Categories
વાચન સમૃદ્ધિ

સ્ટ્રેસનો ઇલાજ

પ્રસિદ્ધ મનોવિજ્ઞાનિક ડૉ. વિલિયમ એલ. સેડલરના ક્લિનિકમાં એક દર્દી આવ્યો. એ સમયે ડૉક્ટર બીજા એક ડૉક્ટર સાથે ચર્ચા કરતા હતા. આ દર્દી એક મોટી કંપનીનો ઑફિસર હતો. એ ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. કામના બોજથી ખૂબ થાકી ગયેલો અને એના ભારથી મનથી સાવ નંખાઈ ગયેલો હતો. એ ઑફિસર વિચારતો હતો કે હવે આવી રીતે વધુ લાંબો સમય જીવી શકાય તેમ નથી, મૃત્યુ એ જ જીવનના બોજથી મુક્તિનો ઉપાય છે. આથી એ ડૉક્ટર સેડલરની પાસે સલાહ લેવા આવ્યો હતો. કંપનીના ઑફિસરે જોયું કે ડૉ. સેડલર એકેએક કામ ખૂબ ઝડપથી પતાવતા હતા. કોઈનો ફોન આવે તો ફોન પર જ એને ઉત્તર આપી દેતા હતા. કોઈનો પત્ર આવે, તો પોતાની સેક્રેટરી પાસે એનો તત્કાળ પ્રત્યુત્તર લખાવતા હતા. સેડલર પાસે દર્દી આવ્યો, ત્યારે એને કહ્યું, ‘સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. હું કામને વિલંબમાં નાખવામાં માહેર હોવાથી એના બોજથી વધુ ને વધુ ટેન્શનમાં રહેતો હતો. જરા, મને આપના ટેબલનું ખાનું ખોલીને બતાવશો.’ દર્દી તરીકે આવેલા કંપનીના ઑફિસરને ડૉ. સેડલરે જ્યારે પોતાના ટેબલનું ખાનું બતાવ્યું, ત્યારે એમાં કોઈ કાગળો નહોતા. કંપનીના ઑફિસરે પૂછ્યું, ‘ડૉક્ટર ! જે કામ પેન્ડિંગ હોય તેના કાગળો ક્યાં રાખો છો ?’ સેડલરે કહ્યું, ‘હું બધાં જ કામ પતાવી દઉં છું. ટપાલ આવે તો તરત પ્રત્યુત્તર લખાવી દઉં છું, આથી કોઈ કામ બાકી રાખતો નથી.’ કંપનીના ઑફિસરને સમજાયું કે કાગળો સંઘરી રાખવા, તત્કાળ જવાબ આપવાને બદલે પ્રમાદ સેવવો, અધૂરાં કામોનો નિર્ણય આવતીકાલ પર મુલતવી રાખવો – આ બધી બાબતોને કારણે એને માનસિક તણાવ થતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની  ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્વાસ જેવું જ્ઞાન

શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯થી ઈ. સ. પૂ. ૩૯૯) એમ કહેતા કે મેં મારાં માતાપિતાનો વારસો બરાબર જાળવ્યો છે. જેમ શિલ્પી પથ્થરમાંથી માનવની આકૃતિ કંડારે છે, એ જ રીતે હું મારા વિચારોથી માનવવ્યક્તિત્વને કંડારું છું અને જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળક બહાર કાઢે છે, એ રીતે હું લોકોના મનમાંથી અજ્ઞાન બહાર કાઢું છું. આવા અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતા મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો અને એણે કહ્યું, ‘મારે તમારી માફક ખૂબ જ્ઞાન મેળવવું છે. સમર્થ જ્ઞાની બનવું છે. તમારા જેવા થવું છે, તો જ્ઞાની બનવાનો કોઈ ઉપાય બતાવો ને ?’ સૉક્રેટિસે એ યુવાનને પોતાની પાછળ આવવા ઇશારો કર્યો અને પછી એને દરિયાની વચ્ચે લઈ ગયા અને એનું માથું પકડીને દરિયાના પાણીમાં ડુબાડ્યો. યુવક ગૂંગળાઈ ગયો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સૉક્રેટિસની પકડમાંથી છૂટવા અને પાણીમાંથી બહાર નીકળવા હવાતિયાં મારવા લાગ્યો. એને સામે મૃત્યુ દેખાવા લાગ્યું. આખરે એને એમ લાગ્યું કે હવે તો એ મરી જશે, ત્યારે સૉક્રેટિસે એને પાણીમાંથી બહાર કાઢ્યો. યુવાનના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આવું હિંસક કૃત્ય કેમ કર્યું ?’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘એ કૃત્ય કરવાના કારણમાં જ તારી વાતનો જવાબ છે. જ્યારે તું ગૂંગળાઈ મરવાની તૈયારીમાં હતો, ત્યારે તને સૌથી વધુ શેની જરૂર લાગી હતી?’ યુવાને કહ્યું, ‘શ્વાસની, હવાની. તરફડિયાં મારતો હતો, ત્યારે એમ લાગ્યું કે હવે મારું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે. શ્વાસ લેવા મળશે, તો જ બચીશ.’ ‘બસ, તો જ્યારે શ્વાસ જેટલી જરૂર તને જ્ઞાનની લાગે, ત્યારે જ તું જ્ઞાની બની શકીશ. ખ્યાલ આવ્યો ને !’ યુવાન સૉક્રેટિસની વાતનો મર્મ પારખી ગયો.