Categories
વાચન સમૃદ્ધિ

જિસસને પ્રવેશબંધી

વિશ્વમાં સૌથી મોટો ભેદભાવ એ શ્વેત (ગોરા) અને અશ્વેત (કાળા) લોકો વચ્ચે જોવા મળે છે. એક સમયે અશ્વેત લોકોને શ્વેત લોકોએ ગુલામ બનાવ્યા. એમના પર માલિકીહક ભોગવ્યો. એમની પાસે કાળી મજૂરી કરાવી. આ અશ્વેત લોકોને માટે રહેવાના જુદા વિસ્તારો હતા. ટ્રેનમાં જુદા ડબ્બાઓ હતા અને હોટલ, ગાર્ડન કે અમુક ચર્ચમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. એક શ્રદ્ધાળુ અશ્વેત એક વાર ચર્ચમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે ચર્ચના પાદરીએ તેને અટકાવ્યો. એણે કહ્યું, ‘આ ચર્ચમાં આવીને તમને પ્રાર્થના કરવાનું મન થાય તે હું સમજી શકું છું, પરંતુ પ્રાર્થના કરવી તમને માફક નહીં આવે. અહીં માત્ર શ્વેત લોકોને જ પ્રવેશ છે.’ પેલી અશ્વેત વ્યક્તિ ચર્ચના બારણે ઊભી રહી ગઈ. પાદરીનાં વચનો સાંભળીને ખૂબ નિરાશ થઈ. પાદરીએ એને કહ્યું, ‘તમારી ચામડીના કાળા રંગને કારણે તમે અહીં પ્રાર્થના કરવા માટે પ્રતિબંધિત છો, એને માટે બીજે ક્યાંક જાઓ.’ ‘ચર્ચ સિવાય બીજે ક્યાં જાઉં ?’ પાદરીએ કહ્યું, ‘તમે ઈશુને પ્રાર્થના કરો કે એ તમને કોઈ રસ્તો સુઝાડે.’ થોડાક સમય બાદ પેલા ગર્વિષ્ટ અને રંગદ્વેષી પાદરીને આ અશ્વેત સજ્જન બજારમાં મળી ગયા. પાદરીએ એની ખબર પૂછી. કયા ચર્ચમાં જઈને પ્રાર્થના કરી તેની માહિતી મેળવી, ત્યારે પેલી અશ્વેત વ્યક્તિએ કહ્યું, ‘તમે મને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તમારા સૂચન પ્રમાણે મેં જિસસને પ્રાર્થના કરી. એ પછી પેલી પ્રવેશબંધી અંગે એમને વાત કરી. ત્યારે જિસસે મને કહ્યું, ‘અરે ભાઈ, તું મહેરબાની કરીને એ ચર્ચમાં પ્રવેશવાનો પ્રયત્ન ન કરીશ. તું નિષ્ફળ જ જવાનો. હું પોતે વર્ષોથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજી મને કોઈ સફળતા મળી નથી.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સરળ બનવું, તે સૌથી અઘરું છે

સત્ય બે-પરવા હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી. જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે. અસત્યનું એક ટીપું ક્રમશ: સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ? સત્યનો નિવાસ સરળ અંત:કરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંત:કરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે ? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે. માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યોગ્ય વળતર

અમેરિકાના પ્રમુખ થયા પૂર્વે અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫) એક સફળ અને નામાંકિત વકીલ હતા. એ સમયે વકીલાતનો વ્યવસાય પ્રમાણિક ગણાતો નહીં. એમાં કાવાદાવા અને છેતરિંપડી ચાલતાં હતાં. સામા પક્ષના સાક્ષીઓને ફોડવા માટે લાંચરુશવત પણ અપાતી હતી. ખોટા કેસને બુદ્ધિચાતુર્યથી કે આક્રમક દલીલબાજીથી સાચા સાબિત કરવાની પેંતરાબાજી પણ થતી, ત્યારે અબ્રાહમ લિંકન કદી પ્રલોભનને વશ થયા નહીં. હીન પ્રણાલીથી અળગા રહ્યા. આ વ્યવસાયને એમના માનવતાવાદી હૃદયસ્પર્શથી એક ગૌરવ અપાવ્યું. પોતાના અસીલની સ્થિતિ પ્રમાણે એની પાસેથી એ વકીલાતની ફી લેતા. કેટલાક કેસમાં તો એ ફી જતી પણ કરતા, પરંતુ જો કોઈ એમના કામની કિંમત ઓછી આંકે અને હાથે કરીને કે ઉપેક્ષાભાવથી મળવી જોઈએ એના કરતાં ઓછી ફી આપવાનો પ્રયત્ન કરે, તો એને બરાબર પદાર્થપાઠ પણ શીખવતા. એક રેલવે કંપનીએ અબ્રાહમ લિંકનને સરક્યૂટ કોર્ટમાં પોતાના વતી કેસ લડવાની કામગીરી સોંપી. અબ્રાહમ લિંકનની સામે ઘણા સમર્થ અને નામાંકિત વકીલો હતા. આ કેસમાં લિંકનની હાર થઈ, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી અને જીત મેળવી. તેને પરિણામે કંપનીને લાખો ડૉલરનો ફાયદો થયો. અબ્રાહમ લિંકને રેલવે કંપનીને બે હજાર ડૉલરની ફીનું બિલ મોકલ્યું, ત્યારે રેલવેના મૅનેજરે કહ્યું, ‘આટલી બધી ફી હોય ? આટલી ફી આવા સામાન્ય વકીલને ન અપાય.’ એમ કહીને લિંકનને એની ફી પેટે બસો ડૉલરનો ચેક મોકલી આપ્યો. લિંકને જોયું કે આ મૅનેજરને એમના કામની કશી કદર નથી. કંપનીને લાખો ડૉલરનો ફાયદો કરી આપ્યો, છતાં માત્ર બસો ડૉલરનો ચેક મોકલ્યો છે. આજે મારી આવી અવગણના કરે છે. આવતીકાલે બીજાની પણ કરશે. આથી લિંકને રેલવે કંપની પર પાંચ હજાર ડૉલરનો દાવો માંડ્યો. લિંકન એ કેસમાં જીત્યા. બે હજારને બદલે એમને પાંચ હજાર ડૉલર મળ્યા.

કુમારપાળ દેસાઈ