Categories
વાચન સમૃદ્ધિ

માયાળુ બનીને જીતવું

અમેરિકાના તારણહાર અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૬૫) ગુલામી પ્રથાની નાબૂદી માટે પ્રયાસ કરતા હતા. અમેરિકાની સમવાય સરકાર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ. અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. ૧૮૬૨ની ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિકની હેસિયતથી એમણે ગુલામીપ્રથાની નાબૂદીની ઘોષણા કરી, ગુલામીની મુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું અને પરિણામે ૪૦ લાખ ગુલામો મુક્ત થયા. વિરોધી રાજ્યોએ આ ઘોષણાનો અસ્વીકાર કર્યો અને દેશમાં આંતરવિગ્રહ જાગી ઊઠ્યો. ૧૮૬૧ની પંદરમી એપ્રિલે અબ્રાહમ લિંકને એક જાહેરનામું બહાર પાડીને બંડખોર રાજ્યો સામે યુદ્ધની જાહેરાત કરી. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોએ સહકાર આપવામાં ઉત્સાહ દાખવ્યો પણ દક્ષિણનાં રાજ્યોએ સહકાર આપવાનો ઇન્કાર કર્યો. દેશની અખંડિતતા જાળવવા પોતાના જ દેશબાંધવો સામે યુદ્ધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. આ આંતરવિગ્રહ સમયે દક્ષિણનાં રાજ્યોનો એક અમલદાર પકડાયો અને એને મોતની સજા ફરમાવવામાં આવી. અબ્રાહમ લિંકનને એની જાણ થતાં એમણે તરત જ જનરલ રોજક્રેન્સને પત્ર લખીને કહ્યું કે, ‘આ કેસ તમારો કહેવાય. તેમાં મુલ્કી સત્તાવાળાઓ કશી દખલ કરી શકે નહીં. પણ હું આશા રાખું છું કે આ કેસમાં તમે ન્યાયની દૃષ્ટિએ વિચારશો. ભૂતકાળનો બદલો લેવાની દૃષ્ટિએ નહીં અને ભવિષ્યની સલામતી માટે આવશ્યક હોય, તે નજરે જોશો.’ આટલું લખ્યા પછી અબ્રાહમ લિંકને લખ્યું, ‘આપણે કોઈ વિદેશી દુશ્મન સામે લડી રહ્યા નથી, પરંતુ આપણા ભાઈઓ સામે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. આપણો હેતુ એમનો જુસ્સો તોડવાનો નથી, પણ એમને મૂળ વફાદારીના સ્થાને પાછો લાવવાનો છે અને તેથી જનરલસાહેબ, માયાળુ બનીને જીતવું એ જ આપણી નીતિ છે.’ લિંકનનો આ પત્ર વાંચીને જનરલ રોજક્રેન્સે વિરોધી દળના અધિકારીની સજા હળવી કરી.

Categories
વાચન સમૃદ્ધિ

ઉતાવળે ઉત્તર આપવાની નૅગેટિવ મનની રીત

મનથી મોટું કોઈ ફરિયાદી નથી. મનને સદા આનંદ આવે છે ફરિયાદ કરવામાં. એને જેટલું સુખ બીજાના દોષ વર્ણવવામાં આવે છે, એટલું સુખ બીજા કશામાં મળતું નથી. ફરિયાદપ્રેમી મનની રીત પણ કેટલી માર્મિક છે ! માણસ ફરિયાદ કરતી વખતે ભાષાને કેટલી સિફતથી પ્રયોજતો હોય છે ! જેમ જેમ ફરિયાદ કરતો જાય, તેમ તેમ એની ભાષાના રંગ પણ બદલાતા હોય છે. ભાષાની સાથે આંખની કીકી પણ ઘૂમતી જશે. ક્યારેક ઠાવકાઈથી એ ફરિયાદ કરશે, તો ક્યારેક અકળાઈને એ ફરિયાદ કરશે. ફરિયાદનું ગાણું ગાવાનું મનને એટલું બધું પસંદ પડે છે કે એ જીવનની પ્રત્યેક બાબતમાંથી તમને કોઈ ને કોઈ ફરિયાદ શોધીને આપશે. ગમે તેવી ઉત્તમ વ્યક્તિ હોય, ગમે તેટલું સુઘડ આયોજન હોય કે ગમે તેટલો મોટો ઉત્સવ રચાયો હોય, પરંતુ એમાંથીય મન પાણીમાંથી પોરા કાઢવા જેવું કરશે. એનું કારણ છે કે ફરિયાદ એની બાબત બની ગઈ છે. વ્યક્તિ જેમ જેમ વધુ ફરિયાદ કરશે, તેમ તેમ એનું મન ‘નૅગેટિવ’ થતું જશે. આવી વ્યક્તિ કોઈ પણ બાબતમાંથી દોષ, ખામી, ક્ષતિ કે ભૂલ શોધી આપશે. આવું ફરિયાદી મન ધીરે ધીરે જીવન પ્રત્યે નકારાત્મક વલણનો અંચળો ઓઢી લેશે અને એક એવો સમય આવશે કે જ્યારે ફરિયાદ કરનારું મન શાબાશી આપવાનું જ સાવ ભૂલી જશે. પૉઝિટિવ મન શાંતિથી વિચારીને સ્વસ્થતાથી જવાબ આપતું હોય છે. એના ગુણદોષની પરીક્ષા કરીને પ્રત્યુત્તર આપતું હોય છે. નૅગેટિવ મન જેવું ઉતાવળું બીજું કોઈ નથી. વાત પૂરી સાંભળે એ પહેલાં એનો ઇન્કાર કરશે. તત્કાળ કોઈ બહાનું ધરી દેશે અથવા તો ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીનો અંદાજ આપશે.

Categories
વાચન સમૃદ્ધિ

ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું, ‘તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?’ અગ્રણીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુ:ખી પણ થાઉં છું.’ એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ‘એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?’ અગ્રણીએ કહ્યું, ‘પ્રાત:કાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.’