Categories
વાચન સમૃદ્ધિ

અહો આશ્ચર્યમ્

જીવનમાં સર્વથા નિષ્ફળ ગયેલો નાસીપાસ યુવાન બગીચામાં બેઠો હતો. એને વેપારમાં એટલી જંગી ખોટ આવી હતી કે જમીન-જાયદાદ ગીરવે રાખવી પડી હતી. મિત્રોએ પણ એનાથી મોં ફેરવી લીધું હતું. આવી પરિસ્થિતિમાં ડૂબેલા યુવાનની પાસે ધનવાન લાગતો એક વૃદ્ધ માણસ આવ્યો અને એણે યુવાનને એની નિરાશાનું કારણ પૂછ્યું. યુવાને જિંદગીમાં આવેલી આસમાની-સુલતાનીની વાત કરી ત્યારે વૃદ્ધે કહ્યું, ‘સહેજે ચિંતા ન કરીશ. મારું નામ જ્હોન ડી રોકફેલર છે. હું તને ઓળખતો નથી, પણ તું ઈમાનદાર લાગે છે આથી તને ઉછીના દસ હજાર ડૉલર આપવા હું તૈયાર છું.’ આટલું બોલીને એ વૃદ્ધે ચેકબુકમાં રકમ લખી આપી અને કહ્યું, ‘બરાબર એક વર્ષ પછી આપણે આ બગીચામાં મળીશું અને તું એ સમય સુધીમાં મહેનત કરીને મારું દેવું ચૂકવી આપજે.’ વીસમી સદીમાં દસ હજાર ડૉલરનો ચેક એ ઘણી મોટી રકમ ગણાતી અને યુવકનું મન હજી માનતું નહોતું કે એ અપરિચિત વ્યક્તિએ કઈ રીતે મારા પર આટલો મોટો ભરોસો કર્યો, જ્યારે મને ખુદને મારા પર ભરોસો નથી. એણે ચેકને જાળવીને રાખ્યો અને રાતદિવસ મહેનત કરવા લાગ્યો. વિચાર કર્યો કે કોઈ મોટી મુશ્કેલી આવશે ત્યારે ચેકની રકમનો ઉપયોગ કરીશ. એના મનમાં એક જ ધૂન હતી કે દેવું ચૂકવીને હું મારી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરું. એના પ્રયત્નો સફળ થવા લાગ્યા અને માથેથી દેવું ઊતરી ગયું. નિર્ધારિત દિવસે એ ચેક લઈને રોકફેલરની રાહ જોઈને ઊભો રહ્યો. એ વૃદ્ધ આવ્યા, યુવકે ભાવથી પ્રણામ કર્યાં. ત્યાં એક નર્સ દોડતી આવી અને વૃદ્ધને પકડી લીધા. યુવક પરેશાન થઈ ગયો. નર્સે કહ્યું, ‘આ પાગલ વારંવાર પાગલખાનામાંથી ભાગી જાય છે અને લોકોને જ્હોન ડી. રોકફેલર બનીને ચેક આપે છે.’ યુવક મૂંઝવણમાં પડી ગયો. જે ચેકની તાકાતથી એણે આ કામ કર્યું હતું, તે ખરે જ બનાવટી હતો. આ તે કેવું કહેવાય ?

Categories
વાચન સમૃદ્ધિ

ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !

કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટૅરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી આલિંગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી. એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે, છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય’ દીવાલો ચણાયેલી હોય છે. આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.

Categories
વાચન સમૃદ્ધિ

વૃક્ષને માટે દુઆ

અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાન વૃક્ષ પર પડી. એણે એ વૃક્ષનાં મીઠાં મધુરાં ફળ ખાધાં અને પછી એ વૃક્ષના છાંયડે નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયો. જાગ્યા પછી એણે ઝાડની નજીક આવેલા વહેતા ઝરણામાંથી પાણી પીધું અને પોતાની જાતને કહેવા લાગ્યો, ‘જિંદગીમાં ક્યારેય આવાં મધુર ફળ આરોગ્યાં નથી. જ્યારે ભૂખથી મારો જીવ નીકળી જતો હતો, ત્યારે આ વૃક્ષે મને ભોજન આપ્યું અને એના છાંયડામાં આશરો આપ્યો. હું એને કઈ રીતે શુક્રિયા કહું ? એને હું કઈ દુઆ આપું ?’ ગુરુ રબ્બી ઇસાકે આ વાત કહીને શિષ્ય રબ્બી નહમનને પ્રશ્ન પૂછ્યો, ‘શું એ માણસે એવી દુઆ કરવી જોઈએ કે આ વૃક્ષનાં ફળ મીઠાં મધુરાં રહે ? જો એ આવું કરે તો એ એની મૂર્ખતા જ ગણાય, કારણ કે એ મીઠાં મધુરાં ફળનો આસ્વાદ તો માણી ચૂક્યો હતો. જો એ એવી દુઆ કરે કે હે વૃક્ષ ! તું વધુ ને વધુ ઘટાદાર બન, તો તે પણ બરાબર નહીં, કારણ કે એની ઘટાદાર છાયામાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને જો એ એવી દુઆ કરે કે તારી નજીક સદા ઝરણું વહ્યા કરે, તો એણે નજીક વહેતા ઝરણામાંથી જ પાણી પીધું હતું.’ આ વાત કરીને રબ્બી ઇસાકે પોતાના શિષ્ય રબ્બી નહમનને પૂછ્યું, ‘ત્યારે તમે જ કહો કે વૃક્ષને માટે એણે કઈ દુઆ કરવી જોઈએ ?’ શિષ્ય રબ્બી નહમન વિચારમાં પડી ગયો એટલે ગુરુએ કહ્યું, ‘એણે તો એ દુઆ કરવી જોઈએ કે બીજાં વૃક્ષો તારા જેવાં કલ્યાણકારી બને. ભૂખ્યાને ભોજન આપનારાં અને થાકેલાને આરામ આપનારાં થાય. તેથી જો હું તને જ્ઞાનપ્રાપ્તિની દુઆ આપું, તો એ તો તારી પાસે મોજૂદ છે. ધન પણ તારી પાસે છે. સંતાનની દુઆ આપું, તો એ પણ તારી પાસે છે. હવે હું એટલી જ દુઆ આપીશ કે તારાં બાળકો તારા જેવાં જ્ઞાની અને સેવાભાવી બને.’