Categories
વાચન સમૃદ્ધિ

અંગત સ્નેહનો સ્પર્શ

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી  પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું,  ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા,  ‘દોસ્ત ! આ  માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.  પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખુલ્લી આંખે જાગરણ

તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એેને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ  છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો. આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ જેમ એ આવરણો દૂર જાય છે, તેમ તેમ આત્મા પુન: પ્રકાશિત થાય છે. જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકને એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે. આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય. જો દુનિયાની સફરે નીકળે અને દુન્વયી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્યજગતની જાણકારી મળશે, પણ એનું  આંતરજગત સાવ વણસ્પર્શ્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્ઘ યાત્રા જ એક માત્ર સહારો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ખરીદીનો ખ્યાલ

ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂર્વે ૪૬૯થી ઈ. સ. પૂર્વે ૩૯૯) એમ કહેતો કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ એનો એ આગ્રહ રહેતો કે એના તત્ત્વજ્ઞાનના વિચારો એના જીવનના આચરણમાં પ્રગટ થવા જોઈએ, કારણ કે જીવન સાથે સંકળાયેલા ન હોય એવા વિચારોનું સૉક્રેટિસને માટે કોઈ મૂલ્ય નહોતું. એમનો એક વિચાર એવો હતો કે ડાહ્યો માણસ ક્યારેય ઉડાઉ ન હોય, એને ખ્યાલ હોય કે જીવનમાં આગોતરી જાણ કર્યા વિના મુશ્કેલીના દિવસો પણ આવતા હોય છે, આથી તે બચત કરતો હોય છે. આ તત્ત્વજ્ઞાની એમ કહેતો પણ ખરો કે મારી માતા દાયણ અને પિતા શિલ્પી હોવાથી મેં પણ એમના વ્યવસાયના ગુણો અપનાવ્યા છે. માતાના ગર્ભમાંથી દાયણ શિશુને બહાર કાઢે છે, તેમ પોતે જનમાનસમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે. શિલ્પી જેમ પથ્થરમાં માનવઆકૃતિ કંડારે, એ જ રીતે એ માનવ-વ્યક્તિત્વને કંડારવાનું કામ કરે છે. આથી સૉક્રેટિસ જ્યારે ગ્રીસના સૈન્યમાં હતો, ત્યારે બીજા બધા બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ઉઘાડા પગે બીજાઓની જેટલી જ ઝડપથી ચાલતો હતો. એણે ક્યારેય બૂટ પહેર્યા નહોતા. એ ઍથેન્સની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો સમય વિતાવતો હતો. અહીં કોઈ માણસ મળે અને કંઈક વાત શરૂ કરે એટલે એ પોતાની લાક્ષણિક ઢબે વાત કરવા માંડતો. ઍથેન્સની શેરીઓ અને એના બજારમાં વારંવાર ઘૂમતા સૉક્રેટિસને એનો એક મિત્ર બજારમાં મળી ગયો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આટલો બધો સમય બજારમાં ફર્યા કરો છો અને એકે ચીજવસ્તુ તો ખરીદતા નથી. તો પછી આમ શહેરની બજારોમાં આટલું બધું ઘૂમવાનો અર્થ શો ?’ તત્ત્વજ્ઞાની સૉક્રેટિસે હસીને કહ્યું, ‘ભાઈ, હું બજારમાં ફરું છું અને ત્યાંની સઘળી ચીજવસ્તુઓને નિહાળું છું અને વિચારું છું કે હું મારા જીવનમાં કેટલી બધી ચીજવસ્તુઓ વગર ચલાવી શકું છું.’