Categories
વાચન સમૃદ્ધિ

વિજ્ઞાનીની જેમ પડકારોનો સામનો કરીએ

જીવનની પ્રત્યેક પડકારરૂપ પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ તો હોય છે જ, પરંતુ પડકાર અને તેના ઉકેલ વચ્ચેનું અંતર ધૈર્ય, કુનેહ અને હિંમત માગતું હોય છે. કેટલીક વ્યક્તિઓ પડકાર સામે આંખ મીંચી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પડકાર જોઈને એનાથી દૂર નાસી જાય છે. આવી વ્યક્તિઓને માટે પડકાર એ પૂર્ણવિરામ બની જાય છે. હકીકતમાં પ્રત્યેક પડકારની પહેલાં ઓળખ મેળવવાની જરૂર હોય છે. કેટલાંક કામ અને કર્તવ્ય જીવનમાં સિદ્ધ કરવાનાં અનિવાર્ય હોય છે. આ અનિવાર્યનું નિવારણ કરવું પણ જરૂરી છે. જો એ અનિવાર્યની ઉપેક્ષા કરીશું તો કાં તો નિષ્ફળતા મળશે અથવા તો એ પડકાર વધુ ને વધુ મોટો, ગંભીર અને પરેશાનીરૂપ બનતો જશે. જીવનમાં આવતા પડકારનો ઉકેલ જરૂરી હોય છે અને એમ કરવા જતાં ક્યારેક પોતાને મુશ્કેલી કે હાનિ થવાનો પણ ભય હોય છે. એના ઉકેલ માટે મથવું પડે છે. પીડા પણ ભોગવવી પડે છે, આમ છતાં જે કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે એ કરવું જ જોઈએ અને એમ કરવાનો પ્રયાસ કરનાર સમય જતાં એમાં સિદ્ધિ મેળવતો હોય છે.

કોઈ બાબતને અશક્ય માનીને માંડી વાળવી જોઈએ નહીં, પણ સતત એની પાછળની શક્યતાઓ ખોજવી જોઈએ અને એ શક્યતાઓનો સહારો લઈને તર્ક, લાગણી અને અનુભવ દ્વારા એને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ તો જીવનના અનિવાર્ય પડકારોનો ઉકેલ મળી જશે. જીવનના પડકારના ઉકેલ માટે  મથનારા માનવી પાસે વૈજ્ઞાનિક જેવી સતત ખોજ-સંશોધનની ધગશ હોવી જોઈએ. એક પ્રયોગમાં સફળતા ન મળે, તો એને બાજુએ રાખીને બીજો પ્રયોગ હાથ ધરે છે. જીવનના પડકારનો સામનો કરનારે પ્રયત્નો કરવામાં પાછા વાળીને જોવું જોઈએ નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મરવાની કળા

ગ્રીસનો વિશ્વવિખ્યાત તત્વચિંતક અને વિચારક પ્લેટો અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. ગ્રીસની નગરસંસ્કૃતિમાં પ્લેટોનું વિશિષ્ટ સ્થાન હતું. એણે લખેલો ‘રિપબ્લિક’ ગ્રંથ રાજકીય વિચારધારાનો વિશિષ્ટ અને વિરલ ગ્રંથ ગણાતો હતો. પ્લેટોના ગુરુ હતા મહાન દાર્શનિક સૉક્રેટિસ અને પ્લેટોનો શિષ્ય હતો જ્ઞાની અને ફિલસૂફ એરિસ્ટોટલ. અંતિમ સમયે પ્લેટોની આસપાસ એના શિષ્યો, મિત્રો અને નામાંકિત નગરજનો બેઠા હતા. આ સમયે કોઈએ પ્લેટોને કહ્યું, ‘જીવનભર અમે તમને પ્રશ્નો પૂછ્યા અને તમે એના ઉત્તરમાં અમને ઊંડું જ્ઞાન આપ્યું છે. આજે પણ આપની અનુમતિ હોય તો અમે એક અંતિમ પ્રશ્ન આપને પૂછી લઈએ. પ્લેટોએ માથું હલાવીને અનુમતિ આપી. પેલી વ્યક્તિએ કહ્યું, ‘તમે જીવનભર અમને ઘણું શીખવ્યું, ઘણું સમજાવ્યું, કેટલાય નવા વિચારો આપ્યા. કેટલાકને અમે સમજ્યા, કેટલાક અમે સમજી શક્યા નહીં તો એ અંગે તમને પૂછ્યું. તમે એ જટિલ સિદ્ધાંતો પણ સમજાવ્યા. હવે અમારી એક ઇચ્છા છે કે તમારી સમગ્ર વિચારસૃષ્ટિનો સાર અમને એક વાક્યમાં સમજાવી દો, જેથી ભવિષ્યમાં તમારી કોઈ વિચારધારા સમજાય નહીં, તો આ સૂત્રાત્મક ચાવી દ્વારા એનો મર્મ પામી શકીએ.’

પ્લેટો વિચારમાં પડી ગયા. થોડા સમય પછી કહ્યું, ‘‘મેં જીવનભર તમને એક જ વાત શીખવી છે અને તે ‘ધી આર્ટ ટૂ ડાઈ’ એટલે કે મરવાની કળા.’’ આટલું બોલી પ્લેટોએ આંખ મીંચી દીધી.

*

પ્લેટોની વાતનો મર્મ જ એ છે કે જીવન એ સાર્થક રીતે મરવાની કલા છે. મૃત્યુના નાટકનો પડદો પડે તે પહેલાં ખેલ ખેલી લેવાની કલા છે. મરવા માટે પણ માનવી પાસે એક કળા હોવી જોઈએ. જીવવાની કળા શોધનાર માનવીએ મરવાની કળાની ઉપેક્ષા કરી છે. માણસે મૃત્યુને જીવનને અંતે મૂક્યું અને એની પારાવાર ઉપેક્ષા કરી. જીવનમાં મૃત્યુ તરફ મુખ રાખવાને બદલે એ એના તરફ પીઠ રાખીને બેઠો અને પરિણામે એને મૃત્યુની કોઈ ઓળખ થઈ નહીં. ડરામણી આપત્તિ કે જીવલેણ બીમારીના સમયે એને થોડી ક્ષણો માટે મૃત્યુનો ભય લાગ્યો, પરંતુ આપત્તિ અળગી થતાં અને બીમારી દૂર થતાં એ મૃત્યુને ભૂલી ગયો. જીવવા માટે જેમ શૈલી હોય છે, એમ મૃત્યુ માટે પણ શૈલી હોય છે. જીવનને સારી રીતે જીવવા માટે જેમ મૈત્રી, ઉદારતા, હકારાત્મક વલણ અને સૌજન્ય જરૂરી છે, તેમ મૃત્યુને માણવા માટે વૈરાગ્ય, નિસ્પૃહતા અને આધ્યાત્મિકતાની આવશ્યકતા છે.

જિંદગી ઊજળી રીતે જીવનાર મૃત્યુને માણી શકે છે. જિંદગી જાગ્રત રીતે જીવનાર મૃત્યુને જાગ્રતપણે સ્વીકારી શકે છે. જિંદગી અજાગ્રત રીતે ગાળનાર જીવનમાં વારંવાર મરતો રહે છે અને મૃત્યુથી ડરતો રહે છે. આથી જ કેટલાકને માટે મૃત્યુ એ મારક છે અને કેટલાકને માટે મૃત્યુ એ મહોત્સવ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પહેલાં શ્રોતા બનીએ, પછી સમીક્ષક

શ્રવણ એ કલા છે. એકાગ્રતા સાધવાનો યોગ છે. લીન થવાની પ્રક્રિયા છે. શ્રોતા તરીકેનો પરમ ધર્મ છે. શ્રવણની ગરિમા ભૂલીને આપણે એને મનોરંજનનું માધ્યમ કે ટાઇમપાસનું સાધન બનાવ્યું છે. પરિણામે કાનથી સાંભળીએ છીએ ખરા, પણ ચિત્તમાં કશું પહોંચતું નથી ને આત્મા તો સાવ અસ્પૃશ્ય રહે છે.

બોલવાની કળા કરતાં સાંભળવાની કળા વધુ મુશ્કેલ અને વધુ મહત્ત્વની છે. વાણીની કલામાં વ્યક્તિની આંતરચેતનાની અભિવ્યક્તિ હોય છે, જ્યારે શ્રવણકલામાં વ્યક્તિની આંતરસ્થિતિની કસોટી હોય છે. ઘણી વાર સવાલ થાય કે સભામાં બેઠેલી વ્યક્તિ સાંભળે છે ખરી ? એના કાન ખુલ્લા હોય, પણ બેધ્યાન હોવાને કારણે એ બહેરા કાનવાળો બની જાય છે ! ક્યારેક એ સાંભળે છે ખરો, પરંતુ મનમાં એ વ્યક્તિના શબ્દો કે વિચારો પામવાનો પ્રયાસ કરવાને બદલે માત્ર એ વ્યક્તિના ગુણદોષ વિશે ચિંતન કરતો હોય છે. ઘણી વ્યક્તિઓ શ્રોતા હોતી નથી, બલકે સમીક્ષક હોય છે. એ સામી વ્યક્તિની વાતને મનમાં બરાબર ઉતારવાને બદલે એની મનોમન સમીક્ષા કરતી હોય છે. એના દોષો ખોળતી જાય છે. એ એમ કરવા જતાં ધીરે ધીરે સભાસ્થાને બેઠી હોવા છતાં પ્રવચનથી સાવ વિમુખ બની જાય છે. શ્રોતાને એક અદકો લાભ એ મળે છે કે સામી વ્યક્તિના સમગ્ર સંવિતને એના એકાદ કલાકના પ્રવચનમાં પામી શકે છે. વક્તાના કેટલાંય વર્ષોના અનુભવોનું નવનીત એને થોડા કલાકમાં મળી જાય છે. આવું હોવા છતાં બહુ ઓછી વ્યક્તિઓ પૂર્ણ રૂપે શ્રોતા બને છે. શ્રોતાધર્મ બજાવવા ઇચ્છનારે સામી વ્યક્તિના શબ્દો અને વિચારોને પૂર્ણપણે પામવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ એની વિચારસૃષ્ટિ પામવાનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય.

કુમારપાળ દેસાઈ