Categories
વાચન સમૃદ્ધિ

સ્ટ્રિંગર લોરેન્સ

જ. ૬ માર્ચ, ૧૬૯૮ અ. ૧૦ જાન્યુઆરી, ૧૭૭૫

‘ફાધર ઑફ ઇન્ડિયન આર્મી’ તરીકે ઓળખાતા સ્ટ્રિંગર લોરેન્સ બ્રિટિશ સૈન્યના અધિકારી હતા. તેમણે ૧૭૪૮થી ૧૭૫૪ સુધી પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ ઑફ ફોર્ટ વિલિયમ તરીકે કાર્ય કર્યું હતું. હેરેફોર્ડ, યુનાઇટેડ કિંગ્ડમમાં જન્મેલા સ્ટ્રિંગર ૧૭૨૭માં બ્રિટિશ આર્મીમાં જોડાયા. ૧૭૪૮માં મેજરની પદવી પામી ‘ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ટ્રૂપમાં ભારત આવ્યા. ૧૭૪૯માં બ્રિટિશ આર્મીએ ‘દેવીકોટા’ હાંસિલ કર્યું. ૧૭૫૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા પણ ૧૭૫૨માં પાછા આવ્યા અને ફ્રેન્ચ આર્મી પાસેથી ત્રિચિનાપલ્લી પાછું મેળવ્યું. તેઓ થોડા સમય માટે કમાન્ડર-ઇન-ચીફ તરીકે રહ્યા. તેઓ ૧૭૫૮-૫૯માં ફ્રેન્ચ સામે સેંટ જ્યૉર્જ ફૉર્ટ, મદ્રાસ(હાલ ચેન્નાઈ)ની લડાઈમાં સામેલ હતા. ૧૭૫૯માં તેમની તબિયત બગડતાં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ગયા પછી ૧૭૬૧માં મેજર-જનરલ અને કમાન્ડર-ઇન-ચીફ તરીકે પાછા આવ્યા. ૧૭૬૫માં ‘મદ્રાસ આર્મી’ના ગઠન માટેના બોર્ડમાં તેમણે અધ્યક્ષતા લીધી અને પછીના વર્ષમાં નિવૃત્ત થયા. નિવૃત્ત જીવન દરમિયાન તેઓ તેમના મિત્ર સર રૉબર્ટ પાક (Robert Palk) સાથે રહ્યા અને જ્યારે તેમણે દેહ છોડ્યો ત્યારે મિત્રને ૫૦,૦૦૦ પાઉન્ડ આપતા ગયા. આ મિત્રે સ્ટ્રિંગરની યાદગીરી રૂપે ૧૭૮૮માં ૨૬ મીટર ઊંચો ત્રિકોણીય ટાવર ‘લોરેન્સ ટાવર’ (જે હાલમાં ֹ‘હાલ્ડન બેલવેડર’ તરીકે ઓળખાય છે) બનાવ્યો, જેમાં લોરેન્સની ફુલ કદની પ્રતિમા (રોમન જનરલના વેશમાં) બનાવી છે; એટલું જ નહીં, સર રૉબર્ટ પાકે પોતાના દીકરા અને કુટુંબમાં પણ લોરેન્સનું નામ રાખવાની પ્રથા પણ ચાલુ કરી. ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’એ વેસ્ટમિનિસ્ટર એબીમાં સ્ટ્રિંગર લોરેન્સની સફેદ આરસપહાણની પ્રતિમા મૂકી છે જે સ્ટ્રિંગરના ઉત્કૃષ્ટ પ્રદાનની ગવાહી પૂરે છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

બીજુ પટનાયક

જ. ૫ માર્ચ, ૧૯૧૬ અ. ૧૭ એપ્રિલ, ૧૯૯૭

કુશળ રાજનીતિજ્ઞ અને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે બે વાર સ્થાન શોભાવનાર બીજુ પટનાયકનો જન્મ ગંજામના ભંજનગરના એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મીનારાયણ અને માતાનું નામ આશાલતા પટનાયક હતું. તેમના પિતા પરલાખેમુન્ડી એસ્ટેટના દીવાન હતા. તેમણે કટકની રેવેનશૉ કૉલેજમાં પ્રવેશ લીધો હતો પરંતુ ઉડ્ડયનમાં વિશેષ રુચિ હોવાને લીધે તેમણે નોકરી છોડીને પાઇલટ તરીકે તાલીમ લીધી હતી. રૉયલ ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાયા બાદ તેઓ હવાઈ પરિવહન કમાન્ડરના વડા બન્યા હતા. આ સેવા દરમિયાન તેમને રાષ્ટ્રવાદી રાજકારણમાં રસ પડ્યો હતો. બર્મામાં બ્રિટિશ કમાન્ડ હેઠળ લડતા ભારતીય સૈનિકોને રાજકીય પત્રિકાઓ ફેંકવા અને ભારતનાં વિવિધ સ્થળોએથી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓને ગુપ્ત બેઠકોમાં લઈ જવા બદલ બ્રિટિશ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. બીજુ પટનાયક ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતી વખતે જવાહરલાલ નહેરુને મળ્યા હતા અને તેમના વિશ્વાસુ મિત્રોમાંના એક બન્યા હતા. ૪૫ વર્ષની વયે તેઓ ૨૩ જૂન, ૧૯૬૧ના રોજ ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૬૭માં કૉંગ્રેસ પાર્ટીની કમાન સંભાળનાર ઇન્દિરા ગાંધીના નજીકના લોકોમાં બીજુ પટનાયક હતા. જયપ્રકાશ નારાયણ તેમના જૂના મિત્ર હોવાથી ૧૯૭૪માં તેમણે જેપી ચળવળમાં પણ ઝંપલાવ્યું હતું. ૧૯૭૭માં તેઓ કેન્દ્રપાડાથી લોકસભામાં ચૂંટાયા બાદ ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણિંસહ બંને સરકારોમાં સ્ટીલ અને ખાણમંત્રીપદે રહ્યા હતા. વી. પી. સિંહને વડાપ્રધાનપદ સુધી પહોંચાડવામાં પડદા પાછળની ભૂમિકા ભજવ્યા બાદ ૧૯૯૦થી ૧૯૯૫ સુધી તેઓ બીજી વખત ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નાના પુત્ર નવીન પટનાયક જૂન ૨૦૨૪ સુધી ઓડિશાના મુખ્યમંત્રી હતા. બીજુ પટનાયકની કાયમી સ્મૃતિ રહે તે માટે ભુવનેશ્વર ખાતે બીજુ પટનાયક ઍરપૉર્ટ, બીજુ પટનાયક યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજી અને બીજુ પટનાયક સ્ટેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. તેમના જન્મદિવસ પાંચ માર્ચને પંચાયતીરાજ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જયંતીલાલ પ્રાણલાલ ઠાકોર

જ. ૪ માર્ચ, ૧૯૧૩ અ. ૨૦૦૪

અમદાવાદમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિઓના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર જયંતીલાલનો જન્મ જામનગરમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા વિજયાલક્ષ્મીએ તેમનામાં શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમનું બાળપણ અમદાવાદમાં વીત્યું. શાળાના અભ્યાસ દરમિયાન છાપાંઓ વહેંચવા જેવી નાનીમોટી કામગીરી કરી કુટુંબને સહાયરૂપ બન્યા. તેઓએ વ્યાયામશાળામાં વ્યાયામની તાલીમ લીધી. તદુપરાંત પુસ્તકાલય સહકારી ભંડાર, હસ્તલિખિત માસિક, કૅમ્પિંગ, સ્કાઉટિંગ જેવી પ્રવૃત્તિઓની પણ તાલીમ મેળવી. જોકે પ્રતિકૂળ સંજોગોને કારણે કૉલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. તેમણે અમદાવાદમાં વસંતરાવ હેગિષ્ટે, વાસુદેવ ભટ્ટ સાથે મળીને વ્યાયામશાળાની પ્રવૃત્તિઓને પ્રચલિત કરી અને કિશોરોને સશક્ત અને નીડર બનવા માટે પ્રેર્યા. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ આરંભેલી દાંડીકૂચમાં જોડાવા અરજી કરી, પરંતુ વય નાની હોવાથી જોડાઈ શક્યા નહીં. તેમણે ધોલેરા સત્યાગ્રહમાં અને ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તે દરમિયાન પોલીસનો માર ખાધો અને જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ લડતમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરવા બદલ જેલવાસ ભોગવ્યો. આ લડતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. અમદાવાદમાં આઝાદ સરકારના શહેરસૂબા તરીકે તેઓ સક્રિય બન્યા. આ ચળવળ દરમિયાન  જયંતી ઠાકોરે અભૂતપૂર્વ સાહસ કરીને કાર્યકરોને એકત્રિત કર્યા. તેમણે ‘કૉંગ્રેસ પત્રિકા’ પ્રસિદ્ધ કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. તેઓ વ્યાયામપ્રવૃત્તિ, દલિતોદ્ધાર, હિન્દુ-મુસ્લિમ એકતા, મજૂરપ્રવૃત્તિ કરતા. કોમી હુલ્લડોમાં શાંતિસૈનિક તરીકે સેવા આપતા. ૧૯૪૩માં જયપ્રકાશ નારાયણે ગોઠવેલી લડતના આગેવાનોની ગુપ્ત સભામાં જયંતી ઠાકોર જોડાયા હતા. વળી તેઓ હરિવદન અને વાસુદેવ ભટ્ટ સાથે ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાવા માટે કૉલકાતા પણ ગયા હતા. તેઓ નિસર્ગોપચારના નિષ્ણાત હતા. તેઓનું સમગ્ર જીવન સાદગીભર્યું હતું.

શુભ્રા દેસાઈ