Categories
વાચન સમૃદ્ધિ

સાચી સિદ્ધિ છે સેવામાં !

દીર્ઘ સાધના બાદ પ્રાપ્ત સિદ્ધિથી બંને સાધુઓ પ્રસન્ન હતા, કિંતુ એમનામાં સાધનાના ગૌરવને બદલે એનો ગર્વ જાગ્યો અને પ્રાપ્ત સિદ્ધિઓનો અહંકાર ઘેરી વળ્યો. એક વાર આ બંને સાધુઓ એક સ્થળે ભેગા થઈ ગયા. બંનેના અહમ્ ટકરાયા. તરત જ તેમના અનુયાયીઓ સામસામા આવી ગયા. સવાલ એ જાગ્યો કે આ બંને સાધુઓમાં કોની સાધના ચડિયાતી ગણાય ?

પહેલા સાધુએ પોતાનું સિદ્ધિસામર્થ્ય દર્શાવતાં કહ્યું કે, ‘મારી પ્રબળ સાધનાને પરિણામે મેં અદભુત શક્તિ મેળવી છે. હું આકાશમાં ઊડી શકું છું.’

આમ કહીને એ સાધુએ ધ્યાન લગાવ્યું. ધીરે ધીરે તેઓ જમીનથી વધુ ને વધુ ઊંચે થવા લાગ્યા અને થોડી વારમાં તો આકાશમાં ઊડવા લાગ્યા. પહેલા સાધુની સિદ્ધિની મજાક ઉડાવતાં બીજા સાધુએ કહ્યું, ‘મારી પાસે એથીય વધુ અદભુત વિદ્યા છે. પાણીભર્યા સરોવરની વચ્ચે હું પલાંઠી વાળીને બેસીશ અને એથીય વિશેષ મારું શરીર એ પાણીથી સહેજે ભીંજાશે નહીં; જળકમળવત્ રહેશે.’

બીજા સાધુએ સરોવરની વચ્ચે પાણીમાં પલાંઠી લગાવી અને પાણીથી ભીંજાયા વિના પાણી મધ્યે બેઠા. સ્પર્ધા થઈ પણ પરિણામ ન આવ્યું. બંને વચ્ચે શ્રેષ્ઠ કોણ એનો ચુકાદો હજી બાકી હતો, આથી બંને એક તપોનિષ્ઠ સાધુ પાસે ગયા. એ સાધુ વૃક્ષ નીચે બેસીને અનાથ બાળકોને વિદ્યા આપતો હતો. વિકલાંગોને મદદ કરતો હતો, દુ:ખીઓને આશ્રય અને નોંધારાને આધાર આપતો હતો. પેલા બંને સાધુએ આ તપસ્વીને પોતાની સિદ્ધિની મહત્તા બતાવી, ત્યારે તપસ્વીએ જવાબ આપ્યો, ‘જુઓ ! આકાશમાં ઊડવાનો જાદુ એક નાનકડી ચકલી પણ કરી શકે છે. પાણીમાં  ભીના થયા વિના રહી શકવાની શક્તિ નાની માછલી પણ ધરાવે છે. આમાં કઈ મોટી શક્તિ અને સિદ્ધિ તમારી ગણાય ? આવી શક્તિ તો ચકલી અને માછલી જેવી ગણાય.’

બંને સાધુઓને સત્ય સમજાયું. એમણે આ મહાયોગીને પૂછ્યું, ‘આપ જ કહો કે સાચી સિદ્ધિ કઈ કહેવાય ?’

યોગીરાજે કહ્યું, ‘આકાશમાં ઊડવાથી કે સરોવરના પાણીથી અસ્પૃષ્ટ રહેવાથી કશું સધાશે નહીં. સાચી સિદ્ધિ તો ધરતી પર વસે છે એ સંતપ્ત માનવીઓની સેવા કરવામાં અને આત્મ-ઓળખમાં છે, એ બીજા કશામાં નથી.’

સિદ્ધિની પાછળ ઘેલા બનેલા સાધુ હોય કે પછી સિદ્ધિ-ચમત્કારો કરી આપનારા યોગી હોય, એનું સમાજને કશું કામ નથી. સમાજ તો સાચા સાધુને ઝંખે છે કે જે પોતાના આત્મકલ્યાણની સાથે જગતકલ્યાણની પ્રવૃત્તિ કરે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મન શયન કરે, તો નિદ્રા આવે !

આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.

એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન  થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે.

વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.

માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મેળ બેસાડવાની બેચેની

સંત એકનાથનું આખું કુટુંબ વિઠ્ઠલભક્ત (કૃષ્ણભક્ત) હતું. એમના પિતા સૂર્યનારાયણ અને માતા રુક્મિણીબાઈ ભક્તિમાં ઓતપ્રોત રહેતાં હતાં. બાળપણમાં જ એકનાથે માતાપિતાની છત્રછાયા ગુમાવી. દાદા ચક્રપાણિએ એમનો ઉછેર કર્યો.

સાત વર્ષની ઉંમરે એકનાથના યજ્ઞોપવીત સંસ્કાર થયા. એકનાથ દાદા પાસે સંસ્કૃત, મરાઠી, ફારસી વગેરે ભાષાઓ શીખ્યા. હિસાબ-કિતાબ અને વ્યાવહારિક પત્રલેખનનું શિક્ષણ પણ મેળવ્યું.

અગિયાર વર્ષની ઉંમરે એકનાથ દેવગિરિમાં રહેતા જનાર્દન સ્વામી પાસે અભ્યાસ માટે આવ્યા. અહીં એમણે રામાયણ, મહાભારત, પુરાણો, ઉપનિષદ જેવા ગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો.

એક વાર એકનાથ હિસાબ તપાસતા હતા. હિસાબમાં કંઈક ગૂંચ હતી. સરવાળામાં કશીક ભૂલ હતી.

મેળ મળે નહીં ત્યાં સુધી ઊંઘ આવે ક્યાંથી ? એકનાથ વારંવાર આખો હિસાબ તપાસવા લાગ્યા. ફરી ફરી સરવાળા કરવા લાગ્યા. આખરે રાતના ત્રણ વાગે ભૂલ પકડાઈ.

ભૂલ પકડાતાં જ એકનાથે જોરથી તાળીઓ પાડી અને ‘મળી ગયો’, ‘મળી ગયો’ એમ મોટેથી બૂમ પાડી.

એકનાથનો અવાજ સાંભળી ગુરુ જનાર્દન સ્વામી બહાર આવ્યા. એમણે એકનાથની ખુશાલી જોઈને કહ્યું, ‘શું મળી ગયું ?’

એકનાથે કહ્યું ‘સરવાળાની ભૂલ પકડવા માટે હું ખૂબ મહેનત કરતો હતો. ખૂબ મથ્યો. આખરે ભૂલ પકડાઈ.’

ગુરુએ કહ્યું, ‘એટલે શું ?’

એકનાથ બોલ્યા, ‘જો આ સરવાળો ન મળ્યો હોત તો હું ઊંઘી શક્યો ન હોત. રકમ સાવ નાની હતી, પણ મેળ મળે નહીં ત્યાં સુધી ચેન પડે નહીં.’

ગુરુએ કહ્યું, ‘એકનાથ, સાવ નાની રકમનો મેળ મેળવવા માટે આટલા બેચેન થવાની જરૂર નથી. આત્માનો પરમાત્મા સાથે મેળ મેળવવાની બેચેની હોવી જોઈએ.’

ગુરુનાં આ વાક્યોએ એકનાથનું આંતરપરિવર્તન કર્યું. એણે સંન્યાસ લીધો. ગુરુની સાથે તીર્થધામોની યાત્રાએ ચાલી નીકળ્યા. પ્રવાસ દરમિયાન સાધુસંતો સાથે અર્થ નહીં, પરમાર્થ વિશે ચર્ચાવિચારણા કરવા લાગ્યા.

એમણે આચરણમાં અદ્વૈત વેદાંતને પૂરેપૂરો પચાવ્યો. આત્માનો પરમાત્મા સાથે મેળ મેળવનાર સંત એકનાથે સમાજને ભક્તિની સાચી સમજ આપી. યવનોના શાસનકાળ દરમિયાન કચડાયેલા હિંદુ સમાજને એમણે કુનેહથી જાગ્રત કર્યો.

એક માર્મિક વાક્ય વ્યક્તિના સમગ્ર જીવનને ક્ષણવારમાં પરિવર્તિત કરી દે છે. રોહિણેય કે અંગુલિમાલના હૃદય પર ક્રૂરતાએ ઘેરો ઘાલ્યો હતો, પણ એક વાક્ય જ એમના હૃદયમાં ક્રૂરતાને બદલે કરુણા જગાવે છે. જીવનની આ ક્ષણો મહામૂલી છે. એ ક્ષણને પોતાના જીવનમાં જાળવે, તે જીવનને ધન્ય બનાવી જાય છે. ક્ષણભંગુર જીવનને આવી ધન્ય ક્ષણો જ શાશ્વતતા અર્પે છે !

કુમારપાળ દેસાઈ