Categories
વાચન સમૃદ્ધિ

ફરદૂનજી મર્ઝબાન

જ. ૨૮ માર્ચ, ૧૭૮૭ અ. ૨૬ માર્ચ, ૧૮૪૭

‘ગુજરાતી મુદ્રણના જનક’, જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક ફરદૂનજી મર્ઝબાનનો જન્મ સૂરતમાં પારસી કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મોબેદ મર્ઝબાનજી. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ મેળવી હતી. ફારસી  ઉપરાંત પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. ભરૂચના હકીમ ગોલાલ મોડિયુદ્દીન પાસેથી યુનાની વૈદકનું જ્ઞાન મેળવ્યું. ૧૭૯૯માં તેઓ મુંબઈ ગયા. ત્યાં પ્રખ્યાત દસ્તૂરમુલ્લાં ફીરોઝાદ્દીન પાસેથી જરથોસ્તી ધર્મશાસ્ત્રો ઉપરાંત અરબી-ફારસીમાં તાલીમ અને જાણકારી મેળવી. તેમના જ પુસ્તકાલયનાં પુસ્તકોની દેખભાળ લેવા ઉપરાંત પુસ્તકો બાંધવાનું અને મરામત કરવાનું કામ પણ શીખ્યા. ૧૮૦૮માં બુકબાઇન્ડિંગના કામમાં જોડાયા. દુકાન ખરીદીને ગામેગામ આડતિયા રોકી મુંબઈથી ગુજરાતમાં સૌપ્રથમ વ્યવસ્થિત આંગડિયા સેવા-ટપાલસેવા શરૂ કરી. ધીમે ધીમે દેશાવરમાં પણ કાગળો પહોંચતા કરવા લાગ્યા. એ અરસામાં તેઓ જીજીભાઈ બહેરામજી છાપગર નામના કંપોઝિટરના સંપર્કમાં આવ્યા. તે સમયે સમગ્ર મુંબઈ શહેર અને ઇલાકામાં એક પણ દેશી છાપખાનું ન હતું. ફરદૂનજીએ ૧૮૧૨માં મુંબઈમાં કોટવિસ્તારમાં સૌપ્રથમ છાપખાનાનો પ્રારંભ કર્યો. લાકડાનો દાબપ્રેસ મેળવીને જીજીભાઈ પાસે કળા શીખીને છાપવાનો સરંજામ ઊભો કર્યો. ગુજરાતી બીબાંનો સેટ તીખા લોટા પર કોતરાવ્યો. પોતે જ તાંબાની તકતીઓ ઠોકી તેને સીસામાં ઢાળી ટાઇપ પાડ્યા. આ ટાઇપ પાડવા, ઘસવા અને સાફ કરવામાં તેમણે કુટુંબના સૌને કામે લગાડ્યા. શરૂઆતમાં કેટલાંક પુસ્તકો પ્રગટ કર્યા પછી ૧૮૧૪માં તેમણે પોતાના છાપખાનામાં સંવત ૧૮૭૧નું પહેલવહેલું ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું. ૧૮૨૨માં  ગુજરાતી ભાષામાં ‘મુંમબઈના શમાચાર’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનું માસિક લવાજમ બે રૂ. રાખેલું. ૧૮૩૨થી અઠવાડિયામાં બે વાર પ્રકાશિત કરવા માંડ્યું અને ૧૮૫૫થી તેને દૈનિકમાં ફેરવ્યું. જાહેરખબરો, જન્મ-મૃત્યુ તિથિવાર નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ધરમપાલ ગુલાટી

જ. ૨૭ માર્ચ, ૧૯૨૩ અ. ૩ ડિસેમ્બર, ૨૦૨૦

‘મસાલાના રાજા’ (spice king) તરીકે પ્રખ્યાત ધરમપાલ ગુલાટીનો જન્મ સિયાલકોટ(આજનું પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતા ચુન્નીલાલ ગુલાટી જે ‘દેગી મીર્ચવાલે’ તરીકે જાણીતા હતા. તેમની મહાશિયાં દી હટ્ટી (Mahashian Di Hatti) નામની મસાલાની દુકાન હતી. ૧૦ વર્ષની વયે ધરમપાલ ભણતર છોડી, નાનીમોટી નોકરી કરી છેવટે પિતાની મસાલાની દુકાનમાં જોડાઈ ગયા, પરંતુ ૧૯૪૭ના ભાગલા વખતે તેમના કુટુંબને પાકિસ્તાન છોડી, ભારત ભાગી આવવું પડ્યું. દિલ્હીમાં રેલવેસ્ટેશન ઉપર ઘોડાગાડી ચલાવી, શેરડીના રસનો સંચો ચલાવ્યો અને બધાથી થાકી ૧૯૫૮માં કરોલ બાગમાં મહાશિયાં દી હટ્ટી નામની નાની મસાલાની દુકાન ખોલી. ચાંદની ચોક વિસ્તારમાં બીજી શાખા ખોલી. ૧૯૫૯માં નવી દિલ્હીના કીર્તિનગર વિસ્તારમાં ઉત્પાદન એકમ શરૂ કર્યું જે સમયે ગૃહિણીઓ ઘરે ખાંડીને મસાલા બનાવતી, તે સમયે તેમણે દળેલા તૈયાર મસાલાઓ બજારમાં મૂક્યા. મહાશિયાં દી હટ્ટી નામ ઉપરથી MDH મસાલા નામ રાખવામાં આવ્યું. તેમના સમયગાળા દરમિયાન એમ.ડી.એચ. મસાલાએ અભૂતપૂર્વક વિકાસ કર્યો. હાલમાં તેમના ૧૮ ઉત્પાદન-એકમો કાર્યરત છે. જ્યાં લગભગ ૬૨થી વધુ જાતના તૈયાર મસાલાઓ તૈયાર કરી દેશવિદેશમાં મોકલવામાં આવે છે. એમડીએચની જાહેરખબરમાં ધરમપાલજી જ તેનો ચહેરો હતા. પરંપરાગત પાઘડી, સફેદ ભરાવદાર મૂછો, મોતીની માળા ધારણ કરેલા ધરમપાલજી બધી જ જાહેરખબરો, મસાલાનાં પૅકેટો ઉપર ચમકતા. ધરમપાલજીની ગણના એક દાનવીર તરીકે પણ કરવામાં આવે છે. તેમના દ્વારા લગભગ ૨૦ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા દિલ્હીમાં ગરીબ લોકો માટે ૨૦૦ પથારીની હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે જ્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે મોબાઇલ હૉસ્પિટલ પણ કરવામાં આવી છે. દાન આપવા માટે પિતાના નામથી મહાશય ચુન્નીલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

વિજયગુપ્ત મૌર્ય

જ. ૨૬ માર્ચ, ૧૯૦૯ અ. ૧૦ જુલાઈ, ૧૯૯૨

પ્રાણીજીવન, કીટકજીવન અને વિજ્ઞાનનાં પુસ્તકો બાલભોગ્ય – કિશોરભોગ્ય શૈલીમાં આપનાર સાહિત્યકાર. તેઓએ વિજ્ઞાનને લોકભોગ્ય અને પ્રસિદ્ધ કરતાં કેટલાંયે પુસ્તકો અને લેખો લખ્યા હતા. તેમનો જન્મ પોરબંદર ખાતે થયો હતો. તેઓનું મૂળ નામ વિજયશંકર મુરારજી વાસુ હતું. તેમનાં લગભગ દસેક ઉપનામ હતાં, પણ જાણીતા થયા ‘વિજયગુપ્ત મૌર્ય’ના નામે. તેમણે માધ્યમિક શિક્ષણ ભાવિંસહજી હાઈસ્કૂલ, પોરબંદર ખાતે લીધેલું અને કાનૂનનું શિક્ષણ મુંબઈ ખાતે લીધું. ૧૯૩૩માં પોરબંદર પરત ફરી વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી તેઓ બ્રિટિશ અદાલતમાં ન્યાયાધીશ બન્યા. ૧૯૪૪માં ડૉ. વસંત અવસરે નામના સ્વાતંત્ર્યસેનાની પોરબંદર આવ્યા અને પોતાનો કેસ લડવા માટે વિજયગુપ્ત મૌર્યને જણાવ્યું. જોકે તેઓ ત્યારે ન્યાયાધીશના હોદ્દા પર હોવાથી આ કેસ લડી શકે તેમ ન હતા. આથી તેમણે ન્યાયાધીશના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને વકીલ તરીકે ડૉ. અવસરેનો કેસ હાથમાં લીધો. આ રીતે વિજયગુપ્ત મૌર્યની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીનો અંત આવ્યો. ત્યારબાદ તેઓએ મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો. તેઓએ ત્યાં ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને ૭૫ રૂ.ના પગારે ટાઇપિસ્ટ તરીકેની નોકરી લીધી. આર્થિક સમસ્યાઓ વચ્ચે પણ તેઓએ ‘પ્રકૃતિ’ સામયિક માટે લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ ‘જન્મભૂમિ’ ગુજરાતી અખબાર માટે લખવાની તક મળી. તેઓએ ‘જન્મભૂમિ પ્રવાસી’ના છેલ્લા પાના પર પક્ષીઓ અને પ્રાણીઓ વિશે લેખ લખવાનું ચાલુ કર્યું. ત્યાર પછી તે આખું પાનું સંભાળતા. જેમાં તેઓએ વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, બ્રહ્માંડ, વનસ્પતિજગત એવા વિવિધ વિષયો પર રસપ્રદ માહિતીવાળી સામગ્રી લખાણમાં મૂકી. તેમનું પહેલું પુસ્તક ‘પ્રિન્સ બિસ્માર્ક’ (૧૯૫૩) ચરિત્રલક્ષી હતું. ઈ. સ. ૧૯૮૩માં ‘સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો’ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેઓએ ગુજરાતીમાં વિજ્ઞાનનાં ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. તેઓના પુત્રો નગેન્દ્ર અને ભારદ્વાજે પિતાની કારકિર્દી અપનાવી અને તેમનું કાર્ય આગળ ધપાવ્યું.

અંજના ભગવતી