Categories
વાચન સમૃદ્ધિ

જગત દેખાય, તો આત્મતત્ત્વ અગોચર રહે !

જેની અવિરત શોધ ચાલવી જોઈએ, તેનું સમૂળગું વિસ્મરણ થઈ જાય, તો શું થાય ? દેહની આસપાસ ઘૂમ્યા કરીએ અને આત્માની ઉપેક્ષા થાય, ત્યારે શું થાય ? ઇન્દ્રિયોના ઇશારે મનની દોડ ચાલતી હોય, ત્યારે આત્મતત્ત્વનાં એંધાણ પણ ક્યાંથી સાંપડે ? મનની દોડ કોઈ પદાર્થ તરફ સતત આકર્ષિત રાખે છે અને જ્યાં સુધી એનું અદમ્ય આકર્ષણ છૂટતું નથી, ત્યાં સુધી વ્યક્તિ ક્યાંય પહોંચી શકતી નથી. ઇંદ્રિયોના આશ્રયે ચાલતી મનની દોડ વ્યક્તિને ન તો જીવનની શાંતિ ભણી લઈ જાય છે કે ન તો પ્રાપ્તિની તૃપ્તિ ભણી. આવે સમયે આત્મતત્ત્વનું વિસ્મરણ થાય છે, જે આત્મઘાતક નીવડે છે. વિસ્મરણનો અંતિમ છેડો મરણ છે અને તેથી એ વ્યક્તિનું આત્મતત્ત્વ અંદરોઅંદર ગૂંગળાઈને મૃત્યુ પામે છે. આ આત્મતત્ત્વના અસ્તિત્વને ખોળવા માટે મથામણ કરવી પડે. જેઓ જીવનમાં આત્મતત્ત્વને પામવાની કોઈ કશ્મકશ કરતા નથી, એમને ભીતરમાં રહેલા આત્મતત્ત્વની કોઈ જાણ હોતી નથી. જીવનપર્યંત રણની રેતી જોનારને ઘૂઘવતા મહાસાગરની કલ્પના ક્યાંથી આવે ? એવી જ પરિસ્થિતિ દેહના સુખ, સંપત્તિની સમૃદ્ધિ અને ઇંદ્રિયોના ઉપભોગની પાછળ આત્મતત્ત્વનું વિસ્મરણ પામનારની હોય છે. જે દેહને જુએ છે, તેને આત્મા દેખાતો નથી. જે જગતને જુએ છે, તેને આત્મતત્ત્વ દેખાતું નથી. જો એને આત્મતત્ત્વ દેખાય તો પછી એને જગત દેખાતું નથી. આત્મતત્ત્વની ઓળખ એ માનવજીવનની પરમ પ્રાપ્તિ છે. સાધક હોય કે સામાન્યજન, એ પામે એટલે એનો બેડો પાર થઈ જાય. ભૌતિકતાને પાર વસેલી આધ્યાત્મિકતામાં આત્મતત્ત્વનો વાસ છે. એક વાર એનો સાક્ષાત્કાર થાય, ત્યારે આસપાસની દુનિયા પલટાઈ જાય છે અને એની અનાત્મબુદ્ધિ આથમી જાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

અનુભૂતિ બની પ્રતીતિ

થિયેટરોથી ઊભરાતા અમેરિકાના પ્રસિદ્ધ બ્રૉડવેમાં નિર્માતા ફ્લોરેન્સ ઝીગફેલ્ડ નાટ્યજગતમાં એક જાદુગર તરીકે જાણીતા હતા. તેઓ તદ્દન સામાન્ય સ્ત્રી કે પુરુષને કુશળ અભિનેતા કે અભિનેત્રીમાં પરિવર્તિત કરી શકવાની અપ્રતિમ કલા ધરાવતા હતા. સાવ સામાન્ય વસ્ત્રોવાળી અને સાધારણ દેખાવ ધરાવતી સ્ત્રીમાં પણ અભિનયની સતત તાલીમ અને પરિશ્રમથી અસાધારણ ફેરફાર કરી શકતા. રસ્તે કોઈની નજરે પણ ન ચડે એવી સ્ત્રીને આ નિર્માતા એને અતિ સુંદરતા અને પ્રબળ આકર્ષકતા સાથે રંગભૂમિ પર રજૂ કરી શકતા. સહુને આશ્ચર્ય થતું કે ફ્લોરેન્સ ઝીગફેલ્ડ કઈ રીતે આવું પરિવર્તન સર્જે છે ? ફ્લોરેન્સ ઝીગફેલ્ડનો એક સિદ્ધાંત હતો કે પ્રત્યેક વ્યક્તિને આત્મસન્માન આપવું. એનો આત્મવિશ્વાસ વધારવો. પોતાની જાતને સાવ સામાન્ય માનતી વ્યક્તિને એની જાત વિશેની સામાન્યતાની દૃઢ અને બંધિયાર માન્યતામાંથી બહાર લાવવી. એના મનમાં પલાંઠી મારીને આસન જમાવી બેઠેલી લઘુતાગ્રંથિને દૂર કરવી. જીવન વિશેના નૅગેટિવ અભિગમને પૉઝિટિવ બનાવવો અને એમની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય, તે માટે અવિરત પ્રયાસ કરવો. આવા માનસિક અભિગમની સાથે વ્યવહારુ દૃષ્ટિ પણ અપનાવતા હતા. અઠવાડિયે માત્ર ત્રીસ ડૉલર મેળવતી યુવતીઓનું મહેનતાણું એમણે ૧૭૫ ડૉલર કર્યું ! નવોદિત કલાકારોની શક્તિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા. નાટકના પ્રથમ પ્રયોગ વખતે એ મુખ્ય કલાકારોને શુભેચ્છાના તાર મોકલતા અને રંગમંચ પર કામ કરતી યુવતીઓની ‘અમેરિકન બ્યૂટી’ તરીકે પ્રશંસા કરીને એમનામાં રહેલા આત્મવિશ્વાસને જગાડતા, એટલું જ નહીં, પણ તેઓ આગવી નાટ્યકલા ધરાવતા પ્રતિભાવાન કલાકાર છે એવી અનુભૂતિ કરાવતા. આને પરિણામે કલાકાર જીવ રેડીને અભિનય કરતો તથા ફ્લોરેન્સ ઝીગફેલ્ડની શાબાશીને યોગ્ય પુરવાર થવા પ્રયત્ન કરતો. આ અનુભૂતિ કલાકારની પ્રતીતિ બની જતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રભુત્વ માનવીને પામર બનાવે છે !

દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રભુત્વનો ખેલ ખેલતી હોય છે. તે અમીર હોય કે ગરીબ, સત્તાવાન હોય કે નિર્ધન, ઊંચ હોય કે નીચ, નાની હોય કે મોટી – પણ એને પ્રભુત્વનો યા ચઢિયાતાપણાનો ખેલ ખેલવો અતિ પ્રિય હોય છે. સત્તાધારી વ્યક્તિ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા કોશિશ કરે છે. સમાજનો પ્રમુખ સમાજના સભ્યો પર પોતાનું પ્રભુત્વ લાદવા પ્રયાસ કરે છે. માફિયા પણ આવું પ્રભુત્વ દર્શાવીને ધાકધમકી કે હત્યાથી પોતાનો પ્રભાવ દર્શાવવા પ્રયાસ કરે છે. પિતા પુત્ર પર, પતિ પત્ની પર આવું પ્રભુત્વ સ્થાપવા અહર્નિશ પ્રયત્ન કરે છે. પ્રભુત્વની આ રમત પ્રાંગણમાં ખેલતાં બાળકોમાં પણ જોવા મળે છે. શાળામાં મૉનિટર બનતા વિદ્યાર્થીમાં કે અગ્રતાક્રમે ઉત્તીર્ણ થતાં બાળકોમાં પણ જોઈ શકાય છે. સામાન્ય વ્યક્તિ પણ અતિ સામાન્ય પર કે મોટો ભાઈ નાના ભાઈ પર અહંકારપૂર્વક પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે. એક અર્થમાં કહીએ તો દરેક માણસ પોતાના શિરે પ્રભુત્વનો પથ્થર ઊંચકીને ચાલતો હોય છે. એ પથ્થર એની હેસિયત પ્રમાણે નાનો પણ હોય અને મોટો પણ હોય ! પરંતુ એ પથ્થરનો બોજ માથા પર ઊંચક્યા વિના એને જિંદગીની મજા આવતી નથી. હા, એવું બને ખરું કે એ વારંવાર જિંદગી ભારરૂપ કે બોજરૂપ બની ગયાની ફરિયાદ કરતો હોય છે, છતાં પ્રભુત્વના ગમતા બોજને નીચે ઉતારતો નથી. પ્રભુતા સાથે ભ્રષ્ટતા જોડાયેલી છે. પ્રભુત્વ પામવા અને જાળવવા માટે માનવી ભ્રષ્ટ થતાં અચકાતો નથી. સમાજમાં પ્રભુત્વ સ્થાપવા નીકળેલ ઠેકેદાર સમાજ પર જુલમ કરીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. પરિવારમાં પ્રભુત્વ દર્શાવવા માટે વડીલો ક્રૂર આચરણ કરતાં પણ અચકાતા નથી, શાસક પોતાનું પ્રભુત્વ દાખવવા માટે દમનના કોરડા વીંઝતો હોય છે.