Categories
વાચન સમૃદ્ધિ

તોછડાં નામો વાપરનાર

ખૂની છે……………

કેટલીક વ્યક્તિઓ ‘ફૈબા-વૃત્તિ’થી પીડાતી હોય છે. પ્રત્યેક વ્યક્તિની શારીરિક કે સ્વભાવગત ખાસિયત લક્ષમાં રાખીને એના નામને બદલે બીજી રીતે એને બોલાવે છે.  ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનો એ ‘ઠીંગુજી’ તરીકે ઉલ્લેખ કરશે. મહેનતુ માણસને ‘વેઠિયો’ કહેશે અને અલ્પ બુદ્ધિશક્તિવાળાને ‘બાઘો’ કે વિચિત્ર દેખાવ ધરાવનારને ‘કાર્ટૂન’ કહેશે. એના મૂળ નામથી એને વિશે વાત કરવાને બદલે તિરસ્કારસૂચક ‘ઉપનામ’થી બોલાવનાર વ્યક્તિ નિર્મળ માનસિકતા અને ક્ષુદ્ર વૈચારિકતા ધરાવે છે. એના મનમાં રહેલો તમામ વ્યક્તિઓ માટેનો તિરસ્કાર એના તોછડા શબ્દોમાં વ્યક્ત થાય છે અથવા તો પોતાની નિર્બળતાને ઢાંકવા કે અહમને પોષવા માટે એ તોછડાઈનો આશરો લે છે. જીવનની સ્થૂળતામાં રચ્યાપચ્યા અને સપાટી પર જીવતા આવા લોકોની વાણી એ એમના રુગ્ણ માનસનું પ્રગટીકરણ છે. સામેની વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ પ્રગટ કરવાનું માધ્યમ બને છે. આની પાછળ દુર્વૃત્તિ કામ કરતી હોય છે. વળી વ્યક્તિને ‘ડબ્બો’, ‘પંતુજી’, ‘લંબૂ’ કે ‘બામ’ એવાં નામોથી ઓળખીને એના સમગ્ર વ્યક્તિત્વને ઘોર અન્યાય કરીએ છીએ. એના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાંની ઉપેક્ષા કરીએ છીએ. જેનું નવું ‘ઉપનામ’ પાડ્યું હશે, તેમને એના ઉપનામની ખબર પડશે ત્યારે બોલનાર તરફ તિરસ્કાર અને ધિક્કાર જાગશે. એના મનમાં એ વિશેનો ડંખ રહેશે. એ વ્યક્તિ પાસેથી તમે જે ચાહતા હશો તે મેળવી શકશો નહીં, બલકે ધીરે ધીરે એનાં દ્વેષ, ઉપેક્ષા અને ગુસ્સાનું કારણ બનશો. તમારા ઉદબોધનમાંથી આવી નકારાત્મકતા અને તિરસ્કારને ઓગાળી નાંખજો, નહીં તો તમને જ એ વ્યક્તિ માટે પ્રયોજાયેલા શબ્દનો બચાવ કરવો ભારે પડી જશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

માનવી એટલે તેજ-અંધારની

લીલા ————–

અંતિમ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ઉમદા ચરિત્ર, દૃઢ મનોબળ, તીવ્ર બુદ્ધિમત્તા અને કાર્યક્ષમ વહીવટકર્તા હોવા છતાં એના શંકાશીલ માનસ અને ધાર્મિક કટ્ટરતાને કારણે મુઘલ સામ્રાજ્યના પતનનું કારણ બન્યો. એણે પિતાને કેદ કર્યા હતા, ભાઈઓ અને એમના પુત્રોની હત્યા કરી હતી. પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સતત યુદ્ધો ખેલતો રહ્યો. આ જ ઔરંગઝેબ રાજ્યના ધનને થાપણ સમાન માનતો હતો. ટોપીઓ ગૂંથીને અને કુરાનની નકલો કરીને અંગત આવક મેળવતો હતો. માંસ, કેફી પદાર્થો, મદિરા, જુગારખાનાં અને વેશ્યાગૃહો તરફ સખત નફરત ધરાવતો હતો અને ખૂબ મહેનતુ તથા મિતાહારી હતો.

એક વાર અમદાવાદના મહમ્મદ મોહસીન નામના કાઝીએ આવીને ઔરંગઝેબના દરબારમાં અદ્દલ ઇન્સાફની માગણી કરી. એણે બાદશાહ ઉપર એવો ઇલ્જામ મૂક્યો કે એમણે મારા પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાં ઘણા સમયથી વિના કારણે રાખી મૂક્યા છે. આ ઇલ્જામ સાંભળીને ઔરંગઝેબને પારાવાર આશ્ચર્ય થયું. કારણ એટલું કે એણે જિંદગીમાં ક્યારેય કોઈની પાસેથી પોતાના ખજાના માટે ઉધાર રકમ લીધી નહોતી, તો પછી આ પાંચ લાખ રૂપિયાની વાત આવી ક્યાંથી ? બન્યું હતું એવું કે શાહજહાંએ ગુજરાતના સૂબા તરીકે મુરાદને મોકલ્યો હતો, ત્યારે મુરાદે પોતાના નામના સિક્કા બહાર પાડવા માટે મહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. રાજના ખજાનામાં એ રકમ આવી ગઈ, પણ મુરાદની હત્યા થતાં એ સઘળી સંપત્તિ ઔરંગઝેબના શાહી ખજાનામાં આવી ગઈ. મહમ્મદ મોહસીને એનો દસ્તાવેજ રજૂ કર્યો એટલે બાદશાહ ઔરંગઝેબે કહ્યું, ‘મારો ગુનો કબૂલ. તમને અબી ને અબી રાજ-ખજાનામાંથી તમારી રકમ અદા કરવામાં આવશે.’ અને થોડીક ક્ષણોમાં જ પાંચ લાખની રકમની થેલીઓ રાજદરબારમાં હાજર થઈ, ત્યારે મોહસીનની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એણે કહ્યું, ‘જહાંપનાહ, આપનો આવો અદ્દલ ઇન્સાફ મારે માટે અમૂલ્ય છે. હવે મારે એ રકમ પાછી જોઈએ નહીં. આપ એને શાહી ખજાનામાં ફરીથી જમા કરો અને એ રકમ મને મળી ગઈ છે તેની આ પહોંચ સ્વીકારો.’

ન્યાય સત્યનો પૂજક છે. એ સત્યને જાળવવા માટે સઘળું સમર્પણ કરવા તૈયાર છે. ઔરંગઝેબ કટ્ટર ધર્મચુસ્ત હતો, પણ સાથોસાથ પોતે માનતો હતો તે મૂલ્યોને જીવનારો હતો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શરીરની ઘડિયાળના કાંટાનો

અવાજ સાંભળીએ ——–

સમય બતાવતી ઘડિયાળ જોનારા માનવીએ શરીરની ઘડિયાળ પણ જોવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમયની ઘડિયાળ સાથે શરીરની ઘડિયાળને કચકચાવીને બાંધી દે છે. એ નિર્ધાર કરે છે કે ગમે તે થાય, તોપણ સવારે પાંચ વાગે ઊઠી જવું અને ઠંડા પાણીએ સ્નાન કરવું. કડકડતી ઠંડી હોય તોપણ એ કોઈ જક્કી કે હઠાગ્રહીની માફક પોતાના ‘સંકલ્પ’નું પાલન કરે છે. આમ કરવાની એના શરીરને નામરજી હોય, તો એ શરીરને ચાબુક મારીને જગાડે છે અને કોઈ સરમુખત્યારની માફક એને શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવે છે. ઊંઘ અધૂરી રહેતી હોય, શરીરનો થાક ઊતર્યો ન હોય તોપણ એ નિયમભંગ કરવા ચાહતો નથી, નિયમ એટલે નિયમ. એમાં ક્યારેય ટસથી મસ થવાનું ન હોય એમ માનનારા લોકો જીવનની સ્ફૂર્તિ અને આનંદને ગુમાવે છે અને નિયમની જડતાને પકડી ઊછળકૂદ કરતા હોય છે. અધૂરી ઊંઘને કારણે એમના સ્વભાવમાં અકળામણ આવશે, દિવસ દરમિયાન એ અકળામણ ગુસ્સાનું સ્વરૂપ લેશે. શરીરને પૂરતો આરામ મળતો નહીં હોવાથી એ વહેલા થાકી જશે, પરંતુ બધી બાબતમાં એ સમયની ઘડિયાળને પૂછે છે, શરીરની ઘડિયાળની કોઈ પરવા કરતા નથી. હકીકતમાં વ્યક્તિએ નિદ્રાનો સમય નક્કી કરવા માટે ઘડિયાળના કાંટાને નહીં, પણ પોતાના શરીરની ઘડિયાળને પૂછવું જોઈએ. શરીરની ઘડિયાળ બરાબર ચાલે તે માટે સમયની ઘડિયાળના પાવરને બદલે અહીં આરામ અને પૂરતી નિદ્રાની જરૂર છે. વ્યક્તિએ પોતાના શરીરની ઘડિયાળને લક્ષમાં રાખીને નિદ્રાનો સમય નક્કી કરવો જોઈએ. ક્યારે ઊઠવું અને ક્યારે સૂઈ જવું, એ ઘડિયાળને બદલે શરીરના હાથમાં સોંપવું જોઈએ.

કુમારપાળ દેસાઈ