Categories
વાચન સમૃદ્ધિ

આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે

આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી લે છે. એ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ ? એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજા સમયે એને ચારે બાજુથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતી હોય છે. એને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે. કોઈ વખત જીવનમાં આવેલા આઘાતથી મનથી અવાચક બની ગઈ હોય છે. કોઈ પોતે રચેલા કારાવાસમાં સ્વયં કેદ થઈને જીવે છે. આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા જાવ એટલે તમે તમારી જાતમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા, પણ હવે અન્યને મદદરૂપ થવાના વિચારથી સ્વકેન્દ્રિતાનું કોચલું ભેદી શકશો અને અન્યને મદદરૂપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો. તમારા પોતાના સ્વાર્થી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર ખરી પડશે અને આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી બેસશે.

Categories
વાચન સમૃદ્ધિ

કટાક્ષથી ઉત્તર

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ(ઈ. સ. ૧૮૫૬થી ઈ. સ. ૧૯૫૦)ને ૧૯૨૫માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે રોકડ રકમનો અસ્વીકાર કર્યો હતો. એમને મુક્ત ચિંતક, મહિલાઅધિકારોના પુરસ્કર્તા અને સમાજની આર્થિક સમાનતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ એમના હાજરજવાબીપણા માટે પ્રસિદ્ધ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિના કટાક્ષનો એવો પ્રત્યુત્તર આપતા કે સામેની વ્યક્તિ તદ્દન નિરુત્તર બની જતી.  એક વાર તેઓ એક હાસ્યલેખકને મળવા ગયા. એ હાસ્યલેખકે એમનો ઉષ્માપૂર્ણ અતિથિસત્કાર કર્યો. ઘણા લાંબા સમય સુધી બંનેએ અલકમલકની વાતો કરી અને અંતે બર્નાર્ડ શૉએ એ હાસ્યલેખક સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપણા બંનેના હાસ્યમાં ઘણી પ્રભાવક લાક્ષણિકતાઓ છે. જો આપણે બંને સાથે મળીને એક પુસ્તક લખીએ, તો એમાં હાસ્યની બેવડી મજા આવે.’ જ્યોર્જ બર્નાર્ડ શૉનો આ પ્રસ્તાવ બીજા હાસ્યલેખકને સ્વીકાર્ય નહોતો, આથી એણે એનો ઇન્કાર કરવા વિચાર્યું, પરંતુ એમ થયું કે સીધેસીધો આ પ્રસ્તાવ ઠુકરાવીશ, તો યોગ્ય નહીં ગણાય. વળી પોતે હાસ્યકાર છે એ સિદ્ધ કરવા માટે જવાબ તો કટાક્ષપૂર્ણ જ આપવો જોઈએ. એણે કહ્યું, ‘મિ. શૉ, તમારા પ્રસ્તાવ વિશે વિચારતાં મને એમ લાગે છે કે શું ક્યારેય ઘોડા અને ગધેડાને એકસાથે જોડી શકાય ખરા ?’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ તત્કાળ ઉત્તર આપ્યો, ‘મિત્ર, તમને મારો પ્રસ્તાવ પસંદ પડ્યો નહીં, તેનો કંઈ વાંધો નહીં, પરંતુ મને કશાય કારણ વગર માણસમાંથી ઘોડો કેમ બનાવી રહ્યા છો ?’

બર્નાર્ડ શૉનો ઉત્તર સાંભળી વ્યંગ્યકાર છોભીલો પડી ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તાભાવ સતત કૂદકા લગાવે છે !

દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તૃત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું’ – આ રીતે પોતાના કર્તૃત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તૃત્વની બાંગ પોકારે છે. કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકો મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે.  ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે. ચેપી રોગની માફક એ લાગુ પડે પછી એવો વ્યાપ થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેપ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે. કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ  – એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે.