તત્કાળ પ્રતિભાવથી થતી


પરેશાની ————–

અમેરિકાના પ્રમુખ કુલીજ અને તેમનાં પત્ની અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ છોડીને  થોડા સમય માટે બીજે રહેવા ગયાં હતાં. પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં રંગરોગાનનું કામ ચાલતું હતું. બન્યું  એવું કે પ્રમુખને જરૂરી કામ આવી પડતાં  તેઓ તરત વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. પ્રમુખના આગમનની જાણ થતાં વ્હાઇટ હાઉસમાં ધમાલ મચી ગઈ. હજી રંગરોગાન ચાલુ હતું, ફર્નિચર ખસેડ્યું હતું, પુસ્તકોના ઢગલા વચ્ચે પડ્યા હતા. આ બધું ગોઠવવું કઈ રીતે ? વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ વિચાર્યું કે હવે સમય ઓછો છે, તેથી બધું આમતેમ ગોઠવી નાખો. ફરી પ્રમુખ જાય પછી વ્યવસ્થિત ગોઠવીશું. આમ પ્રમુખના ગ્રંથાલયનાં પુસ્તકો નોકર ગોઠવતો હતો, ત્યાં કૂતરો આવી ચડ્યો. નોકરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એક પુસ્તક ઊંચકીને કૂતરા તરફ ફેંક્યું. કૂતરો ભાગી ગયો, પણ પુસ્તક પડદા સાથે જોરથી અથડાયું અને પડદા પાછળથી કોઈની ચીસ સંભળાઈ. થોડી ક્ષણોમાં પ્રમુખ કુલીન માથું ઘસતા ઘસતા બહાર આવ્યા. એમણે નોકરને કહ્યું, ‘ઓહ ! બહુ ગરમી છે, ખરું ?’ આટલું બોલી પ્રમુખ શાંત રહ્યા નોકરને એની આવી ગેરવર્તણૂક માટે કશો ઠપકો ન આપ્યો. જાણે આખી ઘટનાને જ વીસરી ગયા. નોકરે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ પ્રમુખ આગળ કર્યો.

સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી હોય છે કે એક આઘાત કે પ્રહાર થાય કે તરત જ એનો પ્રત્યાઘાત જન્મે. એક ઘટના બને કે તત્કાળ પ્રતિઘટનાનું ચક્ર ઘૂમવા લાગે. આવો તત્કાળ પ્રતિભાવ ઘણી વાર ભૂલભરેલો અને નુકસાનકારક હોય છે. ઘણી વાર વ્યક્તિનાં કટુ વચનો એના દુ:ખદ અનુભવોમાંથી પ્રગટ થતાં હોય છે. સામી વ્યક્તિ એ કટુ વચનોનો તત્કાળ પ્રત્યુત્તર આપે છે, પરંતુ એના પડદા પાછળ રહેલા દુ:ખદ અનુભવોનો એને ખ્યાલ હોતો નથી. એના વિષમ સંજોગોની એને જાણ હોતી નથી કે એ વ્યક્તિના માનસનો પરિચય હોતો નથી. કોઈ પણ ઘટનાને જોવી, વિચારવી, સમજવી અને પછી પ્રતિભાવ આપવો, એવું બને તો માનવસંબંધોનું માધુર્ય કેટલું બધું ટકી રહે ! સંસારમાં થતા મોટા ભાગના કલહ અને કંકાસનું કારણ પ્રતિભાવ કે પ્રત્યાઘાત છે. સામેની વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં જ અન્ય વ્યક્તિ એ વિશેનો ફેંસલો સંભળાવી દે છે. હજી વાત પૂર્ણ થઈ હોય નહીં ત્યાં તો એનો જવાબ આપી દે છે. સંસારના ઘણા વિવાદોનું મૂળ આ પ્રત્યાઘાત છે. જો માનવી અન્ય વ્યક્તિનાં વચનોનો શાંતિથી વિચાર કરે તો એ એના પ્રત્યાઘાતની ઉગ્રતામાંથી ઊગરી જાય છે. જીવનની દુ:ખદ ઘટનાઓ સમયે તત્કાળ પ્રત્યાઘાત નહીં આપીને વ્યક્તિ સ્વસ્થતા મેળવી શકે છે અને એ ઘટનાના મર્મ સુધી પહોંચી શકે છે.

કુમારપાળ દેસાઈ

એક આંખમાં સંતોષ, બીજી


આંખે પ્રગતિ ! ————-

જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય. જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની કે હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે. વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે. વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ. મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેમને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ.

કુમારપાળ દેસાઈ

ટિકિટે એની ફરજ અદા કરી છે !


એમનું આખું નામ હતું શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, પરંતુ દીન અને દુ:ખી, પીડિત અને દલિત તથા પછાત લોકોની સેવામાં જાત ઘસી નાખનાર તેઓને ‘ઠક્કરબાપા’ના હુલામણા નામથી સહુ કોઈ ઓળખતા હતા. એક વાર ઠક્કરબાપા ટપાલો જોઈ રહ્યા હતા. ટપાલોના ઢગલામાંથી એક એક કવર લઈ, તેમને ખોલીને વાંચતા હતા. એમની નજીક બેઠેલા અંતેવાસીની નજર એક કવર પર પડી. આ કવર પર ટિકિટ લગાવેલી હતી, પરંતુ તેના પર ટપાલખાતાનો સિક્કો નહોતો. એમનો ઇરાદો એવો હતો કે ટપાલખાતાની આ સિક્કા વગરની ટિકિટનો પુન: ઉપયોગ કરવો. ઠક્કરબાપાની નજર એમની આ ‘પ્રવૃત્તિ’ પર પડી અને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે ! કવર પરથી આમ ટિકિટ શા માટે ઉખાડે છે ? એની પાછળ શું કારણ છે ?’ અંતેવાસીએ કહ્યું, ‘આ કવર પર ટપાલખાતાએ સિક્કો લગાવ્યો નથી, તેથી આ ટિકિટનો ફરી ઉપયોગ થઈ શકશે. બીજા કવર પર લગાવીને ટપાલખર્ચ બચાવી શકાશે.’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘ભાઈ, મને એ કવર આપ. મારે એ કવરની ટિકિટ પર સિક્કો મારવો છે.’ આમ કહીને ઠક્કરબાપાએ પેનથી કવર પર લગાવેલી ટિકિટ પર ચોકડી કરીને કવર પાછું આપ્યું. એમણે કહ્યું કે આવી રીતે ટિકિટ વાપરવી તે અપ્રમાણિકતા કહેવાય. અંતેવાસીએ વિરોધ કરતાં કહ્યું, ‘આમાં વળી અપ્રમાણિકતા શું ? ટિકિટને ફરીથી વાપરવામાં વાંધો શું?’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘આ જરૂર વાંધાજનક કહેવાય. ટિકિટનું કામ છે ટપાલ પહોંચાડવાનું અને આ ટિકિટે એની ફરજ અદા કરી લીધી છે. એના વપરાશનો અધિકાર પત્ર મોકલનારનો હતો, તે પૂરો થયો છે. હવે આપણે તેનો ફરી ઉપયોગ કરી શકીએ નહીં.’

જીવનની નાની નાની બાબતો પ્રમાણિકતાની કસોટી કરનારી હોય છે. નાનકડી અપ્રમાણિકતા આચરવાથી ક્યાં અપ્રમાણિક બની જવાનું છે, એમ માનનાર ધીરે ધીરે મોટી અપ્રમાણિકતા આચરે છે. નાનકડું બિંદુ પાણીનો હોજ બને તેમ નાનકડી ક્ષતિ મહાન ભૂલોની જન્મદાત્રી બને છે. નાની નાની પ્રમાણિકતાથી જ મોટી પ્રમાણિકતા સધાતી હોય છે. મહાન વ્યક્તિઓના જીવનમાં સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ પ્રમાણિકતા પ્રગટ થાય છે. પ્રમાણિક માનવી ક્યારેય બેચેન બનતો નથી કે ઉજાગરા વેઠતો નથી. અપ્રમાણિક પાસે ધનના ઢગલા હશે, પણ અનિદ્રાના રોગથી પીડાતો હશે. દરેકને જુદી અને જુઠ્ઠી વાતો કહેનારે એ યાદ રાખવું પડે છે કે કોને શું કહ્યું ! કદાચ પકડાઈ જઈશું તો ? જ્યારે પ્રમાણિક માનવી નિરાંતના ઓશીકે ઊંઘી શકે છે.

કુમારપાળ દેસાઈ