Categories
વાચન સમૃદ્ધિ

તરલા દલાલ

જ. ૩ જૂન, ૧૯૩૬ અ. ૬ નવેમ્બર, ૨૦૧૩

પાકશાસ્ત્રનાં નિષ્ણાત, રાંધણકળાનાં પુસ્તકોનાં લેખિકા તરલાબહેનનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેઓનો ઉછેર પુણેમાં થયો હતો. ૧૯૬૦માં તેઓ નલિન દલાલને પરણી મુંબઈમાં સ્થાયી થયાં. તેમના પતિના પ્રોત્સાહનને લીધે તરલાબહેને રાંધણકળામાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓએ વિદેશી વાનગીઓને શાકાહારી ઢબે રજૂ કરી. ૧૯૬૬માં તેઓએ આ માટેના વર્ગો પોતાના ઘરમાં શરૂ કર્યા. તેમની વાનગીની રીતમાં ચોક્કસ માપમાં કઈ સામગ્રી લેવી, તેમાંથી તબક્કાવાર વાનગી બનાવવાની રીત, ચોક્કસ માપ તથા કેટલી વ્યક્તિઓને વાનગી પૂરી પડશે તે બધી વાત ખૂબ ચોકસાઈથી મૂકતાં હતાં. પરિણામે નવા નિશાળિયા પણ તેમની વાનગીની રીત પ્રમાણે સહેલાઈથી બનાવી શકતા. આ પછી તેમની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. તેમનું નામ રાંધણકળાના સંદર્ભે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. તેમના વર્ગમાં જોડાવા માટે છોકરીઓની લાંબી કતાર થવા લાગી. ૧૯૭૪માં વાનગીઓ બનાવવાનું પ્રથમ પુસ્તક ‘ધ પ્લેઝર ઑફ વેજિટેરિયન કૂકિંગ’ લખ્યું. ત્યારબાદ તેઓએ આશરે એકસો વિષયો પર રાંધણકળાનાં પુસ્તકો લખ્યાં. જેની ૩૦ લાખથી વધારે નકલ વેચાઈ. તેમનાં પુસ્તકોનો અનુવાદ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ડચ અને રશિયન ભાષાઓમાં થયો છે. તેઓ કાયમ સમયની સાથે રહ્યાં અને સમયની માંગ મુજબ જે અનિવાર્ય હતું તે કરતાં ગયાં. તેઓએ ટીવી પર રાંધણકળાનો કાર્યક્રમ ચાલુ કર્યો – ‘કૂક ઇટ અપ વિથ તરલા દલાલ’ અને ‘તરલા દલાલ શો’ વગેરે. આ કાર્યક્રમો ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા, ગલ્ફના દેશો, ઇંગ્લૅન્ડ તેમજ અમેરિકામાં પણ દર્શાવવામાં આવતા હતા. ૨૦૦૫માં તેઓને ‘વુમન ઑફ ધ યર’નું ટાઇટલ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મળ્યું. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ ડૉ. કલામના હાથે ‘પદ્મશ્રી’ એનાયત થયો. પાકશાસ્ત્રમાં ‘પદ્મશ્રી’ મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

દિવાળીબહેન ભીલ

જ. ૨ જૂન, ૧૯૪૩ અ. ૧૯ મે, ૨૦૧૬

ગુજરાતનાં લોકગીતોને પોતાનો કંઠ આપી ઘેર ઘેર ગુંજતાં કરનારાં દિવાળીબહેન ભીલનો જન્મ અમરેલી જિલ્લામાં આદિવાસી જાતિમાં થયો હતો. પિતાનું નામ પૂંજાભાઈ અને માતાનું નામ મોંઘીબહેન. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. માતાની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ આજુબાજુનાં ગામોમાં પ્રસંગોપાત્ત, બહેનપણીઓ સાથે ગરબા ગાવા જતાં. નવ વર્ષની વયે તેમનાં લગ્ન ફોક થયાં, પરંતુ લોકગીતો ગાવાનો શોખ માતાના પ્રોત્સાહનથી ચાલુ રહ્યો. દસ વર્ષ સુધી તેમણે જૂનાગઢના એક ડૉક્ટરના દવાખાનામાં નોકરી કરી, ત્યારબાદ જૂનાગઢની સાર્વજનિક હૉસ્પિટલમાં તેઓ નર્સોના ક્વાર્ટર્સમાં નોકરી કરવા લાગ્યાં. ૧૯૬૪માં તેમના જીવનપ્રવાહમાં એક નવો વળાંક આવ્યો. તે વર્ષે નવરાત્રિ દરમિયાન જૂનાગઢના એક ચોકમાં તેઓ ગરબો ગવડાવતાં હતાં. જોગાનુજોગ ખ્યાતનામ હેમુ ગઢવી તે ચોકમાં હાજર હતા. તેમને દિવાળીબહેનનો રણકતો અવાજ અને ગાવાનો લય ખૂબ પસંદ પડી ગયા અને તેમણે દિવાળીબહેનના એક ગરબાનું સ્થળ પર જ રેકૉર્ડિંગ કરી લીધું. બીજા જ દિવસે તેમને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર બીજાં ગીતોના રેકૉર્ડિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાર પછી રતુભાઈ અદાણી સાથે દિલ્હી ગયાં, જ્યાં આયોજિત લોકસંગીત મહોત્સવમાં તેમણે ગાયેલા ગીતને પ્રથમ પારિતોષિક એનાયત થયું. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાવા લાગી હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આયોજિત થતા ડાયરા અને લોકસંગીતના કાર્યક્રમોમાં ગાવા માટેનાં આમંત્રણ મળવા લાગ્યાં. કલ્યાણજી-આણંદજી બેલડીમાંના કલ્યાણજીભાઈએ તેમને ‘જેસલ તોરલ’ ચલચિત્રમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાની તક આપી. તેમાં તેમણે ગાયેલું ‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સાંભળ રે’ ઘેર ઘેર ગુંજતું થયું. તેમણે ન તો કોઈ ઔપચારિક શિક્ષણ લીધું હતું કે ન કોઈ સંગીતની તાલીમ લીધી હતી, છતાં દેશવિદેશમાં તેમના અનેક કાર્યક્રમો યોજાયા હતા. સ્વરકિન્નરી લતા મંગેશકરે પણ તેમનાં ગાયિકા તરીકે વખાણ કર્યાં હતાં. ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. ગુજરાત સરકારે તેમને ‘ગુજરાત ગૌરવ’નો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ ટાગોર

જ. ૧ જૂન, ૧૮૪૨ અ. ૯ જાન્યુઆરી, ૧૯૨૩

તેઓ ભારતીય સનદી અધિકારી, કવિ, સંગીતકાર અને સમાજસુધારક તેમ જ ભાષાશાસ્ત્રી હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ મહર્ષિ દેબેન્દ્રનાથ ટાગોર અને શારદાદેવીને ત્યાં કૉલકાતાના જોરાસાંકોમાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર સહિત તેઓ નવ ભાઈ-બહેન હતાં. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)ના અધિકારી બનનારા પ્રથમ ભારતીય હતા. ૧૮૫૯માં તેમનાં લગ્ન જ્ઞાનનંદિનીદેવી સાથે થયાં અને ૧૮૬૨માં તેઓ લંડન ગયા. ત્યાં પ્રોબેશનરી તાલીમ લઈને પાછા આવ્યા અને ૧૮૬૪માં મુંબઈમાં સેવામાં જોડાયા. તેમણે આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે અમદાવાદમાં પણ કામગીરી કરી હતી. નોકરી દરમિયાન સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાની તક મળી અને તેને કારણે તેઓ જુદી જુદી ભારતીય ભાષાઓ શીખ્યા. તેમણે તુકારામ અને બાલગંગાધરનાં પુસ્તકોનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે સંસ્કૃતમાંથી પણ બંગાળી ભાષામાં અનુવાદ કર્યા છે. સત્યેન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને ‘સુશીલા ઓ બિરસિંહા, ‘બૉમ્બે ચિત્રા’, ‘નબરત્નમાલા’, ‘બૌદ્ધ ધર્મ’, ‘સ્ત્રીસ્વાધીનતા’, ‘ભારતબારસિયો ઇંગ્રેજ’, ‘રાજા રામમોહન રૉય’, ‘અમર બાલ્યાકોઠા’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમણે મુખ્યત્વે ગીતો લખ્યાં છે. તેમનું દેશભક્તિપૂર્ણ બંગાળી ભાષાનું ગીત ‘મિલે સાબે ભારત સંતન, એકતાન ગાગો ગાન’ (એક થાઓ, ભારતનાં બાળકો, એક સ્વરમાં ગાય છે) જેને ભારતના પ્રથમ રાષ્ટ્રગીત તરીકે બિરદાવવામાં આવ્યું હતું. તેઓ બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. ૧૯૦૭માં તેઓ આદિ બ્રહ્મોસમાજના પ્રમુખ બનેલા. તેમના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. ૧૯મી અને ૨૦મી સદીમાં સામાજિક અને ધાર્મિક વિચારોમાં પરિવર્તન લાવવામાં તેમનો સમાજસુધારક તરીકે મહત્ત્વનો ફાળો છે. નિવૃત્તિ પછી તેઓ કૉલકાતામાં સ્થાયી થયા અને તેમના ઘરે માત્ર સગાંઓ અને મિત્રો જ નહીં, પરંતુ કૉલકાતાના મહાનુભાવો પણ આવતા. તેમના ઘરે સાહિત્યની મજલિસ પણ થતી હતી.