Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રવિશંકર

જ. ૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨

ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ તરીકે પંડિત રવિશંકર જગમશહૂર છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમણે વિશ્વભરના કેટલાય મહત્ત્વના સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

પંડિત રવિશંકરનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. ૧૯૪૪માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સત્યજિત રેલિખિત ફિલ્મ ‘અપુ ટ્રાયોલૉજી’ માટે સંગીત આપ્યું હતું. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હી ખાતે સંગીતનિર્દેશક તરીકે તેમણે સેવા આપી હતી. બ્લૉકબસ્ટર ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મના અનુસંધાને એકૅડેમી ઍવૉર્ડ માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.

વિશ્વવિખ્યાત ગિટારવાદક જ્યૉર્જ હેરિસન સાથેના તેમના સંપર્કથી ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પશ્ચિમી પોપ સંગીતમાં ભારતીય વાદ્યોનો ઉપયોગ લોકપ્રિય બન્યો હતો. સિતાર અને અન્ય ઑર્કેસ્ટ્રા માટે રચનાઓ લખીને તેઓ પશ્ચિમી સંગીતમાં જોડાયા હતા. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તેમણે વિશ્વભરનો પ્રવાસ કર્યો હતો. ૧૯૮૮માં મૉસ્કોમાં તેમણે ૧૪૦ સંગીતકારો સાથે પર્ફૉર્મ કર્યું હતું. ૧૯૮૯માં તેમણે નૃત્યનાટક ‘ઘનશ્યામ’ રચ્યું હતું. સમકાલીન સંગીતકાર ફિલિપ ગ્લાસ સાથે તેમણે ૧૯૯૦માં ટેન્જેરીન ડ્રીમ બૅન્ડના પીટર બૌમન દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં ‘પૅસોજીસ નામનું આલબમ બહાર પાડ્યું હતું.

પંડિત રવિશંકરે ૧૯૬૮માં ‘માય મ્યુઝિક, માય લાઇફ’ નામની આત્મકથા લખી હતી. ૧૯૯૭માં તેમણે ‘રાગમાલા’ નામે બીજી આત્મકથા લખી હતી. તેમણે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.

પંડિત રવિશંકરને નાનાંમોટાં ૨૫થી વધુ સરકારી અને શૈક્ષણિક સન્માનો અને કલા-પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ, ૧૯૮૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૯માં ભારતરત્નથી નવાજ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુચિત્રા સેન

જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪

‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા અને પતિએ તેમની પ્રતિભા પારખી, તેમને અભિનય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાખી હતી. બંગાળી ચિત્રોના લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. તેમણે અભિનય આપેલી ૬૦ ફિલ્મોમાં ૩૦ ફિલ્મો તેમણે ઉત્તમકુમાર સાથે કરી હતી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્ત્વની બની રહી હતી. તેમણે ‘દેવદાસ’, ‘મમતા’ અને ‘આંધી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દમદાર અભિનય આપ્યો હતો.

સુચિત્રાના પતિ દીબાનાથનું ૧૯૬૯માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે તે પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. ૧૯૭૮ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘કજરી’, ‘સદાનંદેર જોલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’, ‘દેવદાસ’, ‘ભાલોબાસા’, ‘સાગરિકા’, ‘દીપ જ્વલે જાય’, ‘સાત પાકે બાંધા’, ‘મમતા’, ‘આલો અમાર આલો’, ‘આંધી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૨માં ‘પદ્મશ્રી’, ૨૦૧૨માં ‘બાન્ગા વિભૂષણ’, ૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ(જે તેમણે સ્વીકાર્યો ન હતો)નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

બાબુ જગજીવનરામ

જ. ૫ એપ્રિલ, ૧૯૦૮ અ. ૬ જુલાઈ, ૧૯૮૬

બાબુજી તરીકે જાણીતા જગજીવનરામ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી હતા. જેમણે ૩૦ વર્ષથી વધુ સમય માટે વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૨૭માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા જ્યાં તેમને બિરલા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ૧૯૩૧માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી અને મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ અસ્પૃશ્યતા વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. બાબુ જગજીવનરામે ૧૯૩૫માં અસ્પૃશ્યો માટે સમાનતા પ્રાપ્ત કરવાના હેતુસર સમર્પિત સંગઠન ઑલ ઇન્ડિયા ડિપ્રેસ્ડ ક્લાસીસ લીગની સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા બાદ ‘સત્યાગ્રહ’ અને ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી બદલ બે વાર જેલવાસ પણ ભોગવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ જવાહરલાલ નહેરુની કામચલાઉ સરકારમાં અને ત્યારબાદ પ્રથમ ભારતીય મંત્રીમંડળમાં શ્રમમંત્રી તરીકે યુવાવયે હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેઓ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર બંધારણ સભાના પણ સભ્ય હતા. ઇન્દિરા ગાંધીની સરકારમાં ૧૯૬૬થી ૧૯૭૦ સુધીનો તેમનો કાર્યકાળ હરિયાળી ક્રાંતિનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવા માટે યાદગાર રહ્યો છે. તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૬થી એપ્રિલ, ૧૯૮૩ સુધી ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. મોરારજીભાઈ દેસાઈની સરકાર વખતે તેમણે ૨૪ જાન્યુઆરી, ૧૯૭૯થી ૨૮ જુલાઈ, ૧૯૭૯ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો. ૧૯૫૨માં પહેલી ચૂંટણીથી ૧૯૮૬માં તેમના મૃત્યુ સુધી પાંત્રીસ વર્ષથી વધુ સમય સુધી બાબુ જગજીવનરામ સંસદસભ્ય તરીકે રહ્યા તે એક વિશ્વરેકૉર્ડ છે. તેમના અગ્નિસંસ્કાર સ્થળને ‘સમતા સ્થળ’ નામના સ્મારકમાં ફેરવવામાં આવ્યું છે. તેમની જન્મજયંતીને એટલે કે પાંચ એપ્રિલને સમતા દિવસ કે સમાનતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હીમાં ‘બાબુ જગજીવનરામ રાષ્ટ્રીય ફાઉન્ડેશન અને મુંબઈમાં ‘જગજીવનરામ હૉસ્પિટલ’ તેમની લોકપ્રિયતાનાં દ્યોતક છે.