Categories
વાચન સમૃદ્ધિ

દેવેન વર્મા

જ. ૨૩ ઑક્ટોબર, ૧૯૩૭ અ. ૨ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના ખ્યાતનામ અભિનેતા તરીકે જાણીતા દેવેન વર્માનો જન્મ કચ્છમાં થયો હતો. અને તેમનો ઉછેર પુણેમાં થયો હતો. તેમનાં માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ બલદેવસિંહ વર્મા હતું. તેમના પિતા રાજસ્થાની અને માતા કચ્છી હતાં. તેમના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર હતા. તેમણે નૌરોસજી વાડિયા કૉલેજ ફોર આર્ટ્સ ઍન્ડ સાયન્સ (યુનિવર્સિટી ઑફ પુણે) ખાતે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી અભ્યાસ કરી રાજ્યનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બોલિવુડના દિગ્ગજ અભિનેતા અશોકકુમારની પુત્રી અને પ્રીતિ ગાંગુલીની બહેન રૂપા ગાંગુલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનું મૂળ નામ દેવેન્દ્ર વર્મા હતું. જે તેમણે કૉલેજમાં હતા ત્યારે બદલીને દેવેન વર્મા કર્યું હતું. ૧૯૬૧થી ૨૦૦૩ સુધીમાં દેવેન વર્માએ કુલ ૧૫૧ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ગુમરાહ’, ‘મોહબ્બત ઝિંદગી હૈ’, ‘બહારેં ફીર ભી આયેગી’, ‘યકીન’, ‘મેરે અપને’, ‘ફિર કબ મિલોગી’, ‘કોરા કાગઝ’, ‘દો આંખે’, ‘દીવાર’, ‘દૂસરા આદમી’, ‘બેશરમ’, ‘ડોન’, ‘ખટ્ટામીઠ્ઠા’, ‘પ્રેમવિવાહ’, ‘મગરૂર’, ‘ગોલમાલ’, ‘નિયત’, ‘કુદરત’, ‘પ્યાસા સાવન’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘બંધન કચ્ચે ધાગોં કા’, ‘જાગ ઊઠા ઇન્સાન’, ‘અલગ અલગ’, ‘પ્રેમપ્રતિજ્ઞા’, ‘દીવાના’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘કલકત્તા મેઇલ’ જેવી ઘણી ફિલ્મો યાદગાર બની રહી. ખાસ કરીને તેમને બાસુ ચેટર્જી, હૃષીકેશ મુખર્જી અને ગુલઝાર જેવા બોલિવુડના દિગ્ગજ દિગ્દર્શકો સાથે કૉમિક ભૂમિકા કરવા મળી હતી. દેવેન વર્માને ૧૯૯૨માં ‘મામાજી’ નામની અને ૧૯૯૩માં ‘ઝબાન સંભાલ કે’ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી, જે તેમણે સરસ રીતે નિભાવી હતી. આ સિવાય તેમણે ‘યકીન’ (૧૯૬૯) અને ‘ચટપટી’ (૧૯૯૩) જેવી ફિલ્મનું નિર્માણ તો ‘બડા કબૂતર’ (૧૯૭૩) જેવી ફિલ્મનું દિગ્દર્શન અને ‘નાદાન’ (૧૯૭૧), ‘બેશરમ’ (૧૯૭૮) અને ‘દાનાપાની’ (૧૯૮૯) જેવી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સુપેરે કર્યું હતું.

દેવેન વર્માને ૧૯૭૯નો ફિલ્મફેર બેસ્ટ કૉમેડિયનનો ઍવૉર્ડ ‘ચોર કે ઘર ચોર’ ફિલ્મ માટે, ૧૯૮૧માં કૉમિક રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફિલ્મ ‘જુદાઈ’ માટે, ૧૯૮૩નો બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર ઍવૉર્ડ ‘અંગૂર’ ફિલ્મ માટે પ્રાપ્ત થયા હતા. આ સિવાય તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્યકલાકાર ઍવૉર્ડ ૧૯૭૬માં ‘ચોરી મેરા કામ’ અને ૧૯૭૯માં ‘ચોર કે ઘર ચોર’ માટે પણ પ્રાપ્ત થયો હતો. પુણેમાં ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ હાર્ટઍટેક અને કિડનીની નિષ્ફળતાને કારણે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શામળાજી

ગુજરાત રાજ્યનાં જાણીતાં વૈષ્ણવ તીર્થોમાંનું એક. તે ૨૩° ૪૧´ ઉ. અ. અને ૭૩° ૨૩´ પૂ. રે. વચ્ચે મેશ્વો નદીને કાંઠે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે ‘હરિશ્ચંદ્રપુરી’, ‘રુદ્રગયા’, ‘ગદાધરક્ષેત્ર’ વગેરે નામે ઓળખાતું હતું.

શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન ગદાધરનું છે. બે મોટા હાથીનાં શિલ્પવાળાં દ્વારેથી પ્રવેશતાં વિશાળ પ્રાંગણમાં ૫૦૦ વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની વિષ્ણુની પ્રતિમા છે. લોકો તેને ‘શામળિયા દેવ’ – ’કાળિયા દેવ’ તરીકે પૂજે છે. મંદિરની શિલ્પકલા અનન્ય છે. મંદિર મહાપીઠ પર ઊભું છે. આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે શિલ્પથરો વડે સુશોભિત છે. ગર્ભગૃહની બહારની દીવાલ પણ વિવિધ થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર શિલ્પથરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા ૧૬ ટેકાઓ નૃત્યાંગનાઓના શિલ્પથી શોભે છે. મધ્યમાં ગદાધરની મૂર્તિ છે. મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. શિલ્પોમાં ભૂમિતિની ફૂલવેલો, પ્રાણીઓ, માનવો અને દેવ-દેવીઓની તેમ જ ભૌમિતિક આકૃતિઓની કોતરણી છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણોના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. શિખરની ઉપર અગ્નિખૂણે ધ્વજ છે.

ગદાધરના મંદિર ઉપરાંત અહીં ત્રિલોકનાથ, રણછોડજી, રઘુનાથજી, ગણેશ અને કાશી વિશ્વનાથનાં મંદિરો, હરિશ્ચંદ્રની ચૉરી વગેરે આવેલાં છે. હરિશ્ચંદ્રની ચૉરી નામના પ્રાચીન મંદિરની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. કર્માબાઈનું તળાવ, નાગધરો, પ્રાચીન કિલ્લો, પ્રાચીન વાવ નજીક આવેલો સર્વોદય આશ્રમ વગેરે જોવાલાયક છે. ‘કળશી છોરાંની મા’ નામની વિષ્ણુમૂર્તિ પ્રસિદ્ધ છે અને આદિવાસી સ્ત્રીઓ તેની વિશેષભાવે પૂજા કરે છે. શામળાજી પાસે દેવની મોરીના સ્થળેથી એક બૌદ્ધ મહાસ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પથ્થરનું એક અસ્થિપાત્ર મળી આવ્યું છે, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સચવાયેલા છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન આ અવશેષો છે અને તે હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સચવાયેલા છે. વળી શામળાજીની આસપાસથી ક્ષત્રપકાલ અને ગુપ્તકાલનાં છૂટાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. શામળાજીમાં દર વર્ષે કારતકી પૂનમના રોજ મેળો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, ઉદયપુર, ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી ભાગ લે છે. યાત્રીઓ-પર્યટકો માટે અહીં રહેવાજમવાની સગવડો છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

દાદા પાંડુરંગ આઠવલે

જ. ૧૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૫ નવેમ્બર, ૨૦૦૩

સંસ્કાર અને સગવડથી વંચિત લોકો તેમજ સુખી વર્ગ સુધી આધ્યાત્મિક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનો પ્રભાવ પાડનાર પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં થયો હતો. માતા પાર્વતી, પિતા વૈજનાથ અને દાદા લક્ષ્મણની છાયા હેઠળ તેમના જીવનનું ઘડતર થયું હતું. તેઓ પૂર્વ અને પશ્ચિમનું તત્ત્વજ્ઞાન, તુલનાત્મક ધર્મ, ઇતિહાસ, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી આદિ ભાષાઓ અને વિવિધ સમાજવિદ્યા અને વેદો ભણ્યા હતા. આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. મુંબઈમાં તેઓએ વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભાગવત પાઠશાળામાં પ્રવચનો કર્યાં હતાં. ૧૯૫૪માં જાપાનમાં યોજાયેલ વિશ્વના દાર્શનિકોની સભામાં ‘ભક્તિ બળ છે’ તે વિષય પર તાત્ત્વિક નિરૂપણ કર્યું હતું. આ માટે તેઓએ ભારતમાં પ્રબળ આંદોલન જગાવ્યું હતું, જેથી યુવાનો વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ વિનામૂલ્યે લઈ શકે. આ માટે તેઓએ થાણેમાં તત્ત્વજ્ઞાનની વિદ્યાપીઠ સ્થાપી. ઉપરાંત સમાજના વિવિધ સ્તરે સાંસ્કૃતિક શિક્ષણ આપવાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેઓએ ઋષિકૃષિ સંસ્થાઓ સ્થાપી હતી, જેના દ્વારા ગૃહઉદ્યોગ તથા ઋષિ સંસ્કૃતિ – બંનેના સમન્વય રૂપે શિક્ષણ અપાય. પાંડુરંગે ભારતનાં લાખો ગામડાંઓમાં સામૂહિક ખેતી, માછીમારી તથા વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા. આ નિરક્ષર માછીમારો તથા ખેડૂતોને ગીતા સમજાવી અને તેના શ્લોકો મોઢે કરાવ્યા. તેમના સ્વાધ્યાયીઓ દ્વારા પણ આ કામને વેગ મળ્યો. આથી ખેડૂતો અને માછીમારોના જીવનમાં પરિવર્તન થયું. ઈ. સ. ૧૯૮૨માં પશ્ચિમ જર્મનીમાં સેન્ટ નિકોલ્સની પંચશતાબ્દી પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી. એમની પ્રેરણાથી દેશવિદેશમાં હજારોની સંખ્યા ધરાવતાં કેન્દ્રો સ્થાપી ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રયત્ન કર્યા. સદવિચારદર્શન ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાઓમાં તેમનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં.

આઠવલેને મૅગ્સેસે ઍવૉર્ડ, ટેમ્પલટન ઍવૉર્ડ તથા પદ્મભૂષણ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. માનવસેવા માટે તેઓને ‘ટેમ્પલટન ઍવૉર્ડ’ હેઠળ રૂ. ૪.૩૨ કરોડ જેટલી રકમ મળી હતી. નિરક્ષર અને અબુધ ગ્રામજનો માટે તેઓએ કરેલી સેવાપ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ ‘આંતરનાદ’ બનાવવામાં આવી હતી.

અંજના ભગવતી