Categories
વાચન સમૃદ્ધિ

નરકવાસી બનવા માનવી તડપે છે

સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ કે નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે. મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ. જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી. પહેલાં ભીતરના નરકને જોઈએ. પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભાં કરેલાં દુઃખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોય તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યાં? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેઘધનુષના રંગો

બોરધીલ્ડ ડાહલે એના જીવનનાં લગભગ પચાસ વર્ષ અંધારી દુનિયામાં ગાળ્યાં. એણે એક આંખની રોશની ગુમાવી દીધી હતી અને બીજી આંખ પર થયેલા ઊંડા ઘાને કારણે એ પોણી ઢંકાયેલી રહેતી અને માત્ર બીજી આંખમાં આવેલા નાના કાણાથી એ માત્ર ડાબી બાજુનું જ જોઈ શકતી. આથી કંઈ પણ વાંચવું હોય, તો એને એ આંખની છેક નજીક રાખવું પડતું અને મહામુશ્કેલીએ થોડુંક વાંચી શકતી. ખેલકૂદના મેદાન પર જતી, ત્યારે મેદાન પર આંકેલી લીટીઓ એ જોઈ શકતી નહોતી, પછી રમવું કઈ રીતે? ડાહલ આ સ્થિતિથી મૂંઝાઈ નહીં. બધા રમીને જતા રહે પછી એ જમીન પર બેસીને અને ભાંખોડિયાભેર ચાલીને મેદાન પર આંકેલી એ લીટીઓ બરાબર જોતી અને મનમાં યાદ રાખી લેતી. એ પછી ધીરે ધીરે પ્રૅક્ટિસ કરવા લાગી અને બન્યું એવું કે ડાહલ એ રમત ખેલવા લાગી અને એમાં કામયાબ થવા લાગી. આંખની સાવ નજીક રાખીને પુસ્તક વાંચવું પડતું. ક્યારેક તો એની પાંપણ પાનાંને અડી જતી, આમ છતાં એણે યુનિવર્સિટીની બે-બે પદવી હાંસલ કરી. પહેલી પદવી મિનેસોટા યુનિવર્સિટીમાંથી મેળવી અને એ પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઑફ આર્ટ્સની પદવી મેળવી. સમય જતાં કૉલેજમાં અધ્યાપિકા બની. એ છેક બાવન વર્ષની થઈ ત્યારે એના જીવનમાં એક ચમત્કાર સર્જાયો. જાણીતા ક્લિનિકમાં એની આંખનું ઑપરેશન થયું અને એને ચાળીસ ટકા જેટલું દેખાવા લાગ્યું. બસ, પછી તો એની દુનિયા આનંદથી ઊભરાઈ ગઈ. સાબુના પરપોટાને પ્રકાશની વિરુદ્ધની દિશામાં રાખીને જોવા લાગી અને એમાં રચાતાં નાનાં નાનાં મેઘધનુષના રંગો આનંદભેર નીરખવા લાગી. બરફ વચ્ચે ઊડતી ચકલીને જોઈને આનંદથી નાચી ઊઠતી અને નાની નાની સુંદરતાઓનો અનુભવ મેળવીને પોતાની જિંદગીને આનંદથી ભરપૂર માણવા લાગી.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રદ્ધા સાથે સાવચેતી જરૂરી છે

જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે તેનાથી પૂર્ણ રૂપે પ્રભાવિત થઈ જશો તો તમારું વ્યક્તિત્વ ખંડિત રહી જશે. અખંડિત વ્યક્તિત્વની સાધના કરનાર રામ કે બુદ્ધ પાસે જશે, પરંતુ શ્રદ્ધાની સાથે સાવચેતી રાખશે. એમની પાસેથી જે કંઈ સાંપડશે, તેમાંથી જરૂરી ગ્રહણ કરશે. એમનું અનુકરણ કરવાને બદલે સ્વજીવનમાં એમની ગુણસમૃદ્ધિનો સાદર કરવાનો પ્રયત્ન કરશે. એમને આત્મસાત્ જરૂર કરો, પણ એમાં તમારી જાતને ડુબાડશો નહીં. વિભૂતિઓ કે સદગુરુની ભાવનાઓને પામવી, સમજવી અને આચરવી જોઈએ, પરંતુ એ ભાવનાને માર્ગે ચાલતાં વિભૂતિપૂજામાં દોરવાઈ જઈએ નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. હૃદયની ઊર્ધ્વતા માટે ભાવ જરૂરી છે, ભીતરની મસ્તી માટે ભક્તિ જરૂરી છે, આત્માને પંથે ચાલવા માટે મુમુક્ષુતા જરૂરી છે, પરંતુ એ બધું મેળવવા જતાં ક્યાંય ભૂલા પડી જઈએ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આત્મસાત્ કરવું તે શ્રદ્ધા છે. જાતને ડુબાડવી તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સત્ય પાસે લઈ જાય છે. અંધશ્રદ્ધા અંધકારમાં ડુબાડી દે છે. કોઈ બાબત જીવનમાં ઉતારવા જેવી લાગે તો એને જીવનમાં ઉતારીને આત્મસમૃદ્ધ બનવું, પરંતુ અમુક જ વ્યક્તિની કે વિભૂતિની વાત આંખો મીંચીને માનવી કે પાળવી તે તમારામાં અપૂર્ણતા સર્જશે. પૂર્ણ પાસે જાવ, ત્યારે અભિભૂત થઈને અતિભક્તિ ન કરશો. એમના હૃદયવૈભવને આત્મસાત્ કરીએ.