Categories
વાચન સમૃદ્ધિ

જાદુઈ દવા

અમેરિકામાં મનોચિકિત્સક તરીકે આલ્ફ્રેડ ઍડલરની ઘણી મોટી ખ્યાતિ હતી. એમ કહેવાતું કે એમની પાસે જનારો મનોરોગી થોડા જ દિવસમાં રોગમુક્ત થઈને સ્વસ્થ બની જતો. કોઈ દર્દી આવીને ડૉક્ટરને કહેતો કે એના મનને ચારે બાજુથી હતાશા ઘેરી વળી છે, તો કોઈ કહેતો કે એ કદી બહાર ન નીકળી શકે એવા ડિપ્રેશનમાં ડૂબી ગયો છે. કોઈ દર્દીની એવી ફરિયાદ હોય કે મારી જિંદગી એટલી બધી બેચેન અને બહાવરી બની ગઈ છે કે મારા મનને ક્યાંય ચેન પડતું નથી, શું કરવું તે સૂઝતું નથી તેથી હાથપગ વાળીને ઘરમાં સૂનમૂન બેસી રહું છું. પ્રણયભંગ થનાર કે ધારેલી સિદ્ધિ નહીં મેળવનાર પણ એમની પાસે આવતા અને એ જ રીતે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા પણ આવતા. આલ્ફ્રેડ ઍડલરની ખૂબી એ હતી કે તેઓ આ પ્રકારના દર્દીઓને એક જ વાત કરતા, ‘તમે જો મારું માનો, તો માત્ર ચૌદ દિવસમાં તદ્દન રોગમુક્ત બની જશો.’ દર્દીઓ ડૉક્ટરના ઉત્સાહને જોતા અને કહેતા, ‘એવી તે કઈ જાદુઈ દવા તમારી પાસે છે કે અમારો આ વર્ષો જૂનો રોગ ચૌદ દિવસમાં દૂર થઈ જશે.’ આલ્ફ્રેડ ઍડલર કહે, ‘દવા સાવ સાદી છે. બસ, તમે રોજ સવારે ઊઠો ત્યારે એક જ વિચાર કરો કે આજે મારે ઓછામાં ઓછા એક માણસને આનંદિત કરવો છે. એક એવું સત્કર્મ કરો કે જેનાથી અન્યના ચહેરા પર ખુશી આવે.’ ડૉક્ટર આલ્ફ્રેડ એડલરે પોતાના પુસ્તકમાં એવાં અનેક દૃષ્ટાંતો આપ્યાં છે કે જેમાં આ ઉપચારથી અનેક લોકોના જીવનમાંથી હતાશા, નિરાશા કે આત્મહત્યાના વિચારે વિદાય લીધી હોય. જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગ્યો હોય.

Categories
વાચન સમૃદ્ધિ

પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?

આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા  ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું ? આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એના સુખ અને દુ:ખનું કારણ છે. એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ, તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.

Categories
વાચન સમૃદ્ધિ

જીવનસંઘર્ષની કથા

અશ્વેત શિક્ષક અને ઉપદેશક લૉરેન્સ જોન્સ ચર્ચમાં વક્તવ્ય આપતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના એ દિવસો હતા અને ચોતરફ એવી અફવા ફેલાઈ હતી કે જર્મનો અમેરિકાના અશ્વેત લોકોને શાસન સામે ઉશ્કેરી રહ્યા છે. આવે સમયે અશ્વેત એવા લૉરેન્સ જોન્સે જીવનલક્ષી વક્તવ્ય આપતાં કહ્યું કે, ‘આ જીવન એ તો સંઘર્ષ છે. દરેક અશ્વેત માનવીએ એ સંઘર્ષ પોતાનાં શસ્ત્રોથી લડી લેવો જોઈએ. એ સંઘર્ષ પર વિજય હાંસલ કરવા માટે સતત મથ્યા કરવું જોઈએ.’ ચર્ચની બહાર કેટલાક ગોરાઓના કાને લૉરેન્સ જોન્સના શબ્દો પડ્યા. આ ગોરાઓએ ‘શસ્ત્રો’ અને ‘લડી લેવું’ એ બે શબ્દો સાંભળ્યા અને એમને થયું કે નક્કી, આ લૉરેન્સ જોન્સ અશ્વેતોને ઉશ્કેરી રહ્યો છે. જર્મનોની ચાલબાજીને સાથ આપી રહ્યો છે. બહાર એકઠા થયેલા ગોરાઓએ નક્કી કર્યું કે લૉરેન્સ જોન્સના ગળામાં ફાંસલો નાખવો અને એને લટકાવીને જીવતો સળગાવી દેવો. આ સઘળી તૈયારી થઈ ગઈ. લૉરેન્સના ગળામાં ફાંસો નાખવામાં આવ્યો, ત્યારે કોઈએ કહ્યું, ‘એને જીવતો સળગાવી દેતાં પહેલાં એની પૂરી વાત તો સાંભળો ?’ ગળામાં ફાંસલા સાથે લૉરેન્સે પોતાની વાત કહી. કેટલો બધો સંઘર્ષ ખેડીને એ આગળ વધ્યો એ કહ્યું અને એ ચર્ચમાં અશ્વેતોને કહેતો હતો કે અશ્વેત બાળકોએ આવી રીતે જીવનનો સંઘર્ષ ખેડીને સારા મિકૅનિકો, ખેડૂતો અને શિક્ષકો બનવું જોઈએ. બન્યું એવું કે જે ગોરાઓ લૉરેન્સ જોન્સને જીવતો સળગાવી દેવા ચાહતા હતા, તેઓ જ લૉરેન્સ જોન્સને એની ‘પીનેવુડ્ઝ કન્ટ્રી સ્કૂલ’ સ્થાપવા માટે સહાય જાહેર કરવા લાગ્યા. કોઈએ જમીન આપવાની જાહેરાત કરી, તો કોઈએ એને બેંચ આપવાની તો કોઈએ રકમ આપવાની સહાયની ઘોષણા કરી.