Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણની આહુતિ

એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને  સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.

Categories
વાચન સમૃદ્ધિ

જીવતા દેહને સતત સળગાવનારી ચિતા

તમે રાત-દિવસ ચિંતાથી ઘેરાયેલા રહો છો ? તમારું મન આ પ્રકારની કે તે પ્રકારની ચિંતાથી વિહવળ રહ્યા કરે છે ? ભૂતકાળની ચિંતા, ભવિષ્યની ફિકર અને વર્તમાનની અકળામણ તમારા મનને સતત પરેશાન કરે છે. જાણે જીવનનો પર્યાય જ છે ચિંતા ! સવાલ એ જાગે કે આ ચિંતા કેમ કેડો જ છોડતી નથી ! પરંતુ તમારી આ ચિંતાઓમાં કેટલીક ચિંતા એવી છે કે જે વ્યર્થ અને અર્થહીન છે. અમુક પરિસ્થિતિને તમે બદલી શકો તેમ નથી, છતાં તેને માટે ચિંતા કર્યે જાવ છો. માણસની પ્રકૃતિને તમે ફેરવી શકો તેમ નથી, છતાં એની કોશિશમાં ડૂબેલા છો. સમાજની તરાહ કે દેશનાં દૂષણોની ફિકર કરીને કરીશું શું ? આમ ચિંતા કરીને સમય અને જીવનને વ્યર્થ બરબાદ કરશો નહીં. ચિતા માનવીના મૃતદેહને જલાવે છે, પણ એ પૂર્વે ચિંતાએ એના જીવંત દેહને કેટલીય વાર જીવતો સળગાવ્યો છે. ક્યારેક વર્તમાનની સમસ્યાએ એનામાં ચિંતા ઊભી કરી છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાએ એનામાં ચિંતાનું સર્જન કર્યું છે. ચાળીસ વર્ષના માનવી પાસે ચારસો વર્ષ ચાલે તેટલું ચિંતાનું ભાથું હોય છે. વળી એ પોતાની ચિંતા બીજાનેય ઉધાર આપતો રહે છે. બીજી બાબત એવી છે કે જેને તમે ફેરવી શકો છો, બદલી શકો છો, તેની ચિંતા છોડીને તેને એના પરિવર્તનના કામમાં મંડી પડો ! ચિંતા કરવાને બદલે અમલનો વિચાર કરો. ચિંતા મનનો બોજ સતત વધારતી રહે છે. ચિંતા તો નાની હોય છે, પણ એનો જ વિચાર કરવાને કારણે દસ ગણી મોટી થઈ જાય છે ! મૂળ પ્રશ્ન નાનો હોય, પણ ચિંતાને કારણે મહાપ્રશ્ન બની જાય છે, માટે ચિંતાને તમારા જીવનમાં યોગ્ય સ્થાન આપો. ક્યાં છે એ ચિંતાનું તમારા જીવનમાં સ્થાન ? એનું સ્થાન છે તમારા જીવનની બહાર !

Categories
વાચન સમૃદ્ધિ

હિંમત ન હારશો

સ્ટિફન ઍડવિન કિંગ(જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭)ના દરિયાઈ વેપાર ખેડતા પિતા સ્ટિફન માત્ર બે વર્ષનો હતો, ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા અને સ્ટિફનની માતાને માથે સ્ટિફન અને એના મોટા ભાઈ ડેવિડને ઉછેરવાની જવાબદારી આવી. આ સમયે સ્ટિફન કિંગને એક ટંક ભોજનના પણ સાંસા હતા, ત્યાં વળી કાગળ અને પેન ખરીદે ક્યાંથી ? બાળપણથી જ ડરામણી વાતો સાંભળવાના બેહદ શોખીન આ છોકરાને મન થયું કે આ સાંભળવા મળતી સઘળી વાતોને એક કાગળ ઉપર ઉતારી લઉં તો ! પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ હોવા છતાં એ પરાજિત થયો નહીં અને એમાં વળી એણે સિન્ડ્રેલાની વાર્તા વાંચી. ખૂબ પસંદ પડી. એણે આવી એક કાલ્પનિક છોકરી વિશે વિચાર કર્યો અને પોતાની કલ્પનાઓને વાસ્તવિકતાથી સજાવીને એક આખી નવલકથા લખી નાખી. નવલકથા પૂરી થયા પછી એણે વાંચી, તો લાગ્યું કે આવી ચમત્કાર ભરેલી અને ડરામણી નવલકથા વાંચશે કોણ ? આમ વિચારીને એણે નવલકથાની હસ્તપ્રતને કચરાપેટીને હવાલે કરી દીધી. એની પત્નીની નજર સ્ટિફનની આ હસ્તપ્રત પર પડી અને એણે કચરાની ટોપલીમાંથી હસ્તપ્રત બહાર કાઢીને પતિને ઉત્સાહ આપતાં કહ્યું, ‘તમારી આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થશે, ત્યારે એને ખૂબ ખ્યાતિ મળશે.’ પત્નીની વાતનો સ્વીકાર કરીને સ્ટિફન નવલકથાની હસ્તપ્રત લઈને પ્રકાશકોને મળવા લાગ્યો. ઘણાએ વ્યંગ સાથે એની આ નવલકથા પરત કરી. અંતે ડબલડે નામના પ્રકાશન સમૂહને એ નવલકથા મોકલી. સ્ટિફન કિંગને એમ જ હતું કે નવલકથા હસ્તપ્રત પાછી જ આવશે, પરંતુ ડબલડેએ આ નવલકથાને ‘કેરી’ના નામથી પ્રગટ કરી અને સ્ટિફનને ચારસો ડૉલર પારિશ્રમિક આપ્યું. એ પછી સ્ટિફનનું નસીબ પલટાઈ ગયું. પેપરબેક પ્રગટ કરવા માટેના હક્ક એક પ્રકાશકે બે લાખ ડૉલર આપીને ખરીદી લીધા અને સ્ટિફન ‘હોરરના બાદશાહ’ તરીકે અમેરિકામાં પ્રસિદ્ધ થયા. સ્ટિફન કિંગનાં પુસ્તકોની અત્યાર સુધીમાં ત્રણ કરોડ અને પચાસ લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને એમાંનાં ઘણાં પુસ્તકો પરથી ફીચર ફિલ્મ, કૉમિક બુક અને ટેલિવિઝન ધારાવાહિક પણ થઈ છે.