Categories
વાચન સમૃદ્ધિ

મહેન્દ્ર પંડ્યા

જ. ૪ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૨૮ ઑગસ્ટ, ૨૦૧૫

ગુજરાતના જાણીતા શિલ્પકાર મહેન્દ્ર પંડ્યાનો જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં થયો હતો. પિતાનું નામ ધીરજરામ તલાટી હતું. તેમનો ઉછેર કુદરતના સાન્નિધ્યમાં થયો હતો. શિલ્પ સાથે લગાવ હોવાથી મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. ૧૯૫૫માં સ્નાતક અને ૧૯૫૮માં અનુસ્નાતક થયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા તેમના શિક્ષક હતા, તેમના માર્ગદર્શન હેઠળ તેમની કળાકારીગરી ઔર ખીલી ઊઠી. અભ્યાસ પૂર્ણ થતાં તે જ યુનિવર્સિટીના શિલ્પવિભાગમાં તેઓ પ્રાધ્યાપક તરીકે જોડાઈ ગયા. કલાઅધ્યાપન સાથે તેમણે શિલ્પસર્જન પણ ચાલુ રાખ્યું. નવ સપ્તાહ યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ વિખ્યાત શિલ્પકાર હેન્રી મૂરના મહેમાન બન્યા અને તેમને ત્યાં રહીને તેઓ શિલ્પકળા વિશે ઘણું બધું શીખ્યા. ૧૯૮૬માં તેઓ નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેમના કલાસર્જનમાં વેગ આવ્યો. ભારત સરકારની સિનિયર આર્ટિસ્ટ ફેલોશિપ તેમને મળી. ૧૯૮૯માં ભારત સરકારના માનવસંસાધન મંત્રાલય તરફથી તેમની કલાસૂઝ અને શિલ્પસર્જનને બિરદાવતી ‘આઉટસ્ટૅન્ડિંગ આર્ટિસ્ટ ફેલોશિપ’ મળી. દેશવિદેશમાં તેમનાં અનેક વ્યક્તિગત પ્રદર્શનો યોજાયાં. ભારતમાં આધુનિક શિલ્પોને સ્થાન અપાવવામાં મહેન્દ્ર પંડ્યાનો મહત્ત્વનો ફાળો રહેલો છે.

પથ્થર અને લાકડામાંથી બનાવેલાં તેમનાં શિલ્પોમાં વિવિધ પ્રકારની સપાટીઓ જોવા મળે છે. જેમ કે, ખરબચડી, પ્રતિબિંબ જોઈ શકાય તેવી સ્નિગ્ધ-સુંવાળી, આડાઊભા ઘસરકા મારીને રચેલી જાળી જેવી ભાતવાળી. તેઓ પથ્થર અને કાષ્ઠ ઉપરાંત કાચ, ખીલા, પતંગ, જૂનો કાટમાળ, ફાઇબર ગ્લાસ, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાંથી પણ શિલ્પકૃતિઓ બનાવતા. ઘરના દરવાજા ઉપરની કોતરણી હોય કે પછી વડોદરા નગરમાં રસ્તાઓ પર આરસ, સિરામિક ટાઇલ્સ અને સિમેન્ટ વડે સર્જેલા ફુવારાઓ હોય. મહેન્દ્ર પંડ્યાની કલાકારીગરી અનોખી તરી આવતી. તેમની કૃતિઓ દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લલિતકલા અકાદમી તથા ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના સંગ્રહોમાં સ્થાન પામી છે.

અમલા પરીખ

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર

કલા-ગૌરવ પુરસ્કાર

જીવનની પ્રભાવકતાને આલેખતાં ચિત્રકાર અર્પિતા સિંહને સ્લાઇડ-શૉ સાથે વક્તવ્ય

અર્પિતા સિંહ પરિચય એસ્થર ડેવિડ, નિસર્ગ આહીર | વક્તવ્ય : અમિત અંબાલાલ, કુમારપાળ દેસાઈ

5 ઑક્ટોબર 2024, શનિવાર, સાંજના 5-30 ગુજરાત વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-13

Categories
વાચન સમૃદ્ધિ

શણ

લાંબા, મૃદુ અને ચળકાટવાળા રેસાઓ ધરાવતી શાકીય કે અર્ધક્ષુપ એકવર્ષાયુ વનસ્પતિ. શણની મોટી છૂંછ અને બોર છૂંછ નામની વનસ્પતિઓની અન્નવાહક પેશીમાંથી આ રેસા પ્રાપ્ત થાય છે. મોટી છૂંછ ૨.૪ મી.થી ૩ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના પર પીળાં પુષ્પો અને ગોળ શિંગો થાય છે. બોર છૂંછની શિંગો થોડી લાંબી હોય છે અને રેસા થોડી નીચી ગુણવત્તાવાળા હોય છે. શણ ચોમાસુ પાક છે. તેને હૂંફાળી આબોહવા માફક આવે છે. ભેજવાળી, ગોરાડુ અને ફળદ્રૂપ જમીનમાં તે સારી રીતે થાય છે. વાવેતર પછી ત્રણ-ચાર માસમાં તેના પર ફૂલો બેસે છે. તે સમયે પાકને લણી લેવામાં આવે છે. ખેતરમાં જ તેની સુકવણી કરી પાંદડાં ઉતારી લઈ, સોટીના પૂળા બાંધવામાં આવે છે. તેમને ફરી તપાવી, છીછરા પાણીમાં ડુબાડી, ઉપર લાકડાં કે પથ્થરનો ભાર મૂકવામાં આવે છે. આથી છાલ ઊખડી આવે છે. તેને નિચોવી, સારા પાણીથી ધોઈ, તડકે સૂકવી રેસા છૂટા પાડવામાં આવે છે. રેસાના ભારા બાંધી કારખાનાને વેચવામાં આવે છે.

કપાસના રેસાઓ પછી શણના રેસાઓ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. શણના રેસાઓ કપાસના રેસાઓ કે અળસીના રેસાઓ કરતાં ઓછા કીમતી છે. શણના રેસાઓ ૧.૮ મી.થી ૩.૦ મી. જેટલા લાંબા અને આછા પીળા રંગના હોય છે. તેઓ ઓછા મજબૂત, રેશમી, ચળકતા અને પ્રમાણમાં વિપુલ હોય છે. શણના રેસાઓ સસ્તા અને સરળતાથી કાંતી શકાય તેવા હોય છે. શણ મલેશિયા કે શ્રીલંકાનો મૂળ પાક છે; પરંતુ તે ભારતીય પાક કહેવાય છે. વિશ્વમાં તેના ઉત્પાદનમાં ભારત પહેલા ક્રમે છે. ભારત ઉપરાંત ચીન, બાંગ્લાદેશ, વિયેટનામ, થાઇલૅન્ડ  અને મ્યાનમાર પણ શણનું ઉત્પાદન કરતા દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઓરિસા શણ ઉત્પન્ન કરનારાં રાજ્યો છે. ઉપયોગ : શણ મુખ્યત્વે બરછટ વણાટવાળી વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. તે થેલાઓ, કોથળીઓ, ગૂણીઓ, રૂની ગાંસડીઓ માટેનાં કંતાનો, બરછટ કાપડ, પડદાઓ, શેતરંજીઓ અને દોરીઓ બનાવવામાં વપરાય છે. શણના રેસામાંથી ચીકાશરોધી (greese-proof) કાગળ બને છે. ભારતમાં તેના રેસાઓ સાથે ઊન મિશ્ર કરીને શાલ કે સસ્તા ધાબળા પણ બનાવવામાં આવે છે. તે મીઠાઈ અને બીજા ઉદ્યોગોમાં ચીકાશવાળા પદાર્થોને વીંટાળવામાં મોટે પાયે વપરાય છે. ટૂંકા રેસાઓમાંથી કાગળ બનાવાય છે. શણના રેસાઓ છાપરાના નમદાઓ (felts), પગરખાંનાં અસ્તર તથા ગાદીનું કાપડ બનાવવામાં તથા ભીંતના લેપન માટે ઉપયોગી છે. જોકે હવે આ બધી વસ્તુઓ માટે કૃત્રિમ રેસાનો વપરાશ વધ્યો છે; પરંતુ આરોગ્યની દૃષ્ટિએ શણનો વપરાશ હિતાવહ છે.

શુભ્રા દેસાઈ