Categories
વાચન સમૃદ્ધિ

બાબુ જગજીવનરામ

જ. ૫ એપ્રિલ, ૧૯૦૮ અ. ૬ જુલાઈ, ૧૯૮૬

બાબુજી તરીકે જાણીતા જગજીવનરામ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી હતા. જેમણે ૩૦ વર્ષથી વધુ સમય માટે વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૨૭માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા જ્યાં તેમને બિરલા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ૧૯૩૧માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી અને મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ અસ્પૃશ્યતા વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. બાબુ જગજીવનરામે ૧૯૩૫માં અસ્પૃશ્યો માટે સમાનતા પ્રાપ્ત કરવાના હેતુસર સમર્પિત સંગઠન ઑલ ઇન્ડિયા ડિપ્રેસ્ડ ક્લાસીસ લીગની સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા બાદ ‘સત્યાગ્રહ’ અને ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી બદલ બે વાર જેલવાસ પણ ભોગવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ જવાહરલાલ નહેરુની કામચલાઉ સરકારમાં અને ત્યારબાદ પ્રથમ ભારતીય મંત્રીમંડળમાં શ્રમમંત્રી તરીકે યુવાવયે હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેઓ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર બંધારણ સભાના પણ સભ્ય હતા. ઇન્દિરા ગાંધીની સરકારમાં ૧૯૬૬થી ૧૯૭૦ સુધીનો તેમનો કાર્યકાળ હરિયાળી ક્રાંતિનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવા માટે યાદગાર રહ્યો છે. તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૬થી એપ્રિલ, ૧૯૮૩ સુધી ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. મોરારજીભાઈ દેસાઈની સરકાર વખતે તેમણે ૨૪ જાન્યુઆરી, ૧૯૭૯થી ૨૮ જુલાઈ, ૧૯૭૯ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો. ૧૯૫૨માં પહેલી ચૂંટણીથી ૧૯૮૬માં તેમના મૃત્યુ સુધી પાંત્રીસ વર્ષથી વધુ સમય સુધી બાબુ જગજીવનરામ સંસદસભ્ય તરીકે રહ્યા તે એક વિશ્વરેકૉર્ડ છે. તેમના અગ્નિસંસ્કાર સ્થળને ‘સમતા સ્થળ’ નામના સ્મારકમાં ફેરવવામાં આવ્યું છે. તેમની જન્મજયંતીને એટલે કે પાંચ એપ્રિલને સમતા દિવસ કે સમાનતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હીમાં ‘બાબુ જગજીવનરામ રાષ્ટ્રીય ફાઉન્ડેશન અને મુંબઈમાં ‘જગજીવનરામ હૉસ્પિટલ’ તેમની લોકપ્રિયતાનાં દ્યોતક છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !

માણસને વળગેલી સૌથી મોટી ગુલામી તે બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની એની તીવ્ર ઇચ્છા છે. એ પોતાની સિદ્ધિનો આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે એની રાહ જોઈને ટાંપીને બેઠો છે. પરિણામે સ્વ-જીવનની આનંદ-મસ્તી ગુમાવી દીધી છે. એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે. બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિનાં ગુણગાન ગાયા કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે. એ પોતાના વિશે જે કંઈ કહે છે તે બીજાની પ્રશંસાની ભીખ માગવા માટે બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેમને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની પ્રચંડ શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની અઢળક સમૃદ્ધિનો ખ્યાલ આવે, તે એનું મુખ્ય લક્ષ્ય બને છે. આથી એની દૃષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન બીજાને કેવો લાગીશ, દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે તેમાં સમેટાઈ જાય છે. આમ કરવા જતાં એ પોતીકી રીતે જીવતો નથી. ક્ષણે ક્ષણે એ અન્યને નજર સમક્ષ રાખીને જીવે છે. પ્રશંસા સાથે અહંકાર જોડાઈ જાય છે, સત્તા કે સંપત્તિનો અહંકાર આવી પ્રશંસા માટે સદૈવ આકુળવ્યાકુળ થતો હોય છે. સમય જતાં વૈભવની વાત વીસરાઈ જાય છે. સત્તાના પ્રભાવની ફિકર રહેતી નથી, માત્ર પ્રશંસા એ એકમાત્ર ધ્યેય બની રહે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સારંગ બારોટ

જ. ૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૫ ફેબ્રુઆરી, ૧૯૮૮

ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ પણ ગુજરાતી સાહિત્યમાં સારંગ બારોટ તરીકે જાણીતા છે. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ વડોદરામાં આવેલી કલાભવન ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૪૧-૧૯૫૦ દરમિયાન મુંબઈ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે અને ત્યારબાદ થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર તરીકે કાર્ય કર્યું હતું. તેમણે લેખનની શરૂઆત ૧૯૫૦થી કરી અને આશરે ત્રીસેક જેટલી નવલકથાઓ લખી જેમાં કૌટુંબિક પ્રશ્નોની છણાવટ મુખ્ય વિષય રહ્યો. આ ઉપરાંત સામાજિક પ્રશ્નો પણ અગ્રસ્થાને રહેલા છે. તેમની રચનાઓમાં ‘અગનખેલ, ‘રેનબસેરા’ (ભાગ ૧ અને ૨), ‘નંદનવન’, ‘બાદલછાયા, ‘કુર્યાત્ સદા મંગલમ્, ‘નદી, નાવ, સંજોગ, ‘વિલાસવહુ’, ‘સૂર્યમુખી’, ‘શ્યામ સૂરજનાં અજવાળાં’ અને ‘ધીરા સો ગંભીર’ મહત્ત્વની ગણી શકાય. વાર્તાસંગ્રહોમાં ‘અક્ષયપાત્ર’ (૧૯૫૨), ‘મોહનાં આંસુ’ (૧૯૫૨), ‘વિમોચન’ (૧૯૫૩), ‘કોઈ ગોરી, કોઈ સાંવરી’ (૧૯૫૪), ‘મેઘમલ્હાર’ (૧૯૬૩) અને ‘ગુલબંકી’ (૧૯૬૭) નોંધપાત્ર છે. સામયિકોના દીપોત્સવી અંક માટે પણ તેમણે અનેક વાર્તાઓ લખેલ છે. તેમની ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ ઘણી પ્રશંસા પામી છે. તેમણે લખેલાં નાટકોમાં ‘પ્રેમસગાઈ’ (૧૯૬૭) અને ‘એક ડાળનાં પંખી’ (૧૯૭૯) ધ્યાનાકર્ષક ગણાય.