Categories
વાચન સમૃદ્ધિ

આતંકવાદના ગણિતનો તાળો મળતો નથી

આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજકીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે. એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની ક્રૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળિંબદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થૂળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે. પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

શારીરિક શ્રમનો પ્રભાવ

રોડ્ઝ સ્કૉલર અને ન્યૂયૉર્કના એટર્ની કર્નલ ઇડી ઇગાન કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. ક્યારેક એમ વિચારતા કે ઘાણીના બળદની માફક એમને સતત મહેનત કરીને માનસિક ચકરાવા લેવા પડે છે. મન પર સતત ચિંતાનાં વાદળો રહેતાં હતાં, આમાંથી બહાર નીકળવા માટે એમણે એક નવો ઉપાય શોધી કાઢ્યો. એમણે જોયું કે જ્યારે જ્યારે એ કોઈ શારીરિક શ્રમ કરતા, ત્યારે મન પર ઘેરાયેલાં માનસિક ચિંતાનાં વાદળો વીખરાઈ જતાં હતાં. આથી એમણે જિમ્નેશિયમમાં જઈને પોતાની પસંદગીની રમત સ્ક્વોશ ખેલવાનું શરૂ કર્યું. આ સમયે એમનું મન પેલી ચિંતાઓના બોજથી મુક્ત થઈ જતું. એ પછી ક્યારેક ગૉલ્ફ કોર્ટનું ચક્કર લગાવતા અથવા તો પૅડલ ટેનિસની રમત રમતા. આ શારીરિક શ્રમ કરતી વખતે એમને સતત એવો અનુભવ થયો કે આવા શ્રમને પરિણામે કાયદાની આંટીઘૂંટીમાં જકડાયેલું એમનું ચિત્ત એની સમસ્યાઓમાંથી મુક્ત થઈ જતું હતું અને હળવાશ અનુભવતું હતું. એક પ્રકારની નવી તાજગી અને નવી શક્તિ આવી હોય તેમ લાગતું. કર્નલ ઇડી ઇગાને જોયું કે એ જ્યારે બૉક્સિંગ કરતા, ત્યારે એમના મનમાં કોઈ ચિંતા જાગવાની શક્યતા જ રહેતી નહીં. બૉક્સિંગમાં એવી ધારદાર એકાગ્રતાની જરૂર પડતી તેમજ પ્રતિસ્પર્ધી પર સતત એવી નજર ઠેરવવી પડતી કે મનમાં ચિંતા તો શું, પણ કોઈ બીજો વિચાર જાગે એવી પણ શક્યતા રહેતી નહીં અને એને પરિણામે પછીના સમયમાં નવીન વિચારો આસાનીથી આવતા અને કપરાં કાર્યો સાવ સરળ લાગવા માંડતાં. આથી એમણે મનમાં એક સૂત્ર રાખ્યું કે મન જ્યારે ચિંતાગ્રસ્ત બને ત્યારે માનસિક શ્રમ લેવાને બદલે શારીરિક શ્રમ કરવા માંડો. એના પરિણામથી તમે પોતે નવાઈ પામશો અને ન્યૂયૉર્કના આ એટર્ની ઑલિમ્પિક લાઇટ-હેવીવેઇટ ચૅમ્પિયન પણ થયા અને એ જ રીતે કાયદાની દલીલબાજીની જેમ મુક્કાબાજીમાં પણ માહેર બની ગયા.

Categories
વાચન સમૃદ્ધિ

‘કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ !

અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ? આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ ‘શું ન કરવું’ એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો. માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેય-ઉપાદેયને સમજે, તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને અકરણીય કામોનો વિચાર કરવો જોઈએ.