Categories
વાચન સમૃદ્ધિ

અમૃત સમાન ગ્રંથ

રાજચિકિત્સક બુઝોઈ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા હતા. એક વાર ઈરાનના બાદશાહ ખુસરોના રાજચિકિત્સક બુઝોઈએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઈ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઈને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૂ કરી. કેટલાંય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં. એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને બુઝોઈને જોઈને પૂછ્યું, ‘આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?’ બુઝોઈએ કહ્યું, ‘હું ઈરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.’ આ સાંભળીને પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, ‘અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા. આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૂર મળે. અમારે ત્યાં અમૃત સમાન ‘પંચતંત્ર’ નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃદ્ધ રહે છે.’ બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન ‘પંચતંત્ર’ની એક પ્રત લઈને સ્વદેશ પાછા ફર્યા.

Categories
વાચન સમૃદ્ધિ

નૅગેટિવ વિચારના ‘સ્ટેજ’ આવે છે

નૅગેટિવ (નકારાત્મક) વિચારો એક એવું કૅન્સર છે કે જે લાગુ પડ્યા પછી સતત ફેલાતું રહે છે અને જેમ કૅન્સરમાં કથળતી હાલતના એક પછી એક ‘સ્ટેજ’ આવે છે, એ રીતે નૅગેટિવ વિચારોના એક પછી એક વધુ નુકસાનકારક તબક્કાઓ આવે છે અને વ્યક્તિ એનો શિકાર બની જાય છે. ભીતરમાં બે અવાજ રહેલા હોય છે. એક અવાજ પૉઝિટિવ હોય છે અને બીજો નૅગેટિવ હોય છે. પૉઝિટિવ વિચારધારા ધરાવનાર માણસને બે રાત વચ્ચે એક ઝળહળતો દિવસ દેખાય છે. નૅગેટિવ વ્યક્તિને બે રાત વચ્ચે ‘સૅન્ડવિચ દિવસ નજરે પડે છે. નૅગેટિવ વિચારો ચેપી રોગના જંતુઓ જેવા છે, જે શરીરમાં ખૂબ ઝડપથી પ્રસરી જાય છે, એને માટે એ દાખલા, દલીલો ઊભાં કરશે. એ કામ તદ્દન વ્યર્થ હોવાનું માનશે. એમાં આવનારી મુશ્કેલીઓ જોઈને એને અશક્ય ગણીને આઘું હડસેલી મૂકશે. જ્યારે પૉઝિટિવ વિચાર કરનાર એમાં આવનારા અવરોધોનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરશે. નિષ્ફળતા જોઈને અટકી જવાને બદલે સફળતાની શક્યતાઓ પર દૃષ્ટિ ઠેરવે છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ? એમ માનીને એ નિષ્ફળતાના ખ્યાલને અળગો કરે છે. નૅગેટિવ વિચારો ભયનો અને શંકાનો શ્વાસ લેતા હોય છે, જ્યારે પૉઝિટિવ વિચારો મહેનતનો અને ધૈર્યનો શ્વાસ લેતા હોય છે. નૅગેટિવ વિચારો એ પીછેકૂચ કરવાના પેંતરાઓ વિચારે છે, જ્યારે પૉઝિટિવ વિચારો આગેકૂચના ઉત્સાહ સાથે આગળ વધતા હોય છે. ‘જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ’ તે ન્યાયે નૅગેટિવ વિચાર કરનારને દુનિયામાં આક્રંદ અને રુદન સંભળાય છે, તો પૉઝિટિવ વિચાર કરનારની આખી દુનિયા ખિલખિલાટ હસતી હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

દેશબંધુત્વ લાજે !

મહાન તત્ત્વજ્ઞાની અને મહાત્મા ગાંધીજીની વિચારધારા પર પ્રભાવ પાડનાર સૉક્રેટિસે ( જન્મ ઈ. સ. પૂર્વે ૪૬૯, અવસાન ઈ. સ. પૂર્વે ૩૯૯ ) ગ્રીસના ઍથેન્સ મહાનગરના સૈન્યમાં પ્રભાવક કામગીરી બજાવી હતી. કડકડતી ઠંડીમાં જ્યારે બીજા સૈનિકો બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ખુલ્લા પગે બીજાના જેટલી ઝડપે જ કૂચ કરતો હતો. એ દિવસો સુધી ભૂખ્યો રહી શકતો અને થાકવાનું તો નામ જ લેતો નહીં. આવા સૉક્રેટિસે પેલોપોનીસીયન યુદ્ધમાં ભાગ લીધો. આ યુદ્ધ સત્યાવીસ વર્ષ સુધી ચાલ્યું. ઍથેન્સ તરફથી સૉક્રેટિસે એમ્ફીપોલિસ, ડેલિયમ, પીટિડીઆ એવાં ત્રણ યુદ્ધોમાં ભાગ લીધો હતો. એક યુદ્ધમાં ઍથેન્સ પીછેહઠ કરી રહ્યું હતું, ત્યારે બધા સૈનિકો યુદ્ધભૂમિ છોડીને નાસી રહ્યા હતા. આ યુદ્ધમાં ઍથેન્સનો વીર સૈનિક ઝેનોફન ઘાયલ થઈને યુદ્ધભૂમિ પર પડ્યો હતો. ભાગતા સૈનિકોમાંથી કોઈને ઝેનોફન તરફ નજર નાખવાની ફુરસદ નહોતી, પરંતુ સૉક્રેટિસે ઘાયલ ઝેનોફનને પોતાની પીઠ પર ઊંચકી લીધો અને એ પછી ઍથેન્સ નગર તરફ દોડવા લાગ્યો. સૉક્રેટિસના એક સાથી સૈનિકે સૉક્રેટિસને કહ્યું પણ ખરું, ‘દુશ્મન દળો પાછળ આવી રહ્યાં છે. જો એમના હાથમાં તું ઝડપાઈ જઈશ, તો જીવતો બચવાનો નથી, માટે આ ઝેનોફનને છોડીને દોડવા માંડ.’ સૉક્રેટિસે કહ્યું, ‘એ મારે માટે શક્ય નથી. ત્યારે સૈનિકે એનું કારણ પૂછ્યું અને સૉક્રેટિસે જવાબ વાળ્યો, ‘જુઓ, આપણે યુદ્ધ ખેલવા નીકળ્યા છીએ. સૈનિકને કદી મોતનો ભય હોય નહીં, એટલે મને શત્રુસેના ઝડપી લેશે અને મારું મૃત્યુ થશે એ બાબતની મને પરવા નથી. બીજી વાત એ કે દેશને ખાતર લડવા નીકળેલા આપણે માટે દેશ સર્વોપરી હોય છે. જો હું મારા સાથી અને આપણા વીર દેશબંધુ ઝેનોફનને મારા જીવ બચાવવાના સ્વાર્થને ખાતર ઘાયલ દશામાં છોડીને નાસી છૂટું, તો મારું દેશબંધુત્વ ક્યાં રહે ? મારી ઍથેન્સ તરફથી વફાદારી લજવાય. તમે જાવ, હું એને લઈને જ આવીશ.’