Categories
વાચન સમૃદ્ધિ

ગિરીશચંદ્ર ઘોષ

જ. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૪૪ અ. ૮ ફેબ્રુઆરી, ૧૯૧૨

જાણીતા બંગાળી અભિનેતા, દિગ્દર્શક અને લેખક ગિરીશચંદ્ર ઘોષનો જન્મ કૉલકાતાના બાગબજારમાં થયો હતો. તેમનાં માતાપિતા નીલકમલ અને રાયમણિનું તેઓ આઠમું સંતાન હતા. પિતા પાસેથી તીક્ષ્ણ બુદ્ધિ અને જીવન પ્રત્યેનો વ્યાવહારિક અભિગમ અને માતા પાસેથી સાહિત્ય પ્રત્યે પ્રેમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ તેમને વારસામાં મળ્યાં હતાં. જીવનની શરૂઆતમાં જ તેમણે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાથી ૧૮૬૨માં શાળા છોડ્યા બાદ તેમણે એક બ્રિટિશ કંપનીમાં બુકકીપિંગમાં એપ્રેન્ટિસશિપ મેળવી હતી. આ સમયગાળામાં ઈશ્વરચંદ્ર ગુપ્તા સાથે તેમનો પરિચય થવાથી તેમણે નાટકો, ગીતો અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. ગિરીશચંદ્ર ઘોષે ૧૮૭૩માં ગ્રેટ રાષ્ટ્રીય રંગભૂમિની રચના કરી હતી અને ૧૮૭૭માં ત્યાં તેમના પ્રથમ નાટક ‘આગમણિ’નું મંચન કર્યું હતું. ત્યારબાદ તેમણે મિનર્વા થિયેટરમાં પણ કામ કર્યું હતું અને તેઓ મૅનેજરપદ સુધી પહોંચ્યા હતા. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણકથા આધારિત કુલ ૮૬ નાટક લખ્યાં હતાં. તેમનાં ખૂબ જાણીતાં નાટકોમાં ‘બુદ્ધદેવચરિત’, ‘પૂર્ણ ચંદ્ર’, ‘કલાપહાર’, ‘અશોક’, ‘ચૈતન્યલીલા’, ‘રૂપ-સનાતન’, ‘નિમાઈ સંન્યાસ’ અને ‘પ્રહલાદચરિત’નો સમાવેશ થાય છે. ગિરીશચંદ્ર ઘોષ રામકૃષ્ણ પરમહંસને પહેલી વાર તેમના પાડોશી કાલીનાથ બોઝના ઘેર મળ્યા હતા. ૨૧ સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ શ્રી રામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ જોવા ગયા હતા. રામકૃષ્ણ પરમહંસના પ્રભાવ હેઠળ તેમના નાટક ‘નાસીરામ’માં તેમણે રામકૃષ્ણના ઉપદેશોનો ખૂબ જ ઉપયોગ કર્યો. ‘ધ ગોસ્પેલ ઑફ શ્રી રામકૃષ્ણ’માં ગિરીશચંદ્ર અને રામકૃષ્ણને લગતાં ઘણાં દૃશ્યો છે. વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક ક્રિસ્ટોફર ઈશરવુડના સંપર્કમાં આવ્યા બાદ ગિરીશચંદ્ર તેમના એક પ્રકારના આશ્રયદાતા સંત બન્યા હતા. તેમણે ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન પણ કર્યું  હતું. બંગાળી રંગભૂમિના સુવર્ણયુગ સાથે ગિરીશચંદ્ર ઘોષનું નામ સુવર્ણ અક્ષરે જોડાયેલું છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

ચૈતન્ય મહાપ્રભુ

જ. ૨૭ ફેબ્રુઆરી, ૧૪૮૫ અ. ૯ જુલાઈ, ૧૫૩૩

મધ્ય ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું દસમું સંતાન નિમાઈ-વિશ્વંભર. તેમના મોટા ભાઈ વિશ્વરૂપ. મોટા ભાઈ વિશ્વરૂપ સંસાર ત્યજી અદ્વૈત સંન્યાસી થઈ ગયા હોવાથી નિમાઈ-વિશ્વંભરને ખૂબ લાડમાં ઉછેરવામાં આવેલા. નિમાઈ ગૌર વર્ણના હોવાથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે પણ ઓળખાતા. તેઓ એક મેધાવી, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા, વળી વ્યાકરણ ઉપરાંત અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં પણ પ્રવીણ થયા. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગ્રંથ ‘દીધિતિ’ લખનાર પંડિત રઘુનાથને પ્રસન્ન રાખવા તે જ વિષય પરનો પોતાનો ગ્રંથ ગંગામાં પધરાવી દીધો હતો. ૧૬ વર્ષની ઉંમરે નિમાઈ પંડિતે મુકુંદ સંજયના ચંડીમંડપમાં પોતાની પાઠશાળા આરંભી. તેમનું પ્રથમ લગ્ન લક્ષ્મીદેવી સાથે થયું હતું. પણ છાત્રો સાથે યાત્રાએ ગયા હતા અને પાછા ફર્યા તે દરમિયાન લક્ષ્મીદેવીનું સર્પદંશથી અવસાન થયેલું. માતાના આગ્રહથી તેમનું બીજું લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયું. પણ માત્ર ત્રેવીસ વર્ષની ભરયુવાન વયે વિશ્વંભર-નિમાઈએ શ્રી શંકરાચાર્યની ભારતીશાખાના શ્રી કેશવભારતી પાસે પૂર્ણવિધિપૂર્વક સંન્યાસદીક્ષા લીધી. ગુરુએ આપેલા નામ પ્રમાણે ‘કૃષ્ણ ચૈતન્ય’ થયા. હવે શ્રી ચૈતન્યનું મુખ્ય નિવાસધામ જગન્નાથપુરી બન્યું. અહીં પરમ વૈષ્ણવ ભક્ત તરીકે પ્રસિદ્ધ અને સન્માન્ય થઈ ચૂકેલા શ્રી ચૈતન્યે અનેક વિદ્વાનોનો આદર પ્રાપ્ત કર્યો. શ્રી ચૈતન્ય ઝારખંડને માર્ગે થઈ વૃંદાવનની યાત્રાએ ગયા. આ યાત્રાએથી પાછા ફર્યા પછી તેમણે નીલાચલની બહાર પગ મૂક્યો ન હતો. આયુષ્યનાં છેલ્લાં ૧૨ વર્ષો પ્રેમોન્માદ દશામાં અંતેવાસીઓએ રાતદિવસ સંભાળ રાખવી પડતી. નામ સંકીર્તન અને મહામંત્રનો પ્રચાર તથા મધુરભાવની સાધના એ બે શ્રી ચૈતન્યનાં અવતારકાર્ય ગણાય છે. બંગાળના બાઉલ સંગીતભક્તો તેમને પોતાના આદિ પ્રવર્તક માને છે. આ ઉપરાંત ‘ઇસ્કોન’ના કૃષ્ણભક્તો ‘હરે કૃષ્ણ હરે રામ’ની જે ધૂન ગાય છે તે પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુની દેન છે. તેમની જ પ્રેરણાથી વૃંદાવનના છ ગોસ્વામીઓનું મંડળ અને ત્યારપછી તેમાંથી જ સંપ્રદાય સર્જાય છે. એક લોકશ્રુતિ પ્રમાણે તેમણે સમુદ્રમાં ઝંપલાવી સમાધિ લીધી જ્યારે બીજી લોકશ્રુતિ પ્રમાણે ભગવાન જગન્નાથને આલિંગન આપી મૂર્તિમાં લીન થઈ ગયા. તેમના અંતરંગ મંડળમાં શ્રી નિત્યાનંદ મુખ્ય હતા તેથી ‘નિતાઈ’ અને ‘નિમાઈ’નાં નામ નામસંકીર્તનમાં જોવા મળે છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

મનમોહન દેસાઈ

જ. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૩૭ અ. ૧ માર્ચ, ૧૯૯૪

મનોરંજનના મહારથી ગણાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા હતા. ચલચિત્રજગતમાં તેઓ ‘મનજી’ તરીકે ઓળખાતા. તેમના પિતા કીકુભાઈ દેસાઈ પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક અને નિર્માતા હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવાર ઉપર ભારે આર્થિક સંકટ આવી પડ્યું. સ્ટુડિયોની દેખરેખ રાખનારું કોઈ હતું નહિ અને પૈસાના અભાવે સ્ટુડિયો વેચી નાખવો પડ્યો. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પરિવાર રહેવા આવ્યો અને મનમોહન અંતિમ શ્વાસ સુધી આ મકાનમાં જ રહ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને તેઓ સ્નાતક થયેલા, પરંતુ મનમાં દિગ્દર્શક બનવાનો કીડો સળવળતો હતો તેથી દિગ્દર્શનનો કસબ શીખવા એ સમયના અગ્રણી દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. મોટા ભાઈ સુભાષ દેસાઈએ ‘છલિયા’ ફિલ્મનું નિર્માણ કર્યું અને નિર્દેશનની જવાબદારી યુવાન મનમોહનને સોંપી તેમને આગળ વધવાની તક પૂરી પાડી. ‘છલિયા’ની પટકથા મનમોહને પોતે લખી હતી અને રાજ કપૂર, નૂતન, પ્રાણ જેવા નામી કલાકારોને સફળતાપૂર્વક નિર્દેશિત કરી પોતાનું કસબ બતાવી આપ્યું.

૧૯૭૭માં પોતાની ખુદની નિર્માણ સંસ્થા ‘એમ. કે. ડી. ફિલ્મ્સ’ની સ્થાપના કરી. મનમોહન દેસાઈનાં ચલચિત્રોમાં કંઈ પણ બનવું અસંભવ ન હોય – એમ કહી એમની ટીકા કરાતી. પણ તેઓ હંમેશાં સામાન્ય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને ચલચિત્રોનું નિર્માણ કરતા. મોટા ભાગે તેમની બધી જ ફિલ્મો સફળ રહેતી અને પ્રેક્ષકોનો આવકાર પામતી.

૨૮ વર્ષની કારકિર્દીમાં ૨૦ ચલચિત્રોનું દિગ્દર્શન કરી ચલચિત્રજગતને ૧૬ સફળ ચિત્રો આપનાર મનમોહન દેસાઈએ મનોરંજનને નામે ક્યારેય અશ્લીલતા પીરસી નહિ. તેમની ફિલ્મો હંમેશાં પરિવાર સાથે બેસીને જોઈ શકતો. ૧૯૮૯માં ‘ગંગા, જમુના, સરસ્વતી’ ફિલ્મ નિષ્ફળ જતાં તેમણે નિવૃત્તિ લઈ લીધી.

તેમનાં સફળ ચલચિત્રોમાં ‘સચ્ચાજૂઠા’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘આ ગલે લગ જા’, ‘રોટી’, ‘પરવરિશ’, ‘ધરમવીર’, ‘અમર અકબર ઍન્થની’, ‘સુહાગ’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ થાય છે.

અમલા પરીખ