Categories
વાચન સમૃદ્ધિ

કે. કે. હેબ્બર

જ. ૧૫ જૂન, ૧૯૧૧ અ. ૨૬ માર્ચ, ૧૯૯૬

એક ભારતીય ચિત્રકાર અને કલાશિક્ષક તરીકે જાણીતા કે. કે. હેબ્બરનું પૂરું નામ કટ્ટિંગેરી કૃષ્ણ હેબ્બર છે. તેમનો જન્મ કર્ણાટકના ઉડુપી નજીક કટ્ટિંગેરીમાં એક તુલુભાષી પરિવારમાં થયો હતો. પોતે દોરેલ છબીઓની મદદથી શકુંતલા નાટક શીખવતી વખતે શાળાનું ઇન્સ્પેક્શન કરવા આવેલા અધિકારીએ હેબ્બરની કલાપ્રતિભા જોઈ અને તેમને કલાનું શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૯૩૩માં હેબ્બર મુંબઈ આવ્યા અને જી. એસ. દંડવતીમઠ દ્વારા સ્થાપિત આર્ટ સ્કૂલ, નૂતન કલામંદિરમાં અભ્યાસ શરૂ કર્યો હતો. તેમણે છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે આવેલ કોપાર્ડે સ્ટુડિયોમાં રિટચિંગ અને એન્લાર્જમેન્ટનું કામ કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૫ સુધી સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાશિક્ષક તરીકે કામ કરી તેમણે પોતાની કલાનો વિકાસ ચાલુ રાખ્યો હતો. તેમણે કલા ઇતિહાસકાર આનંદ કુમારસ્વામીનાં લખાણો, જૈન હસ્તપ્રતોની કલા, રાજપૂત અને મુઘલ લઘુચિત્રો અને અજંતાની ગુફાઓમાં ભીંતચિત્રો સહિત વિવિધ સ્રોતોમાંથી પ્રેરણા લીધી હતી. હેબ્બર ૧૯૩૯માં અમૃતા શેરગિલને મળ્યા ત્યારે તેમનાં ચિત્રોમાં ભારતીય કલા અને પશ્ચિમી કલાની ટૅકનિકનો સંગમ જોઈને તેઓ ખૂબ આકર્ષાયા હતા. ૧૯૪૯-૫૦માં તેઓ યુરોપ ગયા જ્યાં તેમણે પૅરિસમાં આવેલી એકૅડેમી જુલિયનમાં જોડાઈને ૨૦ અઠવાડિયાંનો ચિત્રકામનો કોર્સ પણ પૂરો કર્યો હતો. હેબ્બરે પંડિત સુંદરપ્રસાદ પાસેથી બે વર્ષ સુધી કથક નૃત્યની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે મુંબઈના રૉયલ ઓપેરા હાઉસમાં એક વાર પ્રદર્શન પણ યોજ્યું હતું. ૧૯૬૧માં લખાયેલા તેમના પુસ્તક ‘ધ સિંગિંગ લાઇન’માં તેમની રેખા-કલાનાં વિવિધ પ્રવાહી સર્જનો જોઈ શકાય છે. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘હિલ સ્ટેશન’, ‘કાર્લા ગુફાઓ’, ‘ભિક્ષુક’, ‘હંગ્રી સોલ’, ‘ફોક રિધમ’ અને ‘ફુલ મૂન’નો સમાવેશ થાય છે. તેમનું અબ્દુલ કલામ આઝાદનું ચિત્ર સંસદભવન  દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. તેમને મૈસૂર યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. અને ભારત સરકાર તરફથી ૧૯૬૧માં પદ્મશ્રી અને ૧૯૮૯માં પદ્મભૂષણ જેવાં સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય મહાપ્રજ્ઞ

જ. ૧૪ જૂન, ૧૯૨૦ અ. ૯ મે, ૨૦૧૦

જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીનું મૂળ નામ નથમલ હતું. અગિયાર વર્ષની વયે દીક્ષા લીધા બાદ હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની જેવી ભાષાઓ તથા જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એ પછી પોતાના અધ્યયનક્ષેત્રને વ્યાપક બનાવીને આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું. એમણે ધર્મક્ષેત્રે પ્રસરેલી ખોટી માન્યતાઓ અને દાંભિક ક્રિયાકાંડો સામે જાહેર સભાઓમાં વેધક પ્રહાર કર્યો. ધ્યાનની એક વિશિષ્ટ પદ્ધતિ પ્રેક્ષાધ્યાન આપી, જેમાં માનવીની દૂષિત વૃત્તિઓનું પરિમાર્જન કરવાના પ્રયોગોને પ્રસ્તુત કર્યા અને પાંચસોથી વધુ પ્રેક્ષાધ્યાનની શિબિરો દ્વારા હજારો લોકોનાં જીવનમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્ટ્રેસ દૂર કરી શાંતિનો અનુભવ કરાવ્યો. ઉચ્ચકોટિના ચિંતક અને મનીષીએ જૈન આગમો વિશે, ભગવાન મહાવીર વિશે અને જૈનદર્શન વિશે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં. પ્રારંભે સંસ્કૃત ભાષામાં શીઘ્ર કવિતા કરતા હતા. એમણે ૨૭૧ પુસ્તકો લખ્યાં. અહિંસાયાત્રા કરીને દેશનાં સેંકડો ગામોમાં અહિંસક જીવનશૈલી અને વ્યસનમુક્તિ, આજીવિકા શુદ્ધિ અને આજીવિકા પ્રશિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન કર્યું. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા પ્રસંગે એમણે સાંપ્રદાયિક સદભાવના દ્વારા એકતાનો પ્રયાસ કર્યો હતો, તો ૨૦૦૩માં સૂરતના ચાતુર્માસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથે રાષ્ટ્રના આધ્યાત્મિક ઉત્થાન અને સૌહાર્દ માટે એક સંસ્થાની સ્થાપના કરી, રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ તેમને વારંવાર મળવા આવતા હતા. લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી દ્વારા બ્રિટિશ પાર્લમેન્ટમાં અહિંસા ઍવૉર્ડ, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, મધર ટેરેસા ઍવૉર્ડ જેવા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. ૯મી મેએ તેઓ રાજસ્થાનના સરદાર શહેરમાં કાળધર્મ પામ્યા. એમની બહુવિધ પ્રતિભામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. રાષ્ટ્રકવિ દિનકરજીએ એમને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા, તો અટલ બિહારી બાજપેયી, પં. દલસુખ માલવણિયા, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિ એમનાથી પ્રભાવિત હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મોહનલાલ ચુનીલાલ ધામી

જ. ૧૩ જૂન, ૧૯૦૫ અ. ૨ એપ્રિલ, ૧૯૮૧

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર, કવિ, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક મોહનલાલ ધામીનો જન્મ પાટણ, બરોડા સ્ટેટમાં થયો હતો. તેમણે ચોટીલાની હન્ટરમેન ટ્રેનિંગ કૉલેજમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેઓ જૈન સાધુ બનવા ઇચ્છતા હતા, પરંતુ તે શક્ય ન બનતાં તેમણે દૂધપાકનો ત્યાગ કર્યો હતો. મોહનલાલ ધામીનાં પત્નીનું નામ કાંતાબહેન અને પુત્રનું નામ વિમલ હતું. ૧૯૨૮માં પાટણના ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કૉલેજમાંથી તેમણે ‘આયુર્વેદભૂષણ’ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બંગાળી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. ૧૯૨૯માં તેમણે ચોટીલામાં આયુર્વેદિક દવાખાનું શરૂ કર્યું અને ત્યારબાદ ૧૯૩૭માં રાજકોટમાં દવાખાનું શરૂ કર્યું હતું. મોહનલાલ ધામી, મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાથી તેમણે જીવનભર ખાદીનો પહેરવેશ ધારણ કર્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને જ્યારે વિસાપુર ખાતેના સત્યાગ્રહમાં ભાગ લીધો, ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા તેમને જેલ થઈ હતી. આ ઉપરાંત વલ્લભભાઈ પટેલના સૂચન પર તેમણે મહારાષ્ટ્રનાં ગામોમાં જાગૃતિ ફેલાવવા માટે મોબાઇલ પ્રદર્શનનું આયોજન પણ કર્યું હતું. મોહનલાલ ધામી એક ઉત્કૃષ્ટ સાહિત્યકાર હતા. તેમણે લખેલાં ૧૭૦થી વધુ પુસ્તકોમાં જૈન ધર્મ આધારિત ઐતિહાસિક નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, જીવનચરિત્રો, પ્રવાસવર્ણનો, બાળસાહિત્ય, નિબંધો, અનુવાદો, લોકસાહિત્ય અને ધાર્મિક સાહિત્યનો સમાવેશ થાય છે. તેમનું ‘દાદીમાનું વૈદું’ પુસ્તક ખૂબ પ્રખ્યાત છે. ‘મૃદુલ’ અને ‘બાજીગર’ ઉપનામ હેઠળ ૧૮ વર્ષની ઉંમરે તેમણે ‘આત્મા વિનોદ’ નામનું એક પુસ્તક લખ્યું અને ‘કોકિલ’ નામનું એક સામયિક પણ પ્રકાશિત કર્યું હતું. તેમણે ‘વરઘેલી’, ‘એના ચરણે’ અને ‘ભણેલી વહુ’ એમ ત્રણ ગુજરાતી ફિલ્મની કથા, સંવાદ અને ગીતો પણ લખ્યાં છે. તેમનાં ‘રૂપકોશા’ જેવાં પુસ્તકો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સમાવિષ્ટ થયાં છે જેનું હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર થયું છે. મોહનલાલ ધામીનું અવસાન રાજકોટમાં થયું.