Categories
વાચન સમૃદ્ધિ

જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની  ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્વાસ જેવું જ્ઞાન

શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯થી ઈ. સ. પૂ. ૩૯૯) એમ કહેતા કે મેં મારાં માતાપિતાનો વારસો બરાબર જાળવ્યો છે. જેમ શિલ્પી પથ્થરમાંથી માનવની આકૃતિ કંડારે છે, એ જ રીતે હું મારા વિચારોથી માનવવ્યક્તિત્વને કંડારું છું અને જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળક બહાર કાઢે છે, એ રીતે હું લોકોના મનમાંથી અજ્ઞાન બહાર કાઢું છું. આવા અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતા મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો અને એણે કહ્યું, ‘મારે તમારી માફક ખૂબ જ્ઞાન મેળવવું છે. સમર્થ જ્ઞાની બનવું છે. તમારા જેવા થવું છે, તો જ્ઞાની બનવાનો કોઈ ઉપાય બતાવો ને ?’ સૉક્રેટિસે એ યુવાનને પોતાની પાછળ આવવા ઇશારો કર્યો અને પછી એને દરિયાની વચ્ચે લઈ ગયા અને એનું માથું પકડીને દરિયાના પાણીમાં ડુબાડ્યો. યુવક ગૂંગળાઈ ગયો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સૉક્રેટિસની પકડમાંથી છૂટવા અને પાણીમાંથી બહાર નીકળવા હવાતિયાં મારવા લાગ્યો. એને સામે મૃત્યુ દેખાવા લાગ્યું. આખરે એને એમ લાગ્યું કે હવે તો એ મરી જશે, ત્યારે સૉક્રેટિસે એને પાણીમાંથી બહાર કાઢ્યો. યુવાનના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આવું હિંસક કૃત્ય કેમ કર્યું ?’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘એ કૃત્ય કરવાના કારણમાં જ તારી વાતનો જવાબ છે. જ્યારે તું ગૂંગળાઈ મરવાની તૈયારીમાં હતો, ત્યારે તને સૌથી વધુ શેની જરૂર લાગી હતી?’ યુવાને કહ્યું, ‘શ્વાસની, હવાની. તરફડિયાં મારતો હતો, ત્યારે એમ લાગ્યું કે હવે મારું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે. શ્વાસ લેવા મળશે, તો જ બચીશ.’ ‘બસ, તો જ્યારે શ્વાસ જેટલી જરૂર તને જ્ઞાનની લાગે, ત્યારે જ તું જ્ઞાની બની શકીશ. ખ્યાલ આવ્યો ને !’ યુવાન સૉક્રેટિસની વાતનો મર્મ પારખી ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

માયાળુ બનીને જીતવું

અમેરિકાના તારણહાર અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૬૫) ગુલામી પ્રથાની નાબૂદી માટે પ્રયાસ કરતા હતા. અમેરિકાની સમવાય સરકાર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ. અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. ૧૮૬૨ની ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિકની હેસિયતથી એમણે ગુલામીપ્રથાની નાબૂદીની ઘોષણા કરી, ગુલામીની મુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું અને પરિણામે ૪૦ લાખ ગુલામો મુક્ત થયા. વિરોધી રાજ્યોએ આ ઘોષણાનો અસ્વીકાર કર્યો અને દેશમાં આંતરવિગ્રહ જાગી ઊઠ્યો. ૧૮૬૧ની પંદરમી એપ્રિલે અબ્રાહમ લિંકને એક જાહેરનામું બહાર પાડીને બંડખોર રાજ્યો સામે યુદ્ધની જાહેરાત કરી. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોએ સહકાર આપવામાં ઉત્સાહ દાખવ્યો પણ દક્ષિણનાં રાજ્યોએ સહકાર આપવાનો ઇન્કાર કર્યો. દેશની અખંડિતતા જાળવવા પોતાના જ દેશબાંધવો સામે યુદ્ધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. આ આંતરવિગ્રહ સમયે દક્ષિણનાં રાજ્યોનો એક અમલદાર પકડાયો અને એને મોતની સજા ફરમાવવામાં આવી. અબ્રાહમ લિંકનને એની જાણ થતાં એમણે તરત જ જનરલ રોજક્રેન્સને પત્ર લખીને કહ્યું કે, ‘આ કેસ તમારો કહેવાય. તેમાં મુલ્કી સત્તાવાળાઓ કશી દખલ કરી શકે નહીં. પણ હું આશા રાખું છું કે આ કેસમાં તમે ન્યાયની દૃષ્ટિએ વિચારશો. ભૂતકાળનો બદલો લેવાની દૃષ્ટિએ નહીં અને ભવિષ્યની સલામતી માટે આવશ્યક હોય, તે નજરે જોશો.’ આટલું લખ્યા પછી અબ્રાહમ લિંકને લખ્યું, ‘આપણે કોઈ વિદેશી દુશ્મન સામે લડી રહ્યા નથી, પરંતુ આપણા ભાઈઓ સામે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. આપણો હેતુ એમનો જુસ્સો તોડવાનો નથી, પણ એમને મૂળ વફાદારીના સ્થાને પાછો લાવવાનો છે અને તેથી જનરલસાહેબ, માયાળુ બનીને જીતવું એ જ આપણી નીતિ છે.’ લિંકનનો આ પત્ર વાંચીને જનરલ રોજક્રેન્સે વિરોધી દળના અધિકારીની સજા હળવી કરી.