Categories
વાચન સમૃદ્ધિ

પંડિત ઓમકારનાથ ઠાકુર

જ. ૨૪ જૂન, ૧૮૭૯ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭

ભારતના શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના મહાન ગાયક, સંગીતજ્ઞ. પંડિતજીનો જન્મ શિવઉપાસક દંપતી ગૌરીશંકર તથા ઝવેરબાને ત્યાં થયો હતો. પિતાનું અકાળે અવસાન અને વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે બાળપણમાં રામલીલામાં કલાપ્રસ્તુતિની નોકરી સ્વીકારી. ત્યાં શ્રેષ્ઠી શાપુરજીની નજરમાં આવતાં એમને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજી પાસે સંગીતની તાલીમ અપાવવાની સગવડ કરી આપવામાં આવી. ઓમકારનાથજીની સંગીત પ્રત્યેની નિષ્ઠા, ખંત અને નિપુણતા જોતાં તાલીમને અંતે પલુસ્કરજીએ પંડિતજીના લાહોર ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં આચાર્યપદે નિમણૂક કરી, સાથે ભારત તથા યુરોપમાં પંડિતજીએ અનેક કાર્યક્રમો આપ્યા. પંડિતજીએ ગાયનમાં પલુસ્કરજીની સાથે ઉસ્તાદ રહેમત ખાનની ગાયનશૈલી પણ અપનાવી હતી. પંડિતજી ખયાલશૈલીની સાથે ધ્રુપદ-ધમાર તેમ જ ઠૂમરી પણ અદભુત રીતે પ્રસ્તુત કરતા. શાસ્ત્રીય સંગીતની શુદ્ધતા જાળવીને હૃદયને સ્પર્શે એવી પોતાની આગવી શૈલીમાં ભજન ગાયન એ પંડિતજીની ઓળખ બની હતી. પંડિતજીનો ગાયેલો રાગ નીલાંબરી, માલકોશમાં ‘પગ ઘૂંઘર બાંધ’, ભૈરવીમાં ‘જોગી મત જા’ તેમ જ કવિ શ્રી ન્હાનાલાલની રચના ‘વિરાટનો હિંડોળો’ સંગીતના ભાવકો માટે સાંગીતિક તૃપ્તિની સાથે એક તરસ છોડી જનાર કલાકૃતિ સમાન હતાં. તેઓ કુશળ તરવૈયા પણ હતા. પંડિતજીનાં પત્ની ઇંદિરા દેવી તેમજ નવજાત સંતાનના અવસાન બાદ પંડિતજીએ તોડી રાગને સદાને માટે તિલાંજલિ આપી. પંડિતજી સંગીતના મર્મજ્ઞ, પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત, હિન્દી, વેદો, શાસ્ત્રોના જ્ઞાતા અને અભ્યાસી હતા. ‘પ્રણવ રંગ’ તખલ્લુસથી એમણે અનેક શાસ્ત્રીય બંદિશોની રચના કરી. ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ છ ભાગમાં તેમજ ‘પ્રણવભારતી પંડિતજીરચિત પુસ્તકો છે. પદ્મશ્રી અને અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. પંડિતજીની જન્મશતાબ્દીએ ભારત સરકાર દ્વરા એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરવામાં આવી હતી. બુલંદ છતાં મીઠા સુરીલા અવાજ, સંગીતના જ્ઞાન અને સેવા માટે પંડિત ઓમકારનાથ ઠાકુર સદાય યાદ રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રબોધ બેચરદાસ પંડિત

જ. ૨૩ જૂન, ૧૯૨૩ અ. ૨૮ નવેમ્બર, ૧૯૭૫

જાણીતા ભાષાવિજ્ઞાની. ભાવનગર જિલ્લાના વળા ગામમાં તેમનો જન્મ. તેમણે અમદાવાદ અને અમરેલીમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૩૯માં મૅટ્રિક થયા. ૧૯૪૨ની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને છ મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બી.એ. થયા. ૧૯૪૬માં સંસ્કૃત અને ભાષાશાસ્ત્રના વિષય સાથે ભારતીય વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. વધુ અભ્યાસ માટે લંડન ગયા અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા. ‘ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિ’ ઉપર રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરીને ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાષાશાસ્ત્રમાં રુચિ કેળવાતી ગઈ. જુલ્સ બ્લોચના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક, પુણેની ડેક્કન કૉલેજમાં પણ અધ્યાપન કરાવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યાં પણ ભાષાશાસ્ત્રવિષયક અધ્યાપન કરાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધભાઈ પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬), ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩), ‘પંચરંગ સમાજમાં ભાષા’ (૧૯૮૩) વગેરે ભાષાવિજ્ઞાનને લગતા મહત્ત્વના ગ્રંથો આપ્યા છે. તેમનું પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ને ૧૯૬૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રમાં યોગદાન આપવા માટે ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ મોહનલાલ શુક્લ

જ. ૨૨ જૂન, ૧૯૦૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૯૬

કવિ અને વિવેચક તરીકે પ્રસિદ્ધિ પામેલા રામપ્રસાદ શુક્લનું મૂળ નામ રતિલાલ હતું અને ચૂડામાં તેમનો જન્મ થયેલો. તેમનું વતન તો વઢવાણ પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધેલું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત મુખ્ય વિષય સાથે ૧૯૨૮માં બી.એ. થયા અને પછી લાંબા સમય બાદ ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. થયા. આરંભમાં સી. એન. વિદ્યાલયમાં શિક્ષક પછી અમદાવાદની એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયેલા. ૧૯૬૩થી ૧૯૭૩ સુધી ખંભાતની કૉલેજમાં આચાર્ય રહ્યા અને ૧૯૭૩માં નિવૃત્ત થયા. તે પછી અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે કામગીરી બજાવેલી. ૬૦ સૉનેટનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બિન્દુ’ (૧૯૪૩) બચુભાઈ રાવતની માવજત પામીને પ્રગટ થયો હતો. એમાં ‘વિનાશ અને વિકાસ’નાં ૨૫ સૉનેટના ગુચ્છમાં વિશ્વયુદ્ધની ભીષણતા પછીની પ્રફુલ્લતાનું આલેખન કવિના ચિંતક અને કવિ તરીકેના ભાવજગતને વ્યક્ત કરે છે. સંસ્કૃત વૃત્તોનો લયહિલ્લોળ, સહજ પ્રાસાનુપ્રાસ, તાજગીસભર અલંકારો તેમ જ સૉનેટના સ્વરૂપ અપેક્ષિત ભાવવળાંકોથી આ સૉનેટો કલાત્મક થયાં છે. ઘણા લાંબા સમયના અંતરાલ બાદ તેમની ૮૩ વર્ષની વયે ૧૯૯૩માં તેમની પાસેથી ‘સમય નજરાયો’ કાવ્યસંગ્રહ મળે છે. તેમાં પણ ‘સ્મૃતિ’ અને ‘સંસ્કૃતિ’ નામક બે સૉનેટગુચ્છો છે. આ ઉપરાંત તેમાં ગીત, ગઝલ, ભજન, રાસ, મુક્તક તેમ જ કેટલીક દીર્ઘરચનાઓ છે. નિરંજન ભગતે તેમની કવિતાને ‘બુદ્ધિપૂત ઊર્મિની કવિતા’ કહી છે. ‘સરિતાઓના સાન્નિધ્યમાં’ (૧૯૯૩) એ તેમની નદીઓની પદયાત્રાને આલેખતા નિબંધોનો સંગ્રહ છે. કવિ અને પ્રવાસવર્ણનના લેખક ઉપરાંત તેઓ વિદ્વાન વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમની પાસેથી ૧૯૪૭ અને ૧૯૪૮ની ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ મળી છે. જેમાં તેમનું વિવેચક પાસું વ્યક્ત થયું છે. ‘આપણું સાહિત્ય’ નામે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનનું (અન્ય સાથે) પુસ્તક પણ મળે છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ (મરણોત્તર) પ્રાપ્ત થયો હતો. અમદાવાદમાં તેમનું અવસાન થયેલું.