Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાનો પુરુષાર્થ

વર્ષો પૂર્વે અમેરિકામાં ગુલામ તરીકે આવેલા એક આફ્રિકનનો પૌત્ર જ્હોન ઍચ. જ્હૉન્સન આરકાન્સાસ શહેરની નજીકના ગ્રામવિસ્તારમાં જન્મ્યો હતો. એ છ વર્ષનો હતો, ત્યારે એના પિતા લાકડાં વહેરવાના કારખાનામાં અકસ્માત થતાં મૃત્યુ પામ્યા અને માતા તથા સાવકા પિતાને હાથે જ્હૉન્સનનો ઉછેર થયો. એ સમયે આફ્રિકન-અમેરિકન પ્રત્યે અમેરિકામાં ગુલામો જેવું જ વર્તન કરવામાં આવતું હતું. દૂરના વિસ્તારમાં અલાયદી ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલમાં એણે પ્રાથમિક શાળાનો અભ્યાસ શરૂ કર્યો. પ્રબળ વિદ્યાપ્રીતિને કારણે એણે સ્કૂલના વૅકેશનમાં કામ કરવાનું વિચાર્યું, પણ કુટુંબમાં કારમી ગરીબાઈ ફેડવામાં કોઈ સફળતા મળી નહીં. એની માતાને પણ ઘરકામ કરનારી નોકરબાઈની નોકરી મળી નહીં અને બે વર્ષ સુધી તો સરકાર દ્વારા અપાતી સહાય પર જીવન ગાળવું પડ્યું. ભણવાની ધગશ હોવાથી જ્હૉન્સન હાઈસ્કૂલમાં દાખલ થયો, પણ એનાં લઘરવઘર કપડાં અને એની ગામડિયા રીતભાતને કારણે સહુ કોઈ એને મહેણાં-ટોણાં મારતા અને સતત પજવતા હતા, આમ છતાં જ્હૉન્સને વિચાર કર્યો કે ગમે તે થાય, એ એના જીવનમાં ‘કશુંક બનવા’ ચાહે છે. નિશાળના અભ્યાસની સાથે એક ઑફિસમાં કામ કરવા લાગ્યો, જેમાં એનું એક કામ દર મહિને નીકળતા સામયિકમાં લેખો લખવાનું હતું. આમાંથી એને પોતાનું સામયિક કાઢવાનો આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. માતાની 500 ડૉલરની લોન દ્વારા એણે 1942માં ‘નિગ્રો ડાઇજેસ્ટ’ નામનું સામયિક શરૂ કર્યું અને એના ડાઇજેસ્ટમાં એ આફ્રિકન-અમેરિકન ઇતિહાસ, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક સમસ્યાઓ વિશે લેખો પ્રગટ કરતો હતો. છ મહિનામાં તો સામયિકના વેચાણનો આંકડો પચાસ હજાર સુધી પહોંચ્યો અને એક સમયે એની એક લાખ પ્રત વેચાતી હતી. આ સામયિક આફ્રિકન-અમેરિકનોનો અવાજ બની રહ્યું. એ પછી જ્હૉન્સને અમેરિકાના ‘લાઇફ’ મૅગેઝિન જેવું ‘ઇબોની’ પ્રગટ કર્યું. ત્યારબાદ ‘ટાન’ અને ‘જેટ’ જેવાં કેટલાંય સામયિકો પ્રગટ કર્યાં અને પોતાના વિદ્યાપુરુષાર્થથી સફળતાનાં શિખરો સર કર્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

સહિષ્ણુતા અને સ્વપ્નસિદ્ધિ

આજના યુગમાં માનવીની સહિષ્ણુતા સાવ ઘટી ગઈ છે અને એની અધીરાઈ સતત વધતી જાય છે. એની સમક્ષ કોઈ પ્રશ્ન આવે કે એ ક્ષણનાય વિલંબ વિના તત્કાળ એનો પ્રતિભાવ આપતો હોય છે. સહેજે અણગમતી પરિસ્થિતિ ઊભી થાય, તો એની સામે એના ગુસ્સાના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. આવી અધીરાઈને કારણે વ્યક્તિ પોતાની જિંદગીના સવાલો વિશે સ્વસ્થપણે વિચારી શકતી નથી. પોતાના જીવનમાં જાણે કોઈ ઝડપી દોડની સ્પર્ધામાં ઊતર્યો હોય એ રીતે તત્કાળ ઉત્તર આપતો રહે છે. એ સાચું છે કે પ્રત્યેક વ્યક્તિ પાસે એક સ્વપ્ન હોય છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે એ અથાગ પ્રયત્ન કરતો હોય છે, પરંતુ આવો પ્રયત્ન કરનારે સતત રાત-દિવસ ધૈર્ય ધારણ કરીને પ્રયોગશાળામાં પ્રયોગ કરનાર થોમસ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીઓનો વિચાર કરવો જોઈએ, જેઓ નિષ્ફળ પ્રયોગોની હારમાળા વચ્ચેય ક્યાંય અકળાયા નથી કે અટક્યા નથી.  વ્યક્તિનું સ્વાસ્થ્ય સુદૃઢ હોય તો એ સતત કામ કરી શકે છે, પરંતુ કોઈક દિવસ અણધારી બીમારી આવી જાય, સંસારની પરિસ્થિતિમાં એકાએક પલટો આવે અથવા તો સ્વપ્નસિદ્ધિ માટેની મહેનતમાં થોડી વાર અટકી જવું પડે તેમ હોય, તો એવા સમયે શાંતિથી થોભી જવાની સહિષ્ણુતા વ્યક્તિમાં હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિ ઉત્સાહથી કેટલાંય કામો કરી શકતી હોય છે અને ક્યારેક એ કશુંક ન કરી શકતાં હતોત્સાહ બની જતી હોય છે. વ્યક્તિ પાસે ધૈર્ય હોય તો આવી હતોત્સાહની વિપરીત પરિસ્થિતિને પાર કરી શકે છે. જો એનામાં સહિષ્ણુતાનો અભાવ હશે, તો એ ક્યાં તો પરિસ્થિતિ સામે ગુસ્સો ઠાલવીને બેચેન કે ઉદાસ બની જાય છે અથવા તો એની અસહિષ્ણુતા જ એના કાર્યમાં અવરોધરૂપ બને છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ એને પાર પાડવા માટે ધૈર્યની જરૂર છે. ધીરજથી વિચારનાર પોતાની ભૂલ સમજી શકે છે. ચોપાસની પરિસ્થિતિનો શાંતિથી તાગ મેળવી શકે છે અને એથી જ એ અણગમતા સંજોગો કે નિષ્ફળતાને અળગી કરીને આત્મવિશ્વાસથી આગળ ડગ ભરે છે અને વિચારે છે કે એનું આ એક પગલું ભવિષ્યમાં એને સફળતાની મંજિલે પહોંચાડશે.

Categories
વાચન સમૃદ્ધિ

શક્તિનો વ્યય

ઈ. સ. 1901થી ઈ. સ. 1909 સુધી અમેરિકાનું પ્રમુખપદ સંભાળનાર થિયૉડોર રૂઝવેલ્ટ રાજકારણમાં તેમની ‘બિગ સ્ટિક’ થિયરી માટે જાણીતા હતા. આ ‘બિગ સ્ટિક’નો અર્થ એટલો કે તેઓ પ્રભાવ વિસ્તારવાના સાધન તરીકે રાજકીય અને લશ્કરી દળનો સવિશેષ ઉપયોગ કરવામાં માનતા હતા. એમણે પૂર્વપ્રમુખ મેકક્નિલીની રાજનીતિને અનુસરવાની જાહેરાત કરી, પરંતુ હકીકતમાં તેમણે પોતાની આગવી રાજનીતિ અપનાવી. અન્યની યોજનાને અનુસરવા તૈયાર નહોતા. પ્રમુખ રુઝવેલ્ટે ઘણાં ક્રાંતિકારી પગલાંઓ ભર્યાં, રશિયા-જાપાનનું યુદ્ધ બંધ કરવામાં અને એમની વચ્ચે સંધિ કરાવવામાં સહાય કરી. ચીન પરત્વે એમણે ‘ઓપન ડૉર પૉલિસી’ એટલે કે ચીનને માટે એમણે દ્વાર ખુલ્લાં કર્યાં. 1908માં થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખપદની ચૂંટણી માટે વિલિયમ હોવર્ડ ટેફ્ટને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો અને 1909માં થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખપદ છોડ્યું અને આફ્રિકામાં સિંહના શિકાર માટે ગયા. એ પાછા આવ્યા ત્યારે પ્રમુખ ટેફ્ટની રાજનીતિ જોઈને ઊકળી ઊઠ્યા. જેને એમણે આટલો બધો સાથ આપ્યો હતો એણે એમની રાજનીતિના માર્ગે ચાલવાને બદલે સાવ જુદી જ નીતિ-રીતિ અપનાવી હતી. આથી થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખ ટેફ્ટની આકરી ટીકાઓ કરવા માંડી. એમનાં કામોને વખોડવા લાગ્યા. એમને રૂઢિચુસ્ત કહીને વગોવવા લાગ્યા અને બન્યું એવું કે આ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. પછી તો સામસામે આક્ષેપો થયા. એનું પરિણામ એ આવ્યું કે ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ શરમજનક પરાજય પામ્યો અને થિયૉડોર રૂઝવેલ્ટે આને માટે ટેફ્ટને જવાબદાર માન્યો અને પ્રેસિડેન્ટ ટેફ્ટે થિયૉડોર રૂઝવેલ્ટને કારણભૂત ગણ્યા. એક વાકયુદ્ધને પરિણામે કેટલી બધી શક્તિ વેડફાય છે, પરસ્પરની વ્યર્થ ટીકાઓથી અખબારોનાં પાનાંઓ ઊભરાય છે, પ્રજામાનસ દૂષિત થાય છે અને છતાં એમાં જવાબદાર એવા બંને મુખ્ય માણસો પોતાને દોષિત માનતા નહોતા. આ જ છે માનવસ્વભાવની ખૂબી.