Categories
વાચન સમૃદ્ધિ

મનની કેદ

ઍડૉલ્ફ હિટલર(૧૮૮૭-૧૯૪૫)ને એવો અહંકાર હતો કે ફક્ત જર્મનો જ જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો હોવાથી એ દુનિયા પર રાજ્ય કરવાની યોગ્યતા ધરાવે છે. એને ન કોઈ ગુલામ બનાવી શકે કે ન કોઈ હરાવી શકે. પોતાની જાતિની શ્રેષ્ઠતાના આવા ખ્યાલથી એણે યહૂદીઓની મોટે પાયે સામૂહિક હત્યા કરી. આ હત્યાને માટે એણે ‘કોન્સન્ટ્રેશન કૅમ્પ’ ઊભા કર્યા અને જર્મનીના આ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઠ લાખ જેટલા યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એની ‘ગૅસ ચેમ્બર્સ’માં એણે માણસોને ગૂંગળાવીને મારી નાખ્યા. યુરોપના લગભગ સાઠ ટકા યહૂદીઓની આવી એણે ક્રૂર કતલ કરાવી અને એ કહેતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.’ આવા હિટલરના કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી થોડાક ભાગ્યશાળી લોકો એક યા બીજા પેંતરા અજમાવીને ઊગરી ગયા. આવી રીતે કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચેલા અને નાઝી અફસરોને મહાત કરનારા બે મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે પહેલા મિત્રએ પૂછ્યું, ‘આ નાઝીઓએ ભારે કત્લેઆમ ચલાવી. કોઈ શાસકે આટલી મોટી સંખ્યામાં માનવ-હત્યાઓ કરી નથી. આપણે વર્ષો સુધી મોતના ભય હેઠળ જેલમાં પુરાઈ રહ્યા, પણ હવે વર્ષો બાદ તેં એ નાઝીઓને માફી આપી છે ખરી ?’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘હા, મેં એમને માફી આપી દીધી છે.’ ત્યારે પહેલા મિત્રએ આક્રોશથી કહ્યું, ‘ના, હજી હું એ ભયાવહ દિવસો સહેજે ભૂલ્યો નથી. એ યાતના અને પારાવાર વેદનાઓ એટલી જ તાજી છે. નાઝીઓ પ્રત્યેનો મારો ધિક્કાર સહેજે ઓછો થયો નથી. એ દિવસો મારાથી કેમેય ભુલાતા નથી.’ બીજા મિત્રએ કહ્યું, ‘તો તું હજીય નાઝીઓની કેદમાં જ છે !’

Categories
વાચન સમૃદ્ધિ

સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે

જેને આધાર રૂપે સ્વીકારીને વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન જેના પર ટેકવી દે છે એ સત્ય છે કે માત્ર સાંત્વના છે, એની એણે ખોજ કરવી જોઈએ. વ્યક્તિ સત્ય પામવા રાજી હોતો નથી, કારણ કે એ સત્ય આકરું હોય છે અને એની પ્રાપ્તિ માટે ઘણી તાવણીમાં તપવું પડે છે. સત્ય એ કોઈ જાતની બાંધછોડ કે શિક્ષક કહેશે તોપણ હું ચોરી નહીં કરું. એમાં સત્યનો સ્વીકાર છે, જ્યારે સાંત્વના શોધનારો માણસ એમ કહેશે કે જ્યારે શિક્ષક જ ચોરી કરવાનું કહે છે, તો પછી ચોરી કરવામાં વાંધો શો ? ચોરી કરી શકાય. આમ સાંત્વના એ કોઈ એક એવું આશ્વાસન શોધી કાઢશે અને પછી વ્યક્તિ એને સર્વમાન્ય ગણીને એનું જીવન ગાળતો રહેશે. આવી સાંત્વનાઓની જનની જૂઠાણું છે. એક ખોટી કે જુઠ્ઠી વાતને સ્વીકારીને વ્યક્તિ એમાંથી આશ્વાસન મેળવતો હોય છે. એ પોતાની નિષ્ફળતાને સમજવાને બદલે પોતાનાં કર્મોને દોષ આપતો હોય છે. ક્યારેક તો પૂર્વજન્મમાં કરેલાં કાર્યોને કારણે આવું થયું હશે એમ કહીને મનને મનાવતો હોય છે. ક્યારેક એ ઋણાનુબંધનો આશરો લેતો હોય છે અને જેની સાથે એને દુર્ભાવ હોય, એને અંગે એમ માનતો હોય છે કે એની સાથે એનો ઋણાનુબંધ નથી ! ક્યારેક આવી સાંત્વના મેળવવા માટે એ તંત્ર, મંત્ર કે જ્યોતિષનો આશરો લેતો હોય છે અને જ્યોતિષી એને એમ કહે કે એના જીવન પર કોઈ ગ્રહની કુદૃષ્ટિ છે એટલે એ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓને માટે ગ્રહની કુદૃષ્ટિનું આશ્વાસન મેળવી લે છે. આમ અસત્ય વસ્તુઓને પણ પરમ સત્ય તરીકે સ્વીકારવા લાગે છે અને એનું પરિણામ એ આવે છે કે એનું આખુંય જીવન એ સાંત્વના અને આશ્વાસનનાં સ્થાનો શોધવામાં જાય છે. સત્યના સૂર્યનું એક કિરણ પણ એને લાધતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મારે શી ફિકર ?

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વમાં શરૂઆતના અગ્રણી મોટર ઉત્પાદક હેન્રી ફોર્ડે (ઈ. સ. ૧૮૬૩થી ૧૯૪૭) જગતને મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનનો ‘ઍસેમ્બ્લી પ્લાન્ટ’ આપ્યો, જે આજે મોટર, ટ્રક અને સ્કૂટરના ઉત્પાદનમાં જ નહીં, પણ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિઝરેટરો વગેરેના નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને એનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવા માટે ‘ઍસેમ્બ્લી લાઇન’ના સિદ્ધાંત તરીકે અમલમાં મુકાય છે. મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનથી અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પ્રભાવ પાડનાર આ ઉદ્યોગપતિ સતત ફોર્ડ કારનાં જુદાં જુદાં મૉડલનું ઉત્પાદન કરતા હતા તેમજ ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર ઉત્પાદન અને યુદ્ધના માલસામાનના ઉત્પાદનમાં પણ કાર્યરત હતા. એ સમયે અમેરિકાના સામાજિક અને આર્થિક જીવન પર હેન્રી ફોર્ડનો ઘણો પ્રભાવ પડ્યો. આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગપતિએ જહાજખરીદી અને ગ્રંથલેખન પણ કર્યું. આવા હેન્રી ફોર્ડના અવસાનનાં થોડાં વર્ષ પહેલાં ડેલ કાર્નેગી એની મુલાકાતે ગયા. માનવમનના પારખુ ડેલ કાર્નેગીએ એવી કલ્પના કરી હતી કે આટલાં બધાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અને કેટલાય પ્રકારના કારોબાર સંભાળતા હેન્રી ફોર્ડ અત્યંત વ્યસ્ત હશે. કામના બોજથી દબાયેલા હશે, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ હશે અને મન સ્ટ્રેસ ધરાવતું હશે. એ સમયે હેન્રી ફોર્ડની ઉંમર ૭૮ વર્ષની હતી, આમ છતાં એ તદ્દન શાંત, સૌમ્ય અને સ્વસ્થ દેખાતા હતા. ડેલ કાર્નેગીને આ જોઈને ભારે આશ્ચર્ય થયું. એણે કહ્યું કે તમે દેશની કાયાપલટ કરી છે, આટલો વિશાળ કારોબાર સંભાળો છો અને છતાં તમારા ચહેરા પર કેમ કોઈ ચિંતા દેખાતી નથી ? ‘ચિંતાઓ ? ના, હું તો એમાં દૃઢ વિશ્વાસ ધરાવું છું કે ઈશ્વર જ મારા વ્યવસાયની સઘળી વ્યવસ્થા કરે છે અને એની દેખરેખના અંતે બધાં કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થાય છે, પછી મારે એની ચિંતા-ફિકર કરવાની શી જરૂર ?’ ફોર્ડે ઉત્તર વાળ્યો.