Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા

સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું  સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે  થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી તે મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

થોડા સમયની ભરતી

સાપેક્ષતા (રિલેટિવિટી) સિદ્ધાંતના સ્થાપક, નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન(૧૮૭૯થી ૧૯૫૫)ને ઘેર એક પૅકેટ આવ્યું અને એમનાં પત્ની ઇસ્લાએ એ ખોલ્યું તો એમાં બ્રાઝિલ અને આફ્રિકામાં વૈજ્ઞાનિક ટુકડીઓએ લીધેલી સૂર્યગ્રહણની છબી હતી. ઇસ્લાએ આ તસવીરો પતિ આઇન્સ્ટાઇનને આપી, ત્યારે એ જોઈને આઇન્સ્ટાઇનના મુખમાંથી ‘અતિસુંદર’ એવા શબ્દો સરી પડ્યા. આ સાંભળી એમની પત્નીએ કહ્યું, ‘હા, હવે તમને તમારા રિલેટિવિટીના સિદ્ધાંતની સાબિતી મળી ગઈ.’ આઇન્સ્ટાઇને આત્મવિશ્વાસભેર કહ્યું, ‘મારે વળી ક્યાં મારા સિદ્ધાંતની આવી સાબિતીની જરૂર હતી ? મને તો એ દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. એમ કહો કે એમને જે સાબિતી જોઈતી હતી, તે આનાથી મળી.’ એ પછી વિશ્વભરમાં આઇન્સ્ટાઇનનું નામ ગાજવા લાગ્યું. માન-સન્માનોની વર્ષા થવા લાગી. દુનિયાના ખૂણેખૂણેથી વ્યાખ્યાનો માટે નિમંત્રણો આવવા લાગ્યાં. એમના હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી થવા લાગી. વેપારીઓ પોતાની પેદાશને ‘આઇન્સ્ટાઇન’ કે ‘રિલેટિવિટી’ નામ આપવા લાગ્યા. એમને ઘેર ટપાલોનો ઢગલો થવા લાગ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં ઊથલપાથલ થઈ. આઇન્સ્ટાઇને પ્રાથમિક અવલોકનોની મદદ વિના શુદ્ધ ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા તપાસવાની નવી પ્રણાલી સ્થાપી. આ બધું જોઈને આઇન્સ્ટાઇને એમની પત્નીને કહ્યું, ‘આ બધાથી સહેજે ગભરાતી નહીં. આ બધું તો ભરતી જેવું છે. ત્રણ માસમાં તો લોકો બધું ભૂલી જશે અને આપણે શાંતિથી કામ કરી શકીશું.’ જોકે એ પછી આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ અને એ વિશ્વવિભૂતિ બન્યા, પણ આવી લોકપ્રિયતાથી એ સહેજ પણ લેપાયા નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે

સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવ રૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એકેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય, હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.

કુમારપાળ દેસાઈ