Categories
વાચન સમૃદ્ધિ

ટિકિટે એની ફરજ અદા કરી છે !

એમનું આખું નામ હતું શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, પરંતુ દીન અને દુ:ખી, પીડિત અને દલિત તથા પછાત લોકોની સેવામાં જાત ઘસી નાખનાર તેઓને ‘ઠક્કરબાપા’ના હુલામણા નામથી સહુ કોઈ ઓળખતા હતા. એક વાર ઠક્કરબાપા ટપાલો જોઈ રહ્યા હતા. ટપાલોના ઢગલામાંથી એક એક કવર લઈ, તેમને ખોલીને વાંચતા હતા. એમની નજીક બેઠેલા અંતેવાસીની નજર એક કવર પર પડી. આ કવર પર ટિકિટ લગાવેલી હતી, પરંતુ તેના પર ટપાલખાતાનો સિક્કો નહોતો. એમનો ઇરાદો એવો હતો કે ટપાલખાતાની આ સિક્કા વગરની ટિકિટનો પુન: ઉપયોગ કરવો. ઠક્કરબાપાની નજર એમની આ ‘પ્રવૃત્તિ’ પર પડી અને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે ! કવર પરથી આમ ટિકિટ શા માટે ઉખાડે છે ? એની પાછળ શું કારણ છે ?’ અંતેવાસીએ કહ્યું, ‘આ કવર પર ટપાલખાતાએ સિક્કો લગાવ્યો નથી, તેથી આ ટિકિટનો ફરી ઉપયોગ થઈ શકશે. બીજા કવર પર લગાવીને ટપાલખર્ચ બચાવી શકાશે.’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘ભાઈ, મને એ કવર આપ. મારે એ કવરની ટિકિટ પર સિક્કો મારવો છે.’ આમ કહીને ઠક્કરબાપાએ પેનથી કવર પર લગાવેલી ટિકિટ પર ચોકડી કરીને કવર પાછું આપ્યું. એમણે કહ્યું કે આવી રીતે ટિકિટ વાપરવી તે અપ્રમાણિકતા કહેવાય. અંતેવાસીએ વિરોધ કરતાં કહ્યું, ‘આમાં વળી અપ્રમાણિકતા શું ? ટિકિટને ફરીથી વાપરવામાં વાંધો શું?’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘આ જરૂર વાંધાજનક કહેવાય. ટિકિટનું કામ છે ટપાલ પહોંચાડવાનું અને આ ટિકિટે એની ફરજ અદા કરી લીધી છે. એના વપરાશનો અધિકાર પત્ર મોકલનારનો હતો, તે પૂરો થયો છે. હવે આપણે તેનો ફરી ઉપયોગ કરી શકીએ નહીં.’

જીવનની નાની નાની બાબતો પ્રમાણિકતાની કસોટી કરનારી હોય છે. નાનકડી અપ્રમાણિકતા આચરવાથી ક્યાં અપ્રમાણિક બની જવાનું છે, એમ માનનાર ધીરે ધીરે મોટી અપ્રમાણિકતા આચરે છે. નાનકડું બિંદુ પાણીનો હોજ બને તેમ નાનકડી ક્ષતિ મહાન ભૂલોની જન્મદાત્રી બને છે. નાની નાની પ્રમાણિકતાથી જ મોટી પ્રમાણિકતા સધાતી હોય છે. મહાન વ્યક્તિઓના જીવનમાં સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ પ્રમાણિકતા પ્રગટ થાય છે. પ્રમાણિક માનવી ક્યારેય બેચેન બનતો નથી કે ઉજાગરા વેઠતો નથી. અપ્રમાણિક પાસે ધનના ઢગલા હશે, પણ અનિદ્રાના રોગથી પીડાતો હશે. દરેકને જુદી અને જુઠ્ઠી વાતો કહેનારે એ યાદ રાખવું પડે છે કે કોને શું કહ્યું ! કદાચ પકડાઈ જઈશું તો ? જ્યારે પ્રમાણિક માનવી નિરાંતના ઓશીકે ઊંઘી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જીભ જેટલો જ કાનને અધિકાર

છે ————–

બીજાની વાત કે એના વિચારને તમે ‘કાન આપો છો’ ખરા ? કેટલીક વ્યક્તિઓ પોતાની વાત જ કહ્યે જાય છે અને પોતાના જ વિચારો ઝીંક્યે રાખે છે. એમના વક્તવ્યમાં ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. વળી, સતત બોલતી વખતે તેઓ એમ માને છે કે સામેની વ્યક્તિ પર પોતે પ્રભાવ પાડી રહી છે ! એમને એ ખ્યાલ આવતો નથી કે સામેની વ્યક્તિ એમની વાતને કેટલું વજૂદ આપે છે અને એમના વિચારને કેટલું ‘વજન’ આપે છે. પત્ની, મિત્ર, સાથીઓ કે સહકર્મચારીઓની વાત સાંભળવાને બદલે પોતાની જ વાત કહેનાર જીવનમાં ઘણા વિસંવાદ સર્જે છે. જીભના જેટલો જ કાનનો મહિમા છે. જીભની ચંચળતા અને કાનની સ્થિતિસ્થાપકતા બંને વચ્ચે સમતુલન સાધવાની જરૂર છે. જીભનો અતિ વપરાશ કરનારા  સામી વ્યક્તિના કાનને અન્યાય કરે છે. દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવાની ઇચ્છા હોય છે. જો એનો પતિ, મિત્ર કે સહકર્મચારી એ ન સાંભળે, તો એ બીજાને પોતાની વાત કહેવા માટે દોડી જશે. દરેક વ્યક્તિને વ્યક્ત થવું હોય છે અને એ વ્યક્ત ન થાય ત્યાં સુધી ગૂંગળાતી રહે છે. ગૃહસ્થજીવન હોય કે વ્યવસાયજીવન – પણ એમાં બીજાની વાત કે વિચાર સાંભળવાની શક્તિ ઘણી મહત્ત્વની બને છે અને એના પર જ એની સફળતાનો આધાર હોય છે. પોતાનો વિચાર બીજા પર લાદવાને બદલે બીજાનો વિચાર જાણવાની કોશિશ કરવી જોઈએ. કદાચ એ બીજી વ્યક્તિ તમારો પોતાનો જ વિચાર કહેતી હોય ! વળી જો એનો વિચાર પોતાના વિચારથી જુદો હશે, તો સામી વ્યક્તિના વિચારને સમજીને એને યોગ્ય રીતે વાળવાની તક મળશે, આથી એ વ્યક્તિને પણ લાગશે કે એની વાત અહીં સંભળાય છે. એને વ્યક્ત થવાની પૂરી મોકળાશ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સ્પૃહાવાન અમીર એ સૌથી

મોટો ગરીબ ————

ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ કણાદ ‘કણભૂક’ કે ‘કણભક્ષ’ તરીકે ઓળખાતા હતા. એમની આવી ઓળખનું કારણ એ કે ખેતરમાં અનાજ લણ્યા પછી ધરતી પર પડી રહેલા અનાજના કણનું જ તેઓ ભોજન કરતા હતા. કણાદ તરીકે ઓળખાયેલા આ મહર્ષિએ દસ અધ્યાય અને પ્રત્યેકમાં બે બે આહનિક ધરાવતા ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી. ખેતરમાં પડેલા અન્નના કણ(દાણા)નું  ભોજન કરીને અખંડ વિદ્યાસાધના કરતા આ મહર્ષિ અત્યંત સંયમી જીવન જીવતા હતા. આ પ્રદેશના રાજાને જ્યારે ખબર પડી કે પોતાના રાજ્યના આવા જ્ઞાની દાર્શનિક નીચે પડેલા દાણાનું ભોજન કરીને જીવે છે, તે વાત રાજાને પસંદ પડી નહીં. એમણે રાજ્યના મંત્રીને આદેશ આપ્યો કે મહર્ષિ કણાદને માટે તત્કાળ ઉત્તમ ભોજન મોકલાવો. ભાતભાતનાં પકવાન ધરાવતું ભોજન મહર્ષિ સમક્ષ મૂકવામાં આવ્યું, ત્યારે મહર્ષિએ આવું ભોજન લેવાની ના કહી. એમણે કહ્યું કે, ‘આની મારે કોઈ જરૂર નથી. તમે આ ભોજન ગરીબોને વહેંચી નાખજો.’ રાજાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને અકળામણ અને અધીરાઈ બંને થયાં. આ તે કેવા મહર્ષિ ? રાજા સ્વયં ભોજનસામગ્રી લઈને મહર્ષિ પાસે ગયા. મહર્ષિએ એ જ સાહજિકતાથી કહ્યું, ‘મારે આવા કોઈ ભોજનની જરૂર નથી. એને ગરીબોમાં વહેંચી દેજો.’ ગર્વભંગ થયેલા રાજવીએ કહ્યું, ‘ઓહ ! તમારાથી વધુ ગરીબ આ રાજ્યમાં બીજો કોણ હશે ? મહર્ષિ મૌન રહ્યા. રાજા મહેલમાં પાછા ફર્યા અને રાણીને સમગ્ર ઘટના કહી, ત્યારે રાણીએ કહ્યું, ‘મહારાજ, મહર્ષિ કણાદને ગરીબ કહીને તમે ઘણી ગંભીર ભૂલ કરી. એમની પાસે તો સુવર્ણસિદ્ધિ છે. કોઈ પણ ધાતુને સુવર્ણમાં પલટાવી શકે તેવી સિદ્ધિ. તમારે તો એમની પાસેથી આવી સુવર્ણસિદ્ધિ માગવાની જરૂર હતી.’ રાજાના મનમાં લોભ જાગ્યો એટલે મહર્ષિ પાસે આવીને ક્ષમાયાચના કરતાં કહ્યું, ‘હે મહર્ષિ ! કૃપા કરીને મને સુવર્ણસિદ્ધિ વિદ્યા શીખવો.’ ‘વાયુપુરાણ’ જેવો ગ્રંથ જેમને પ્રભાસપાટણના નિવાસી ગણાવે છે તેવા મહર્ષિ કણાદે કહ્યું, ‘હે રાજન્, થોડા સમય પહેલાં તમે મને ગરીબ કહેતા હતા. હવે કહો, ગરીબ તમે છો કે હું ? શું હું તમારે દરવાજે યાચના કરવા આવ્યો ખરો ? યાચના તો તમે કરો  છો.’ મહર્ષિ કણાદની વાત સાંભળીને રાજાનો ગર્વ ખંડિત થઈ ગયો.

હકીકત એ છે કે નિસ્પૃહી ઋષિ કરતાં સ્પૃહાવાન રાજા અતિ ગરીબ હોય છે. પોતાની ગરીબી કે ફકીરીમાં સંતોષથી જીવન જીવનાર કરતાં વધુ સમૃદ્ધિની સ્પૃહા રાખનાર અમીર વધુ ગરીબ હોય છે. ગરીબ આજના સંતોષ પર જીવતો હોય છે. અમીરની આજ સંતોષથી ભરેલી હોય છે અને એની આવતી કાલ વધુ સમૃદ્ધિ મેળવવાની ઝંખનાથી ઊગતી હોય છે.

કુમારપાળ દેસાઈ