Categories
વાચન સમૃદ્ધિ

મેલ્વિલ ડીમેલો

જ. ૨૮ એપ્રિલ, ૧૯૧૩ અ. ૫ જૂન, ૧૯૮૯

સ્વતંત્ર ભારતમાં વિવિધ ઘટનાઓ પરના તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા અહેવાલો અને ભાષ્યો માટે જેમને યાદ કરવામાં આવે છે તે મેલ્વિલ ડી’મેલો ઑલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલા ભારતીય રેડિયો પ્રસારણકર્તા હતા. ડી’મેલોનું શિક્ષણ શિમલાની બિશપ કોટન સ્કૂલ અને મસૂરીની સેન્ટ જ્યોર્જ કૉલેજમાં થયું હતું. તેમણે પંજાબ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે પણ સેવા આપી હતી. મેલ્વિલ ડી’મેલોએ ૧૯૫૦થી ૧૯૭૧ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો સાથે કામ કર્યું હતું અને તેઓ ‘સ્ટાફ આર્ટિસ્ટ’ કૅટેગરીમાં આવતા હતા. તેમની નિવૃત્તિ પછી પણ તેમને બીજાં પાંચ વર્ષ માટે નિર્માતા (એમેરિટ્સ) તરીકે સેવારત રાખવામાં આવ્યા હતા. ૧૯૪૮માં ગાંધીનિર્વાણદિને ડી’મેલો બિરલા હાઉસથી રાજઘાટ ખાતે સ્મશાનસ્થળ સુધી મહાત્મા ગાંધીજીના પાર્થિવ દેહને લઈ જતી ટીમ સાથે ગયા હતા અને ઑલ ઇન્ડિયા રેડિયોની વાનમાંથી સમગ્ર ઘટનાની સાત કલાક સુધી સૌને ઝાંખી કરાવી હતી. જેને ભારતના રેડિયો પ્રસારણમાંનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે. ૧૯૫૨માં તેમને રાણી એલિઝાબેથના રાજ્યાભિષેક શોભાયાત્રાની કૉમેન્ટરી આપવા માટે બ્રિટિશ સરકારે પસંદ કર્યા હતા. તેમણે વર્ષો સુધી ભારતના પ્રજાસત્તાકદિનની પરેડમાં કૉમેન્ટેટર તરીકે સેવા આપી હતી. ભારત-પાકિસ્તાન હૉકી મૅચો પરની તેમની કૉમેન્ટરી આજે પણ યાદ કરવામાં આવે છે. બાંગ્લાદેશ યુદ્ધ અને ત્યારબાદ ભારતીય દળો દ્વારા તેની મુક્તિ પરના તેમના અહેવાલની હજારો રેડિયોશ્રોતાઓ આતુરતાથી રાહ જોતા જોવા મળતા હતા. મેલ્વિલ ડી’મેલોએ રમતગમત પર અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધ સ્ટોરી ઑફ ધ ઑલિમ્પિક્સ’ વિશેષ ઉલ્લેખનીય છે. અન્ય પુસ્તકોમાં ‘રિચિંગ ફોર એક્સેલન્સ’ અને ‘ધ ગ્લૉરી ઍન્ડ ડેકે ઑફ ઇન્ડિયન સ્પૉર્ટ્સ’ ખાસ નોંધપાત્ર છે. મેલ્વિલ ડી’મેલોને ચૅકોસ્લોવાક રેડિયો ડૉક્યુમેન્ટરી પુરસ્કાર (૧૯૬૦), કૉમેન્ટરી પુરસ્કાર (૧૯૭૭), એશિયાડ જ્યોતિ ઍવૉર્ડ (૧૯૮૪) અને ૧૯૬૩માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઝારખંડ

ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે ૨૩ ૩૫´ ઉ. અ. અને ૮૫ ૩૩´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ ૩૮૦ કિમી. અને પહોળાઈ ૪૬૩ કિમી. છે. વિસ્તાર ૭૯,૭૧૬ ચો.કિમી. છે. આ જિલ્લાની કુલ વસ્તી આશરે (૨૦૨૪ મુજબ) ૪,૧૦,૭૦,૦૦૦ છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર પારસનાથ (૧૩૮૨ મી.) છે. આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ રાજ્યની આબોહવા વૈવિધ્યસભર છે. ઉત્તરના ભાગમાં ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય, અગ્નિ ભાગમાં સૂકી અનુભવાય છે. ઉનાળાની ઋતુનો સમયગાળો મધ્ય એપ્રિલથી મધ્ય જૂન ગણાય છે. મે માસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે. જૈવવિવિધતાની દૃષ્ટિએ આ રાજ્ય સમૃદ્ધ છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. આ જંગલોમાં સાલ, સીસમ, ખેર, પલાસ, ટીમરું, કુસુમ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંનાં વૃક્ષોની ઊંચાઈ ૩૦થી ૪૫ મીટર સુધી હોય છે. અહીં ગીચ જંગલોનો વિસ્તાર આશરે ૧૨,૫૦૭ ચો.કિમી. અને પાંખાં જંગલો હેઠળનો વિસ્તાર આશરે ૧૦,૪૭૦ ચો.કિમી. છે. ખેતી પણ આ રાજ્યના અર્થતંત્રમાં આગવો ફાળો આપે છે. અહીં અનેક પ્રકારના ખેતીકીય પાકો મેળવાય છે. જેમાં ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ, રાગી જેવા ધાન્ય પાકો તેમજ શેરડી, કપાસ, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતી પણ લેવાય છે. ફળોમાં પપૈયાં, કેળાં, સ્ટ્રોબેરી, કેરી વગેરેની ખેતી લેવાય છે. અહીંનાં જંગલોમાં ૯૭ જેટલી પ્રજાતિનાં વૃક્ષો અને છોડવા આવેલાં છે જ્યારે કાંટાળી અને ઔષધિવાળી વનસ્પતિની ૪૬ પ્રજાતિ શોધાઈ છે. ૨૫ પ્રકારના વેલા અને ૧૭ પ્રકારના ઘાસ-વાંસ છે. જ્યારે ૩૯ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૮ પ્રકારના સાપ, ૪ પ્રકારની ઘો, ૨૧ પ્રકારનાં પતંગિયાં, કીડા, મંકોડા અને ૧૭૦ પ્રકારનાં પક્ષીઓ વસે છે. જેમાં ‘પાલામઉ વાઘ અભયારણ્ય’ અને ‘દાલમા વન્યજીવ અભયારણ્ય’ મુખ્ય છે. રાંચી પાસે ‘મુટા મગર સંવર્ધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે.

ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું

અર્થતંત્ર : આ રાજ્યે ખનિજોની વિવિધતા અને જથ્થાની દૃષ્ટિએ ભારતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોહઅયસ્ક અને કોલસાના વિપુલ અનામત જથ્થાને કારણે જમશેદપુર, ધનબાદ, બોકારો અને રાંચીમાં મહત્ત્વના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. જમશેદપુરમાં ખાનગી ક્ષેત્રનું જાણીતું ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું કાર્યરત છે. પરિવહન – પ્રવાસન : આ રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યના ધોરી માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. રેલમાર્ગોની પણ સુવિધા આ રાજ્ય ધરાવે છે. આ રાજ્યનું સૌથી મોટું આંતરદેશીય હવાઈ મથક ‘બીરસા મુન્ડા’ છે. જે દિલ્હી, કૉલકાતા, બૅંગાલુરુ, મુંબઈ, હૈદરાબાદ વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. ઝારખંડ જળધોધ, ડુંગરો અને પવિત્ર ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે. ઈટખોરી જે હિન્દુઓનું, બૌદ્ધોનું અને જૈનોનું પવિત્ર સ્થળ મનાય છે. અહીં અનેક નાનામોટા જળધોધ આવેલા છે. જેમાં જ્હોના ધોધ, હુન્ડરુ ધોધ, દસ્સામ ધોધ, પેરવાગહાગહા (perwaghagh) ધોધ વધુ મહત્ત્વના લેખાય છે. જેમાં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, ડાલ્ફા વન્યજીવ અભયારણ્ય જોવા પ્રવાસીઓ વધુ આકર્ષાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝારખંડ, પૃ. 134)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

મણિભાઈ ભીમભાઈ દેસાઈ

જ. ૨૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૪ નવેમ્બર, ૧૯૯૩

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની મણિભાઈનો જન્મ સૂરત જિલ્લાના કોસમાડા ગામે થયો હતો. મૅટ્રિક થયા બાદ ૧૯૩૮માં સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા. ગાંધીજીના પ્રભાવથી છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડ-પ્રવૃત્તિમાં ભાગ લીધો, તે બદલ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪માં જેલમાંથી મુક્ત થયા બાદ ૧૯૪૫માં બી.એસસી. થયા અને ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. સેવા ખાતર અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી. તેઓએ ખાંડનું સહકારી કારખાનું અને સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ યોજના શરૂ કરી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતમાં તેઓએ આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ કરી. ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી ઉત્પાદન, ઘાસચારો, પાણી-જમીન સંરક્ષણ જેવી યોજનાઓ કરી. ગાયોના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી ગાયોના ધન્વંતરિ બન્યા. તેઓને ૧૯૬૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી, ૧૯૭૭માં મહારાષ્ટ્ર ફુલે કૃષિ વિદ્યાપીઠ તરફથી ડૉ. ઑવ્ સાયન્સ, ૧૯૮૨માં ફિલિપાઇન્સ તરફથી ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, ૧૯૮૩માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, ૧૯૮૪માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટર ઑવ્ લિટરેચરની ઉપાધિ આ ઉપરાંત ૧૯૮૯માં ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે.