Categories
વાચન સમૃદ્ધિ

પ્રિયતમાના ચહેરા જેવો મૃત્યુનો ચહેરો

આખાય જગતમાં પ્રેમીને પોતાની પ્રિયતમાનો ચહેરો સૌથી વધુ સુંદર લાગતો હોય છે. અનેક ચહેરાઓ વચ્ચે જીવતા એને પોતાની પ્રેમિકાનો ચહેરો અદ્વિતીય લાગે છે. એના મુખ ભણી એકીટસે નિહાળવાનું એને ખૂબ પસંદ પડે છે. એને જોઈને એના હૃદયમાં આનંદ ઊમટે છે અને પ્રેમની ધારા વહેવા લાગે છે. જેવો પ્રેમિકાનો ચહેરો છે, એવો જ તમારા મૃત્યુનો ચહેરો છે. એ મૃત્યુને ચાહતાં શીખો. એને સ્નેહથી જોતાં રહો. એને પ્રેમભરી મીઠી નજરે નિહાળો, કારણ કે આ અનિશ્ચિત એવા જીવનમાં સૌથી વધુ નિશ્ચિત મૃત્યુ છે. આપણે અનિશ્ચિત એવા જીવનની ચિંતા કરવાનું છોડીને નિશ્ચિત એવા મૃત્યુથી ચિંતિત રહીએ છીએ. એ નિશ્ચિત મૃત્યુથી આંખમીંચામણાં કરીએ છીએ. એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. પરાજય નિશ્ચિત હોવા છતાં મરણિયા થઈને મોતની સામે બાથ ભીડીએ છીએ. એનો સ્વીકાર કરવાને બદલે સતત એનો અસ્વીકાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. મોત એ વિકરાળ, ભયાવહ યમદૂત નથી, એ તો પ્રિયતમાનો ચહેરો છે. મૃત્યુના ચહેરાને ભાગ્યે જ કોઈ ભાવથી જુએ છે. એ ચહેરા પરની શાંતિ એની બંધ આંખોમાં જોવા મળે છે. જીવન પ્રત્યેની અનાસક્તિ જ એના સ્થિર કપાળ પર નજરે પડે છે. જગતની પીડા, સંસારનાં દુ:ખો અને આધિ, વ્યાધિ અને ઉપાધિની પળોજણની મુક્તિની રેખાઓ એના સ્થિર મુખારવિંદમાં જોઈ શકાય છે. એ અવસરને આનંદભેર ભેટનારાના ચહેરા પર પ્રસન્નતાનું તેજ વિખરાયેલું હોય છે. આ અવસરને વિરહની વેદના માનનારના ચહેરા પર ઘેરી કાલિમા લપાઈને બેઠી હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

કાર્યકુશળતાનો પ્રભાવ

ગ્રીસમાં એક નિર્ધન બાળક આખો દિવસ જંગલમાં લાકડાં કાપતો હતો અને સાંજે લાકડાનો ભારો બનાવીને બજારમાં વેચવા બેસતો હતો. એની કમાણી એ જ આખા પરિવારના ભરણપોષણનું સાધન હતી. આથી એ છોકરો ખૂબ મહેનત કરતો અને ખૂબ સુંદર રીતે લાકડાંનો ભારો બાંધતો. એક વાર આ છોકરો બજારમાં ભારો વેચવા માટે બેઠો હતો, ત્યારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. એમણે જોયું તો આ છોકરાએ ખૂબ કલાત્મક રીતે લાકડાંનો ભારો બાંધ્યો હતો. બીજા લોકો જેમતેમ લાકડાંનો ભારો બાંધતા હતા. થોડાં લાકડાં બહાર નીકળી ગયાં હોય અને થોડાં સહેજ આમતેમ લબડતાં પણ હોય, જ્યારે આ છોકરાએ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે ભારો બાંધ્યો હતો. પેલા સજ્જને એ છોકરાને પૂછ્યું, ‘શું આ લાકડાંનો ભારો તમે પોતે બાંધ્યો છે ?’ છોકરાએ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, ‘હા જી, હું આખો દિવસ લાકડાં કાપું છું અને જાતે જ ભારો બાંધું છું અને આ બજારમાં વેચવા આવું છું.’ સજ્જને વળી પ્રશ્ન કર્યો, ‘તો શું તું આ ભારો ફરી ખોલીને બાંધી શકે ખરો ?’ છોકરાએ ‘હા’ કહીને માથું ધુણાવ્યું અને ભારો ખોલી ફરી એને  અત્યંત સ્ફૂર્તિ અને ચપળતાથી સુંદર રીતે બાંધ્યો. આ સજ્જન આ બાળકનો આત્મવિશ્વાસ અને એની કાર્યકુશળતાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને એમ લાગ્યું કે આ બાળક પાસે નાનામાં નાના કામને સુંદર અને વ્યવસ્થિત રીતે કરવાની ક્ષમતા છે. જો એને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળે, તો એ જરૂર જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે. એ સજ્જને એ છોકરાને કહ્યું, ‘તું મારી સાથે ચાલ. હું તને ભણાવીશ.’અને છોકરો એ સજ્જન સાથે ગયો. એ સજ્જન હતા ગ્રીસના તત્ત્વચિંતક ડેમોક્રિટ્સ અને એણે જે બાળકને મદદ કરી તે હતો ગ્રીસનો મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરસ. જેના ‘પાયથાગોરસ પ્રમેય’ આજે પણ પ્રચલિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

નવી આશા આપતી નિષ્ફળતા

‘સંજોગો માનવીને ઘડે છે’ એ સૂત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો. અનુકૂળ સંયોગને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! કયા આનંદદાયી હતા અને કયા દુ:ખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ સંજોગો કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વના છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેમને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.