Categories
વાચન સમૃદ્ધિ

સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે

જેને આધાર રૂપે સ્વીકારીને વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન જેના પર ટેકવી દે છે એ સત્ય છે કે માત્ર સાંત્વના છે, એની એણે ખોજ કરવી જોઈએ. વ્યક્તિ સત્ય પામવા રાજી હોતો નથી, કારણ કે એ સત્ય આકરું હોય છે અને એની પ્રાપ્તિ માટે ઘણી તાવણીમાં તપવું પડે છે. સત્ય એ કોઈ જાતની બાંધછોડ કે શિક્ષક કહેશે તોપણ હું ચોરી નહીં કરું. એમાં સત્યનો સ્વીકાર છે, જ્યારે સાંત્વના શોધનારો માણસ એમ કહેશે કે જ્યારે શિક્ષક જ ચોરી કરવાનું કહે છે, તો પછી ચોરી કરવામાં વાંધો શો ? ચોરી કરી શકાય. આમ સાંત્વના એ કોઈ એક એવું આશ્વાસન શોધી કાઢશે અને પછી વ્યક્તિ એને સર્વમાન્ય ગણીને એનું જીવન ગાળતો રહેશે. આવી સાંત્વનાઓની જનની જૂઠાણું છે. એક ખોટી કે જુઠ્ઠી વાતને સ્વીકારીને વ્યક્તિ એમાંથી આશ્વાસન મેળવતો હોય છે. એ પોતાની નિષ્ફળતાને સમજવાને બદલે પોતાનાં કર્મોને દોષ આપતો હોય છે. ક્યારેક તો પૂર્વજન્મમાં કરેલાં કાર્યોને કારણે આવું થયું હશે એમ કહીને મનને મનાવતો હોય છે. ક્યારેક એ ઋણાનુબંધનો આશરો લેતો હોય છે અને જેની સાથે એને દુર્ભાવ હોય, એને અંગે એમ માનતો હોય છે કે એની સાથે એનો ઋણાનુબંધ નથી ! ક્યારેક આવી સાંત્વના મેળવવા માટે એ તંત્ર, મંત્ર કે જ્યોતિષનો આશરો લેતો હોય છે અને જ્યોતિષી એને એમ કહે કે એના જીવન પર કોઈ ગ્રહની કુદૃષ્ટિ છે એટલે એ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓને માટે ગ્રહની કુદૃષ્ટિનું આશ્વાસન મેળવી લે છે. આમ અસત્ય વસ્તુઓને પણ પરમ સત્ય તરીકે સ્વીકારવા લાગે છે અને એનું પરિણામ એ આવે છે કે એનું આખુંય જીવન એ સાંત્વના અને આશ્વાસનનાં સ્થાનો શોધવામાં જાય છે. સત્યના સૂર્યનું એક કિરણ પણ એને લાધતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મારે શી ફિકર ?

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વમાં શરૂઆતના અગ્રણી મોટર ઉત્પાદક હેન્રી ફોર્ડે (ઈ. સ. ૧૮૬૩થી ૧૯૪૭) જગતને મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનનો ‘ઍસેમ્બ્લી પ્લાન્ટ’ આપ્યો, જે આજે મોટર, ટ્રક અને સ્કૂટરના ઉત્પાદનમાં જ નહીં, પણ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિઝરેટરો વગેરેના નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને એનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવા માટે ‘ઍસેમ્બ્લી લાઇન’ના સિદ્ધાંત તરીકે અમલમાં મુકાય છે. મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનથી અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પ્રભાવ પાડનાર આ ઉદ્યોગપતિ સતત ફોર્ડ કારનાં જુદાં જુદાં મૉડલનું ઉત્પાદન કરતા હતા તેમજ ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર ઉત્પાદન અને યુદ્ધના માલસામાનના ઉત્પાદનમાં પણ કાર્યરત હતા. એ સમયે અમેરિકાના સામાજિક અને આર્થિક જીવન પર હેન્રી ફોર્ડનો ઘણો પ્રભાવ પડ્યો. આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગપતિએ જહાજખરીદી અને ગ્રંથલેખન પણ કર્યું. આવા હેન્રી ફોર્ડના અવસાનનાં થોડાં વર્ષ પહેલાં ડેલ કાર્નેગી એની મુલાકાતે ગયા. માનવમનના પારખુ ડેલ કાર્નેગીએ એવી કલ્પના કરી હતી કે આટલાં બધાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અને કેટલાય પ્રકારના કારોબાર સંભાળતા હેન્રી ફોર્ડ અત્યંત વ્યસ્ત હશે. કામના બોજથી દબાયેલા હશે, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ હશે અને મન સ્ટ્રેસ ધરાવતું હશે. એ સમયે હેન્રી ફોર્ડની ઉંમર ૭૮ વર્ષની હતી, આમ છતાં એ તદ્દન શાંત, સૌમ્ય અને સ્વસ્થ દેખાતા હતા. ડેલ કાર્નેગીને આ જોઈને ભારે આશ્ચર્ય થયું. એણે કહ્યું કે તમે દેશની કાયાપલટ કરી છે, આટલો વિશાળ કારોબાર સંભાળો છો અને છતાં તમારા ચહેરા પર કેમ કોઈ ચિંતા દેખાતી નથી ? ‘ચિંતાઓ ? ના, હું તો એમાં દૃઢ વિશ્વાસ ધરાવું છું કે ઈશ્વર જ મારા વ્યવસાયની સઘળી વ્યવસ્થા કરે છે અને એની દેખરેખના અંતે બધાં કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થાય છે, પછી મારે એની ચિંતા-ફિકર કરવાની શી જરૂર ?’ ફોર્ડે ઉત્તર વાળ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે

કૈકેયીના કારણે રામને વનવાસ ભોગવવો પડ્યો, તેમ છતાં એ સદૈવ કૈકેયીનો ઉપકાર માનતા રહ્યા. ચંડકૌશિક નામના દૃષ્ટિવિષ સર્પે વિના કારણે ભગવાન મહાવીરને દંશ દીધો, છતાં મહાવીર એના પર વાત્સલ્ય વેરતા રહ્યા. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવનાર પ્રત્યે એમની કરુણા વહેતી જ રહી. આવું કેમ બન્યું હશે ? કૈકેયી પ્રત્યે ગુસ્સો, ચંડકૌશિક પ્રત્યે ક્રોધ અને વધસ્તંભે ચઢાવનારા પ્રત્યે ધિક્કાર કેમ જાગ્યો નહીં ? કારણ એટલું જ કે એમના હૃદયમાં ગુસ્સો, ક્રોધ કે ઘૃણાની વૃત્તિ જ નહોતી. જે હૃદયમાં ન હોય, તે પ્રગટ કેવી રીતે થાય ? હકીકતમાં વૃત્તિ મનમાં વસતી હોય છે અને પછી એને યોગ્ય આધાર કે આલંબન મળતાં એ પ્રગટ થતી હોય છે. તમારા મનમાં ક્રોધવૃત્તિ પડેલી જ હોય અને પછી કોઈ અપશબ્દ બોલે કે અપમાન કરે, એટલે કે વૃત્તિના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. મનમાં મોહ સળવળતો જ હોય અને જેવી કોઈ આકર્ષક વસ્તુ કે વાસનાનું સ્થાન જુએ એટલે મોહ તત્ક્ષણ પ્રગટ થશે. આનો અર્થ એ છે કે તમે ક્રોધિત થતા નથી, પરંતુ તમારા મનમાં  રહેલી ક્રોધની વૃત્તિ જ ક્રોધનું કારણ શોધતી હોય છે અને સહેજ કારણ મળી જાય, એટલે એ ક્રોધ પ્રગટ થતો હોય છે. ધીરે ધીરે એ વૃત્તિ એટલી બધી પ્રબળ બને છે કે પછી તમારો ભીતરનો એ ક્રોધ પ્રગટવા માટે બહાર સતત કારણો શોધતો હોય છે અને સહેજ નાનું કારણ મળે એટલે એ તરત પ્રગટ થતો હોય છે. પહેલાં જે વૃત્તિ હતી, એ સમય જતાં આદત બની જાય છે અને પછી એને ક્રોધ કર્યા વિના ફાવતું નથી. એનો મોહ પહેલાં નાની નાની બાબતો ઉપર આધારિત હતો, તે હવે મોટી મોટી વસ્તુઓનો મોહ રાખે છે. નાની ચોરીથી થયેલી શરૂઆત મોટી ધાડમાં પરિણમે છે.