Categories
વાચન સમૃદ્ધિ

અર્જુનમાં યોગ છે !

મહાભારતના ભીષણ યુદ્ધમાં આચાર્ય દ્રોણે રચેલા ચક્રવ્યૂહને ભેદવા માટે અર્જુનનો પુત્ર અને શ્રીકૃષ્ણનો ભાણેજ અભિમન્યુ વીરગતિ પામ્યો. કૌરવ પક્ષના છ મહારથીઓ સામે અપ્રતિમ પરાક્રમ દાખવી યુવાન અભિમન્યુ રણમેદાનમાં વીરની જેમ મૃત્યુ પામ્યો. બાણાવળી અર્જુનને આ સમાચાર મળ્યા, ત્યારે એણે પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ કરીશ. અર્જુનના પ્રલયકારી શબ્દો પછી તત્કાળ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો પાંચજન્ય શંખ ફૂંક્યો.

પાંડવસેનામાં યુદ્ધનો નવીન, પ્રબળ ઉત્સાહ જાગ્યો. પાંડવસેનાના આનંદવિભોર અવાજો સાંભળી જયદ્રથને આશ્ચર્ય થયું. શોકની પરાકાષ્ઠાએ આવો આનંદ કેમ ? વેદનાની ટોચ ઉપર ઉલ્લાસ હોય ખરો? હકીકતમાં તો પાંડવો શોકની પરિસ્થિતિ જોઈને શોકમાં ડૂબી જનારા નહોતા, પરંતુ શોક સર્જનારી પરિસ્થિતિ સામે પડકાર ફેંકનારા હતા. માટે જ તેઓ પાંડવો હતા !

ભયભીત થઈને વિહવળ બનેલો જયદ્રથ દુર્યોધન પાસે દોડી આવ્યો. દુર્યોધને એને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો, જયદ્રથની આંખમાંથી આવતીકાલનો મૃત્યુભય ખસતો નહોતો.

દુર્યોધન અને જયદ્રથ હિંમત અને આશ્વાસન પામવા માટે ગુરુ દ્રોણ પાસે ગયા. એમની પાસેથી ઉછીની હિંમત લઈને હૃદયના ભયને ઠારવો હતો. દુર્યોધને ગુરુ દ્રોણને માર્મિક પ્રશ્ન પૂછ્યો,

‘હું અને અર્જુન બંને આપના શિષ્યો છીએ. આપે અમને સમાન વિદ્યા આપી છે. જે શસ્ત્રવિદ્યામાં એને પારંગત બનાવ્યો, એમાં જ તમે મનેય પારંગત બનાવ્યો છે. છતાં મારાથી ચઢિયાતો ?’

ગુરુ દ્રોણે દુર્યોધનને કહ્યું, ‘જુઓ, આચાર્ય કોઈ એકના હોતા નથી. સહુના એ આચાર્ય હોય છે. તમે બંને મારા શિષ્યો છો તે હું સ્વીકારું છું; પરંતુ અર્જુનને તારા કરતાં ચઢિયાતો ગણવામાં બે કારણ છે.’

દુર્યોધને પૂછ્યું, ‘કયું છે પહેલું કારણ ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘અર્જુનમાં યોગ છે. વિરલ અધ્યાત્મ-જિજ્ઞાસા છે. એવો યોગ કે જિજ્ઞાસા તારામાં નથી.’

દુર્યોધને પૂછ્યું, ‘બીજું શું કારણ છે ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘તારી અને અર્જુનની જીવનશૈલી ભિન્ન છે. બંનેનો જીવન વિશેનો અભિગમ ભિન્ન છે. અર્જુને દુ:ખનો અનુભવ કર્યો છે, તેથી એની જીવનદૃષ્ટિ સર્વગ્રાહી છે. તું માત્ર સુખમાં જ ઊછર્યો છે માટે તારી જીવનદૃષ્ટિ પરિપક્વ થઈ નથી.’

ગુરુ દ્રોણની આ તુલનામાં એ સ્પષ્ટ જોવા મળે છે કે અર્જુનનું ઘડતર એની અધ્યાત્મ-જિજ્ઞાસાએ કર્યું છે. જ્યારે દુર્યોધનનું જીવનઘડતર માત્ર ભૌતિક લાલસાઓથી થયેલું છે.

અર્જુનમાં યોગ છે. શ્રીકૃષ્ણનો ઉપદેશ ઝીલવાની એની પાત્રતા છે, જ્યારે દુર્યોધન સુખમાં ઊછરેલો હોવાથી એણે નમ્રતા અને સૌહાર્દ ગુમાવી દીધાં છે. દુર્યોધનનો અહંકાર જ મહાભારતના યુદ્ધનું કારણ બન્યો અને પોતાના કુળના સર્વનાશનું નિમિત્ત બન્યો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વૉલ્તેર

જ. ૨૧ નવેમ્બર, ૧૬૯૪ અ. ૩૦ મે, ૧૭૭૮

મહાન ફ્રેન્ચ તત્ત્વજ્ઞ વૉલ્તેરનો જન્મ પૅરિસમાં મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. ૧૭૧૧થી ૧૭૧૩ સુધી તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી થોડો સમય હોલૅન્ડમાં ફ્રેન્ચ એલચીના સચિવ તરીકે કામ કર્યું. તેઓ માનવતાવાદી હતા અને સામાજિક, રાજકીય, ધાર્મિક સહિષ્ણુતા તથા સમભાવમાં માનતા હતા. વૉલ્તેરે ધર્મઝનૂન તથા નિરીશ્વરવાદનો વિરોધ કર્યો હતો. આવા વિચારોને કારણે તેમની ઘણી વાર ધરપકડ કરવામાં આવી હતી. તેમને બેસ્તિલમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો અને દેશનિકાલની સજા પણ ભોગવવી પડી હતી. જેલવાસ દરમિયાન તેમણે એક કરુણ અંતવાળા નાટક(Oedipe)ની રચના કરી હતી. ૧૭૨૬માં થયેલ દેશનિકાલની સજા દરમિયાન ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડમાં જઈ રહ્યા હતા. તે સમયે તેમણે ‘એસે-અપોન-એપિક પોએટ્રી’ અને ‘એસે અપોન ધ સિવિલ વૉર ઇન ફ્રાન્સ’ જેવી રચનાઓ કરી હતી. વૉલ્તેરે લેખો, પત્રિકાઓ, નિબંધો, કાવ્યો, નાટકો, સમીક્ષાઓ એમ અનેક પ્રકારનું સાહિત્ય લખ્યું છે. તેમણે સંપૂર્ણ લેખનના ૯૯ ગ્રંથો રચ્યા છે. સમાજનો દંભ ખુલ્લો પાડવા માટે કેટલુંક સુંદર કટાક્ષલેખન કર્યું છે. લગભગ ચૌદ હજાર પત્રો, બે હજાર પત્રિકાઓ, નિબંધો અને પુસ્તિકાઓનું તેમણે સર્જન કર્યું છે. વૉલ્તેર માટે એવું કહેવાય છે કે તેમનું લેખન એટલું સરસ હતું કે તે તત્ત્વજ્ઞાન વિશેનું છે તેવો ખ્યાલ જ ન આવે. વૉલ્તેરે ‘ફિલૉસૉફિકલ ડિક્શનરી’ની રચના કરી. તેમાં તેમણે જણાવ્યું છે કે નૈતિકતા પોષક ધર્મ મતબદ્ધ ધર્મ કરતાં વધુ ઇચ્છનીય છે. પૅરિસ, જિનીવા અને ઍમસ્ટરડૅમમાં તેમની આ ડિક્શનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેઓ ફ્રેન્ચ પ્રબોધન-આંદોલનના મુખ્ય ચિંતકોમાંના એક હતા.

૧૭૬૭માં તેમણે ભારતનો પ્રવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આપણી ચેસની રમત, આપણા ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતો તથા આપણી બની ગયેલી બોધકથાઓ માટે આપણે ભારતીયોના ઋણી છીએ.’ તેમણે ભારતને ‘જગતની સભ્યતાનું પારણું’ તરીકેની ઓળખ આપી હતી. જાણીતી ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં ૧૭૭૮માં તેમનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શિવાલિક ટેકરીઓ

સિંધુ નદીથી બ્રહ્મપુત્ર નદી સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર આવેલી ટેકરીઓ.

આ ટેકરીઓની સર્વપ્રથમ ઓળખ હરદ્વાર પાસે થઈ હોવાથી તેને ‘શિવાલિક રચના’ નામ અપાયેલું છે. આ ટેકરીઓથી બનેલી હારમાળાની પહોળાઈ સ્થાનભેદે ૧૫થી ૩૦ કિમી. અને સરેરાશ ઊંચાઈ ૧૫૦૦ મીટર જેટલી છે. બલૂચિસ્તાનથી મ્યાનમાર સુધીમાં પથરાયેલી આ ટેકરીઓને તેમનાં સ્થાન મુજબ બલૂચિસ્તાનમાં મકરાન, સિંધમાં મંચાર, આસામમાં તિપામ, ડુપીતિલા અને દિહિંગ તથા મ્યાનમારમાં ઇરાવદી-રચના જેવાં નામ અપાયાં છે. આ જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં તે પતકાઈ, નાગા અને મિઝો નામોથી ઓળખાય છે. તેમનો એક ફાંટો જે પશ્ચિમ તરફ લંબાયેલો છે, તે ખાસી, જેંતિયા અને ગારો નામથી જાણીતો છે. ઊંડી ખીણો, ગીચ જંગલો, પુષ્કળ વરસાદ અને હિંસક પ્રાણીઓ તેમ જ માનવભક્ષી આદિવાસીઓને કારણે અહીંનો વિસ્તાર ઓછી વસ્તીવાળો છે.

બંધારણ : શિવાલિક રચનાની ટેકરીઓનું બંધારણ રેતીખડકો, ગોળાશ્મખડકો, શેલ, મૃદ અને કાંપથી બનેલું છે. તે પૈકીના શરૂઆતમાં બનેલા ખડકો દરિયાઈ ખારા પાણીમાં અને પછીથી સ્વચ્છ નદીજળના માહોલમાં તૈયાર થયેલા છે, તેથી મોટા ભાગે તેમની ઉત્પત્તિ નદીજન્ય ગણાય છે. હિમાલયના ઉત્થાનના છેલ્લા તબક્કામાં તે સામેલ થયેલા હોવાથી તે સખત બનેલા છે; એટલું જ નહિ, ગેડીકરણ અને સ્તરભંગની અસરવાળા પણ છે.

આ ખડકરચના આ પ્રમાણેના ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય છે : નિમ્ન શિવાલિક, મધ્ય શિવાલિક અને ઊર્ધ્વ શિવાલિક; તે પ્રમાણે તેમનાં અંદાજી ભૂસ્તરીય વય અનુક્રમે મધ્ય માયોસીન (૩ કરોડ વર્ષથી ૨ કરોડ વર્ષ), નિમ્નથી ઊર્ધ્વ પ્લાયોસીન (૨ કરોડથી ૧ કરોડ વર્ષ) અને નિમ્ન પ્લાયસ્ટોસીન (૨૦ લાખથી ૧૬ લાખ વર્ષ) નક્કી કરાયાં છે. તેમાં મળી આવતા જીવાવશેષો પ્રારંભમાં દરિયાઈ ઉત્પત્તિજન્ય અને પછીના જીવાવશેષો નદીજન્ય પાર્થિવ ઉત્પત્તિવાળા છે. તેમાંથી મળી આવતા જીવાવશેષોનું પ્રમાણ વિપુલ છે;  જે ખાતરી કરાવે છે કે તત્કાલીન આબોહવા, જળપુરવઠો, ખાદ્યસામગ્રી જેવા સંજોગોનું અનુકૂલન હતું. તેથી તે વખતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓનાં હાડપિંજર દટાયેલી સ્થિતિમાં જળવાયેલાં મળી આવેલાં છે. આ રચનામાંથી મળતાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓના જીવાવશેષો આજે જોવા મળતાં ભૂમિસ્થિત પ્રાણીઓના જ પૂર્વજો છે. એ વખતની પ્રાણીસંપત્તિ વિપુલ હતી. અત્યારે તો તેના માત્ર ત્રીજા ભાગની પ્રાણીસંપત્તિ બચી છે. શિવાલિક પ્રદેશમાં વસતાં અને ત્યાંના જ વતની હાથી તેમ જ હાથી-સમકક્ષ લગભગ ૨૯થી ૩૦ જેટલી ઉપજાતિઓનું અસ્તિત્વ હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિવાલિક ટેકરીઓ, પૃ. ૨૯૭) ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

ગિરીશભાઈ પંડ્યા

અમલા પરીખ