Categories
વાચન સમૃદ્ધિ

સ્મિતા પાટીલ

જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૫ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬

હિન્દી અને મરાઠી ચલચિત્રોનાં અભિનેત્રી તરીકે જાણીતાં સ્મિતા પાટીલનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનાં માતા વિદ્યા પાટીલ સામાજિક કાર્યકર હતાં. તેમના પિતા શિવાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન હતા. તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં હતાં. અભિનયની કોઈ વિશેષ તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે કોઈ પણ પાત્રમાં પોતાના વ્યક્તિત્વને ડુબાડી દેવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતાં સ્મિતા પાટીલ ચલચિત્રજગતના આકાશમાં અલ્પ સમય માટે ચમકી ગયેલાં તેજસ્વી તારિકા હતાં. આર્ટ ફિલ્મ ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં જે બે  નોંધપાત્ર અભિનેત્રીઓ ભારતીય ચલચિત્ર ઉદ્યોગને પ્રાપ્ત થઈ તેમાં એક શબાના આઝમી અને બીજાં સ્મિતા પાટીલને ગણાવી શકાય.

કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે જ મુંબઈ દૂરદર્શન પર સમાચારવાચક તરીકે ફરજ બજાવતાં સ્મિતા પાટીલને ખ્યાતનામ દિગ્દર્શક શ્યામ બેનેગલે પ્રથમ વાર ‘ચરણદાસ ચોર’ નામની ફિલ્મમાં તક આપી હતી. દેખાવે નમણાં એવાં સ્મિતા પાટીલની ‘નિશાન્ત’માંની ભૂમિકા નાની પણ યાદગાર હતી. દૂધની સહકારી ડેરીના વિષય પર બનાવાયેલી બેનેગલની ફિલ્મ ‘મંથન’માં એક હરિજન યુવતીને તેમણે એવી સહજતાથી પડદા પર રજૂ કરી હતી તેથી શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષક તેમને પ્રાપ્ત થયું હતું. સ્મિતા પાટીલે ‘ભૂમિકા’, ‘ચક્ર’, ‘આક્રોશ’, ‘ગમન’, ‘બાઝાર’, ‘અર્થ’, ‘મંડી’ જેવી આર્ટ ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કર્યો હતો. સાથોસાથ ‘શક્તિ’, ‘નમકહલાલ’, ‘કયામત, ‘કસમ પેદા કરનેવાલે કી’, ‘ડન્સડાન્સ’, ‘બદલે કી આગ’, ‘અમૃત’ વગેરે વ્યાવસાયિક ચલચિત્રોમાં પણ તેમણે સરસ કામ કર્યું હતું. એમની હયાતીમાં જ ફ્રાન્સ ખાતે તેમનાં ચલચિત્રોનો ‘પુનરવલોકન’ (retrospect) કાર્યક્રમ યોજાયો હતો. આવું માન જૂજ અભિનેત્રીઓને મળ્યું છે. કુલ ૬૬ જેટલાં ચલચિત્રોમાં યાદગાર ભૂમિકા ભજવી ગયેલ સ્મિતા પાટીલનું ૩૧ વર્ષની વયે બ્રેઇનહેમરેજને કારણે નિધન થયું હતું. હિન્દી અને મરાઠીની સાથોસાથ તેમણે બંગાળી, કન્નડ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં કામ કરીને પદ્મશ્રી સન્માન પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

દેનિસ દીદેરો

જ. ૫ ઑક્ટોબર, ૧૭૧૩ અ. ૩૧ જુલાઈ, ૧૭૮૪ ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટ્યકલાના મીમાંસક અને ફિલસૂફ. ૧૭૩૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી પણ ૧૭૪૨ સુધીનો દસકો ગરીબાઈ અને મુશ્કેલીઓમાં પસાર થયો. ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી મેળવી. ધર્મની બાબતમાં તેમનો અભિગમ જુનવાણી સમાજથી અલગ રહેતો અને ક્યારેક તેમના કઠોર અભિપ્રાયો આપતા તેથી જેલવાસ પણ ભોગવવો પડ્યો. ગુનાની કબૂલાત કરવાથી અને સારી વર્તણૂકની બાંયધરી આપવાથી કેટલાક સમયની સજા પૅરિસની નજીકમાં જ અટકમાં રહી ભોગવી. અહીં જ તેમણે વિશ્વકોશનું કામ શરૂ કર્યું. ૧૦૨ દિવસની કારાવાસની સજા ભોગવી તેઓ મુક્ત થયા. રશિયાની મહાન રાણી કૅથરિને તેમનાં પુસ્તકો ખરીદવાની તૈયારી બતાવી તેથી તેઓ પૅરિસથી સેંટ પિટર્સબર્ગ સુધીની મુસાફરી કરીને ગયા. રાણીએ કેટલાંક પુસ્તકો ખરીદ્યાં અને દીદેરોનું આર્થિક ઋણ હળવું થયું. ત્યારબાદ તેમની મૉસ્કોમાં ગ્રંથપાલ તરીકે પણ નિમણૂક કરવામાં આવી. તેમની ગણનાપાત્ર કૃતિઓમાં ‘ફિલૉસૉફિકલ થૉટ્સ’ (૧૭૪૬), ‘લેટર્સ ઑન ધ બ્લાઇન્ડ’ (૧૭૪૯ – જેમાં ધર્મવિષયે જુનવાણી માન્યતાઓ પર કુઠારાઘાત છે), ‘ઑન ધ ઇન્ટરપ્રિટેશન ઑવ્ નેચર’ (૧૭૫૪), ‘ધ ફાધર ઑવ્ ધ ફૅમિલી’ (૧૭૫૮ – જેમાં નાટક વિશેના તેમના મૌલિક વિચારો જોવા મળે છે. આ ઉપરાંત પણ ઘણી બધી રચનાઓ છે, પણ જેને કારણે તે અતિ પ્રતિષ્ઠા પામ્યા છે તેવી રચના ‘ધી ઍનસાઇક્લોપીદિ’ (૧૭૪૫-૧૭૭૨) લેખકની ઘણાં વર્ષોની મહેનતનું ફળ છે. તેનું મૂળ તો ‘ચેમ્બર્સ સાઇક્લોપીડિયા’(૧૭૨૮)માં છે પણ લેખકે તેમાં ઘણા સુધારાવધારા પણ કર્યા છે. અનેક લેખકોના સહકારથી આ વિશ્વકોશનું ભગીરથ કાર્ય તેમણે સિદ્ધ કર્યું હતું. જોકે પ્રકાશક લેબ્રેતોએ લેખકની જાણ બહાર કેટલાક વિવાદાસ્પદ ફકરાઓ રદ પણ કર્યા હતા. તેમ છતાં આજના વિશ્વકોશના વિકાસમાં આ ગ્રંથો મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

મોહનિદ્રા : જીવન અને મૃત્યુમાં !

વિશ્વવિજેતા શહેનશાહ સિકંદર અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. એની બાજુમાં એની માતા તરફડી રહેલા પુત્રને જોઈને આક્રંદ કરતી હતી. જગત-વિજેતાની આવી દયનીય સ્થિતિ ! પોતાની શક્તિથી અનેકને મોતને ઘાટ ઉતારનાર સિકંદર ખુદ પોતાના મોત સામે આવીને ઊભો હતો. એની માતાએ આંખોમાં આંસુ સાથે રૂંધાયેલા કંઠે પૂછ્યું, ‘અરે ! મારા લાડકા પુત્ર સિકંદર ! તારા વિના હું કઈ રીતે જીવી શકીશ ? અસહ્ય, અસહ્ય !’ શહેનશાહ સિકંદરે માતાને આશ્વાસન આપતાં કહ્યું, ‘મા ! મા ! હિંમત રાખ. ગભરાઈશ નહીં. મૃત્યુ પછી સત્તરમા દિવસે મારી કબર પર આવજે. હું તને જરૂર મળીશ.’ માતાએ સ્વસ્થતા રાખી. જગતવિજેતા શહેનશાહ સિકંદરનું અવસાન થયું. એને કબરમાં દાટવામાં આવ્યો.

સિકંદરની માતા માંડ માંડ દિવસો પસાર કરતી હતી. સિકંદરના મૃત્યુ પછી સોળ સોળ દિવસ સુધી હૈયામાં ધૈર્ય ધારણ કરીને રહી. સત્તરમા દિવસે સિકંદરને મળવાની આશાએ સઘળાં દુ:ખ સહેતી રહી. સત્તરમા દિવસની સાંજ ઢળી. સિકંદરની માતા કબર પાસે ગઈ. કોઈનો પગરવ સંભળાયો. માનું હૈયું બોલી ઊઠ્યું, ‘કોણ છે ? બેટા સિકંદર ! તું આવ્યો ?’ પેલા અવાજે કહ્યું, ‘તમે કયા સિકંદરની શોધ કરો છો ?’ માતાએ કહ્યું, ‘બીજા કોની ? વિશ્વવિજેતા સિકંદરની. મારા જિગરના ટુકડા સિકંદરની. એના સિવાય બીજો સિકંદર છે કોણ ?’ એકાએક અટ્ટહાસ્ય સંભળાયું. એ ભયાવહ જંગલને ચીરીને પર્વતમાળા સાથે ટકરાઈને વિલીન થઈ ગયું. ધીમેથી કોઈનો અવાજ આવ્યો, ‘અરે બાવરી, કેવો છે તારો સિકંદર ? કોનો છે સિકંદર ? આ કબ્રસ્તાનની ધૂળમાં કેટલાય સિકંદરો પોઢેલા છે.’ આ અવાજ સાંભળતાં સિકંદરની માતા ચોંકી ઊઠી અને એની મોહનિદ્રાનો ભંગ થયો. માનવીની મોહનિદ્રાએ મૃત્યુને મારક બનાવ્યું છે. મૃત્યુની સાચી ઓળખને બદલે એની આસપાસ માન્યતાઓનાં જાળાં ગૂંથી દીધાં છે. ભય અને શોકનો ઘેરો ઘાલ્યો છે અને રુદન-વિલાપની ચોકી બેસાડી છે. જગતવિજેતા સિકંદરને પણ મોત સામે ઝૂકી જવું પડ્યું. એણે મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારી. માનવીને એના જીવન દરમિયાન ‘મોહનિદ્રા’ પજવે છે, એ જ રીતે માનવીના સ્વજનો પર મૃત્યુ પછી ‘મોહનિદ્રા’ પ્રભાવ પાડતી હોય છે. જીવનમાં એક પ્રકારનો મોહ હોય છે, મૃત્યુમાં ભિન્ન પ્રકારનો. જીવનને પ્રદર્શનથી ભરી દઈએ છીએ અને મૃત્યુને દંભથી મઢી દઈએ છીએ. જીવનની વાસ્તવિકતાની ઉપેક્ષા કરનાર વ્યક્તિ જીવનના અર્થ કે મૃત્યુના મહિમાને પામી શકતા નથી.

કુમારપાળ દેસાઈ