Categories
વાચન સમૃદ્ધિ

અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !

રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે  સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનનો સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે. એ નનામી પર સૂતેલા માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે. રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે. સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધ્વીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમ જેમ યાત્રા કરતી જાય તેમ તેમ ભીતરથી ઊર્ધ્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રવાસીનો પરિગ્રહ

પોલૅન્ડમાં હાફૅઝ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી.  એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી. એક અમેરિકને હાફૅજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં ! પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી ?’ હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું ?’ ‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને ! સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’ ‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.’ ‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’

Categories
વાચન સમૃદ્ધિ

માત્ર માનવજાતને ભેદભાવનું ભૂત વળગેલું છે

નદીના વહેતા પાણી પાસે કેવો સર્વજન સમભાવ છે ! નદી બધાને સરખું પાણી આપે છે. ગમતી વ્યક્તિને મીઠું પાણી અને અણગમતાને ખારું એવો કોઈ ભેદ નહીં. કોઈને શીતળ જળ આપે અને કોઈને ગરમ પાણી – એવુંય નહીં. જે કોઈ આવે, એને કશાય ભેદના ભાવ વિના એકસરખું જળ આપે છે. વૃક્ષ સતત વિકસતું રહે છે. એ ધરતીમાં ખીલે છે અને રણમાં પણ મળે છે. કાળમીંઢ પથ્થર પણ એનો વિકાસ રોકી શકતો નથી. એ તો મોટા, વિશાળ પથ્થરને ભેદીને પણ એની વચ્ચે પ્રગટ થાય છે. ધરતી સદાય સહન કરતી રહે છે. માણસ એના પર ચાલે કે દોડે એ તો ઠીક, કિંતુ એને ઊંડે સુધી ખોદે તોય સહેતી રહે છે. ક્યારેય એ માણસને ઠપકો આપતી નથી કે પછી એની ઇચ્છાનો ઇન્કાર કરતી નથી. સૂર્ય સદા સહુને ચાહે છે. એનો પ્રકાશ માત્ર ધનિકોના મહેલો સુધી સીમિત નથી, પણ ગરીબોની ઝૂંપડીનેય અજવાળે છે. એનું તેજ માત્ર માનવી સુધી મર્યાદિત નથી, પ્રાણીમાત્ર પણ પામે છે. અંધારી રાતે ટમટમ થતા તારા સહુની આંખોનો આનંદ બને છે. ગામને પાદરે ખાટલામાં સૂતેલા બાળકને કે આકાશ પર આંખ માંડીને બેઠેલા ખગોળવિજ્ઞાનીને એ સરખું તેજ આપે છે. નદી, વૃક્ષ, ધરતી, સૂર્ય કે આકાશ ભેદના કશાય ભાવ વિના કાર્ય કરે છે. એ માનવીની માફક પ્રેમભર્યો સંવાદ કરતા નથી, પરંતુ પ્રેમથી સહુની સાથે સમભાવ રાખે છે, ત્યારે એક માનવી જ કેવો કે જે ભેદભાવ વિના જીવી શકતો નથી ! એને જ્ઞાતિનો ભેદ ગમે, એને જાતિનો ગર્વ ગમે, એેને દેશના સાંકડા સીમાડા પસંદ પડે. જ્યાં હોય ત્યાં એ ભેદ શોધે, એને ધર્મનો ભેદ હોય કે ત્વચાના રંગનો ભેદ હોય. એને ભેદ વિના સહેજેય ન ચાલે. આ ભેદમાં એટલો ડૂબ્યો કે એ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો બની રહ્યો, પણ માણસાઈભર્યો માનવ ન રહ્યો.