Categories
વાચન સમૃદ્ધિ

પુરુષાર્થને પડકાર

મોટરની એક ફૅક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મોટરના પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી જાણકારી હતી. બધા મિકૅનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકૅનિક ગણાતો હતો. મોટરના એન્જિનની ખામી કોઈને જડતી ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ મિકૅનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપૅર કરીને મોટરને ફરી ચાલુ કરી દેતો. એક વાર મોરિસ કારખાનામાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે જ કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફૅક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યાં અને કહ્યું, ‘અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.’ ફૅક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, ‘જો આ રીતે મોડા જ આવવું હોય તો ફૅક્ટરીના કારીગર નહીં, પણ ફૅક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાચવવો જોઈએ.’ માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફૅક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફૅક્ટરી ઊભી કરી અને પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ

સામાન્ય ========================

કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે. એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે. આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે. જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણ-આવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે. આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉચ્છ્રંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

માનવમાત્ર સમાન

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન અદભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક-સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે, ‘‘અમેરિકાની સ્વાધીનતાના પાયામાં ‘ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,’ એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઈ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પરિણામે એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.’’ અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પછી પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરેટે અભિનંદન આપતાં કહ્યું, ‘મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.’

કુમારપાળ દેસાઈ