Categories
વાચન સમૃદ્ધિ

કિનારાનું લંગર અને

મધદરિયાનું જહાજ જુદાં હોય છે ———-

બંદર પર લાંગરેલું જહાજ કેટલું બધું સલામત હોય છે ! એને ન કોઈ મોજાં અફળાતાં હોય છે કે ન દરિયામાં ઉપરતળે થતું હોય છે. કોઈ ઝંઝાવાતો એને ડોલાવતા નથી, તો દિશાની શોધમાં એને આમતેમ ભરદરિયે ભટકવું પડતું નથી. એ નિરાંતે દરિયાકિનારે લંગર નાખીને ઊભું હોય છે, પણ આ જહાજનું સર્જન આ માટે થયું છે ? એના નિર્માણનો હેતુ આ જ છે ? ના. એનું કામ તો દરિયાની વચ્ચે મોજાંઓની થપાટો ખાતાં ખાતાં અને કેટલીય આફતો ઝીલતાં પોતાનો માર્ગ શોધવાનું છે. એમાં જ એના સર્જનની સાર્થકતા સમાયેલી છે.

વ્યક્તિ જ્યારે સલામત જીવન જીવવાનો વિચાર કરે છે, ત્યારે બંદરમાં ઊભેલા જહાજનું સ્મરણ થાય છે, પરંતુ વ્યક્તિ જ્યારે જીવન-સાર્થક્યનો વિચાર કરે ત્યારે ઝંઝાવાતમાં આમતેમ ફંગોળાતું જહાજ દેખાય છે. નવી દિશામાં આગળ વધવાનું એનામાં સંકલ્પબળ દેખાય છે. સંકલ્પબળ વિનાનો માનવી ન તો નવી દૃષ્ટિ ધરાવે છે કે ન તો નવી દિશા. એ તો ક્યાંય સલામતી શોધીને પગ વાળીને બેસી ગયો હોય છે. મહાન સાહસવીરો પાસે એક ધ્યેય હતું. એ ધ્યેય સિદ્ધ કરવા માટેનો સંકલ્પ હતો અને તેથી જ આ સાહસવીરો જગતને નવા નવા દેશોની ભેટ આપી ગયા છે. એની દૃષ્ટિ ખાબોચિયાંના ખૂણાઓને માપતી નથી, પરંતુ અફાટ સાગરને બાથમાં લેવાની કોશિશ કરે છે અને એ જ વ્યક્તિ જીવનમાં પોતાની દૃષ્ટિને-ધ્યેયને સિદ્ધ કરી શકે છે.

સાગરમાં ઊછળતાં મોજાં એમને ડરાવી શકતાં નથી. તોફાની દરિયાની કલ્પના એમને ડગાવી શકતી નથી. સફર ખેડતાં જળસમાધિ લેનારાં જહાજો કે જવાંમર્દોની દાસ્તાનો એમને થંભાવી શકતી નથી. એમની નજર દરિયા પર નહીં, કિંતુ દરિયાપારના દેશો પર હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અર્જુનમાં યોગ છે !

મહાભારતના ભીષણ યુદ્ધમાં આચાર્ય દ્રોણે રચેલા ચક્રવ્યૂહને ભેદવા માટે અર્જુનનો પુત્ર અને શ્રીકૃષ્ણનો ભાણેજ અભિમન્યુ વીરગતિ પામ્યો. કૌરવ પક્ષના છ મહારથીઓ સામે અપ્રતિમ પરાક્રમ દાખવી યુવાન અભિમન્યુ રણમેદાનમાં વીરની જેમ મૃત્યુ પામ્યો. બાણાવળી અર્જુનને આ સમાચાર મળ્યા, ત્યારે એણે પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ કરીશ. અર્જુનના પ્રલયકારી શબ્દો પછી તત્કાળ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો પાંચજન્ય શંખ ફૂંક્યો.

પાંડવસેનામાં યુદ્ધનો નવીન, પ્રબળ ઉત્સાહ જાગ્યો. પાંડવસેનાના આનંદવિભોર અવાજો સાંભળી જયદ્રથને આશ્ચર્ય થયું. શોકની પરાકાષ્ઠાએ આવો આનંદ કેમ ? વેદનાની ટોચ ઉપર ઉલ્લાસ હોય ખરો? હકીકતમાં તો પાંડવો શોકની પરિસ્થિતિ જોઈને શોકમાં ડૂબી જનારા નહોતા, પરંતુ શોક સર્જનારી પરિસ્થિતિ સામે પડકાર ફેંકનારા હતા. માટે જ તેઓ પાંડવો હતા !

ભયભીત થઈને વિહવળ બનેલો જયદ્રથ દુર્યોધન પાસે દોડી આવ્યો. દુર્યોધને એને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો, જયદ્રથની આંખમાંથી આવતીકાલનો મૃત્યુભય ખસતો નહોતો.

દુર્યોધન અને જયદ્રથ હિંમત અને આશ્વાસન પામવા માટે ગુરુ દ્રોણ પાસે ગયા. એમની પાસેથી ઉછીની હિંમત લઈને હૃદયના ભયને ઠારવો હતો. દુર્યોધને ગુરુ દ્રોણને માર્મિક પ્રશ્ન પૂછ્યો,

‘હું અને અર્જુન બંને આપના શિષ્યો છીએ. આપે અમને સમાન વિદ્યા આપી છે. જે શસ્ત્રવિદ્યામાં એને પારંગત બનાવ્યો, એમાં જ તમે મનેય પારંગત બનાવ્યો છે. છતાં મારાથી ચઢિયાતો ?’

ગુરુ દ્રોણે દુર્યોધનને કહ્યું, ‘જુઓ, આચાર્ય કોઈ એકના હોતા નથી. સહુના એ આચાર્ય હોય છે. તમે બંને મારા શિષ્યો છો તે હું સ્વીકારું છું; પરંતુ અર્જુનને તારા કરતાં ચઢિયાતો ગણવામાં બે કારણ છે.’

દુર્યોધને પૂછ્યું, ‘કયું છે પહેલું કારણ ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘અર્જુનમાં યોગ છે. વિરલ અધ્યાત્મ-જિજ્ઞાસા છે. એવો યોગ કે જિજ્ઞાસા તારામાં નથી.’

દુર્યોધને પૂછ્યું, ‘બીજું શું કારણ છે ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘તારી અને અર્જુનની જીવનશૈલી ભિન્ન છે. બંનેનો જીવન વિશેનો અભિગમ ભિન્ન છે. અર્જુને દુ:ખનો અનુભવ કર્યો છે, તેથી એની જીવનદૃષ્ટિ સર્વગ્રાહી છે. તું માત્ર સુખમાં જ ઊછર્યો છે માટે તારી જીવનદૃષ્ટિ પરિપક્વ થઈ નથી.’

ગુરુ દ્રોણની આ તુલનામાં એ સ્પષ્ટ જોવા મળે છે કે અર્જુનનું ઘડતર એની અધ્યાત્મ-જિજ્ઞાસાએ કર્યું છે. જ્યારે દુર્યોધનનું જીવનઘડતર માત્ર ભૌતિક લાલસાઓથી થયેલું છે.

અર્જુનમાં યોગ છે. શ્રીકૃષ્ણનો ઉપદેશ ઝીલવાની એની પાત્રતા છે, જ્યારે દુર્યોધન સુખમાં ઊછરેલો હોવાથી એણે નમ્રતા અને સૌહાર્દ ગુમાવી દીધાં છે. દુર્યોધનનો અહંકાર જ મહાભારતના યુદ્ધનું કારણ બન્યો અને પોતાના કુળના સર્વનાશનું નિમિત્ત બન્યો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પારકી આંખમાંથી પ્રેમી જોતો

હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ