Categories
વાચન સમૃદ્ધિ

પ્રભુત્વ માનવીને પામર બનાવે છે !

દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રભુત્વનો ખેલ ખેલતી હોય છે. તે અમીર હોય કે ગરીબ, સત્તાવાન હોય કે નિર્ધન, ઊંચ હોય કે નીચ, નાની હોય કે મોટી – પણ એને પ્રભુત્વનો યા ચઢિયાતાપણાનો ખેલ ખેલવો અતિ પ્રિય હોય છે. સત્તાધારી વ્યક્તિ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા કોશિશ કરે છે. સમાજનો પ્રમુખ સમાજના સભ્યો પર પોતાનું પ્રભુત્વ લાદવા પ્રયાસ કરે છે. માફિયા પણ આવું પ્રભુત્વ દર્શાવીને ધાકધમકી કે હત્યાથી પોતાનો પ્રભાવ દર્શાવવા પ્રયાસ કરે છે. પિતા પુત્ર પર, પતિ પત્ની પર આવું પ્રભુત્વ સ્થાપવા અહર્નિશ પ્રયત્ન કરે છે. પ્રભુત્વની આ રમત પ્રાંગણમાં ખેલતાં બાળકોમાં પણ જોવા મળે છે. શાળામાં મૉનિટર બનતા વિદ્યાર્થીમાં કે અગ્રતાક્રમે ઉત્તીર્ણ થતાં બાળકોમાં પણ જોઈ શકાય છે. સામાન્ય વ્યક્તિ પણ અતિ સામાન્ય પર કે મોટો ભાઈ નાના ભાઈ પર અહંકારપૂર્વક પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે. એક અર્થમાં કહીએ તો દરેક માણસ પોતાના શિરે પ્રભુત્વનો પથ્થર ઊંચકીને ચાલતો હોય છે. એ પથ્થર એની હેસિયત પ્રમાણે નાનો પણ હોય અને મોટો પણ હોય ! પરંતુ એ પથ્થરનો બોજ માથા પર ઊંચક્યા વિના એને જિંદગીની મજા આવતી નથી. હા, એવું બને ખરું કે એ વારંવાર જિંદગી ભારરૂપ કે બોજરૂપ બની ગયાની ફરિયાદ કરતો હોય છે, છતાં પ્રભુત્વના ગમતા બોજને નીચે ઉતારતો નથી. પ્રભુતા સાથે ભ્રષ્ટતા જોડાયેલી છે. પ્રભુત્વ પામવા અને જાળવવા માટે માનવી ભ્રષ્ટ થતાં અચકાતો નથી. સમાજમાં પ્રભુત્વ સ્થાપવા નીકળેલ ઠેકેદાર સમાજ પર જુલમ કરીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. પરિવારમાં પ્રભુત્વ દર્શાવવા માટે વડીલો ક્રૂર આચરણ કરતાં પણ અચકાતા નથી, શાસક પોતાનું પ્રભુત્વ દાખવવા માટે દમનના કોરડા વીંઝતો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

લાભદાયી ખરી?

મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક સૉક્રેટિસ પોતાનો ઘણોખરો સમય ઍથેન્સ મહાનગરની શેરીઓમાં કે બજારોમાં વાતચીત કરીને વિતાવતો હતો. આ જ એની વિચારશિબિર કે કાર્યશાળા હતી. એક દિવસ એક યુવાને આવીને પૂછ્યું, ‘અરે સૉક્રેટિસ, મેં તમારા મિત્ર વિશે એક ગંભીર, ગુપ્ત વાત સાંભળી છે. તમે જાણો છો ખરા ? હું તમને કહું ?’ સૉક્રેટિસે એને અટકાવતાં કહ્યું, ‘તારી વાત જરૂર સાંભળીશ, પણ એ વાત કહેતાં પહેલાં તારે મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો તારા ઉત્તરો યોગ્ય હશે, તો જરૂર તારી પાસેથી એ વાત સાંભળીશ.’ યુવાનને આશ્ચર્ય થયું. પોતે એક છાની વાત કહેવા આવ્યો અને વળી આ પ્રશ્નોત્તરી ક્યાંથી આવી ? યુવાને કહ્યું, ‘ભલે. પહેલાં તમે મને તમારા ત્રણ પ્રશ્નો કરો, પછી વાત કહું.’ ‘જો, તેં નજરોનજર એ જોયેલું છે કે પછી કોઈની પાસેથી સાંભળેલું છે. મારે એની સત્યતા જાણવી પડે.’ યુવાને કહ્યું, ‘મેં તમારા મિત્ર વિશેની વાત કોઈની પાસેથી સાંભળેલી છે.’ ‘ખેર, હવે બીજી બાબત એ છે કે એમાં મારા મિત્રની પ્રશંસા છે કે નિંદા છે ?’ યુવાનની જીભ જરા થોથવાવા લાગી. એણે કહ્યું, ‘વાત તો…જરાક… બરાબર નથી.’ સૉક્રેટિસે કહ્યું, ‘અને મારી છેલ્લી કસોટી એ છે કે તમે જે વાત કહેવાના છો, તે મને ઉપયોગી થાય તેવી છે ખરી ? મારે માટે એનો કોઈ અર્થ કે લાભ છે ખરો ?’

યુવાને કહ્યું ‘ના રે ના, આવી વાતમાં લાભ તે શું હોય ?’ સૉક્રેટિસે પતાવ્યું, ‘તમે જે વાત કહેવા આવ્યા છો તે સત્ય નથી, સારી નથી, લાભદાયી નથી, તો પછી એમાં તમારો અને મારો સમય શા માટે બરબાદ કરવો ?’ આટલું બોલી સૉક્રેટિસ ઍથેન્સની શેરીમાં આગળ વધ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

અંત:પ્રેરણાનો મૌન ને મૌલિક અવાજ

બુદ્ધિના આધારે અને તર્કના સહારે બધી બાબતોનું પૃથક્કરણ કરીને જીવનના મહત્ત્વના નિર્ણયો કરનાર એક મહત્ત્વની વાત ચૂકી જાય છે. વ્યક્તિના ચિત્તમાં એવી કેટલીય વિગતો અને માહિતી પડેલી હોય છે કે જેને એ પૃથક્કરણના ચીપિયાથી પકડી શકતી નથી. આથી કોઈ પણ નિર્ણય ગમે તેટલો તાર્કિક લાગે, તોપણ વ્યક્તિએ થોડો સમય થોભીને એ અંગે વિચાર કરવો જોઈએ અને એ તપાસ કરવી જોઈએ કે આ નિર્ણય મારા ચિત્તની એકાગ્રતાને આધારે લેવાયેલો નિર્ણય છે કે નહીં ? આવો નિર્ણય કાગળ પર નોંધીને એ વિશે થોડો સમય એના પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારવું જોઈએ. એ પછી ભીતરમાંથી કોઈ અવાજ આવે તો તે એકાગ્ર ચિત્તે સાંભળવો જોઈએ. આ આખીય પ્રક્રિયાનું કારણ એટલું જ કે તર્કના માપદંડથી જ નિર્ણય લેવા જતાં અંત:પ્રેરણા ચૂકી જવાય છે. આવી અંત:પ્રેરણા વ્યક્તિને એક નવી દિશા આપે છે. વિશ્વની મહાન વૈજ્ઞાનિક શોધો અને મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો હકીકતે આવી અંત:પ્રેરણાને આધારે જ થયા છે. આને તમે પ્રેરણા કહો, સ્ફુરણા કહો, અંત:પ્રેરણા કહો કે આત્માનો અવાજ કહો; પરંતુ આ બધી બાબતમાં તમારામાં રહેલી એક પ્રબળ શક્તિની ઓળખ આપે છે અને જો એ અંત:પ્રેરણાની શક્તિનો યોગ્ય કેળવણીથી વિકાસ કરવામાં આવે, તો વ્યક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે. મૌલિક વિચારશક્તિ દ્વારા એ અંત:પ્રેરણા પામે છે. આવી અંત:પ્રેરણા સંતને આપત્તિમાંથી બહાર નીકળવાનો નવો માર્ગ ચીંધે છે, વિજ્ઞાનીના ચિત્તમાં નવા સંશોધનનું બીજ રોપે છે, ઉદ્યોગપતિ હોય તો એને નવા પ્રકારના ઉદ્યોગસાહસનો વિચાર આપે છે. આવી અંત:પ્રેરણા એ વ્યક્તિને મૌલિક દર્શનથી પ્રગતિના નવા આયામો શોધી આપે છે.