાનું હતું. તેમની પાસેથી ૩૫ જેટલા હાસ્ય-નિબંધસંગ્રહો મળ્યા છે. ‘હું, શાણી અને શકરાભાઈ’, ‘સૂડી-સોપારી, ‘રવિવારની સવાર’, ‘હું, રાધા ને રાયજી’, ‘પેથાભાઈ પુરાણ’, ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમની પાસેથી ‘બુધિયાનાં પરાક્રમો’, ‘માખણલાલ, ‘સાહસિક સુંદરલાલ, ‘વરુણનું સોનેરી સ્વપ્ન’, ‘સસ્સાજી સટાકિયા’ અને અન્ય અનેક બાળવાર્તાસંગ્રહો અને ‘નાટ્યકુસુમો’, ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ વગેરે નાટકો પણ મળ્યાં છે. શેક્સપિયરનાં નાટકો પરથી ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ તેમણે આપી છે, જે ખૂબ પ્રચલિત છે. તેમની પાસેથી ત્રણેક વિવેચનસંગ્રહો, ૧૧ જેટલા વાર્ષિક સમીક્ષાગ્રંથો મળ્યા છે. તેમણે કેટલાક અનુવાદો આપ્યા છે અને ઘણાં સંપાદનો પણ કર્યાં છે. તેમને ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ માટે ૧૯૭૨નો ‘કુમારચંદ્રક’, ૧૯૯૧માં ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’, ૨૦૦૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ગુ. સા. અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ તથા ૨૦૦૧માં ‘અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ’ મળેલો.