Categories
વાચન સમૃદ્ધિ

મીઠાનો ગાંગડો મને પાછો

આપ ================

ગૌતમ ગોત્રના અરુણિ ઋષિના પુત્ર અને ધૌમ્ય ઋષિના શિષ્ય ઉદ્દાલક ઋષિ સમક્ષ એમના જ્યેષ્ઠ પુત્ર શ્વેતકેતુએ અતિ ગહન અને મહત્ત્વપૂર્ણ જિજ્ઞાસા પ્રગટ કરી. અત્યાર સુધી શ્વેતકેતુએ આત્મા સંબંધી ઘણા વિચારો અને ચર્ચાઓ સાંભળ્યાં હતાં. એ પોતાનું શરીર પ્રત્યક્ષ જોઈ શકતો હતો, કિંતુ એનો આત્મા અગોચર હતો. એના મનમાં વારંવાર શંકા જાગતી કે આ બધા આત્મનિષ્ઠ પુરુષો આત્માની ચર્ચા-વિચારણા કરે છે, પણ તે હવામાં બાચકાં ભરવા જેવી તો નહીં હોય ને ! શ્વેતકેતુએ પોતાના આત્મા વિશેનો સંશય પ્રગટ કર્યો. એના પિતા અને મહાન ઋષિ ઉદ્દાલકે એને મીઠાનો એક નાનો ગાંગડો લઈ આવવાનું કહ્યું. એ ગાંગડો ઋષિએ પાણીથી ભરેલા પાત્રમાં નાખવા કહ્યું. બીજા દિવસે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે પેલું પાણી ભરેલું પાત્ર લાવ અને મેં આપેલો મીઠાનો ગાંગડો પાછો આપ. શ્વેતકેતુએ કહ્યું, ‘મીઠાનો એ ગાંગડો પાણીમાં નાખી દીધો છે. મીઠાનું કોઈ અલાયદું અસ્તિત્વ રહ્યું નથી. હવે તમને કેવી રીતે પાછો આપું ?’ વેદ-વેદાંગના પારંગત ઉદ્દાલક ઋષિએ કહ્યું, ‘કશો વાંધો નહીં. આ પાત્રમાં જે પાણી છે તેના ઉપરના ભાગમાંથી પાણી લઈને એક ઘૂંટડો પી જા. પછી એના સ્વાદ વિશે મને કહેજે.’ શ્વેતકેતુ ઉપરનું પાણી પી ગયો અને કહ્યું કે આ તો મીઠાનું અત્યંત ખારું પાણી છે. આથી પિતાએ કહ્યું, ‘શ્વેતકેતુ, આ પાત્રમાંથી ઉપરનું પાણી કાઢી નાખ અને વચ્ચેનું પાણી પી જા. શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને મધ્યભાગનું પાણી પીધું, તો એ પણ ખૂબ ખારું હતું. ઉદ્દાલક ઋષિએ ફરી કહ્યું, ‘ખેર, આ પાત્રમાં રહેલા પાણીના ઉપરના ભાગમાં ખારાશ છે, વચ્ચે ખારાશ છે. હવે એકદમ નીચે રહેલું પાણી પીઓ.’ શ્વેતકેતુએ પાત્રની સાવ નીચે રહેલા પાણીને લઈને પીવાનો પ્રયત્ન કર્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, આ તો ખૂબ ખારું છે. આ સાંભળી ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘પ્રિય પુત્ર, આ બધું જ મીઠાના ગાંગડા જેવું છે. હવે તને તારી વાત સમજાશે. પાણીમાં મીઠું ઓગળી ગયું છે. મીઠું નજરે ચઢતું નથી, કિંતુ ઉપર, વચ્ચે કે નીચે – સર્વત્ર એની ખારાશ અનુભવવા મળે છે. બસ, આવી જ વાત છે આત્માની. એ શરીરમાં સતત રમણ કરતો હોય છે, છતાં આપણે તેમને જોઈ શકતા નથી.’ એ દિવસે શ્વેતકેતુને શરીર અને આત્માના ભેદની ઓળખ મળી.

માનવી જીવનભર પ્રયાસ કરે, તોપણ દેહ-આત્માના ભેદને પામી શકતો નથી. માનવજીવનનો પરમ હેતુ જ એના ભેદને પારખવાનો-પામવાનો છે !

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

તમારી આંખનાં આંસુ એની

આંખમાં લે છે ? —————

વેદનાની વાત એવી વ્યક્તિઓને કરવી કે જેમની ભીતરમાં સંવેદના હોય. દુ:ખની વાત એને કરવી કે જેણે દુ:ખના ઘા ખમ્યા હોય. જીવનની વ્યથા, પીડા કે વેદનાની વાત કરતી વખતે તમારે એના કાનનો પહેલાં વિચાર કરવો. જે કાન શ્રવણ કરવાના છે, એ કઈ રીતે ગ્રહણ કરશે ? વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક વ્યક્તિઓ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને પોતાનાં દુ:ખ-દર્દ વેદના જગાવે છે. બીજાનો પ્રણયભંગ એમના દિલમાં પોતાના પ્રણયભંગની સ્મૃતિની વેદના જગાવે છે. અન્યની ગરીબ અવસ્થા જોઈ એ એમની પૂર્વેની દરિદ્રતાના વિચારમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓને બીજાનાં દુ:ખ સાથે અનુસંધાન હોતું નથી, પણ પોતાની જાત સાથે ગાઢ આસક્તિ હોય છે. બીજા પ્રકારની વ્યક્તિ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને એમને શાબ્દિક સહાનુભૂતિ આપશે. ગળગળા અવાજે એની વાતનો સ્વીકાર કરશે અને અવસર મળે આંખમાં આંસુ પણ લાવશે, પરંતુ  એમની સહાનુભૂતિ એ આ ક્ષણ પૂરતી હોય છે, પછીની ક્ષણે એણે કહેલા સાંત્વનાના સઘળા શબ્દો એના અંતરમાંથી લુપ્ત થઈ જાય છે. આ બંને પ્રકારના માણસો સમક્ષ પોતાનાં દુ:ખ-દર્દ પ્રગટ કરવાં નહીં, જે તમારા સ્વજન હોય એમ ઊંડા ભાવથી તમારાં દુ:ખ પૂછશે અને પછી તમારાં દુ:ખોનું દુનિયા સમક્ષ હસતાં હસતાં વર્ણન કરશે. ટ્રૅજેડીમાંથી કૉમેડીના અંશો તારવશે. એમને મન બીજાનું દુ:ખ એ એમની ખુશીનું કારણ હોય છે. એમને બીજાનાં હૃદયના ઘા રૂઝવવામાં રસ નથી. તક મળે તો એના પર મીઠું ભભરાવવાનું ચૂકતા નથી. પોતાના જીવનની વ્યથા, વેદના, દુ:ખ કે પીડા એવી વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવી કે જેની પાસે તમારી આંખનાં આંસુ એની આંખમાં લઈ શકે તેવું સંવેદનાપૂર્ણ હૃદય હોય અને સક્રિય સહાયની તત્પરતા હોય.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કડવી ચીરનું સુખ !

મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક વાર એક જંગલમાં આ ગુલામ સાથે શિકાર ખેલવા ગયેલો મહમૂદ ગઝનવી રસ્તો ભૂલ્યો. ખૂબ ભૂખ લાગી. પાસેનું ખાવાનું ખૂટી ગયું. એવામાં એક બગીચો જોયો. એના એક વૃક્ષ પર એક પાકેલું ફળ જોયું. બાદશાહ અને ગુલામ બંને ખૂબ ભૂખ્યા હતા. મહમૂદ ગઝનવીએ એ ફળ તોડ્યું અને એનો પહેલો ટુકડો ગુલામને ખાવા આપ્યો. આમેય એ પોતાનું ભોજન લેતાં પહેલાં દરેક વાનગીમાંથી થોડું ગુલામને ખાવા આપતો અને પછી પોતે ભોજન લેતો. આથી ખોરાકમાં ઝેર ભેળવ્યું હોય તો પોતાને કશો વાંધો ન આવે. એમાં પણ આ ફળ કયા પ્રકારનું છે એની બેમાંથી કોઈને જાણ ન હતી. કોઈ ઝેરી ફળ હોય તો શું થાય ? મહમૂદ ગઝનવીએ ફળની પહેલી ચીરી કરીને ગુલામને આપી. ગુલામ એ ચીર ખાઈ ગયો અને બીજી માગી. પછી ત્રીજી, ચોથી અને પાંચમી ચીર ગુલામ માગતો જ ગયો અને મહમૂદ ગઝનવીએ એને આપી. હવે છેલ્લી ચીર રહી હતી. ગુલામે એ માગી. બાદશાહે પ્યારા ગુલામને કહ્યું, ‘આ એક બાકી રહેલી છેલ્લી ચીર તો મને ખાવા દે.’ ગુલામે કહ્યું, ‘ના માલિક. મને ખાવા દો. મને આપો. એમ કહીને બાદશાહના હાથમાંથી એ ચીર છીનવી લેવાની કોશિશ કરી.’ મહમૂદ ગઝનવી અકળાયો. બાદશાહ સામે આવી ગુસ્તાખી ! આ ગુલામને એની હેસિયત અને મારી ભૂખનો કશો ખ્યાલ નથી ! આથી ગુલામ હાથમાંથી ચીર ઝડપે એ પહેલાં પોતે જ એને મોંમાં મૂકીને ખાવા લાગ્યા. તરત જ મોંમાંથી એ ચીર ફેંકી દેતાં મહમૂદે કહ્યું, ‘અરે ! આ તો કડવી ઝેર જેવી ચીર છે અને તું આટલી બધી ચીર ખાઈ ગયો ? કહેવું તો હતું કે કડવું વખ ફળ છે. તું તો વધુ ને વધુ માગતો રહ્યો. જાણે કોઈ અમૃત ફળ ન હોય !’ ગુલામે કહ્યું, ‘બાદશાહ, જિંદગીમાં ઘણી મધુર ચીજો આપના હાથે આપી છે. એનાથી મારી જિંદગી રોશન થઈ છે. એકાદ કડવી ચીજ એ જ હાથ પાસેથી મળે તો તેમાં વાંધો શું ? તમારા હાથે મને કેટલું બધું સુખ આપ્યું છે ? હવે એની પાસેથી થોડુંક દુઃખ મળે તો તે પણ સદભાગ્ય ગણાય. જે કંઈ આપના હાથના સ્પર્શથી મળે, તે બધાથી હું ધન્યતા અનુભવું છું.’

માનવી જીવનમાં પોતાના સ્વજનો પાસેથી સદૈવ સુખની આશા રાખે છે, કિંતુ પૂર્ણ સુખ કદી કોઈને પ્રાપ્ત થયું છે ખરું ? સુખના સાગરમાં દુ:ખની સરિતાનો સંગમ સધાતો હોય છે. મધુર ફળોની સાથે ક્યારેક કડવી ચીર પણ ખાવી પડે છે.

કુમારપાળ દેસાઈ