Categories
વાચન સમૃદ્ધિ

સેવા એ જ વેપાર

ઇટલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાનાં દુ:ખો જોઈને દ્રવી જતું હતું. બીજાં બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતાં હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુ:ખને જોઈને વેદના થતી હતી. એનામાં દીન-દુખિયાં પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એની સ્થિતિ જોઈને એમને મદદ કર્યા વિના રહી શકતો નહીં. એક વાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડા પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બીમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઈ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાશુશ્રૂષાની જરૂર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, ‘આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.’ ત્યારે સીસોએ એના પિતાને કહ્યું કે, ‘મારે માટે કોઈ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બીમારની સેવા કરવાનું છે.’ અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહીં, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો. એક વાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુ:ખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠા કર્યા. સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઈ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન ‘ધ પુઅર બ્રધર્સ ઑફ અસીસી’ શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુ ને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સમય બાદ એ સંગઠનનું નામ ‘ફ્રાંસિસ્કોપ’ રાખવામાં આવ્યું. રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાળીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજેય દીન-દુખિયાંઓનો સહારો બની રહ્યું છે અને સીસોને ‘સેંટ ફ્રાન્સિસ ઑફ અસીસી’ના રૂપે સહુ યાદ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

મુખેથી માંદગીનું ભોજન

આરોગ્યના સંદર્ભમાં વિચારીએ તો આપણે ત્યાં માનવીના શરીરને રાજા રૂપે જોવામાં આવ્યું છે, પણ મહત્ત્વની વાત એ છે કે એ રાજા સ્વાધીન છે કે પરાધીન એનો વિચાર કરવો જોઈએ. સ્વાધીન રાજા પોતાના સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલું વિચારશે, કારણ કે એને એના જીવન-સંરક્ષણનો મજબૂત કિલ્લો માને છે. એને માટે પ્રધાન જેવી બુદ્ધિને યોગ્ય માર્ગ બતાવશે અને સેનાપતિ સમા મનને કાબૂમાં રાખશે. જ્યારે પરાધીન રાજાને બીજાની તાબેદારી ઉઠાવવી પડે છે. આવો પરાધીન રાજા ફાસ્ટ ફૂડનો ભોગ બને છે. ખાઉધરા જેવો એનો પ્રધાન હોય છે અને ચટાકેદાર સ્વાદ રૂપી એ ચંચળ મનનો ગુલામ હોય છે. સ્વાસ્થ્યની ઉપેક્ષા અંતે જીવનની ઉપેક્ષા થઈને રહે છે. ત્યારે સુંદર જીવન જીવવા માટે વ્યક્તિએ આહાર પર સંયમ કેળવવો જોઈએ. ઘણી વ્યક્તિ પોતાના જીભના સ્વાદને કારણે જીવનને રોગિષ્ઠ બનાવે છે. આવી વ્યક્તિઓ મુખમાં અન્ન મૂકતી નથી, પરંતુ માંદગી મૂકે છે. ખાઉધરા લોકો બેફિકર બનીને સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત ઉડાવતા હોય છે, પણ હકીકતમાં તો એવું ભોજન એમના સ્વાસ્થ્યને કે આયુષ્યને ઊધઈની માફક ખોખલું કરતું રહે છે. પોતાની ભૂખ કરતાં વધુ ખાનાર અતિભોગી આ જગતની વહેલી વિદાય લઈ લે છે. પોતાની ભૂખ કરતાં થોડું ઓછું ખાનાર થોડું વધુ આયુષ્ય ભોગવે છે. જો વ્યક્તિ પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ ન લે તો દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર પણ એને બચાવી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે, ‘સોના-ચાંદીના ટુકડા એ સાચી સંપત્તિ નથી. આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે.’ અને આપણે ત્યાં તો વારંવાર કહેવાય છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ વળી ચરકસંહિતામાં કહ્યું છે તેમ, ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન આરોગ્ય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

ઢોળાયેલા દૂધની ચિંતા

ન્યૂયૉર્કના બ્રોંક્સના 939 વુડિક્રિસ્ટ ઍવન્યુમાં આવેલી જ્યોર્જ વૉશિંગ્ટન હાઈસ્કૂલમાં શરીરવિજ્ઞાનના શિક્ષક બ્રાન્ડવાઇન વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ ગયા. એમણે દૂધની એક બૉટલ ડેસ્કના સાવ છેડે રાખી હતી અને વિદ્યાર્થીઓ એ બૉટલને જોઈને વિચારવા લાગ્યા કે આ દૂધની બૉટલનો શરીરવિજ્ઞાન સાથે શું સંબંધ હશે ? એવામાં એકાએક બ્રાન્ડવાઇન ઊઠ્યા, ડેસ્ક થોડું હાલ્યું અને બૉટલ નીચે પડી ગઈ. એમાંનું બધું દૂધ ઢોળાઈ ગયું અને વિદ્યાર્થીઓએ ભારે શોરબકોર કર્યો, ત્યારે શિક્ષક બ્રાન્ડવાઇને કહ્યું કે, ‘દૂધ હવે વહી ગયું છે. આમ રડવાથી હવે ફાયદો શું ? તમે ગમે તેટલો કકળાટ કરશો, તોપણ દૂધનું એક ટીપું તમને મળે તેમ નથી. જો થોડી સાવધાની રાખી હોત તો દૂધની બૉટલ પડી ન હોત, પણ હવે બીજું કંઈ થઈ શકે તેમ પણ નથી. આથી આ ઘટનાને ભૂલીને બીજા કામમાં ડૂબી જાવ, નહીં તો આ ઘટનાનો માત્ર અફસોસ કરતા જ રહેશો.’ અધ્યાપક બ્રાન્ડવાઇનની આ સલાહ સાંભળતાં જ વિદ્યાર્થી એલન સાઉન્ડર્સનું ચિત્ત ચમક્યું, કારણ કે ઘણા લાંબા સમયથી એના મન પર ચિંતાનું એક ભૂત સવાર થઈ ગયું હતું. પોતાની ભૂલને માટે એ સતત ક્ષુબ્ધ અને અશાંત રહેતો હતો. આખી રાત એ બનાવ વિશે વિચારતો અને આમતેમ પડખાં ઘસતો હતો. એની ભૂલ એને સૂવા દેતી નહોતી, તેથી વિચારતો કે આવી સ્થિતિમાં હું પરીક્ષામાં કઈ રીતે સફળ થઈશ. વળી એમ વિચારતો કે મેં પેલી ભૂલ કરી એને બદલે જુદી રીતે કામ કર્યું હોત તો ભૂલ થાત નહીં. ક્વચિત્ એમ પણ થતું કે એણે અમુક રીતે વાત કરી એને બદલે બીજી રીતે વાત કરી હોત, તો વધુ સારું થાત, પણ જ્યારે શિક્ષકે કહ્યું કે, ભૂલ થતી હોય તો સાવધાન રહેવું જરૂરી છે, પરંતુ જો ભૂલ થઈ જાય તો એના પસ્તાવામાં જ આખું જીવન કાઢી નાખવું તે ખોટું છે. એમ કરવાથી તો કશું નહીં વળે.