Categories
વાચન સમૃદ્ધિ

કાંશીરામ

જ. ૧૫ માર્ચ, ૧૯૩૪ અ. ૯ ઑક્ટોબર, ૨૦૦૬

‘બહુજન નાયક’, ‘માન્યવર’ અથવા ‘સાહબ કાંશીરામ’ વગેરે નામથી જાણીતા કાંશીરામનો જન્મ  પીર્થીપુર બન્ગા ગામ, રોપર જિલ્લો, પંજાબમાં થયો હતો. તેઓ ચમાર જાતિના શીખ પરિવારમાં જન્મ્યા હતા. વિવિધ સ્થાનીય શાળાઓમાં શિક્ષણ મેળવી, ૧૯૫૬માં રોપરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એસસી. થયા. ભણતર બાદ તેઓ પુણેની એક્સપ્લોઝિવ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ લૅબોરેટરીમાં જોડાયા. ડૉ. આંબેડકરના પુસ્તક ‘એનિહિલેશન ઑવ્ કાસ્ટ’ની તેમના ઉપર ખૂબ અસર થઈ હતી. તેમણે બહુજન, પછાત અને દલિતોના ઉદ્ધાર માટે કામ કરવાનું પ્રણ લીધું હતું. તેમણે ૧૯૮૧માં દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી હતી. દલિતોના સંગઠન અને વોટ ભેગા કરવા ૧૯૮૪માં તેમણે બહુજન સમાજ પાર્ટીની રચના કરી, ૧૯૮૪માં તેઓ પ્રથમ વાર છત્તીસગઢની જાંજગીર ચાપાં સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારપછી ૧૯૮૮માં તેમને ફરી હારનો સામનો કરવો પડ્યો. ૧૯૯૧માં મુલાયમિંસહ યાદવ સાથે ગઠબંધન કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. ૧૯૯૬માં બીજી વખત ચૂંટણી જીત્યા. ૨૦૦૧માં ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમણે સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો અને માયાવતીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યાં. ૧૯૮૨માં તેમણે ‘ધ ચમચા એજ’ પુસ્તક લખ્યું જેમાં જગજીવનરામ, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે જેવા નેતાઓને ‘ચમચા’ અર્થાત્ કઠપૂતળી કહી નિશાન બનાવ્યા હતા. ડૉ. આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ અવસાન થવાથી તે પૂર્ણ થઈ શકી ન હતી. ‘ધ ચમચા એજ’ ઉપરાંત, ‘બર્થ ઑવ્ બામસેફ’ નામનું પુસ્તક પ્રકાશિત થયુ હતું. ‘કાંશીરામ : લીડર ઑફ ધ દલિત’ બદ્રીનારાયણ તિવારીએ લખેલું તેમનું જીવનચરિત્ર છે. તેમણે આપેલાં ભાષણો પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયાં છે. એવું કહેવાય છે કે ભારતમાં આંબેડકરવાદ જીવિત રાખવાનું શ્રેય કાંશીરામને ફાળે જાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જેસલ-તોરલ

લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. ૧૯૪૮માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા-સંવાદ-ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં. ૧૯૭૧માં નિર્મિત ‘જેસલ-તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલનાં પાપના ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું. કચ્છમાં જેસલ-તોરલની સમાધિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

હરીશ રઘુવંશી

Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

જ. ૧૪ માર્ચ, ૧૮૭૯ અ. ૧૮ એપ્રિલ, ૧૯૫૫

નોબેલ પારિતોષિકવિજેતા, જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ તેમજ સાપેક્ષવાદ (theory of relativity) સિદ્ધાંતના સ્થાપક તરીકે જાણીતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલતાં મોડું શીખેલા. માતાની પ્રેરણાથી સંગીત શીખીને વાયોલિનવાદક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરેલી પણ કેવળ નિજાનંદ માટે જ તેઓ વાયોલિન વગાડતા હતા. કાકા જેકોબની પ્રેરણાથી ગણિતમાં અને કાકા કેઝર કૉકે દ્વારા વિજ્ઞાનમાં તેમને ઊંડી જિજ્ઞાસા જાગી હતી. પરિણામે બાર વર્ષના આલ્બર્ટમાં વિશાળ વિશ્વનાં વિવિધ રહસ્યોનો ઉકેલ શોધવાના મનોરથ જાગ્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ઝૂરિકની ફેડરલ પોલિટૅકનિક એકૅડેમીમાંથી ૧૯૦૦ની સાલમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. થોડો સમય શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ સ્વિટ્ઝર્લૅન્ડની પેટન્ટ ઑફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે તેમને નોકરી મળી હતી. જ્યાં તેમને વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની હતી. જેનાથી વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તથ્યો તારવવાની તેમની શક્તિ કેળવાઈ હતી. ૧૯૦૫માં ઝૂરિકના સુપ્રસિદ્ધ સામયિક ‘અનાલેં દર ફિઝિક’માં આઇન્સ્ટાઇનના પાંચ સંશોધનલેખ પ્રગટ થયા હતા. જેના પ્રથમ લેખ દ્વારા તેમને ઝૂરિક યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ હતી. E=MC2 સમીકરણના સંશોધન દ્વારા તેમને યુરોપના અગ્રણી વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવવાની તક પ્રાપ્ત થઈ હતી. તેમણે પ્રાથમિક અવલોકનોની મદદ લીધા વિના શુદ્ધ અને મૌલિક ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા ચકાસવાની નવી પ્રણાલી સ્થાપી હતી. ૧૯૨૧માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને તેણે શોધેલ ‘ફોટોવિદ્યુત નિયમ અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે કરેલા પ્રદાન’ને માટે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અમેરિકા દ્વારા હિરોશીમા પર પરમાણુ બૉમ્બ ઝીંકાયો તેનું તેમને અપાર દુઃખ હતું. તેથી જિંદગીનાં છેલ્લાં વર્ષો તેમણે વિજ્ઞાનને સ્વાર્થી સત્તાધારી વર્તુળોના હાથમાં જતું ઉગારવામાં ગાળ્યાં હતાં.

અશ્વિન આણદાણી