Categories
વાચન સમૃદ્ધિ

સમસ્યા સૂતેલાં સાહસ અને

ધૈર્યને જગાડે છે ——————–

જીવનમાં આવતી સમસ્યાના સિક્કાની એક બાજુ વેદના છે, તો બીજી બાજુ પડકાર છે. સિક્કાની માત્ર વેદનાની બાજુએ જ જોતો માનવી એ સમસ્યાના દુ:ખથી ઘેરાઈ જાય છે, પણ જો સિક્કાની બીજી બાજુ સમા પડકારનો વિચાર કરશે તો એને અહેસાસ થશે કે આ સમસ્યા એને માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સમસ્યા અંગે ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે આ સમસ્યા એ અવરોધ નથી, પરંતુ અવસર છે. સમસ્યાનો સામનો કરતી વખતે માનવીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. એને ખુદને ખબર ન હોય એવા કેટલાય શક્તિસ્રોતનો એ અનુભવ કરે છે. એનામાં મુશ્કેલીઓ સામે ધૈર્ય રાખવાની એવી શક્તિ પ્રગટ થાય કે તે અંગે એ સ્વયં આશ્ચર્ય અનુભવે છે. માનવીના ગુણનું પ્રાગટ્ય આવી કસોટીના સમયમાં થતું હોય છે અને એ અગ્નિપરીક્ષામાં તપાઈ તપાઈને એના વ્યક્તિત્વનું સુવર્ણ બહાર આવતું હોય છે, આથી જ પ્રત્યેક સંકટ વ્યક્તિમાં એક નવી વ્યક્તિ સર્જે છે, નવી શક્તિ જગાડે છે, નવા વિચારો આપે છે અને એને પરિણામે આ સમસ્યાઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું રૂપાંતર કરતી હોય છે. સમસ્યાને કારણે ભયભીત થઈને પલાંઠી વાળીને બેસી રહેલો માનવી જ્યારે એનો સામનો કરે છે ત્યારે એનામાં ભયના સીમાડા ઓળંગવાની શક્તિ ઊભી થાય છે. એનાં સુષુપ્ત સાહસ અને ધૈર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે અને ક્યારેક તો એ સ્વયં એના ભીતરની આ તાકાત જોઈને આશ્ચર્ય અનુભવે છે ! જે સમસ્યા માર્ગમાં અવરોધરૂપ પથ્થર લાગતી હતી, તે વિકાસનું પગથિયું બની જાય છે, કારણ કે વ્યક્તિ એ સમસ્યાનાં મૂળ સુધી જાય છે. સ્વસ્થ ચિત્તે એનાં કારણો તપાસે છે અને એનું નિવારણ કરવાના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલું દૈવત પ્રગટ થાય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસા પર અવિશ્વાસ

પ્રસિદ્ધ યહૂદી સંત શેલ્મકેની યોગ્યતા જોઈને રાજાએ એમને સમગ્ર રાજ્યનો કારભાર સોંપવાનું વિચાર્યું. એમની યોગ્યતાનું આ સન્માન હતું. સંત શેલ્મકેએ રાજાને કહ્યું, ‘આપ રાજ્યની આટલી મોટી જવાબદારી સોંપીને મારું સન્માન કરો છો તે હું સ્વીકારું છું, પરંતુ આ જવાબદારી હું કાલે નહીં, પરંતુ પરમ દિવસે સંભાળીશ. આવતીકાલે મારે એકાંતમાં રહીને આરાધના કરવી છે.’ રાજાએ શેલ્મકેની વાતનો સ્વીકાર કર્યો, પરંતુ શેલ્મકેના શિષ્યને થયું કે એવી તો કઈ આરાધના છે કે જે આ કાર્યભાર સંભાળતાં પૂર્વે ગુરુજી કરવા માગે છે ? વળી એ આરાધના સહુની વચ્ચે કરવાને બદલે શા માટે એકાંતમાં કરવા ઇચ્છે છે ? બીજે દિવસે શિષ્ય ગુરુની પાછળ ને પાછળ ફરવા લાગ્યો. એણે જોયું તો સંત શેલ્મકે એક ખંડમાં બેસીને એકલા પ્રાર્થના કરી રહ્યા હતા અને ઈશ્વરને કહેતા હતા, ‘હે પરમપિતા ઈશ્વર ! તમારા જેટલી જ પવિત્રતા મારામાં છે, સાચે જ હું તમારું પ્રતિબિંબ છું. હે ઈશ્વર, હું તમારા જેવો જ છું. તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી. હું આ રાજ્યનો મહાન રક્ષણહાર છું, સમર્થ ન્યાયાધીશ છું અને પરમ તારણહાર છું. છુપાઈને સંત શેલ્મકેની પ્રાર્થના સાંભળતા એમના શિષ્યે આ શબ્દો સાંભળ્યા અને એકાએક સંત તરફ ધસી આવ્યો. એણે કહ્યું, ‘બસ, બસ, હવે બહુ થયું. તમે પોતે જ તમારી જાતની પ્રશંસા કરવા માંડશો, તો બીજાઓનું શું થશે ?’ શિષ્યનો અવાજ સાંભળીને સંતે આંખો ખોલી અને સ્નેહપૂર્વક હસીને કહ્યું, ‘હું કંઈ સ્વયં પ્રશંસા કરતો નથી, હું તો માત્ર કાચા કાનનો સાબિત ન થાઉં, માટે મારા કાનને પાકા કરી રહ્યો છું.’ શિષ્ય આ સમજી શક્યો નહીં એટલે સંતે કહ્યું, ‘હવે મને આ રાજ્યની સંભાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પ્રતિક્ષણ મારી અતિ પ્રશંસા થતી રહેશે. ચારેબાજુ ખુશામતિયાઓની ભીડ જામશે એટલે હું આ શબ્દો બોલીને મારી જાતને બરાબર મજબૂત કરું છું કે જેથી હું અન્ય કોઈ પાસેથી આવા શબ્દો સાંભળું, તો એના પર વિશ્વાસ મૂકું નહીં અને ઉચિત રીતે મારું કાર્ય કરું.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

માનવીનાં બહાનાંમાં સર્વત્ર

ઈશ્વરનો વાસ છે ===============

‘ખુદાની મરજી’ને નામે આપણે આપણી કેટલીય અરજીઓ પસાર કરી છે. માણસને આ તરીકો બહુ પસંદ પડ્યો છે કે પોતે કશુંક ખોટું કરે અને ફળ ભોગવવાનું આવે ત્યારે એની સઘળી જવાબદારીનો અને દોષનો ટોપલો પ્રભુને માથે ઓઢાડી દે ! કાર્યકારણ જોવાને બદલે માત્ર ફલશ્રુતિને જોતો માનવી એમાં ઈશ્વરીસંકેત જુએ છે. શરાબી એમ કહેશે કે મારી તો શરાબ પીવાની લગીરે ઇચ્છા નહોતી, પરંતુ ઈશ્વરની ઇચ્છા આગળ હું લાચાર છું. કોઈ એમ પણ કહેશે કે ઈશ્વરે મને આટલાં બધાં દુઃખો  એ માટે આપ્યાં કે જેથી વ્યસનમાં મારાં એ દુ:ખોને ડુબાડી દઈ શકું. ઈશ્વરને નામે માનવી અનેક પ્રપંચ ખેલે છે અને એ પ્રપંચોમાં સફળ થાય તો એનો એ સ્વયં યશ લે છે, પણ એમાં નિષ્ફળ જાય તો  એનો અપયશ ઈશ્વરને આપે છે. ઈશ્વરે માણસને સર્જ્યો એમ કહેવાય છે, પણ હકીકતમાં તો માણસે પોતાની નિષ્ક્રિયતા, દંભ, નબળાઈ અને નિષ્ફળતાને છાવરવા માટે ઈશ્વરને સર્જ્યો છે. પ્રમાદને કારણે નોકરી જાય તો એમાં ઈશ્વરનો સંકેત, ઘણી સંતતિ થાય તો એમાં ઈશ્વરની મરજી, ડાયાબિટીસથી મૃત્યુ થાય તો એમાં ઈશ્વરની ઇચ્છા. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત હોય કે ન હોય, પરંતુ માનવીઓનાં બહાનાંમાં તો એ વ્યાપ્ત છે જ. એ વારંવાર ઈશ્વરને હડફેટે ચડાવે છે. માથે આવેલાં દુ:ખો કે આપત્તિને પોતાનાં કર્મોનાં ફળ સમજવાને બદલે એ એમાં ઈશ્વરનું કાવતરું જુએ છે. ગમતું બને તેનું કારણ પોતે, અણગમતું જે કંઈ થાય તે બધું ઈશ્વરને કારણે. ઈશ્વર આ માનવીની બહાનાંબાજી જોઈને કાં તો ખડખડાટ હસતો હશે અથવા તો એનાથી કંટાળીને થાકીને લોથપોથ થઈ ગયો હશે !

કુમારપાળ દેસાઈ