Categories
વાચન સમૃદ્ધિ

હરજી લવજી દામાણી ‘શયદા’

જ. ૨૪ ઑક્ટોબર, ૧૮૯૨ અ. ૩૧ મે, ૧૯૬૨

તેઓ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલસ્વરૂપની કવિતાની શરૂઆત કરી હોવાથી તેઓ ગઝલસમ્રાટ તરીકે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી જ્ઞાતિના, વતન ધોલેરાના  હરજીભાઈએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૨માં પ્રથમ વખત તેમની કવિતા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ હતી. તેઓએ ‘શયદા’ ઉપનામ ધારણ કરેલું. ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે તેઓએ ગુજરાતી ગઝલની રચના કરી. શયદાનો અર્થ ઉર્દૂમાં ‘પ્રેમ સાથે પાગલ’ થાય છે. ગઝલનું ગુજરાતીકરણ કરવાનો યશ અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિય બનાવવામાં એમની મહત્ત્વની ભૂમિકા છે. ‘બે ઘડી મોજ’ (૧૯૨૪) સામયિકના તેઓ સ્થાપક-મંત્રી હતા. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. આ ઉપરાંત પાંચમા-છઠ્ઠા દાયકામાં ચાલેલા ‘ગઝલ’ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા. તેમના કાવ્ય-ગઝલ રચનાઓના ગ્રંથો ‘જય ભારતી’ (૧૯૨૨), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (૧૯૬૧), ‘દીપકનાં ફૂલ’ (૧૯૬૫), ‘ચિતા’ (૧૯૬૮) તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (૧૯૯૯) છે, જેમાં ભાષાની સાદગી અને વિચારોની તાજગી તેમની ગઝલનો મુખ્ય વિષય છે.

તેમની નવલકથાઓમાં ‘મા તે મા’ (ભાગ ૧-૨), ‘અમીના’, ‘છેલ્લે રોશની’ (ભાગ ૧-૨), ‘બહાદુરશાહ ઝફર’ (ભાગ ૧-૨), ‘આઝાદીની શમા’ (ભાગ ૧-૨), ‘ખમ્મા ભાઈને’ (ભાગ ૧-૨) વગેરે હતી. આ ઉપરાંત તેઓએ ઘણાં નાટકો પણ લખ્યાં છે અને વાર્તાસંગ્રહો પણ લખ્યા હતા. તેમની યાદમાં ઇન્ડિયન નૅશનલ થિયેટર, મુંબઈ યુવા-ગુજરાતી ગઝલકાર – કવિઓને વાર્ષિક શયદા પુરસ્કાર આપે છે. મુંબઈમાં ચોપડીઓની ફેરીથી પોતાની કારકિર્દી શરૂ કરનાર શયદાએ ૫૦ જેટલાં પુસ્તકો લખી પોતાની ઉજ્જ્વળ કારકિર્દી પૂરી કરી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન વર્મા

જ. ૨૩ ઑક્ટોબર, ૧૯૩૭ અ. ૨ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના ખ્યાતનામ અભિનેતા તરીકે જાણીતા દેવેન વર્માનો જન્મ કચ્છમાં થયો હતો. અને તેમનો ઉછેર પુણેમાં થયો હતો. તેમનાં માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ બલદેવસિંહ વર્મા હતું. તેમના પિતા રાજસ્થાની અને માતા કચ્છી હતાં. તેમના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર હતા. તેમણે નૌરોસજી વાડિયા કૉલેજ ફોર આર્ટ્સ ઍન્ડ સાયન્સ (યુનિવર્સિટી ઑફ પુણે) ખાતે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી અભ્યાસ કરી રાજ્યનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બોલિવુડના દિગ્ગજ અભિનેતા અશોકકુમારની પુત્રી અને પ્રીતિ ગાંગુલીની બહેન રૂપા ગાંગુલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનું મૂળ નામ દેવેન્દ્ર વર્મા હતું. જે તેમણે કૉલેજમાં હતા ત્યારે બદલીને દેવેન વર્મા કર્યું હતું. ૧૯૬૧થી ૨૦૦૩ સુધીમાં દેવેન વર્માએ કુલ ૧૫૧ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ગુમરાહ’, ‘મોહબ્બત ઝિંદગી હૈ’, ‘બહારેં ફીર ભી આયેગી’, ‘યકીન’, ‘મેરે અપને’, ‘ફિર કબ મિલોગી’, ‘કોરા કાગઝ’, ‘દો આંખે’, ‘દીવાર’, ‘દૂસરા આદમી’, ‘બેશરમ’, ‘ડોન’, ‘ખટ્ટામીઠ્ઠા’, ‘પ્રેમવિવાહ’, ‘મગરૂર’, ‘ગોલમાલ’, ‘નિયત’, ‘કુદરત’, ‘પ્યાસા સાવન’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘બંધન કચ્ચે ધાગોં કા’, ‘જાગ ઊઠા ઇન્સાન’, ‘અલગ અલગ’, ‘પ્રેમપ્રતિજ્ઞા’, ‘દીવાના’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘કલકત્તા મેઇલ’ જેવી ઘણી ફિલ્મો યાદગાર બની રહી. ખાસ કરીને તેમને બાસુ ચેટર્જી, હૃષીકેશ મુખર્જી અને ગુલઝાર જેવા બોલિવુડના દિગ્ગજ દિગ્દર્શકો સાથે કૉમિક ભૂમિકા કરવા મળી હતી. દેવેન વર્માને ૧૯૯૨માં ‘મામાજી’ નામની અને ૧૯૯૩માં ‘ઝબાન સંભાલ કે’ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી, જે તેમણે સરસ રીતે નિભાવી હતી. આ સિવાય તેમણે ‘યકીન’ (૧૯૬૯) અને ‘ચટપટી’ (૧૯૯૩) જેવી ફિલ્મનું નિર્માણ તો ‘બડા કબૂતર’ (૧૯૭૩) જેવી ફિલ્મનું દિગ્દર્શન અને ‘નાદાન’ (૧૯૭૧), ‘બેશરમ’ (૧૯૭૮) અને ‘દાનાપાની’ (૧૯૮૯) જેવી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સુપેરે કર્યું હતું.

દેવેન વર્માને ૧૯૭૯નો ફિલ્મફેર બેસ્ટ કૉમેડિયનનો ઍવૉર્ડ ‘ચોર કે ઘર ચોર’ ફિલ્મ માટે, ૧૯૮૧માં કૉમિક રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફિલ્મ ‘જુદાઈ’ માટે, ૧૯૮૩નો બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર ઍવૉર્ડ ‘અંગૂર’ ફિલ્મ માટે પ્રાપ્ત થયા હતા. આ સિવાય તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્યકલાકાર ઍવૉર્ડ ૧૯૭૬માં ‘ચોરી મેરા કામ’ અને ૧૯૭૯માં ‘ચોર કે ઘર ચોર’ માટે પણ પ્રાપ્ત થયો હતો. પુણેમાં ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ હાર્ટઍટેક અને કિડનીની નિષ્ફળતાને કારણે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શામળાજી

ગુજરાત રાજ્યનાં જાણીતાં વૈષ્ણવ તીર્થોમાંનું એક. તે ૨૩° ૪૧´ ઉ. અ. અને ૭૩° ૨૩´ પૂ. રે. વચ્ચે મેશ્વો નદીને કાંઠે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે ‘હરિશ્ચંદ્રપુરી’, ‘રુદ્રગયા’, ‘ગદાધરક્ષેત્ર’ વગેરે નામે ઓળખાતું હતું.

શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન ગદાધરનું છે. બે મોટા હાથીનાં શિલ્પવાળાં દ્વારેથી પ્રવેશતાં વિશાળ પ્રાંગણમાં ૫૦૦ વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની વિષ્ણુની પ્રતિમા છે. લોકો તેને ‘શામળિયા દેવ’ – ’કાળિયા દેવ’ તરીકે પૂજે છે. મંદિરની શિલ્પકલા અનન્ય છે. મંદિર મહાપીઠ પર ઊભું છે. આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે શિલ્પથરો વડે સુશોભિત છે. ગર્ભગૃહની બહારની દીવાલ પણ વિવિધ થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર શિલ્પથરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા ૧૬ ટેકાઓ નૃત્યાંગનાઓના શિલ્પથી શોભે છે. મધ્યમાં ગદાધરની મૂર્તિ છે. મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. શિલ્પોમાં ભૂમિતિની ફૂલવેલો, પ્રાણીઓ, માનવો અને દેવ-દેવીઓની તેમ જ ભૌમિતિક આકૃતિઓની કોતરણી છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણોના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. શિખરની ઉપર અગ્નિખૂણે ધ્વજ છે.

ગદાધરના મંદિર ઉપરાંત અહીં ત્રિલોકનાથ, રણછોડજી, રઘુનાથજી, ગણેશ અને કાશી વિશ્વનાથનાં મંદિરો, હરિશ્ચંદ્રની ચૉરી વગેરે આવેલાં છે. હરિશ્ચંદ્રની ચૉરી નામના પ્રાચીન મંદિરની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. કર્માબાઈનું તળાવ, નાગધરો, પ્રાચીન કિલ્લો, પ્રાચીન વાવ નજીક આવેલો સર્વોદય આશ્રમ વગેરે જોવાલાયક છે. ‘કળશી છોરાંની મા’ નામની વિષ્ણુમૂર્તિ પ્રસિદ્ધ છે અને આદિવાસી સ્ત્રીઓ તેની વિશેષભાવે પૂજા કરે છે. શામળાજી પાસે દેવની મોરીના સ્થળેથી એક બૌદ્ધ મહાસ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પથ્થરનું એક અસ્થિપાત્ર મળી આવ્યું છે, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સચવાયેલા છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન આ અવશેષો છે અને તે હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સચવાયેલા છે. વળી શામળાજીની આસપાસથી ક્ષત્રપકાલ અને ગુપ્તકાલનાં છૂટાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. શામળાજીમાં દર વર્ષે કારતકી પૂનમના રોજ મેળો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, ઉદયપુર, ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી ભાગ લે છે. યાત્રીઓ-પર્યટકો માટે અહીં રહેવાજમવાની સગવડો છે.

અમલા પરીખ