Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાનો પ્રત્યુત્તર

દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફળ આગેવાની પૂરી પાડનાર રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલ (જ. ૩૦ નવેમ્બર ૧૮૭૪; અ. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫) મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા. હિટલરના ભયની સામે અંગ્રેજ પ્રજાનું ખમીર અને દેશાભિમાન ટકાવી રાખનાર વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાની વાક્છટાને કારણે તથા આગવી લેખનશૈલીને કારણે પણ પ્રસિદ્ધ થયા હતા. એમની પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યાં. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું.

એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, ‘મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વક્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.’ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, ‘તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?’ ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, ‘માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.’

Categories
વાચન સમૃદ્ધિ

અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !

રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે  સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનનો સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે. એ નનામી પર સૂતેલા માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે. રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે. સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધ્વીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમ જેમ યાત્રા કરતી જાય તેમ તેમ ભીતરથી ઊર્ધ્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રવાસીનો પરિગ્રહ

પોલૅન્ડમાં હાફૅઝ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી.  એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી. એક અમેરિકને હાફૅજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં ! પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી ?’ હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું ?’ ‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને ! સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’ ‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.’ ‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’