Categories
વાચન સમૃદ્ધિ

પ્રધાનમંડળમાં એકમત

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનને (ઈ. સ. 1809 થી 1865) જીવનભર ઉપહાસ અને પ્રતિકારનો સામનો કરવો પડ્યો. રીઢા રાજકારણીઓ એમ માનતા હતા કે જંગલમાં વસનારો કઠિયારો નસીબના જોરે ભલે દેશનો પ્રમુખ બની બેઠો હોય, પરંતુ એને ક્યાંથી કુનેહભર્યા રાજકારણના કાવાદાવાનો ખ્યાલ આવશે? એની રેવડી દાણાદાણ થશે અંતે ઘોર નિષ્ફળતાથી નાસીપાસ થશે. અધૂરામાં પૂરું અમેરિકાના આંતરવિગ્રહના સમયમાં લિંકને રચેલી સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકારમાં એણે પોતાના રિપબ્લિકન પક્ષમાંથી ત્રણ પ્રધાનો પસંદ કર્યા અને વિરોધી એવા ડેમોક્રૅટિક પક્ષમાં ચાર વ્યક્તિઓની પ્રધાનપદે નિમણૂક કરી. લિંકન નિર્ભય હતા. અમેરિકાની અખંડિતતા અને ગુલામોની મુક્તિની બાબતમાં કશી બાંધછોડ નહીં કરનારા લિંકન વિરોધની પરવા કરતા નહોતા. કોઈ લિંકનને કહેતું કે ‘આમાં બંને પક્ષનું સમતોલપણું ક્યાં ?’ ત્યારે લિંકન એમ કહેતા કે, ‘હું રિપબ્લિક પક્ષનો હોવાથી હું ચોથો. આથી પ્રધાનમંડળ સમતોલ ગણાય.’ એના પક્ષના જ લોકોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો અને એક પ્રધાને તો વિવેક છોડીને પ્રમુખ અબ્રાહમ લિંકનને લખ્યું, ‘દેશની રાજ્યવ્યવસ્થા અને વિદેશનીતિનું સંચાલન અને નિયમન કોણ કરશે ? આ માટેની સઘળી જવાબદારી ઉપાડવા માટે હું તૈયાર છું, પરંતુ એનો યશ તો પ્રમુખને ભાગે જ જશે ને !’ લિંકન એમનો ઇરાદો પારખી ગયા. એમને વિનયપૂર્વક જવાબ આપ્યો, પણ થોડા જ સમયમાં એમની દીર્ઘદૃષ્ટિ, કાર્યશક્તિ, આવડત અને મીઠાશથી બધા પ્રધાનો લિંકનની પ્રશંસા કરવા લાગ્યા અને એક પ્રધાને તો એમ પણ કહ્યું કે, ‘અમારા પ્રધાનમંડળમાં મત માત્ર એક જ છે અને તે પ્રમુખનો.’

Categories
વાચન સમૃદ્ધિ

ભસ્મ કરી નાખો, તોપણ

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. 1809 થી ઈ. સ. 1865) જ્યારે અમેરિકાના ઈલિનોય રાજ્યના ધારાસભ્ય હતા, તે સમયે એક મોટો વિવાદ જાગ્યો. એ સમયે ઈલિનોય રાજ્યની રાજધાની વેન્ડેલિયા હતી. તેને સ્પ્રિંગફિલ્ડ શહેરમાં લઈ જવા માટેનું બિલ ધારાસભામાં રજૂ થવાનું હતું. સ્પ્રિંગફિલ્ડ શહેર અત્યંત વિકાસ પામતું વેપાર-રોજગારનું મોટું મથક હોવાથી ઈલિનોય રાજ્યની રાજધાની બનવા માટે યોગ્ય હતું; પરંતુ બીજા ધારાસભ્યો પોતપોતાની કાઉન્ટીના શહેરમાં રાજધાની ખસેડવાનો આગ્રહ રાખતા હતા. આ સમયે અબ્રાહમ લિંકને બીજી કાઉન્ટીના ધારાસભ્યો જોડે મૈત્રીભરી ચર્ચા-વિચારણા કરી અને સ્પ્રિંગફિલ્ડના રાજધાની બનાવવા માટેનું બિલ પસાર કરવામાં એમને ટેકો આપવાનું કહ્યું. આવો ટેકો આપવાની સામે કેટલાક ધારાસભ્યોએ લિંકન પાસેથી અમુક બાબતમાં એમના જૂથના ધારાસભ્યોના મતની માગણી કરી. મત મેળવવા માટે કોઈ સોદો કરવો, એ તો લિંકનના સિદ્ધાંતથી તદ્દન વિરોધી વાત હતી, તેથી એમણે પેલા સભ્યોને આવી શરતી મદદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આવી સ્થિતિ હોવા છતાં લિંકનના જૂથના મતો ખરીદવા ઇચ્છતા સભ્યોએ મંત્રણા ચાલુ રાખી અને વિચાર્યું કે આખરે લિંકનને થાકીને હા પાડવી પડશે. મંત્રણા સવાર સુધી ચાલી, પણ લિંકને પોતાના જૂથના મતનો સોદો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું, ‘તમે મારા શરીરને બાળીને ભસ્મ કરી નાખો અથવા તો નરકની યાતના સહેવા માટે મારા આત્માને અંધકારમય અને નિરાશામય નરકાગારમાં નાખો; પરંતુ હું જેને અન્યાયી અને ગેરવાજબી માનતો હોઉં એવાં કોઈ પણ પગલાંમાં મારો ટેકો તમે કદી પણ મેળવી શકશો નહીં.’ લિંકનની ભારે જહેમતને અંતે સ્પ્રિંગફિલ્ડને ઈલિનોય રાજ્યની રાજધાની બનાવવાનો કાયદો પસાર થયો અને લોકોએ એમના નિષ્ઠાવાન નેતા અબ્રાહમ લિંકનનો જાહેરમાં સત્કાર કર્યો.

Categories
વાચન સમૃદ્ધિ

નકલ એટલે નિષ્ફળતા

સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનૉર વૂડે (ઈ. સ. 1883 થી ઈ. સ. 1949) પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણા સેલ્સમૅનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સેમ વૂડે પોતાના સેલ્સમૅનોને કહ્યું કે ‘‘તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઈએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઈએ.’’ સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને એ પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં ‘પૅરેમાઉન્ટ પિક્ચર્સ’ નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઈ રીતે આકર્ષી શકાય, એને માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતા, ‘‘તમે નકલ કરીને ક્યાંય અને ક્યારેય સફળ થઈ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઈએ અને તો જ લોકો તમને સ્વીકારશે.’’ વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઈએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઈને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલિવૂડની ‘હીટ ફિલ્મો’ બની અને તે એકૅડેમી ઍવૉર્ડ માટે પણ નામાંકિત થઈ. ‘ફોર હૂમ ધ બેલ ટોલ્સ’, ‘એ નાઇટ ઓફ ધ ઓપેરા’, ‘ગૂડબાય મિ. ચિપ્સ’ અને ‘ધ પ્રાઇડ ઑફ ધ યાન્કી’ જેવી ફિલ્મોએ દિગ્દર્શક તરીકે સેમ વૂડને વૈશ્વિક નામના અપાવી.