Categories
વાચન સમૃદ્ધિ

કરમસીભાઈ જેઠાભાઈ સોમૈયા

જ. ૧૬ મે, ૧૯૦૨ અ. ૯ મે, ૧૯૯૯

દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ કરમસીભાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના માલુંજામાં થયો હતો. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. કરમસીભાઈના જીવનનો નૈતિક પાયો બાળપણથી જ મજબૂત રીતે બંધાયો હતો. તેમણે કચ્છના તેરા ગામ, મહારાષ્ટ્રના બેલાપુર અને મુંબઈમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધું હતું, પરંતુ મૅટ્રિક સુધી પહોંચી શક્યા ન હતા. જોકે તેમણે પછીથી અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ કચ્છી, મારવાડી, સોરઠી તથા સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ૧૯૨૭માં ખાંડનો વેપાર કરતી એક પેઢીમાં તેઓ ભાગીદાર તરીકે જોડાયા અને નોંધપાત્ર પ્રગતિ કરી. ૧૯૩૬ના અરસામાં તેમણે મહારાષ્ટ્રના બેલાપુર, કોપરગાંવ અને વૈજાપુર તાલુકામાં શેરડીના ઉત્પાદન માટે જમીનો ખરીદી અને પોતાના ખાંડના કારખાનાની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે પોતાની માલિકીની ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડના હસ્તક ભારતમાં શેરડીનું ઉત્પાદન યાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવાના શ્રીગણેશ કર્યા. શેરડીની બાગાયતી તથા ખાંડનું ઉત્પાદન – આ બંને ક્ષેત્રોમાં અવનવા પ્રયોગો કરવાનું સાહસ તેમણે દાખવ્યું હતું. મહારાષ્ટ્રમાં જમીનધારણની મહત્તમ મર્યાદાને લગતો કાયદો પસાર થતાં કરમસીભાઈની માલિકીની શેરડીનું ઉત્પાદન કરતી હજારો એકર જમીન તે કાયદા હેઠળ આવરી લેવામાં આવી અને અંતે બધા જ એકમો સમેટી લેવાની નોબત આવી. ૧૯૭૦માં કર્ણાટકના મુધોળ ખાતે કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍપ્લાઇડ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ(K.I.A.A.R.)ની સ્થાપના કરી શેરડીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ટૅકનૉલૉજીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની પહેલ કરી. તેમને કર્ણાટક સરકારનો પૂરો ટેકો મળ્યો. શિક્ષણક્ષેત્રમાં પણ રુચિ હોવાથી તેમણે સોમૈયા ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેમના વતન કચ્છ, સાકરવાડી, લક્ષ્મીવાડી વગેરે જગ્યાએ શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સોમૈયા વિદ્યાવિહાર નામના મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી હતી. દહાણુમાં નરેશવાડી નામથી શરૂ કરવામાં આવેલ કેન્દ્રમાં આદિવાસીઓ અને ગિરિજનો માટે સેવાપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ના મરણોત્તર ખિતાબથી સન્માન્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુખદેવ થાપર

જ. ૧૫ મે, ૧૯૦૭ અ. ૨૩ માર્ચ, ૧૯૩૧

ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શહીદ ભગતિંસહ અને રાજગુરુ સાથે જેમનું નામ બોલાય છે તે સુખદેવ થાપરનો જન્મ પંજાબના લુધિયાણા ખાતે રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં એક ખત્રી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું અવસાન થવાથી કાકા અચિંતરામે તેમનું પાલનપોષણ કર્યું હતું. સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનના સભ્ય હતા. પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારમાં ક્રાંતિકારી કાર્યક્રમોના આયોજનમાં તેઓની ભૂમિકા અગ્રેસર હતી. પીઢ નેતા લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તેની ઈજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધીક્ષક જે. પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે સુખદેવ થાપરને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસમાં સુખદેવ મુખ્ય આરોપી હતા. જેનું સત્તાવાર શીર્ષક ‘ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય’ એવું હતું. ૮મી એપ્રિલ, ૧૯૨૯ના રોજ નવી દિલ્હીમાં થયેલ સેન્ટ્રલ ઍસેમ્બ્લી હૉલ બૉમ્બધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને દોષી ઠરાવીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ સુખદેવને લાહોરની સેન્ટ્રલ જેલમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તે ત્રણેયના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીને કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં ૨૩મી માર્ચને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીની એક કૉલેજનું નામ ‘શહીદ સુખદેવ કૉલેજ ઑફ બિઝનેસ સ્ટડીઝ’ સુખદેવ થાપરની યાદમાં રાખવામાં આવ્યું છે. તેમના જન્મસ્થળ લુધિયાણા શહેરના મુખ્ય બસસ્ટૅન્ડનું નામ ‘અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ’ રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેહદી નવાઝ જંગ

જ. ૧૪ મે, ૧૮૯૪ અ. ૨૩ જૂન, ૧૯૬૭

એક ભારતીય અમલદાર અને નિઝામના શાસન દરમિયાન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સચિવ તેમ જ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એવા મેહદી નવાઝ જંગનો જન્મ હૈદરાબાદના ડેક્કનના દારુલશીફામાં એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૧માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચશિક્ષણ માટે હૈદરાબાદની કૉલેજમાં જોડાયા હતા પરંતુ ટાઇફૉઈડની બીમારીને લીધે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરી વહીવટી તાલીમ લઈ નિઝામ સરકારમાં અમલદાર તરીકે જોડાયા હતા. અડોરી સ્ટેશને મહાત્મા ગાંધીજીનાં દર્શન થતાં તેમના પ્રશંસક બની ગયા હતા. સરકારમાં ખજાનચી તરીકે તથા સ્થાનિક ભંડોળના સેક્રેટરી તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી તેઓ મદદનીશ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. દક્ષિણ ભારતમાં પડેલા કારમા દુષ્કાળ વખતે ૧૯૧૯-૨૦માં હૈદરાબાદ સરકારે દુષ્કાળગ્રસ્ત અધિકારી તરીકે તેમની નિમણૂક કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે એવી ખંતપૂર્વક સેવા કરી કે લોકો એમને ‘મેહદીબાબા’ તરીકે ઓળખવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ સહકારી ક્ષેત્રના નિષ્ણાત વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવમાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રે તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, સહકારી વ્યાપાર નિગમ, માટી રંગાટ તથા ચરખા બનાવવાની સહકારી મંડળીઓ અને ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી. ૧૯૨૬થી ૧૯૩૭ દરમિયાન હૈદરાબાદ સરકારમાં રહસ્યમંત્રી તરીકે નોંધપાત્ર સેવાઓ આપવા બદલ તેમને ‘નવાબ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૪૯માં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ, ધારાસભ્ય બની ૧૯૬૦ સુધી આંધ્રપ્રદેશના જાહેર બાંધકામ અને વીજળી ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. સાત ભાષાના જાણકાર, સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા અને કલાપ્રેમી હોવાથી ભારતીય લલિત કલા એકૅડેમીનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું. અમદાવાદના પાલડીમાં તેમના નામનો હૉલ આજે પણ મોજૂદ છે.