Categories
વાચન સમૃદ્ધિ

જમ્મુ

કાશ્મીરની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન ૩૨° ૪૪´ ઉ. અ. ૭૪° ૫૨´ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (૩૨૭ મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે સુંદર સરોવરો, બગીચા અને પર્યટનસ્થળો તથા યાત્રાળુઓ માટે શ્રદ્ધાસ્થાન આવેલાં છે. વસ્તીની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમનું નગર છે. વસ્તી ૨૦૧૧ મુજબ ૯,૫૧,૩૭૩ છે. દંતકથા પ્રમાણે જમ્બુલોચન નામનો રાજવી એક વખત શિકાર માટે નીકળ્યો ત્યારે એક પુલ નજીક વાઘ અને બકરી એકસાથે પાણી પીતાં જોઈને વિસ્મય પામ્યો અને તેણે અહીં આ નગરની સ્થાપના કરી. તાવી નદીના તટે બહુકોટ નામનો કિલ્લો આ રાજવીના સમયનો છે. દિલ્હીથી આશરે ૫૯૧ કિમી. દૂર રેલમાર્ગ પર તે આવેલું છે. સમગ્ર ભારત સાથે રેલસેવાથી જોડાયેલું છે. નગરથી ૭ કિમી. દૂર વિમાનીમથક આવેલું છે. અહીં જોવાલાયક સ્થળોમાં રઘુનાથ મંદિર, રણવીરેશ્વર મંદિર, કાલિદેવી મંદિર તેમજ ડોગરા ચિત્રશાળા મુખ્ય છે. નિકટનાં પર્યટનસ્થળોમાં વૈષ્ણોદેવી, માનસરોવર, પટનીટૉપ, સણાસર, મંડલેખ આદિ મુખ્ય છે. રઘુનાથ મંદિરમાં સેંકડો શાલિગ્રામ એકત્રિત કરીને હારબંધ ગોઠવેલા છે. વિવિધ રંગના આરસપહાણમાંથી કંડારાયેલાં મંદિરોની કલાત્મકતા આ સફેદ બરફની ચાદર ધરાવતા પ્રદેશમાં મોહક લાગે છે. અહીંની ચિત્રકલા પણ મનોહર છે. જમ્મુના ડોગરા રાજવીઓ શૈવ ઉપાસક હતા તેની સાબિતી આ મંદિરો પૂરી પાડે છે. ભારતીય ભૂમિસેનામાં ડોગરા રેજિમેન્ટ અહીંના જૂના રાજપૂતોની ગાથા સાકાર કરે છે. અહીંનાં મંદિરોમાં રણવીરેશ્વર તથા કાલિદેવીનું મંદિર વિશેષ દર્શનીય છે. ડોગરા રાજપૂતોના કલાપ્રેમ અને વારસાની ઝાંખી કરાવતું સ્થળ ડોગરા ચિત્રશાળા છે. પહાડી શૈલીના અવશેષો પણ ભગ્નદશામાં જોવા મળે છે. અહીંની પહાડી ચિત્રશૈલી આગવી વિશિષ્ટતા ધરાવે છે.

વૈષ્ણોદેવી : જ્મ્મુથી આશરે ૬૨ કિમી. દૂર વૈષ્ણોદેવી અથવા વિષ્ણોદેવીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. ત્યાં હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જમ્મુથી કટરા આશરે ૫૦ કિમી. અને ત્યાંથી ૧૨ કિમી. દૂર પગદંડીથી પહાડી પર ચડતાં વૈષ્ણોદેવી પહોંચાય છે. પગપાળા કે ખચ્ચર–ટટ્ટુ દ્વારા પણ અહીં કેટલાક યાત્રિકો પહોંચે છે. ત્રિકૂટ પહાડી પર આવેલી ભગવતી વૈષ્ણોદેવીની ગુફાનું પ્રવેશદ્વાર અત્યંત સાંકડું છે તેથી પ્રવાસીઓને આશરે ૩.૦૫ મી. જેટલું અંતર પેટે ઘસડાતાં ચાલીને કાપવું પડે છે. ગુફામાં વૈષ્ણોદેવી, મહાસરસ્વતી અને મહાકાલી તેમજ મહાલક્ષ્મીની મૂર્તિઓ આવેલી છે. આ દેવીઓનાં ચરણોમાંથી બાણગંગા નામનું ઝરણું વહે છે. આસો માસની નવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે. સમગ્ર ભારતમાં આ સ્થળ તેની કઠિન યાત્રા માટે જાણીતું છે. હવે અહીં રિક્ષા તેમજ હેલિકૉપ્ટર દ્વારા પણ પહોંચી શકાય છે. માનસરોવર : માનસરોવર જમ્મુથી પૂર્વમાં આશરે ૮૦ કિમી. દૂર તથા સૂરીઓન સરોવર લગભગ ૨૪ કિમી. દૂર આવેલું છે. દંતકથાઓ પ્રમાણે વીરબાહુએ માનસરોવરના તળિયે તીર માર્યું હતું જે સૂરીઓન સરોવરમાં પહોંચ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ સ્થળો પ્રકૃતિપ્રેમીઓને વિશેષ આકર્ષે છે. જમ્મુથી અહીં પહોંચવા માટે નિયમિત બસ-સેવા મળી રહે છે. પટનીટૉપ તથા સણાસર : પટનીટૉપ જમ્મુથી આશરે ૧૧૨ કિમી. દૂર આવેલું છે, જે સાગરસપાટીથી આશરે ૨,૦૦૦ મી.ની ઊંચાઈ પર છે.

મહેશ ત્રિવેદી, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જમ્મુ, પૃ. ૫૫૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સ્મિતા પાટીલ

જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૫ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬

હિન્દી અને મરાઠી ચલચિત્રોનાં અભિનેત્રી તરીકે જાણીતાં સ્મિતા પાટીલનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનાં માતા વિદ્યા પાટીલ સામાજિક કાર્યકર હતાં. તેમના પિતા શિવાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન હતા. તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં હતાં. અભિનયની કોઈ વિશેષ તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે કોઈ પણ પાત્રમાં પોતાના વ્યક્તિત્વને ડુબાડી દેવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતાં સ્મિતા પાટીલ ચલચિત્રજગતના આકાશમાં અલ્પ સમય માટે ચમકી ગયેલાં તેજસ્વી તારિકા હતાં. આર્ટ ફિલ્મ ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં જે બે  નોંધપાત્ર અભિનેત્રીઓ ભારતીય ચલચિત્ર ઉદ્યોગને પ્રાપ્ત થઈ તેમાં એક શબાના આઝમી અને બીજાં સ્મિતા પાટીલને ગણાવી શકાય.

કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે જ મુંબઈ દૂરદર્શન પર સમાચારવાચક તરીકે ફરજ બજાવતાં સ્મિતા પાટીલને ખ્યાતનામ દિગ્દર્શક શ્યામ બેનેગલે પ્રથમ વાર ‘ચરણદાસ ચોર’ નામની ફિલ્મમાં તક આપી હતી. દેખાવે નમણાં એવાં સ્મિતા પાટીલની ‘નિશાન્ત’માંની ભૂમિકા નાની પણ યાદગાર હતી. દૂધની સહકારી ડેરીના વિષય પર બનાવાયેલી બેનેગલની ફિલ્મ ‘મંથન’માં એક હરિજન યુવતીને તેમણે એવી સહજતાથી પડદા પર રજૂ કરી હતી તેથી શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષક તેમને પ્રાપ્ત થયું હતું. સ્મિતા પાટીલે ‘ભૂમિકા’, ‘ચક્ર’, ‘આક્રોશ’, ‘ગમન’, ‘બાઝાર’, ‘અર્થ’, ‘મંડી’ જેવી આર્ટ ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કર્યો હતો. સાથોસાથ ‘શક્તિ’, ‘નમકહલાલ’, ‘કયામત, ‘કસમ પેદા કરનેવાલે કી’, ‘ડન્સડાન્સ’, ‘બદલે કી આગ’, ‘અમૃત’ વગેરે વ્યાવસાયિક ચલચિત્રોમાં પણ તેમણે સરસ કામ કર્યું હતું. એમની હયાતીમાં જ ફ્રાન્સ ખાતે તેમનાં ચલચિત્રોનો ‘પુનરવલોકન’ (retrospect) કાર્યક્રમ યોજાયો હતો. આવું માન જૂજ અભિનેત્રીઓને મળ્યું છે. કુલ ૬૬ જેટલાં ચલચિત્રોમાં યાદગાર ભૂમિકા ભજવી ગયેલ સ્મિતા પાટીલનું ૩૧ વર્ષની વયે બ્રેઇનહેમરેજને કારણે નિધન થયું હતું. હિન્દી અને મરાઠીની સાથોસાથ તેમણે બંગાળી, કન્નડ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં કામ કરીને પદ્મશ્રી સન્માન પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

દેનિસ દીદેરો

જ. ૫ ઑક્ટોબર, ૧૭૧૩ અ. ૩૧ જુલાઈ, ૧૭૮૪ ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટ્યકલાના મીમાંસક અને ફિલસૂફ. ૧૭૩૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી પણ ૧૭૪૨ સુધીનો દસકો ગરીબાઈ અને મુશ્કેલીઓમાં પસાર થયો. ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી મેળવી. ધર્મની બાબતમાં તેમનો અભિગમ જુનવાણી સમાજથી અલગ રહેતો અને ક્યારેક તેમના કઠોર અભિપ્રાયો આપતા તેથી જેલવાસ પણ ભોગવવો પડ્યો. ગુનાની કબૂલાત કરવાથી અને સારી વર્તણૂકની બાંયધરી આપવાથી કેટલાક સમયની સજા પૅરિસની નજીકમાં જ અટકમાં રહી ભોગવી. અહીં જ તેમણે વિશ્વકોશનું કામ શરૂ કર્યું. ૧૦૨ દિવસની કારાવાસની સજા ભોગવી તેઓ મુક્ત થયા. રશિયાની મહાન રાણી કૅથરિને તેમનાં પુસ્તકો ખરીદવાની તૈયારી બતાવી તેથી તેઓ પૅરિસથી સેંટ પિટર્સબર્ગ સુધીની મુસાફરી કરીને ગયા. રાણીએ કેટલાંક પુસ્તકો ખરીદ્યાં અને દીદેરોનું આર્થિક ઋણ હળવું થયું. ત્યારબાદ તેમની મૉસ્કોમાં ગ્રંથપાલ તરીકે પણ નિમણૂક કરવામાં આવી. તેમની ગણનાપાત્ર કૃતિઓમાં ‘ફિલૉસૉફિકલ થૉટ્સ’ (૧૭૪૬), ‘લેટર્સ ઑન ધ બ્લાઇન્ડ’ (૧૭૪૯ – જેમાં ધર્મવિષયે જુનવાણી માન્યતાઓ પર કુઠારાઘાત છે), ‘ઑન ધ ઇન્ટરપ્રિટેશન ઑવ્ નેચર’ (૧૭૫૪), ‘ધ ફાધર ઑવ્ ધ ફૅમિલી’ (૧૭૫૮ – જેમાં નાટક વિશેના તેમના મૌલિક વિચારો જોવા મળે છે. આ ઉપરાંત પણ ઘણી બધી રચનાઓ છે, પણ જેને કારણે તે અતિ પ્રતિષ્ઠા પામ્યા છે તેવી રચના ‘ધી ઍનસાઇક્લોપીદિ’ (૧૭૪૫-૧૭૭૨) લેખકની ઘણાં વર્ષોની મહેનતનું ફળ છે. તેનું મૂળ તો ‘ચેમ્બર્સ સાઇક્લોપીડિયા’(૧૭૨૮)માં છે પણ લેખકે તેમાં ઘણા સુધારાવધારા પણ કર્યા છે. અનેક લેખકોના સહકારથી આ વિશ્વકોશનું ભગીરથ કાર્ય તેમણે સિદ્ધ કર્યું હતું. જોકે પ્રકાશક લેબ્રેતોએ લેખકની જાણ બહાર કેટલાક વિવાદાસ્પદ ફકરાઓ રદ પણ કર્યા હતા. તેમ છતાં આજના વિશ્વકોશના વિકાસમાં આ ગ્રંથો મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

રાજશ્રી મહાદેવિયા