Categories
વાચન સમૃદ્ધિ

આદતની પાછળ ઘેટાંની માફક ચાલે છે

ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ના તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મૂંગે મોંએ એની પાછળ પાછળ ચાલ્યા કરે છે. બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરે ધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી. એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કૅન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર  આવી શકતો નથી. પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બૂટની જોડી

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકોની અહિંસક લડતના અગ્રણી નેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) (ઈ. સ. 1929થી 1968) પર ગાંધીજીનાં લખાણોનો અને એમની અહિંસાની વિચારધારાનો ઘણો પ્રભાવ પડ્યો. એમણે અશ્વેત લોકોના અધિકારો માટે અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. જાહેર બસમાં રંગભેદ અને અલગતાવાદ આચરવામાં આવતો હતો, એનો એમણે વિરોધ કર્યો અને લાંબા સમય સુધી જાહેર બસવ્યવહારનો બહિષ્કાર પોકારીને માર્ટિન લ્યૂથર કિંગે લડતની આગેવાની લીધી. અમેરિકામાં વિવિધ પ્રદેશોમાં એમણે રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે જેહાદ જગાવી. 1963ની 28મી ઑગસ્ટે અઢી લાખથી વધારે લોકોએ અમેરિકાની રંગભેદની નીતિ સામે વૉશિંગ્ટનમાં ઐતિહાસિક કૂચ યોજી. માર્ટિન લ્યૂથર કિંગ ઠેર ઠેર જાહેરસભાઓ ભરીને લોકજાગૃતિ સર્જતા હતા. એક વાર કોઈ સભામાં રંગભેદમાં માનતા એમના વિરોધીએ એમને નિશાન બનાવીને છુટ્ટો બૂટ ફેંક્યો. માર્ટિન લ્યૂથર કિંગને તે વાગ્યો નહીં, પણ એમના પગ પાસે પડ્યો. સભામાં ખળભળાટ મચી ગયો, પરંતુ સ્વસ્થ માર્ટિન લ્યૂથર કિંગે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું ને માર્મિક રીતે કહ્યું, ‘ધન્ય છે એ દેશને કે જે પોતાના સેવકોની નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે છે. મારા જેવા ખુલ્લા પગે ચાલતા સામાન્ય સેવકની પણ ચિંતા કરે છે. આ સભામાં ઉપસ્થિત એવા કોઈ દયાવાન સજ્જને ઉદારતા દાખવી છે, પરંતુ મને અફસોસ એટલો છે કે માત્ર એક જ બૂટ શા માટે આપ્યો ? બે બૂટ હોત તો વધારે સારું થાત !’ માર્ટિન લ્યૂથર કિંગનું વક્તવ્ય સાંભળીને લોકો સ્તબ્ધ બની ગયા. એમણે હસીને કહ્યું, ‘જે સજ્જને મને એક બૂટ આપવાની ઉદારતા દાખવી, તેમને મારી વિનંતી છે કે તેઓ બીજો બૂટ પણ આપે, તો એમની મહેરબાનીથી મને બૂટની જોડી મળી રહેશે.’ માર્ટિન લ્યૂથરની સ્વસ્થતા અને સહૃદયતાથી પ્રસન્ન એવા શ્રોતાજનોએ ‘લૉંગ લિવ માર્ટિન લ્યૂથર’ના નારા પોકાર્યા.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે

વિષાદ, ઉદાસી અને નિષ્ફળતા આવતાં આત્મવિશ્વાસ ડગવા માંડે છે. વિષાદને કારણે જગત દુ:ખમય લાગે છે. ઉદાસીનતાને લીધે બધું જ વ્યર્થ ભાસે છે અને નિષ્ફળતા એને નિષ્કર્મણ્યતા તરફ દોરી જાય છે. આવી કટોકટીની ક્ષણે કોઈ સફળ માનવીના જીવનનો વિચાર કરવો જોઈએ. સફળ માનવીઓ વિશે આપણો ખ્યાલ એવો છે કે  એ હંમેશાં સફળ જ રહ્યા છે. એમની પ્રત્યેક સિદ્ધિ એ એમને મળેલી અવિરત સફળતાનું પરિણામ છે. એમનો ભૂતકાળ અને વર્તમાનકાળ બધા જ સફળતાથી ભરપૂર છે, પરંતુ સફળ માનવીનું જીવન જરા ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે એની પ્રત્યેક સફળતા પાછળ કેટલીય નિષ્ફળતા છુપાયેલી છે ! હતાશા, વિષાદ અને સંઘર્ષ સામેની કેટલીય મથામણો બાદ એમણે સફળતા મેળવી છે. સફળતા-પ્રાપ્તિ એ તો એમની એક લાંબી સફરનો અંતિમ પડાવ છે. આને માટે નિષ્ફળતા, ભૂલ, પરાજય અને પછડાટની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આત્મવિશ્વાસની કટોકટીની ક્ષણોમાં સફળ માનવીના જીવનનો સાચો તાગ મેળવીએ તો આત્મવિશ્વાસ ખંડિત નહીં થાય, બલકે આવી નિર્બળ ક્ષણોનો સામનો કઈ રીતે કરવો એનો નવો મંત્ર મળી રહેશે. સફળ માનવીએ સફળતા પૂર્વે અનુભવેલી નિષ્ફળતા જાણવાથી એ સમજાશે કે આવી નિષ્ફળતાથી હતાશ થવાની જરૂર નથી. મહાન ખેલાડીઓ રમવા જતી વખતે કદી નિષ્ફળતાનો ડર સેવતા નથી. એમને ખ્યાલ છે કે સફળતાના માર્ગમાં નિષ્ફળતા તો આવતી જ રહે ! નિષ્ફળતાને સાથે રાખીને એ આગળ વધતો રહે છે અને એ માર્ગે ચાલીને જ સફળતા પામે છે. નિષ્ફળતાના અનેક અલ્પવિરામ પછી સફળતાનું પૂર્ણવિરામ પ્રાપ્ત થાય છે.

કુમારપાળ દેસાઈ