Categories
વાચન સમૃદ્ધિ

પદ્મિની

જ. ૧૨ જૂન, ૧૯૩૨ અ. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬

ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને નૃત્યાંગના દક્ષિણ ભારતના તિરુવનંતપુરમ્માં જન્મ્યાં હતાં. તેઓને બીજી બે બહેનો લલિતા અને રાગિણી હતી. નાની ઉંમરથી જ વિધિવત્ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તેઓએ તાલીમ લીધી હતી, ત્યારબાદ તેઓ કથકલી નૃત્ય પણ શીખ્યાં હતાં. તેઓ ત્રણે બહેનો ત્રાવણકોર સિસ્ટર્સ તરીકે પણ ઓળખાતાં હતાં. ૧૬ વર્ષની ઉંમરે પદ્મિનીને હિન્દી ફિલ્મ ‘કલ્પના’માં નૃત્યાંગનાનો અભિનય કરવાની તક મળી હતી, ત્યારથી તેની કારકિર્દીનો આરંભ થયો. ત્યારબાદ તેઓને તમિળ, તેલુગુ, મલયાળમ અને હિન્દી – આ બધી ભાષાઓની ફિલ્મોમાં તક મળી. ચારેય ભાષા પરનો કાબૂ તથા સુંદર નૃત્યાંગના હોવાથી તેઓ ફિલ્મોમાં સહજ રીતે અભિનય કરતાં. ૧૯૫૦ની સાલમાં તેઓે ‘એઝાઇ પદુમ પદુ’ નામની તમિળ ફિલ્મમાં પ્રખ્યાત હીરો શિવાજી ગણેશન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ શિવાજી ગણેશન સાથે તેમની સૌથી વધુ સફળ ફિલ્મ ‘થિલાના મોહનમ્બલ’ હતી, જેને માટે તેઓને ૧૯૭૦ની સાલમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો તમિળનાડુ સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તેઓએ દક્ષિણ ભારતના બીજા અભિનેતા એન. ટી. રામારાવ, એમ. જી. રામચન્દ્રન અને હિન્દી સિનેમાના રાજ કપૂર, શમ્મી કપૂર, સંજીવકુમાર, રાજકુમાર જેવા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું. ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’ માટે તેમને ૧૯૬૦માં ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેઓ આર્મી કૅમ્પમાં જઈને પોતાની નૃત્યકલાથી સૈનિકોનું મનોરંજન કરતાં હતાં. તેઓએ રાજકારણમાં પણ રસ લીધો હતો. ૧૯૬૧માં ડૉ. કે. ટી. રામચન્દ્રન સાથે લગ્ન કરી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં. ત્યાં તેઓએ શાસ્ત્રીય નૃત્ય માટેની સ્કૂલ ખોલી હતી. તેઓને ફિલ્મફેર, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને બીજા ઘણા ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રામ પ્રસાદ બિસ્મિલ

જ. ૧૧ જૂન, ૧૮૯૭ અ. ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭

ભારતીય ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની અને દેશભક્ત કવિ તરીકે જાણીતા રામ પ્રસાદનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. તેમના પિતા મુરલીધર શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. બિસ્મિલને હિન્દી ભાષા તેમના પિતા પાસેથી શીખવા મળી હતી, જ્યારે ઉર્દૂ ભાષાનું જ્ઞાન તેમણે મૌલવી પાસેથી મેળવ્યું હતું. રામ, અજ્ઞાત અને બિસ્મિલ ઉપનામથી તેમણે હિન્દી અને ઉર્દૂમાં કવિતાઓ લખી હતી જે પૈકી તેઓ ‘બિસ્મિલ’ તરીકે વધુ જાણીતા બન્યા હતા.

રામ પ્રસાદ બિસ્મિલે ૧૮ વર્ષની વિદ્યાર્થીવયે ક્રાંતિકારી, લાલા હરદયાળના સહયોગી તથા વિદ્વાન એવા પરમાનંદની મોતની સજા વિશે સાંભળ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ નિયમિત રીતે આર્ય સમાજના મંદિરે જતા હોવાથી ત્યાં તેમની મુલાકાત પરમાનંદના મિત્ર સોમદેવ સાથે થઈ. મોતની સજા વિશે સાંભળ્યા બાદ તેમણે હિંદી ભાષામાં રચેલી કવિતા ‘મેરા જન્મ’ સોમદેવને વંચાવી. આ કાવ્ય સમગ્ર ભારત પરથી બ્રિટિશ નિયંત્રણ હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું. ભગતસિંહે પણ તેમની હિંદી અને ઉર્દૂ કવિ તરીકે પ્રશંસા કરી હતી. બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક ઍસોસિયેશનની સ્થાપના કરી હતી જે પાછળથી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક ઍસોસિયેશન એવા નામથી જાણીતું થયું હતું. આ સંગઠનનો મુખ્ય હેતુ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતને સ્વરાજ અપાવવાનો હતો. સંગઠન માટે ફાળો મુખ્યત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો હતો. ૯ ઑગસ્ટ, ૧૯૨૫ના દિવસે થયેલ કાકોરી કાંડ સંદર્ભે તેમના પર કેસ ચાલ્યો અને કેસની સુનાવણી બાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન, ઠાકુર રોહનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિડી સહિત તમામને ફાંસીની સજા થઈ હતી અને ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ ગોરખપુરની જેલમાં તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. તેમની યાદમાં અનેક સ્મારક અને ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ જોઈતારામ પટેલ

જ. ૧૦ જૂન, ૧૯૨૭ અ. ૫ ઑગસ્ટ, ૨૦૧૫

ગાંધીવિચારના અભ્યાસી અને રવિશંકર મહારાજના આરાધક મગનલાલ જોઈતારામ પટેલ મ. જો. પટેલ તરીકે વિશેષ જાણીતા હતા. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના પીંઢારપુરા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં અભણ માતાપિતાને ત્યાં થયો હતો. તેઓ સેલાવી, ધીણોજ અને પીલવાઈ ગામની શાળાઓમાં કારમી ગરીબી વચ્ચે ભણ્યા હતા. ત્યારબાદ તેમણે એક વર્ષ માટે વિસનગર કૉલેજમાં અને સહુથી વધુ વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ જેને ‘ગાંધીજીની પ્રતિમૂર્તિ’ ગણતા તે રવિશંકર મહારાજના સાથી અને સેવક તરીકે ભૂદાનયાત્રાના પાંચ વર્ષને તેમના જીવનનો સૌથી પાવનકારી તબક્કો ગણાવે છે. મગનલાલ જોઈતારામ પટેલે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પસીસેક વર્ષ ગાંધીદર્શન વિષયનું અધ્યાપન કરાવ્યું હતું. તેમણે લખેલ ‘ગાંધીજીનું ધર્મદર્શન’ નામના પુસ્તકને પંડિત સુખલાલજીએ દરેક ઘરમાં વસાવવા જેવું ગણ્યું છે. ‘ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દોમાં’ નામના પુસ્તકમાં તેમણે ‘ગાંધીજીના શિક્ષણવિષયક વિચારો આદિથી અંત સુધી સંગૃહિત કર્યા તે ઉત્તમ કામ કર્યું છે’ એમ મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે.

મ. જો. પટેલે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ’, ‘ઇટાલીના ગાંધી દાનિલો દોલ્ચી’, ‘ભારત સેવક મંડળના ઉત્કલ મણિ ગોપબંધુ દાસ’, ‘અર્થશાસ્ત્રી જે. સી. કુમારાપ્પા’ જેવાનાં જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. તેમણે દૃષ્ટાંતકથાઓ ‘જીવનનું ભાથું’ અને ‘ધન્ય ગૃહસ્થાશ્રમ’ જેવાં સંકલનો પણ આપ્યાં છે. અજોડ લોકસેવક બબલભાઈ મહેતાની આત્મકથા ‘મારી જીવનયાત્રા’ સહિત તેમનાં સ્વકથનનાં પાંચ પુસ્તકોનું તેમણે સંપાદન કર્યું છે. તેમની આત્મકથા ‘સંતોની છાયા’માં તેમના સંઘર્ષમય અને સેવાભાવી જીવનનું સુરેખ બયાન આપે છે. અઠ્યાસી વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.