Categories
વાચન સમૃદ્ધિ

શારીરિક શ્રમનો પ્રભાવ

રોડ્ઝ સ્કૉલર અને ન્યૂયૉર્કના એટર્ની કર્નલ ઇડી ઇગાન કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. ક્યારેક એમ વિચારતા કે ઘાણીના બળદની માફક એમને સતત મહેનત કરીને માનસિક ચકરાવા લેવા પડે છે. મન પર સતત ચિંતાનાં વાદળો રહેતાં હતાં, આમાંથી બહાર નીકળવા માટે એમણે એક નવો ઉપાય શોધી કાઢ્યો. એમણે જોયું કે જ્યારે જ્યારે એ કોઈ શારીરિક શ્રમ કરતા, ત્યારે મન પર ઘેરાયેલાં માનસિક ચિંતાનાં વાદળો વીખરાઈ જતાં હતાં. આથી એમણે જિમ્નેશિયમમાં જઈને પોતાની પસંદગીની રમત સ્ક્વોશ ખેલવાનું શરૂ કર્યું. આ સમયે એમનું મન પેલી ચિંતાઓના બોજથી મુક્ત થઈ જતું. એ પછી ક્યારેક ગૉલ્ફ કોર્ટનું ચક્કર લગાવતા અથવા તો પૅડલ ટેનિસની રમત રમતા. આ શારીરિક શ્રમ કરતી વખતે એમને સતત એવો અનુભવ થયો કે આવા શ્રમને પરિણામે કાયદાની આંટીઘૂંટીમાં જકડાયેલું એમનું ચિત્ત એની સમસ્યાઓમાંથી મુક્ત થઈ જતું હતું અને હળવાશ અનુભવતું હતું. એક પ્રકારની નવી તાજગી અને નવી શક્તિ આવી હોય તેમ લાગતું. કર્નલ ઇડી ઇગાને જોયું કે એ જ્યારે બૉક્સિંગ કરતા, ત્યારે એમના મનમાં કોઈ ચિંતા જાગવાની શક્યતા જ રહેતી નહીં. બૉક્સિંગમાં એવી ધારદાર એકાગ્રતાની જરૂર પડતી તેમજ પ્રતિસ્પર્ધી પર સતત એવી નજર ઠેરવવી પડતી કે મનમાં ચિંતા તો શું, પણ કોઈ બીજો વિચાર જાગે એવી પણ શક્યતા રહેતી નહીં અને એને પરિણામે પછીના સમયમાં નવીન વિચારો આસાનીથી આવતા અને કપરાં કાર્યો સાવ સરળ લાગવા માંડતાં. આથી એમણે મનમાં એક સૂત્ર રાખ્યું કે મન જ્યારે ચિંતાગ્રસ્ત બને ત્યારે માનસિક શ્રમ લેવાને બદલે શારીરિક શ્રમ કરવા માંડો. એના પરિણામથી તમે પોતે નવાઈ પામશો અને ન્યૂયૉર્કના આ એટર્ની ઑલિમ્પિક લાઇટ-હેવીવેઇટ ચૅમ્પિયન પણ થયા અને એ જ રીતે કાયદાની દલીલબાજીની જેમ મુક્કાબાજીમાં પણ માહેર બની ગયા.

Categories
વાચન સમૃદ્ધિ

‘કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ !

અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ? આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ ‘શું ન કરવું’ એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો. માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેય-ઉપાદેયને સમજે, તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને અકરણીય કામોનો વિચાર કરવો જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃત સમાન ગ્રંથ

રાજચિકિત્સક બુઝોઈ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા હતા. એક વાર ઈરાનના બાદશાહ ખુસરોના રાજચિકિત્સક બુઝોઈએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઈ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઈને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૂ કરી. કેટલાંય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં. એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને બુઝોઈને જોઈને પૂછ્યું, ‘આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?’ બુઝોઈએ કહ્યું, ‘હું ઈરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.’ આ સાંભળીને પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, ‘અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા. આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૂર મળે. અમારે ત્યાં અમૃત સમાન ‘પંચતંત્ર’ નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃદ્ધ રહે છે.’ બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન ‘પંચતંત્ર’ની એક પ્રત લઈને સ્વદેશ પાછા ફર્યા.