Categories
વાચન સમૃદ્ધિ

ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !

આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દાનની કિંમત સમર્પણ પર અંકાય છે !

ચોતરફ દુષ્કાળ પ્રવર્તતો હતો. અન્નના અભાવે માનવીઓ ટપોટપ મૃત્યુ પામતા હતા. એનાથીય વિશેષ બૂરી દશા પશુઓની હતી. ચોમેર ભૂખ્યાં બાળકોનાં આક્રંદ સંભળાતાં હતાં. સ્ત્રીઓની આંખોમાં ભૂખ અને લાચારીનાં આંસુ હતાં. એ સમયે સમગ્ર દેશમાં અદ્વૈતવિચારનો પ્રસાર કરનાર આદિ શંકરાચાર્યે આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો. મહાન અને ગહન જ્ઞાન ધરાવતા આ આચાર્યે માનવતા કાજે અહાલેક જગાવી. આદિ શંકરાચાર્યે રાજાઓને ટહેલ નાખી અને રાજાઓએ એમના અન્નભંડારોનું અન્ન આપવા માંડ્યું. શ્રેષ્ઠીઓ એમની ધનસંપત્તિ એમનાં ચરણોમાં અર્પણ કરવા લાગ્યા. ખેડૂતો પોતાની પાસેનું અનાજ આપવા લાગ્યા. ચોમેરથી દુષ્કાળગ્રસ્ત લોકોને માટે મદદ આવતી હતી. દાનની ધારા વહેવા લાગી. ક્યાંક માનવતા તો ક્યાંક જીવદયાની મહેક પ્રસરવા લાગી. એક ગરીબ ખેડૂતને પણ દાન આપવાની ઇચ્છા જાગી, પણ એની પાસેથી દુષ્કાળે બધું હરી લીધું હતું. એના ખેતરમાં ધાન ઊગ્યું નહોતું. વખાના માર્યા ઢોરઢાંખર પણ વેચી દીધાં હતાં. બસ, માત્ર એક દાતરડું બચ્યું હતું.

ખેડૂત એ દાતરડું લઈને બજારમાં ગયો અને એમાંથી એને બે દ્રમ્મ મળ્યા. આ બે દ્રમ્મની તે શી કિંમત ? જ્યાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ સુવર્ણમુદ્રાઓનો ધોધ વહેવડાવતા હોય, ત્યાં આ એક નાનકડા બિંદુની તે શી વિસાત ? પણ ખેડૂતથી રહી શકાયું નહીં. એ એના ફાટ્યા-તૂટ્યા કેડિયાના ખિસ્સામાં બે દ્રમ્મ નાંખીને આદિ શંકરાચાર્ય પાસે પહોંચ્યો. સભામાં દાનની મોટી મોટી જાહેરાતો થઈ રહી હતી. કોઈ હજાર સુવર્ણમુદ્રાનું દાન કરતા હતા તો કોઈ દશ હજાર સુવર્ણમુદ્રા દાનમાં આપતા હતા. આવે સમયે આ ખેડૂતને એટલો સંકોચ થયો કે એના આ બે દ્રમ્મની તે શી કિંમત ?

એ આદિ શંકરાચાર્ય પાસે ગયો અને ખિસ્સામાંથી બે દ્રમ્મ બહાર તો કાઢ્યા, પરંતુ આપતાં શરમ આવતી હતી. આદિ શંકરાચાર્યે આ જોયું. એમણે ભાવથી ખેડૂતને નજીક બોલાવ્યો અને કહ્યું, ‘આવ ભાઈ, તું શું લાવ્યો છે ? કહે તો ખરો !’ ગરીબ ખેડૂતે પોતાની કથની કહી અને પછી બે દ્રમ્મ આદિ શંકરાચાર્યને ચરણે ધર્યા. આ સમયે સભામાં રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. એમની સમક્ષ આદિ શંકરાચાર્યે કહ્યું, ‘આ ખેડૂતના બે દ્રમ્મ એ સૌથી મહાન દાન છે, કારણ કે અન્ય સહુએ પોતાના ધન કે ધાન્યનો અમુક ભાગ જ દાનમાં આપ્યો છે, જ્યારે આ ખેડૂતે સર્વસ્વ અર્પણ કર્યું છે.’ આમ દાન ભાવના સાથે જોડાયેલું છે, વસ્તુ સાથે નહીં. એ કિંમત સાથે નહીં, પણ મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. દાન આપનાર કેટલું સમર્પણ કરે છે, તેના પર તેની કિંમત અંકાય છે. ખેડૂતે માત્ર બે દ્રમ્મનું દાન આપ્યું, પરંતુ એનું મહત્ત્વ હજારો સુવર્ણમુદ્રાઓથી પણ વિશેષ હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નીનુ મજુમદાર

જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ