Categories
વાચન સમૃદ્ધિ

થોડા સમયની ભરતી

સાપેક્ષતા (રિલેટિવિટી) સિદ્ધાંતના સ્થાપક, નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન(૧૮૭૯થી ૧૯૫૫)ને ઘેર એક પૅકેટ આવ્યું અને એમનાં પત્ની ઇસ્લાએ એ ખોલ્યું તો એમાં બ્રાઝિલ અને આફ્રિકામાં વૈજ્ઞાનિક ટુકડીઓએ લીધેલી સૂર્યગ્રહણની છબી હતી. ઇસ્લાએ આ તસવીરો પતિ આઇન્સ્ટાઇનને આપી, ત્યારે એ જોઈને આઇન્સ્ટાઇનના મુખમાંથી ‘અતિસુંદર’ એવા શબ્દો સરી પડ્યા. આ સાંભળી એમની પત્નીએ કહ્યું, ‘હા, હવે તમને તમારા રિલેટિવિટીના સિદ્ધાંતની સાબિતી મળી ગઈ.’ આઇન્સ્ટાઇને આત્મવિશ્વાસભેર કહ્યું, ‘મારે વળી ક્યાં મારા સિદ્ધાંતની આવી સાબિતીની જરૂર હતી ? મને તો એ દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. એમ કહો કે એમને જે સાબિતી જોઈતી હતી, તે આનાથી મળી.’ એ પછી વિશ્વભરમાં આઇન્સ્ટાઇનનું નામ ગાજવા લાગ્યું. માન-સન્માનોની વર્ષા થવા લાગી. દુનિયાના ખૂણેખૂણેથી વ્યાખ્યાનો માટે નિમંત્રણો આવવા લાગ્યાં. એમના હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી થવા લાગી. વેપારીઓ પોતાની પેદાશને ‘આઇન્સ્ટાઇન’ કે ‘રિલેટિવિટી’ નામ આપવા લાગ્યા. એમને ઘેર ટપાલોનો ઢગલો થવા લાગ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં ઊથલપાથલ થઈ. આઇન્સ્ટાઇને પ્રાથમિક અવલોકનોની મદદ વિના શુદ્ધ ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા તપાસવાની નવી પ્રણાલી સ્થાપી. આ બધું જોઈને આઇન્સ્ટાઇને એમની પત્નીને કહ્યું, ‘આ બધાથી સહેજે ગભરાતી નહીં. આ બધું તો ભરતી જેવું છે. ત્રણ માસમાં તો લોકો બધું ભૂલી જશે અને આપણે શાંતિથી કામ કરી શકીશું.’ જોકે એ પછી આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ અને એ વિશ્વવિભૂતિ બન્યા, પણ આવી લોકપ્રિયતાથી એ સહેજ પણ લેપાયા નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે

સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવ રૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એકેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય, હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ગુસ્સાનું માધ્યમ

અમેરિકાના મિઝુરીમાં જન્મેલા સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લૅમન્સ સાહિત્યજગતમાં માર્ક ટ્વેનને નામે વિખ્યાત બન્યા. માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં ચાલી આવતી ટોળ-ટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્જ્યો. ‘ધ ઇન્સન્ટ્સ અબ્રોડ’, ‘રફિંગ ઇટ’ જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. આ વિખ્યાત હાસ્યલેખક અને નિપુણ વક્તાને ભાગ્યે જ ગુસ્સો આવતો, પરંતુ જ્યારે ગુસ્સો આવે તો એ તત્કાળ પત્ર લખવા બેસી જતા અને એમાં એ વ્યક્તિ પરનો પોતાનો સઘળો ગુસ્સો ઠાલવી દેતા. કોઈ વ્યક્તિએ એમની ટીકા કરી તો તરત જ માર્ક ટ્વેને એને સણસણતો જવાબ લખ્યો કે ‘ખબરદાર, તમે કરેલી વાત અહીં જ દબાવી દો. જો એમ નહીં કરો તો હું તમને જોઈ લઈશ. આવી જ રીતે એક વાર એક સામયિકમાં એમના લેખમાં જોડણીની અશુદ્ધિઓ રહી ગઈ. માર્ક ટ્વેન અકળાઈ ઊઠ્યા. એમણે સામયિકના તંત્રીને પત્ર લખ્યો કે, લેખ છાપતાં પૂર્વે એમણે એ જોવું જોઈએ અને ચકાસવું જોઈએ કે પ્રૂફરીડરે એ લેખની જોડણી કે વિરામચિહનો બરાબર કર્યાં છે કે નહીં અને પછી માર્ક ટ્વેને એ ગુસ્સો પ્રૂફરીડર પર ઉતારતાં તંત્રીને લખ્યું, ‘હવે પછી મારી લખેલી કૉપી પ્રમાણે તમારે મૅટર ગોઠવવું અને પ્રૂફરીડરનાં સૂચનો એના સડી ગયેલા મગજના પોલાણ સુધી જ રહે, તેનો બરાબર ખ્યાલ રાખવો.’ માર્ક ટ્વેન માટે પત્રલેખન એ ગુસ્સો ઠાલવવાનું માધ્યમ હતું. એ રીતે તેઓ પોતાના મનમાંથી ગુસ્સાની વરાળ દૂર કરતા હતા. આવા પત્રોથી કોઈ સંબંધોમાં તિરાડ પડે કે કોઈને માઠું લાગે એવું બનતું નહીં. આનું કારણ એ હતું કે આવા પત્રો પોસ્ટ થાય તે પહેલાં જ માર્ક ટ્વેનનાં પત્ની છાનાંમાનાં એ પત્રો કાઢી લેતાં, જેથી જેના પર એમણે કચકચાવીને ગુસ્સો કાઢ્યો હોય તેમના સુધી એ પત્રો પહોંચતા જ નહીં.

કુમારપાળ દેસાઈ