Categories
વાચન સમૃદ્ધિ

છગનભાઈ જાદવ

જ. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૨ એપ્રિલ, ૧૯૮૭

ગુજરાતના આધુનિક ચિત્રકાર, કલા-વિશ્વને અધ્યાત્મની અનુભૂતિભર્યાં કલાસર્જનો આપનાર આ કલાકારનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. તે સમયની પ્રથા પ્રમાણે માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં. એકવીસ વર્ષની તેઓની વય હતી ત્યારે તેમનાં પત્ની તથા બાળક અવસાન પામ્યાં. ત્યારબાદ જીવનપર્યંત તેઓ એકલા જ રહ્યા. પોતાનું જીવન કલાને સમર્પિત કરી દીધું. સૌપ્રથમ કનુ દેસાઈ પાસે ત્યારબાદ રવિશંકર રાવળ પાસે કલાની દીક્ષા લીધી. ઇંદોર તથા લખનૌ જઈને પણ શિક્ષણ લીધું. ત્યાં કલાગુરુ બેન્દ્રે પાસેથી પણ લૅન્ડસ્કેપ શીખ્યા. છગનભાઈ ૨૬ વર્ષની વયે રવિશંકરના કળા-વિદ્યાર્થી બન્યા. ઇંદોરની આર્ટ સ્કૂલમાં છગનલાલને નારાયણ શ્રીધર બેન્દ્રે સાથે દોસ્તી થઈ, તેમની સાથે કાશ્મીરમાં પરિભ્રમણ કર્યું. કાશ્મીરનાં નિસર્ગ ચિત્રો કર્યાં. ત્યારબાદ તેઓ લખનૌની આર્ટસ્કૂલના વિદ્યાર્થી બન્યા અને તેમની કળા પરિપક્વ થઈ. લખનૌથી પાછા ફરીને છગનભાઈએ ઘણાં ઉત્તમ ચિત્રો સર્જ્યાં. બૉમ્બે આર્ટ સોસાયટીની હરીફાઈમાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે અને મુંબઈના ગવર્નરનું પણ ઇનામ તેમને મળ્યું. ૧૯૩૦માં દાંડીકૂચના, ગાંધીજીના સ્કૅચીઝ કર્યા. ૧૯૬૫ પછી થોડાં વર્ષો તેઓ ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીના ઉપાધ્યક્ષપદે રહ્યા. ૧૯૪૪માં છગનભાઈ ફરીથી હિમાલયની લાંબી યાત્રાએ ગયા અને ત્યાંનાં દૃશ્યોનાં ચિત્રો દોર્યાં. ચિત્રો દોરતાં તેમની અધ્યાત્મસાધના પણ વધતી ગઈ. ગુજરાત લલિતકળા અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’ વડે ૧૯૬૮માં છગનલાલ જાદવનું બહુમાન કરેલું. તેમનું અવસાન અમદાવાદમાં થયું હતું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

સાપેક્ષતાના સિદ્ધાંતનો પુરાવો

જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇને (૧૮૭૯-૧૯૫૫) ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત પછી સાપેક્ષતાનો વિશેષ ચડિયાતો સિદ્ધાંત શોધ્યો. જર્મનીમાં જન્મેલા આ વિજ્ઞાનીએ ૧૯૦૯થી ૧૯૧૮ના ગાળામાં જગતને સાપેક્ષતાનો આ વ્યાપક સિદ્ધાંત આપ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મોટી ઊથલપાથલ થઈ ગઈ. આઇન્સ્ટાઇનનો આ સિદ્ધાંત નિસર્ગનું વધુ સાચું વર્ણન કરે છે એમ સ્વીકારાયું, એટલું જ નહીં, પણ આને પરિણામે ક્રાંતિકારી સૂઝ અને ઊંડી સમજ ધરાવતા વિજ્ઞાની તરીકે આઇન્સ્ટાઇનને યુરોપમાં વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા હાંસલ થયાં. આઇન્સ્ટાઇન જે કોઈ દેશમાં પ્રવચન આપવા જતા, ત્યાં એને પ્રતિભાસંપન્ન વિજ્ઞાની તરીકે આદર મળતો હતો. આઇન્સ્ટાઇને પણ કોઈ સ્થળે પોતે વિદેશી છે, એવી અનુભૂતિ કરી નહોતી. માનવતા એ આઇન્સ્ટાઇનનો પ્રથમ ગુણ હોવાથી સર્વત્ર સમાન આદર પામ્યા હતા. આ અલગારી વિજ્ઞાનીએ જોયું કે એમના સાપેક્ષતાના સિદ્ધાંતનો સર્વત્ર આદર થાય છે અને સહુ કોઈ ‘આઇન્સ્ટાઇન અમારા દેશના છે’ એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે આઇન્સ્ટાઇને એક વખત કટાક્ષમાં કહ્યું, ‘આજે ભલે હું અમેરિકામાં વસતો હોઉં, પરંતુ જર્મનીમાં એક જર્મન વિજ્ઞાની તરીકે મારો આદર થાય છે અને ઇંગ્લૅન્ડમાં મને એક વિદેશી યહૂદી તરીકે સન્માનવામાં આવે છે. પરંતુ જો મારો આ સિદ્ધાંત ખોટો સાબિત થાય તો જર્મન લોકો મને ધુત્કારીને કહેશે કે આ તો એક પરદેશી યહૂદી છે અને અંગ્રેજ લોકો મને એમ કહીને ધુત્કારશે કે આ તો એક જર્મન છે.’ આટલું કહીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં ઉમેર્યું, ‘આ મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો જ છે ને !’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રશ્મિભાઈ ક્ષત્રિય

જ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ અ. – ઑગસ્ટ, ૧૯૮૬

ગુજરાતના એક આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. વડોદૃરાના એક મધ્યમવર્ગમાં જન્મેલા રશ્મિની બાર વર્ષની ઉંમર પહેલાં જ માતાપિતા અવસાન પામતાં કાકાએ તેમને ઉછેર્યા. મૅટ્રિક્યુલેશન કર્યા પછી અમદાવાદ ખાતે રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે જોડાઈને કલાસાધના આરંભી. એ સાથે સરકારના રેશિંનગ અનાજના ખાતામાં નોકરી શરૂ કરી. પરંતુ સરકારે નોકરીમાંથી કાઢી મૂકતાં સરકારી ઑફિસના ઓટલા પર બેસીને લોકોને વિવિધ અરજીઓ લખી આપીને ગુજરાન ચલાવ્યું તથા કલાસાધના માટેના ખર્ચની જોગવાઈ કરી. ઉદાર રવિશંકર રાવળે પણ તેમને કલાસાધના માટે આર્થિક મદદ કરી. આ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પણ પ્રાપ્ત કરી. એ પછી પહેલાં ઉત્તર ગુજરાતના સરઢવ ગામમાં અને પછી અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર શાળામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને પૂરી કરી. શેઠ સી. એન. વિદ્યાવિહારના નિયામક સ્નેહરશ્મિ(ઝીણાભાઈ દેસાઈ)એ ૧૯૭૩માં વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરેલું. કેવી રીતે કલાપ્રવૃત્તિ કરવી તે બાબતમાં રશ્મિભાઈ બાળકોને પૂરતી આઝાદી આપતા. કેવી રીતે બાળકોને કલાશિક્ષણ આપવું તે બાબતમાં સ્નેહરશ્મિએ રશ્મિભાઈને પૂરતી આઝાદી અને મોકળાશ આપેલાં. તેઓ બાળકો પાસે કલાના અવનવા પ્રયોગો કરાવતા. રશ્મિભાઈ મૌલિક ચિત્રકાર હતા અને તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો રશિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટાલી, કૅનેડા, જાપાન, બ્રિટનમાં થયેલાં. તેમની મૌલિક કલાનો સૂર હતો – ‘મારાં લોહી અને આંસુથી લખેલી મારા પ્રેમ અને નિરાશાની વેદના.’ તેમને બિલાડાં ખૂબ જ વહાલાં હતાં. તેમણે ઘણી બધી બિલાડીઓ પાળેલી અને રોજેરોજ તેમને જાતે રાંધીને ખવડાવતા. આજીવન એકાકી – અપરિણીત રશ્મિભાઈ કલાશિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી ત્રણ માસમાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા