Categories
વાચન સમૃદ્ધિ

હિંમતે મર્દા

વિદ્યુત ચુમ્બકત્વની ઘટના સમજવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડે(ઈ. સ. ૧૭૯૧-૧૮૬૭)નો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં થયો હતો. પોતાના ભરણપોષણને માટે લંડન શહેરના રસ્તાઓ પર એ અખબારો વેચતો હતો. વળી વચ્ચે સમય મળે ત્યારે અભ્યાસ કરી લેતો. એને એક પ્રકાશનગૃહમાં મદદનીશની નોકરી મળી અને એ પુસ્તકોનું બાઇન્ડિંગ કરવા લાગ્યો. ખાટા લીંબુમાંથી લીંબુનું મધુર સરબત બનાવવાનો કીમિયો માઇકલ ફૅરડે પાસે હતો. એને બુકબાઇન્ડરને ત્યાં નોકરી કરવાની સાથોસાથ જુદા જુદા વિષયનાં પુસ્તકો વાંચવાની તક મળી. એનો પરિશ્રમ, પ્રતિભા, અને પ્રામાણિકતા જોઈને પ્રકાશનગૃહના માલિક પ્રભાવિત થયા અને એક દિવસ એમની ભલામણને કારણે માઇકલ ફૅરડેને ફિલૉસૉફીનો અભ્યાસ કરવાની તક મળી.  ધીરે ધીરે એની રુચિ વિજ્ઞાનમાં વિકસતી ગઈ. એણે વિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીનું પ્રવચન સાંભળ્યું. એમનાં ચાર પ્રવચનોનાં વિષયવસ્તુ પર આધારિત લેખ લખીને રૉયલ સોસાયટીને મોકલ્યો, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. આમ છતાં એ હિંમત હાર્યો નહીં. એણે એ ભાષણો પર નવેસરથી લખીને એ લેખ ખુદ સર હમ્ફ્રી ડેવીને જ મોકલ્યો. એક વાર એ સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે હમ્ફ્રી ડેવી સ્વયં એને મળવા આવ્યા અને એકવીસ વર્ષના આ યુવાનને પોતાના મદદનીશ તરીકે રાખી લીધો. એ પછી તો માઇકલ ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. કોલહારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું અને એમણે કરેલું પ્રકાશના ધ્રુવીભવન-તલના ભ્રમણનું સંશોધન ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે આજેય પ્રસિદ્ધ છે. માઇકલ ફૅરડે ઘણું ઓછું ભણ્યો હતો, પણ વિશ્વના અત્યંત પ્રભાવક વિજ્ઞાનીઓમાંનો એક બન્યો. ઇલેક્ટ્રિક મોટર ટૅકનૉલૉજીમાં એનાં સંશોધનો પાયારૂપ બન્યાં અને એના અથાગ પુરુષાર્થને પરિણામે ટૅકનૉલૉજીમાં વિદ્યુતનો ઉપયોગ થવા લાગ્યો. આ રીતે ફૅરડે એક કુશળ પ્રયોગ-વીર હતો અને પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ ભાષામાં પ્રગટ કરી શકતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સુખ-દુ:ખના છેડા પર ઘૂમતું લોલક

આપણા સુખ અને આપણા દુ:ખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંત:કરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુ:ખ પામીએ છીએ. આમ સુખ આપણું અને દુ:ખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુ:ખી દુ:ખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુ:ખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે. કઈ ક્ષણે સુખ મળશે  અને કઈ ઘડીએ દુ:ખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ. દુ:ખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુ:ખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુ:ખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુ:ખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટ્રેસનો ઇલાજ

પ્રસિદ્ધ મનોવિજ્ઞાનિક ડૉ. વિલિયમ એલ. સેડલરના ક્લિનિકમાં એક દર્દી આવ્યો. એ સમયે ડૉક્ટર બીજા એક ડૉક્ટર સાથે ચર્ચા કરતા હતા. આ દર્દી એક મોટી કંપનીનો ઑફિસર હતો. એ ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. કામના બોજથી ખૂબ થાકી ગયેલો અને એના ભારથી મનથી સાવ નંખાઈ ગયેલો હતો. એ ઑફિસર વિચારતો હતો કે હવે આવી રીતે વધુ લાંબો સમય જીવી શકાય તેમ નથી, મૃત્યુ એ જ જીવનના બોજથી મુક્તિનો ઉપાય છે. આથી એ ડૉક્ટર સેડલરની પાસે સલાહ લેવા આવ્યો હતો. કંપનીના ઑફિસરે જોયું કે ડૉ. સેડલર એકેએક કામ ખૂબ ઝડપથી પતાવતા હતા. કોઈનો ફોન આવે તો ફોન પર જ એને ઉત્તર આપી દેતા હતા. કોઈનો પત્ર આવે, તો પોતાની સેક્રેટરી પાસે એનો તત્કાળ પ્રત્યુત્તર લખાવતા હતા. સેડલર પાસે દર્દી આવ્યો, ત્યારે એને કહ્યું, ‘સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. હું કામને વિલંબમાં નાખવામાં માહેર હોવાથી એના બોજથી વધુ ને વધુ ટેન્શનમાં રહેતો હતો. જરા, મને આપના ટેબલનું ખાનું ખોલીને બતાવશો.’ દર્દી તરીકે આવેલા કંપનીના ઑફિસરને ડૉ. સેડલરે જ્યારે પોતાના ટેબલનું ખાનું બતાવ્યું, ત્યારે એમાં કોઈ કાગળો નહોતા. કંપનીના ઑફિસરે પૂછ્યું, ‘ડૉક્ટર ! જે કામ પેન્ડિંગ હોય તેના કાગળો ક્યાં રાખો છો ?’ સેડલરે કહ્યું, ‘હું બધાં જ કામ પતાવી દઉં છું. ટપાલ આવે તો તરત પ્રત્યુત્તર લખાવી દઉં છું, આથી કોઈ કામ બાકી રાખતો નથી.’ કંપનીના ઑફિસરને સમજાયું કે કાગળો સંઘરી રાખવા, તત્કાળ જવાબ આપવાને બદલે પ્રમાદ સેવવો, અધૂરાં કામોનો નિર્ણય આવતીકાલ પર મુલતવી રાખવો – આ બધી બાબતોને કારણે એને માનસિક તણાવ થતો હતો.