Categories
વાચન સમૃદ્ધિ

શકુન્તલાદેવી

જ. ૪ નવેમ્બર, ૧૯૨૯ અ. ૨૧ એપ્રિલ, ૨૦૧૩

વિશ્વમાં ‘માનવ કમ્પ્યૂટર’ તરીકે જાણીતાં ગણિતશાસ્ત્રી, લેખિકા અને જ્યોતિષી શકુન્તલાદેવીનો જન્મ બૅંગાલુરુમાં કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

શકુન્તલાદેવીએ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ બાળપણથી જ પ્રતિભાવાન હતાં. તેમને ત્રણ વર્ષની ઉંમરથી જ આંકડાઓ સાથેનો સંબંધ પ્રદર્શિત થયો હતો. તેમણે પાંચ વર્ષની  ઉંમરે મૈસૂર યુનિવર્સિટીમાં કૉમ્પલેક્સ મેન્ટલ એરિથમૅટિકમાં નિદર્શન આપ્યું હતું. તેઓ વિશ્વના અનેક દેશોમાં ગયાં અને ગાણિતિક ચમત્કૃતિનો પરિચય કરાવ્યો. તેઓ ૧૯૫૨માં વૉશિંગ્ટન ડીસીમાં ગયાં હતાં. ત્યાં તેમણે ઇલેક્ટ્રૉનિક કૅલ્ક્યુલેટર કરતાં છ સેકંડ વહેલો જવાબ આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ૧૯૭૭માં સધર્ન મૅથોડિસ્ટ યુનિવર્સિટીમાં માત્ર ૫૦ સેકંડમાં ૨૦૧ આંકડાની સંખ્યાનું ૨૩મું મૂળ ગણી આપ્યું હતું. UNIVAC-1108 કમ્પ્યૂટરને આ ગણતરી કરતાં વધુ સમય લાગ્યો હતો. એ જ પ્રમાણે ૧૯૮૦માં ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં ૧૩ અંકોની બે સંખ્યાઓના ગુણાકાર માત્ર ૨૮ સેકંડમાં કર્યા હતા. આથી એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેમની સિદ્ધિઓને ગિનિસ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમણે ૧૯૮૦માં લોકસભાની ચૂંટણી પણ લડી હતી. તેમણે વૈવિધ્યસભર પુસ્તકો આપ્યાં છે. જેમાં ‘પરફેક્ટ મર્ડર’, ‘રાજુ’, ‘ગોગો ધ ડાન્સિંગ મ્યૂલ ઍન્ડ અધર સ્ટોરીઝ’, ‘અવેકન ધ જિનિયસ ઑવ્ યોર ચાઇલ્ડ’, ‘ફિવરિંગ : ધ જૉય ઑવ્ નંબર્સ’, ‘ધ વર્લ્ડ ઑવ્ હોમોસેક્સ્યુઅલ’ જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે ગણિતક્ષેત્રે કરેલાં પ્રદાન બદલ તેમને અનેક સન્માનો મળેલાં. ૪ નવેમ્બર, ૨૦૧૩ના રોજ તેમના ૮૪મા જન્મદિન નિમિત્તે ગૂગલ ડૂડલથી તેમને સન્માનિત કરાયાં હતાં. તેમના જીવન પર  આધારિત ‘શકુન્તલાદેવી’ ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

આત્માને જાણ્યા વિના ‘હત્યા’

કરવા દોડી જાવ છો :

કેટલીક વ્યક્તિઓ પોતાના વર્તમાન જીવનને સતત ધિક્કારતી હોય છે. એ પોતાની આજની જિંદગી પ્રત્યે તિરસ્કાર ધરાવતી હોય છે અને આવી નકામી, પરેશાનીભરી, નરક સમી જિંદગી મળી એનો દિવસ-રાત વસવસો કરતી હોય છે. રોજિંદા જીવનમાં ડગલે ને પગલે સ્વ-જીવન અંગે નિસાસા નાખતી હોય છે, પરંતુ આ વ્યક્તિ એ હકીકત વીસરી જાય છે કે તમે તમારી જિંદગીને ગમે તેટલી તિરસ્કારશો,

તોપણ તમારે એ જીવવાની તો છે જ. એને જેટલી ધિક્કારશો એટલી ધિક્કારની ભાવના તમારા દિલમાં આવશે અને તેથી સ્વજીવન ધિક્કારપાત્ર બનશે, પણ એથીય આગળ વધીને તમારી જીવનદૃષ્ટિ જ ધિક્કારભરી બની જશે.

આસપાસના માણસો અળખામણા લાગશે. વારંવાર એમના પર ક્રોધાયમાન થઈ જશો. ક્યારેક આવેશમાં ચિત્ત પરનો કાબૂ ગુમાવીને એમને કટુવચનો કે અપશબ્દો કહેશો. કોઈક વાર હિંસક હુમલો પણ કરી બેસશો, કારણ કે પોતાની જિંદગીને ધિક્કારનારને બીજાના જીવન માટે કશો આદર હોતો નથી. આથી વ્યક્તિનું મહત્ત્વનું કાર્ય એ સ્વજીવનને ચાહવાનું છે. જીવનમાં જે સ્થિતિએ હોય, જે શારીરિક શક્તિ-મર્યાદા ધરાવતો હોય, જે પારિવારિક પરિસ્થિતિ હોય, તેમને સ્વીકારીને એણે સ્વ-જીવનને ચાહવું જોઈએ. એનું સીધુંસાદું કારણ એટલું જ કે તમે જીવનને ચાહશો કે ધિક્કારશો, પરંતુ એ જીવન તમારા આયુષ્યકાળ દરમિયાન તમારી સાથે જ રહેવાનું છે. સહેજ વિપરીત પરિસ્થિતિ ઉદભવતાં વ્યક્તિ પોતાના વર્તમાન જીવન પ્રત્યે નિરાશ અને ઉદાસીન બની જાય છે. જીવન બોજરૂપ લાગતાં આત્મહત્યા ભણી દોરાય છે. તમે હજી તમારા ‘આત્મા’ને ચાહ્યો જ નથી, ત્યાં વળી એની ‘હત્યા’ કરવા કેમ ધસી જાવ છો ?

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાવણના મૃત્યુથી રામની આંખોમાં આંસુ !

રામાયણ અનેક રૂપે મળે છે. ભારતની પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે છે. જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. લક્ષ્મણે શ્રીરામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા ! લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, ‘મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો અવસર છે.’ શ્રીરામે કહ્યું, ‘લક્ષ્મણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું, એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ ખરું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !

લક્ષ્મણે પૂછ્યું, ‘કેવો લાગે છે રાવણ ?’

રામે કહ્યું, ‘રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.’ લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, ‘દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ રડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.’ આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, ‘સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.’ રાવણનો આ ઉત્તર સાંભળીને લક્ષ્મણ સ્તબ્ધ બની ગયો. પોતાના દુશ્મનના સારા ગુણો ભાગ્યે જ કોઈને દેખાય છે. દુશ્મનને દાનવ ચીતરવો સહુને ગમે છે. શત્રુના દોષને ઘણા મોટા કરીને જુએ છે પછી એને વિશે અવગુણોનું કાળું ચિત્ર પોતાના મનમાં દોરે છે. આનાથીય એની વૈરભાવનાને સંતોષ થતો નથી, ત્યારે એ કાળા ચિત્ર પર લાગે કે ન લાગે, તોય વધુ કાળો રંગ લગાડે જાય છે. રામ અને રાવણ એકબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે.

કુમારપાળ દેસાઈ