Categories
વાચન સમૃદ્ધિ

મનપસંદ વ્હિસલ

અમેરિકાના પ્રસિદ્ધ લેખક, સંશોધક, વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિનનું મૂળ નામ રિચાર્ડ સોન્ડર્સ હતું. સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાનાં સત્તર સંતાનોમાં ફ્રેન્કલિન દસમું સંતાન હતા. બહુમુખી પ્રતિભાને કારણે એમણે અનેક ક્ષેત્રોમાં કામગીરી બજાવી. મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, બંધારણના ઘડવૈયા અને સ્થિર-વિદ્યુતનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની તરીકે જાણીતા બન્યા. ગરીબીમાં ઊછરતા આ બેન્જામિન ફ્રેન્કલિન સાત વર્ષના બાળક હતા, ત્યારે રમકડાંની દુકાનમાં વ્હિસલ જોઈને એની પાછળ ગાંડા થઈ ગયા હતા. મનમાં થયું કે કોઈ પણ ભોગે, આ વ્હિસલ મેળવવી જ જોઈએ. એક વાર એમની પાસે જે કંઈ પૈસા એકઠા થયા હતા, એ બધી રકમનો દુકાનદાર આગળ ઢગલો કર્યો અને કહ્યું કે ‘મને મારી પેલી મનપસંદ વ્હિસલ આપો.’ વ્હિસલ મેળવવાની તાલાવેલી એટલી કે એમણે ન તો એની કિંમત પૂછી કે ન તો એમણે કેટલી કિંમત ચૂકવી તેની ગણતરી કરી. એ પછી એ વ્હિસલ વગાડતા વગાડતા આનંદભેર ઘેર આવ્યા, ત્યારે એમનાં મોટાં ભાઈ-બહેનોએ એની ખરીદીની વાત જાણીને કહ્યું કે બેન્જામિને ઘણી વધુ કિંમત ચૂકવીને વ્હિસલ ખરીદી છે. બધાએ એની ખૂબ મશ્કરી કરી. સાત વર્ષની વયની ઘટના બેન્જામિન ફ્રેન્કલિનને છેક સિત્તેર વર્ષ સુધી યાદ રહી ગઈ. વ્હિસલ મળ્યાના આનંદ અને ખુશી કરતાં પોતાની આટલી મોટી ભૂલનું દુ:ખ વધુ રહ્યું. આ ઘટનાને વારંવાર યાદ કરીને તેઓ વિચારતા કે પોતે વ્હિસલની જે કિંમત ચૂકવી, એના કરતાં ‘અનેકગણી વધારે કિંમત’ લોકો એમની મનપસંદ વ્હિસલ માટે ચૂકવતા હોય છે ! વળી દરેક ચીજની ખોટી કિંમત આંકીને માનવી જીવનભર દુ:ખી રહેતો હોય છે. વ્હિસલની નાની શી ઘટનામાંથી બેન્જામિન ફ્રેન્કલિન જીવનભર બોધપાઠ તારવતા રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ?

બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પરિચિત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ. જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ  ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ? અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના જીવનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુન: ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

અંગત સ્નેહનો સ્પર્શ

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી  પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું,  ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા,  ‘દોસ્ત ! આ  માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.  પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.